Thursday, 4 July 2019

ગુજરે હૈ હમ કહાં કહાં સે (૨)



                                                          જેરામનો ઝપાટો….
સને ૧૯૬૧માં મારા બાપુજીનું પોસ્ટીંગ ગઢડા(સ્વામીનારાયણ) મુકામે થયું. મને ત્યાંની મોહનલાલ મોતીચંદ પ્રાથમિક શાળામાં પ્રવેશ મળી ગયો. તાત્કાલિક ધોરણે જે ભાઈબંધ થયો એ હતો જેરામ (જેરામીયો). આ જેરામીયો મારા જ વર્ગમાં હતો. એના બાપુજી અમારી નિશાળની બહાર લારી ઉભી રાખી, શીંગ, દાળીયા, રેવડી, બોર, કાતરા, આંબલીયા વગેરે ‘ભાગ’ વેચતા. જો કે એમને મોટો વકરો એ ‘ઈનામ’ ખેંચાવતા એમાંથી થતો. પૂંઠાના બોર્ડ ઉપર રંગબેરંગી એવી નાની નાની પડીકીઓ ચોટાડેલી હોય. ત્રણ પૈસા અને પાંચ પૈસા જેવી રકમ ચૂકવવાથી આપણી પસંદગીની કોઈ પણ એક પડીકી ખેંચવાની તક મળે. એ પડીકી ખોલવાની અને એમાં જે લખ્યું હોય તે ઈનામરૂપે મળે. જો કે મોટા ભાગે તો એ પડીકી ખાલી જ નીકળતી. એમ થવાથી હતાશ થઈને પાછા વળતા છોકરાને એ હાથમાં બે દાણા શીંગ મૂકી, બીજે દિવસે ફરીથી નસીબ અજમાવવા માટે આમંત્રણ આપતા. આજના યુગમાં અજમાવાતા માર્કેટીંગના કિમીયાઓની ગંગોત્રી આવા લોકોની કોઠાસૂઝમાંથી જ પ્રગટી હશે.

જો ભૂલેચૂકે કોઈને ઈનામ લાગી જાય તો એના ફળસ્વરૂપે જે બનતું એ ખુબ જ રસપ્રદ છે. જેવો એ છોકરો ઈનામ લઈને હરખભેર નિશાળના પરિસરમાં જાય કે થોડી જ વારમાં જેરામીયો એની પાસે પહોંચી જતો. એનો એક માત્ર મકસદ એ ચીજ પાછી પડાવી લેવાનો રહેતો. શાસ્ત્રોમાં સૂચવાયેલા ચાર પૈકી ‘દંડ’ તરીકે ઓળખાવાયેલો કિમીયો એને સુપેરે હસ્તગત હતો. આ બાબતે એણે એવી તો ઉંચી પ્રતિષ્ઠા અર્જિત કરી રાખી હતી કે મોટા ભાગના કિસ્સામાં ઈનામવિજેતા છોકરો એને મળેલી ચીજ વડે ત્યાં સુધી જ રમી લેતો, જ્યાં સુધી પોતે જેરામની નજરે ન ચડે. જેવા પરસ્પર દ્રષ્ટોદ્રષ્ટ થાય કે એ સામેથી જ એ જેરામને ઈનામ પરત કરી દેતો. આમ કરવાથી જેરામનો સમય અને સામેવાળાનું શરીર એ બન્નેનો બચાવ થતો. આમ જોઈએ તો એટલી નાની ઉમરથી જ જેરામીયાએ પિતાજીના ધંધામાં ખાસ્સી નિષ્ઠાથી મદદ કરવાનું ચાલુ કરી દીધું હતું.

અમે ત્રીજા ધોરણમાં આવ્યા ત્યારે અમારાં વર્ગશિક્ષિકા હતાં તારાબહેન. ખુબ જ ઉત્સાહી અને પ્રેમાળ એવાં તારાબહેન નવાં નવાં ભાવનગરથી બદલાઈ ને ગઢડાની નિશાળમાં જોડાયાં હતાં. તે અભ્યાસક્રમ ઉપરાંત અમને શિષ્ટાચાર અને બોલચાલના પાઠો પણ ભણાવતાં. એક વખત એમની ઝપટે જેરામીયો ચડી ગયો. બલ્કે એમ કહેવું જોઈએ કે જેરામીયાની ઝપટે તારાબહેન ચડી ગયાં! ‘સ’થી શરુ થતો એક શબ્દ બોલવાનો હતો અને જેરામ ત્યાં ‘ચ’ ઉચ્ચાર કરે! તારાબહેન ચિડાઈને કહે, “તે તને ‘સ’ બોલતાં નથી આવડતું?” જેરામે જવાબ આપ્યો, “આવડે સે ને!” એટલે તારાબહેન વધુ ખીજાણાં. કહે, ” ‘સે’ બોલાય? ‘છે’ની જગ્યાએ ‘સે’ બોલતી વેળા તો ‘સ’ બોલતાં આવડે તો સીધેસીધો ‘સ’ કેમ નો આવડે? બોલ, ‘સસલું’.” તો જેરામ બોલ્યો, “ચચલું”! આવી થોડી માથાકૂટ પછી તારાબહેને જેરામને કહ્યું કે બીજે દિવસે એના બાપાને લઈ ને નિશાળે આવે. ‘કલ કરે સો આજ’ના ન્યાયમાં માનતો જેરામીયો એ જ ક્ષણે ક્લાસની બહાર રોકેટની જેમ ભાગ્યો અને બહેન કાંઈ સમજે એ પહેલાં તો એના બાપાને લઈ આવ્યો! એ સમયે નિશાળના પ્રવેશદ્વાર પાસે ભાગની લારી લઈ ને ઉભા રહેલા બાપા જેરામને એકદમ હાથવગા હતા. તારાબહેને એમને ચિરંજીવીના ઉચ્ચારદોષની ફરિયાદ કરી કે ગમ્મે એટલું શીખવાડું છું, આ છોકરો ‘સ’ નથી બોલતો. “તે લે, એમાં ચિયો વાઘ મારવાનો સ?” જેરામસ્ય પિતાજી ઉવાચ. “લે હેઈ જેરામીયા, બોલ તો, ચમચી”. જેરામે ક્ષણના ય વિલંબ વગર ઉચ્ચાર્યું, ‘સમસી’ ! જેરામના ચહેરા ઉપર ગર્વ, એના બાપાના ચહેરા ઉપર આવો રતન સરીખો સુપુત્ર સાંપડ્યાનો હરખ અને તારાબહેનના ચહેરા ઉપરની લાચારી ભળાતાં અમારો વર્ગ હર્ષનાદો કરી ઉઠેલો!

એ પછીના વર્ષે એટલે કે અમારા ચોથા ધોરણના વર્ગમાં અમારા વર્ગશિક્ષક તરીકે મૂકાયા એ સાહેબ તાજા જ જોડાયા હતા. અમારો જેરામ એમની જ્ઞાતિ બાબતની જાણકારી તાત્કાલિક અસરથી મેળવી લાવ્યો અને કોઈ જ છોછ વગર એણે સમગ્ર વિદ્યાર્થીગણમાં એ માહિતી છૂટથી વહેંચી. આમ થતાં એ સાહેબનો ઉલ્લેખ સૌ વિદ્યાર્થીઓ (એમની અનઉપસ્થિતીમાં, અલબત્ત!) એમની જ્ઞાતિ વિશેના સહેજેય વિવેક/સુરૂચીપૂર્ણ નહીં બલ્કે અપમાનજનક એવા શબ્દપ્રયોગ વડે જ કરવા લાગ્યા. સાહેબ યુવાન તેમજ ઉત્સાહી હતા અને આજથી ચોપન પંચાવન વરસ અગાઉનાં ધારાધોરણો મુજબ વર્ગમાં શિસ્ત બરકરાર રાખવા માટે જરૂરી માનવામાં આવતા એવા શાબ્દિક ધાકધમકી તેમજ શારીરીક ઉત્પીડનના સઘળા પ્રયોગો સારી પેઠે કરી જાણતા. એનું પ્રાયોગીક નિદર્શન એ વખતોવખત આપતા પણ રહેતા. એ જ્યારે વર્ગમાં પ્રવેશે ત્યારે અમે તોફાનો કરતા જ હશું એવી પૂર્વધારણા સહીત જ આવતા. બારણામાં પ્રવેશતાં જ “એય્ય્ય્ય્ય, બધા સખણીના રહેજો” એવો ચેતવણીનો નાદ પોકારતા. એની ભારે અસર થતી અને મોટા ભાગના અમે વાર્ષિક ઈન્સ્પેક્શન આવે ત્યારે હોઈએ એટલા ડાહ્યા બની જતા. તેમ છતાંયે સાહેબ એકાદ બેને ગણીતના આકસ્મિકતાના સિધ્ધાંત મુજબ પસંદ કરી, થોડી થોડે ‘પરશાદી’ ચખાડી દેતા, જેથી બાકીનાઓ શુન્યમનસ્ક બની જતા અને આમ વર્ગમાં શાંતિ સ્થપાયેલી રહેતી. એ કળિયુગી જમાનામાં આ બધું અતિ સામાન્ય ગણાતું. આજના જેવી નવજાગૃતિનો એ સમયગાળો હોત તો તો મા-બાપ, વાલીમંડળ અને વિદ્યાર્થીનેતાઓ ભેગાં મળીને આવી બાબતે હોબાળો મચાવી દેતાં હોત અને સંચારમાધ્યમોના પ્રતિનિધીઓ એ ઘટનાને ‘બાળમાનસ ઉપર ક્રૂર શિક્ષક દ્વારા થયેલા અત્યાચાર’ તરીકે ખપાવી, નકલોનો ફેલાવો અને કાર્યક્રમના ટીઆરપી મૂલ્યમાં ધરખમ વધારો કરી શક્યા હોત. ખેર, જેવાં એ પેઢીના વિદ્યાર્થીઓનાં નસીબ!

અમારામાંના કોઈ કોઈ તો એમના વડે અજમાવાતી આવી પ્રવૃત્તિઓનો ભોગ ન બનવા માટે વર્ગમાં ‘સખણીના’ રહેવા ઉપરાંત અન્ય ઉપાયો પણ પ્રયોજતા રહેતા. ભટૂર નામનો એક છોકરો રોજ રીસેસમાં ઘરે જઈ, એમને માટે નાની બોઘરણી ભરીને તાજી છાશ લઈ આવતો અને એના બદલામાં કોકકોકવાર ‘લેશન’ કરી લાવવાનું ભૂલી જાય, ત્યારે એ બાબતે સાહેબ એને જવા દેતા. વળી એ તાડનલાભથી પણ કાયમી ધોરણે વંચિત રહેવા પામતો. અન્ય કેટલાકો એક યા બીજી યુક્તિ/પ્રયુક્તિ વડે આવું સુરક્ષિત કવચ મેળવવા સફળ થયા હતા. જેમકે મને મારા બાપુજી બેંક મેનેજર હોવાનો ફાયદો આપોઆપ મળ્યો હતો. આ વસ્તુસ્થિતી જેરામીયાને બહુ ખટકતી પણ એ લાચાર હતો – સાહેબને થોડા બાપાની લારીએ ઈનામ ખેંચવા લઈ જવાય? આથી એ સાહેબના વાંકમાં ન અવાય એનું પૂરતું ધ્યાન રાખતો હતો પણ એના મનમાં છૂપો અસંતોષ ભડભડતો રહેતો હતો.

એકવાર કોઈ કારણસર એ સાહેબની ઝપટે ચડી ગયો. એમણે એને પોતાની પાસે બોલાવી, બે અડબોથ લગાવી દીધી. આ ભેગો જેરામ વિફર્યો. એ ભટૂરને ઉદ્દેશીને બોલ્યો, “એલા ભટૂરીયા, કાલ્યથી આ(અત્યંત અપમાનજનક જ્ઞાતિવિષયક પ્રયોગ)ની હાટુ(માટે) સાશ્ય (છાશ) લાવ્યો સો ને, તો તને સમશાનની જોગણી પુગે.” હવે વિફરવાનો વારો અમારા સાહેબનો હતો. એમણે એક હાથે જેરામના વાળ પકડ્યા અને બીજા હાથે તાડન શરૂ કર્યું. સામા પક્ષે જેરામે એમને માટે અપમાનજનક શબ્દપ્રયોગોનો મારો ચલાવ્યો. સાહેબના હાથ અને જેરામની જીભ વચ્ચેની જુગલબંધી વિલંબીત ખયાલ તરફથી આગળ વધતી દ્રુત ગતીએ પહોંચી ગઈ. અમારા પાડોશમાં રહેતા એક દંપતિ વચ્ચે થતી રહેતી ચોક્કસ લેવડદેવડ બાબતે મારી દાદી બોલતી, “ઈ તો કોકની જીભ હાલે ને કોકના હાલે હાથ” ! આ વાક્યપ્રયોગ તે ધન્ય સમયે મને ઉદાહરણ સહિત સમજાયો. અમે વર્ગમાં બેઠેલાઓ વિસ્ફારીત નેત્રે આ ઘટનાક્રમને સ્તબ્ધ બનીને નિહાળી રહ્યા હતા. આખરે સાહેબે એનું માથું જોરથી વર્ગના બારણા સાથે ભટકાડ્યું. આમ થતાં જ જેરામના માથામાં ફૂટ થઈ અને લોહી વહેવા લાગ્યું. આપણે હીન્દી ફિલ્મોમાં અનેક વાર જોયું છે કે નાયક લાંબા અરસા સુધી સામેવાળાના હાથનો માર ખાધા કરે અને પછી એના ચહેરા ઉપર લોહી દેખાય. નાયક ચોક્કસ અદાથી એ લોહી સાફ કરે અને પછી જે વિફરે, જે વિફરે કે સામેવાળાનું આવી બને. બસ, આવું જ કંઈક બન્યું. માથામાં ફૂટ થતાં જ જેરામની સહનશક્તિ જવાબ દઈ ગઈ. એના એકવડીયા શરીરમાં હતી એટલી તાકાત ભેગી કરી, જેરામીયો સાહેબની ચૂડમાંથી છટક્યો. વર્ગમાં સૌથી આગળ બેઠેલા છોકરાઓ પાસે પહોંચ્યો અને સૌથી પહેલાં હાથમાં આવી એ પાટી/સ્લેટ લઈ, એણે એ સાહેબના માથા ઉપર જોરથી લગાવી! એ સાથે સાહેબના કપાળ ઉપરથી લોહી દડવા લાગ્યું અને જેરામીયો નિશાળમાંથી ભાગી ગયો તે કોઈ દિવસ પાછો ન આવવા માટે ભાગી ગયો.

ઉક્ત ઘટનાના થોડા જ દિવસોમાં મારા બાપુજીની બદલી ભાવનગર થઈ જતાં મારો પણ એ નિશાળ સાથેનો નાતો પૂરો થયો. એ પછી દસેક વરસ બાદ એકવાર ગઢડા જવાનું થયું ત્યારે જાણવા મળ્યું કે જેરામ હીરા ઘસવા સુરત જતો રહ્યો હતો. પોતાની ઉપર પહેલ પાડવાના બાકી હતા એવી ઉમરે હીરા ઉપર પહેલ પાડવાનું એને વધુ આકર્ષક લાગ્યું હશે. હજી પણ ક્યારેક અભિવાદન કરતી વેળાએ કે છૂટા પડતી વેળાએ કોઈ ‘જય રામજી કી’ ઉચ્ચારે છે ત્યારે મને ‘જેરામજીકી’ જ સંભળાય છે અને મારી નજર સામે અમારો જેરામીયો આવીને ઉભો રહી જાય છે.

ગુજરે હૈ હમ કહાં કહાં સે (૩)




                                                               નદ્દી કિન્ન્નાર્રે ટમ્મેટ્ટું
આજે ગઢડા( સ્વામીનારાયણ) ખાતે સને ૧૯૬૧થી ૧૯૬૩ દરમિયાન મળેલા એક મિત્રની વાત માંડું. તેની સાથે માણેલા યાદગાર અનુભવો એવા મજેદાર છે કે સાડાપાંચ દાયકા પછી પણ એની યાદ તાજી છે.

એ દિવસોમાં દિવસના પોણાઅગિયાર અગિયાર વાગ્યાની આસપાસ મારા નિશાળ જવાના સમયે એક સજ્જન પોતાની દિનચર્યાના ભાગરૂપે નદીએ નહાવા માટે જતા હોય, ત્યારે કોઈ કોઈ વાર મારી નજરે ચડી જતા. એ સમયે એમને જતા જોવા એ એક લ્હાવો હતો. ટૂંકું પંચિયું પહેરી, ઉઘાડા દેહે હાથમાં કળશો ઝાલીને અને ખભે ટુવાલ નાખીને એ ઉંઘંટ્યે ચહેરે નદી તરફ ચાલ્યા જતા હોય, ત્યારે નિયમિત રીતે કેટલાક છોકરાઓનું ટોળું ચોક્કસ લયમાં ‘નદ્દી કિન્ન્નાર્રે ટમ્મેટ્ટું, ટમ્મેટ્ટું. નદ્દીએ ન્હાવા જત્તું ‘તું, જત્તું ‘તું’ એવું સમુહગાન ગાતું ગાતું એમની પાછળ ચાલતું રહેતું. એ મહાનુભાવ સામાન્ય સંજોગોમાં એ બાબતે બિલકુલ નિર્લેપ રહેતા. પણ કોઈ કોઈ વાર અચાનક ઉભા રહી જઈ, “કોનીનો સો!” જેવા શબ્દપ્રયોગ સાથે એકાદા છોકરાની સામે ખૂંખાર નજરે જોઈ લેતા. આમ થવાથી જે તે સમયે ટોળામાં સમાવિષ્ટ તોફાનીઓ ભાગી છૂટતી વેળા એમના ખીજાવાથી પોતાનો જન્મારો સુધરી ગયો હોય એવી ખુશી અનુભવતા. જેમ મંદીરમાં અખંડ ધૂન ચાલતી હોય ત્યારે એમાં ગાનારાઓ બદલાયા કરે એમ જ એ ટોળામાં પણ સ્વયંસેવકો બદલાતા રહેતા પણ વિજયઘોષ તો ઠેઠ એ સજ્જન નદીમાં ઉતરે ત્યાં સુધી ચાલતો રહેતો. એકવાર હું આ શોભાયાત્રામાં જોડાવાની તૈયારીમાં જ હતો ત્યારે મારી બાજુમાં ઉભેલા એક છોકરાએ મારો હાથ પકડીને મને ક્ષોભ સાથે જણાવ્યું, “ઈ નદ્દી કિન્ન્નાર્રે ટમ્મેટ્ટું તો મારા બાપા સે, તું એમની વાંહે નો જતો.” મારી એ ઉમર એનાં ક્ષોભ કે મનોવ્યથા સમજવાની તો નહતી પણ મને એને માટે ખુબ જ લાગી આવ્યું હતું. આ ઘટના પછી એ છોકરા સાથે મારી ભાઈબંધી બંધાણી અને સમય જતે ‘પાક્કી’ બની હતી.

એનું મૂળ નામ છોટુ પણ ત્યારના રિવાજ પ્રમાણે અમે મિત્રો એને ‘છોટીયો’ નામથી ઓળખતા. એ સમયે અમે ગઢડાના ‘સાંકડી શેરી’ તરીકે જાણીતા વિસ્તારમાં ભાડે રહેતાં હતાં. છોટીયો ત્યાંથી બહુ દૂર નહીં એવી એક વસાહતમાંથી અમારી શેરીમાં રમવા આવતો. મારીથી ત્રણેક વરસ મોટો હોવા છતાં પણ એ નિશાળમાં મારા જ વર્ગમાં હતો. કોઈ કોઈ વાર છોટુને ઘરે જઈએ તો એની બા અને એના દાદા મળે, એના બાપુજી ક્યારેય ઘરે જોવા ન મળતા. પછી ખબર પડી કે એના દાદા કર્મકાંડ અને જ્યોતિષના વ્યવસાયને લીધે પુષ્કળ રળતા હતા, જ્યારે સામે પક્ષે એના બાપા પૈસાને સર્વ અનિષ્ટનું મૂળ સમજી, ક્યારેય કમાવા જેવી દુન્યવી પ્રવૃત્તિમાં પડ્યા જ ન હતા. ઉલટાના, એ તો બને એટલી રીતો અજમાવી, અન્યોએ એકત્રીત કરેલા હાથના મેલને શક્ય એટલો આઘો કરી દેવાના પ્રયાસોમાં જ વ્યસ્ત રહેતા. એમની આવી ઉમદા પ્રવૃત્તિઓને નિષ્ઠુર સમાજ, કુટુંબીજનો અને ખાસ તો એમના પિતાશ્રી ન ચલાવી લેતા હોવાથી એ બિચારાને ભેદી સ્થળોનો આશરો લેવો પડતો.

અમારી શેરીના ઘરેઘરની એકેએક વ્યક્તિથી છોટુ જરૂર કરતાં પણ વધારે પરિચીત હતો. કેટલાયે કુટુંબોની ‘ભેદી વાત્યું’ એની જાણમાં રહેતી અને એ અમારી મંડળીમાં કોઈ પણ જાતના બાધ વગર એ આવી બધી વાતો છૂટથી વહેંચતો. વળી કેટલાક કુતૂહલપ્રિયા: જના: સાથે ચોક્કસ અને ખાસમખાસ બાતમીનો વ્યવહાર એ સોડા અને પાનના સાટામાં કરતો. અમુક કુટુંબોમાં તો એને ઘરોબો હતો અને ત્યાં જઈને વડીલો સાથે બેસી, ચા-પાણી-નાસ્તો પણ કરી લેતો. બદલામાં એણે ત્યાં ચોક્કસ પ્રકારની મનોરંજક વાતો કરવાની રહેતી, જેને કેટલાક વાંકદેખાઓ કૂથલીના નામે વગોવતા. અમારો છોટુ આ બધું એકદમ તટસ્થભાવે કરતો. આજે જે ઘરે જઈને કોઈની વાતો કરી આવ્યો હોય, એ જ કુટુંબની માટલી બે ત્રણ દિવસ પછી અન્યત્ર ફોડી દે એવું પણ અમારી જાણમાં આવતું રહેતું. આવું બધું કરવા માટે જરૂરી સમયની ફાળવણી એ નિશાળમાં ન આવીને કરી લેતો. જ્યારે આવે ત્યારે એની અનિયમિતતા બાબતે વર્ગશિક્ષક સાહેબ/બહેન ખુબ વઢે અને કોઈ કોઈ વાર મારે પણ ખરાં. હેડમાસ્તર સાહેબના હાથે ચડી જાય તો એ પણ એને લગાવતા. જો કે આવી નાની નાની ઘટનાઓથી એ જરાય વિચલીત ન થતો. આ બાબતે એ એનું મંતવ્ય બહુ સ્પષ્ટ હતું….” જો ભાય, ઈ તો નિશાળે રોજ આવું તોય વાંકમાં આવીને વઢામણ/માર તો ખાવાનાં જ વોય. એના કરતાં બીજું કાંકેય કરવી ને!” અમે મિત્રો ય સ્વીકરતા કે એ ‘બીજું કાંક’ એને ખાસ્સું ફળદાયી નીવડતું.

અમારી નિશાળ લગભગ નદીકાંઠે હતી. નદીને સામે કાંઠે ખેતરો અને વાડીઓ હતાં. ગઢડામાં એ સમયે મગફળીનો મબલખ પાક ઉતરતો. લણણી સમયે છોટુ નિશાળમાં ભાગ્યે જ દેખાતો. સાંજ પડ્યે તાજી વાઢેલી શીંગ ભરીને ગાડાં ગામમાં પ્રવેશે, ત્યારે એમાંના એકાદની પાછળ લટકેલો નજરે ચડી જતો. એ સમયે ગઢડાના ખેડૂતોમાં એક માન્યતા એવી હતી કે ‘ખેતરમાં ઈ રામનું, ખળા( લણ્યા પછી ખેતપેદાશને રાખવાની વ્યવસ્થા)માં ઈ ગામનું ને (ઘરની) કોઠીમાં ઈ કામનું’. આમ, ખેતપેદાશ પોતાના ઘરની કોઠીમાં પહોંચી જાય ત્યાં સુધી એનો ઉપયોગ પશુ/પક્ષી/માનવીમાંથી કોઈ પણ કરે, એમાં ખેડૂતને વાંધો ન હોય. આવી માન્યતાને બરાબર ધ્યાને રાખી, છોટીયો વેળાસર કોઈના ને કોઈના ખેતરે પહોંચી જઈ, તાજી મગફળી(જેને અમે પોપટા કહેતા)ની જ્યાફત ઉઠાવતો અને પાછા ફરતી વેળા ઘેર પણ લઈ જતો. હા, ત્યાં લણણીના કામમાં થોડો ઘણો મદદરૂપ પણ થતો. ઘરે જતી વેળા અમારી જેવા કોઈ રસ્તે મળી જાય, એને પણ ઉદારતાથી પોપટાની લ્હાણી કરતો. એ બિલકુલ તાજી શીંગનો અદ્ભૂત સ્વાદ મેં છોટુના સૌજન્યથી એક કરતાં વધુ વાર માણ્યો છે. આ છોટીયા સાથે એ નાદાન ઉમરે કેટલાક યાદગાર અનુભવો માણ્યા છે એ પૈકીનો એક અહીં મૂકું છું.

એક તબક્કે અચાનક એવું બન્યું કે જ્યારે જોઈએ ત્યારે છોટુ “ હે જી.ઈ.ઈ.ઈ…… વડલા તારી વરાળ્ય, ને પાંદડે પાંદડે પરવરે” એટલી દુહાની પંક્તિ ગાતો ગાતો ફરતો રહેવા માંડ્યો. આગળ પાછળ કશું જ નહીં, માત્ર આ દુહો ગાતો રહેતો. મેં આ બાબતની પૃચ્છા કરતાં એણે મને જણાવ્યું કે ગઢડામાં એક નાટકકંપની તે સમયના ગ્રામ્ય સૌરાષ્ટ્રમાં ખુબ જ લોકપ્રિય એવા નાટક ‘વીર માંગડાવાળો’નો ખેલ લઈને આવી હતી. એ નાટકનું જે શિરમોર ગીત હતું, એનો આ મુખડો હતો. એણે ખુબ જ આગ્રહ્પૂર્વક મને આ નાટક જોવાની ભલામણ કરી. મેં તાત્કાલિક ધોરણે મારા બાપુજીને આ નાટક જોવાનો સોનેરી મોકો ચૂકી જવાથી મારો વિકાસ રૂંધાઈ જશે એવા અંદાજથી સમજાવવાની કોશિશ કરી જોઈ પણ એમણે જરાયે લાગણીવશ થયા વગર મારી દરખાસ્ત ઉડાવી દીધી. અમારા કુટુંબમાં એ સમયે સ્ત્રીઓ પુરુષસમોવડી થવાનો જરાય પ્રયત્ન ન કરતી એટલે મા પાસે જ્યારે હું હતાશાની મૂર્તી જેવો બનીને આ બાબતે કોઈ પુનર્વિચારણાનો પ્રસ્તાવ લઈને ગયો ત્યારે એણે તો “ઈ તો જેમ તારા ભાઈ કહે એમ જ હો!” કહીને સમગ્ર બાબત ઉપર ટાઢું પાણી ઢોળી દીધુ. હવે જ્યારે છોટીયાને આ ખબર પડી ત્યારે એ મારાથી યે વધુ હતાશ થઈ ગયો! એણે વિચારેલું કે મારા બાપુજીને વિનંતી કરીને મારી સાથે એ પોતે પણ નાટક જોવા પામશે. જો કે એ આશા ફળીભૂત ન થવાથી એણે વૈકલ્પિક વ્યવસ્થા કરી. ક્યાંકથી આ નાટકની જાહેરાતનું મોટું ચોપાનીયું લઈ આવ્યો. એમાં નાટકની વાર્તા અને ગીતો છાપેલાં હતાં. એમાંથી વાંચીને એણે મને જણાવ્યું કે ‘વીર માંગડાવાળો’ એક ભૂતકથા હતી અને નાટકમાં તો ‘ટોપના પેટનો હાચ્ચો ભૂત’ દેખાતો ’તો. આ જાણકારીથી તો હું એ નાટક જોવા માટે વધારે ઉત્સુક થઈ ગયો. મને ભૂત કેવું દેખાય એ જાણવાનું ભારે કુતૂહલ હતું. કોઈએ ‘અરીસામાં જોવાથી ખ્યાલ આવી જશે’ એવી સૂઝ પણ પાડી ન હતી. એ સમયે મારા એકમાત્ર તારણહાર સમા છોટીયાએ મને કહ્યું, “હું તને નાટકનો નહીં, હાચ્ચેહાચ્ચો ભૂત બતાડીશ, તું સાબદો રે’જે.”

ખરેખર, બે-ત્રણ દિવસમાં જ છોટુ એક ભવ્ય પ્રસ્તાવ લઈને આવ્યો. એણે મને જણાવ્યું કે ગામની સીમમાં આવેલા સ્મશાનમાં ભૂત, ખવીસ, ડાકણ, ચૂડેલ વગેરે રાતના નવ વાગ્યા પછી નિયમીત હાજરી પૂરાવતાં રહે છે. એટલે ત્યાં યોગ્ય સમયે પહોંચી જવાથી એ સૃષ્ટી સાથે મુલાકાત થઈ શકે. મારા માટે તો સાંજના સમય પછી ઘરેથી બહાર શી રીતે જવું એ પ્રશ્ન હતો. પણ છોટીયો જેનું નામ! એણે તોડ વિચારી જ રાખેલો હતો. યોગાનુયોગે તાજીયા(મુહર્રમ)નો તહેવાર નજીક હતો. રહીમ નામનો અમારો એક મિત્ર આ નિમીત્તે અમને શાળામિત્રોને એને ઘરે સાંજથી બોલાવવાનો હતો. એના મા-બાપ દર વર્ષે આ તહેવારમાં ‘ભામણ રસોઈ’ કરાવી, રહીમના મિત્રોને ખુબ ભાવથી જમાડતાં. આ મોકાનો લાભ લેવા માટેની છોટુની યોજના બહુ સ્પષ્ટ હતી. “જો, તારા બાપા તને રહીમીયાના ઘરે તો આવવા જ દેશે ને! ન્યાંથી આપડે કોઈને ખબર નો પડે એમ છાનામુના સમશાને વીયા જાશું તું એકાદ ભૂત/ભૂતડી જોઈ લે એટલે પાછા રહીમીયાને ન્યાં ને પછી હું તને તારે ઘેર મૂકી જાશ્ય.” એ વખતે એને તો બધા પ્રકારનાં ભૂતો સાથે ઘરોબો હોય એવી અદાથી છોટીયો વાત કરતો હતો.

આખરે મુહર્રમનો દિવસ આવી પહોંચ્યો. સવારમાં રહીમના બાપુજી મારા ઘરે આવીને મને એમને ત્યાં જમવા મોકલવા માટે મારા બાપુજીને ભાવપૂર્વક કહી ગયા. સાંજે છોટીયો મારે ઘરે આવી ગયો અને અમે બન્ને નીકળી પડ્યા. જો કે જેમ જેમ આ દિવસ નજીક આવતો જતો હતો એમ મારામાં બીક અને ફફડાટની લાગણી પ્રબળ થતી જતી હતી. સામે પક્ષે છોટુ તો સહેજેય બીતો નહતો! એનું કારણ એણે બતાવ્યું કે પોતે હનમાનજતિનો ભગત હતો. દર શનિવારે એકટાણું કરતો અને હડમાનદાદાને તેલ ચડાવતો. મને યાદ આવ્યું કે એ દરેક શનિવારની સવારે એક ટોયલી લઈને ઘેર ઘેર ફરતો અને મોટેથી ‘હડડડડડમાનનનનનનજતિનું  ત્ત્ત્ત્તત્ત્તેલ્લ્લ્લ્લ’ એવું ગાંગરતો. મોટા ભાગનાં શ્રધ્ધાળુ લોકો એને તેલ આપતાં અને કલાકેક પછી એ તેલસભર ટોયલી લઈને છોટીયો ઘેર જતો. આ તેલનો અમુક ભાગ એ રસ્તામાં આવતી હનુમાનજીની દેરીએ એના પૂજારીને દેતો. હનુમાનદાદાની આટલી સેવા કર્યાના પૂણ્યના ફળરૂપે એને ભૂતો સામે રક્ષણકવચ મળ્યું હતું એવું એણે મને સમજાવ્યું. મને આવું કશુંયે ન શીખવવા બદલ મેં મનોમન મારાં વડીલોનો દોષ કાઢ્યો. ખેર, જાગ્યા ત્યારથી સવારના ધોરણે મેં રહીમના ઘરે બેઠા બેઠા હનુમાનજીનું સ્મરણ કરવા માંડ્યું. જમી લીધા પછી બધા રહીમના ફળીયામાં રમતા હતા એવામાં એકાએક છોટીયાએ મને ઈશારો કર્યો અને અમે કોઈને જાણ ન થાય એવી રીતે ત્યાંથી અગોચરના પંથે જવા સરકી ગયા. રસ્તામાં છોટુએ મને એક કરતાં વધારે વાર ‘બીશ્ય તો નહીં ને?’ એમ પૂછ્યું અને એ સમયે ખોટું બોલતાં અતિશય પરિશ્રમ પડ્યો છતાં મેં ‘જરાય નહી ને!’ નો જવાબ વાળ્યા કર્યો. અત્યારે યાદ કરું છું તો એક સાત-આઠ વરસનો અને બીજો દસ-અગિયાર વરસનો એવા બે છોકરા રાતના અંધારામાં સ્મશાન તરફ હાલ્યા જતા હતા એ ખુદ મારા માન્યામાં નથી આવતું!

ખેર, અમે ચાલતા હતા એવામાં એક મોટું ઝાડ આવ્યું. છોટુએ મને જણાવ્યું કે એ ઝાડ ઉપર એક ‘મામો’ રહેતો હતો. આગળ વધતાં વધતાં એણે મને આ વિશિષ્ટ મામાનો પરિચય આપ્યો. એણે કહ્યું કે મામો હંમેશાં સફેદ ખમીસ અને લેંઘો ધારણ કરીને જ એ જ્યાં રહેતો હોય એ ઝાડની આસપાસ ફરતો રહે. ત્યાંથી નીકળતા લોકો પાસે બીડી/સિગારેટ માંગે અને ન આપનારને જોરદાર લાફો વળગાડી દે. જેને એ લાફો મારે એને “તણ દિ’ તાવ આવે, પછી કોગળીયું થાય ને પછી તો બસ્સ્સ, ખલ્લાસ્સ્સ!” આવું આવું સાંભળતાં મને લખલખાં આવી જતાં હતાં. જો કે અમને મામાએ રોક્યા નહીં પણ હવે જેમ જેમ ગામનું પાદર વટાવીને આગળ વધવાનું થયું એમ એમ મારી હાલત બગડવા માંડી. આ સમયગાળામાં મેં હનુમાનજીને સ્મર્યા એટલા તો તુલસીદાસજીએ પણ કદાચ એમના સમગ્ર જીવનમાં નહીં સ્મર્યા હોય! જો કે છોટુ તો હિંમતના મૂર્તીમંત સ્વરૂપની જેમ આગળ વધતો જતો હતો.
પણ, જેમ ભગવાનનો સાક્ષાત્કાર, એમ જ ભૂતદર્શન પણ કોક કોક વીરલ નસીબદારને જ સાંપડે અને એ પણ યોગ્ય સમય પાકે ત્યારે જ એ અવસર પ્રાપ્ત થાય. અમે સ્મશાનથી થોડા દૂર હતા એવામાં આસપાસમાં કશોક સંચાર કાને પડ્યો. મારા પગ તો ત્યાં જ જમીન ઉપર ખોડાઈ ગયા. છોટુ પણ ગાભરો બની ગયો. ત્યાં તો એક ઓળો નજરે પડ્યો. ઘોર અંધારામાં સફેદ ખમીસ અને સફેદ લેંઘો પહેર્યો હોય એવી એ હસ્તી જોતાં જ મને તો થયું કે આ તો ઓલો મામો ભટકાણો! હવે બીડી માંગશે અને નહીં આપું એટલે લાફો વળગાડી દેશે. ક્ષણવારમાં તો પૂરી ભવાટવી દેખાઈ ગઈ. બસ, થોડી વારમાં આપણો ‘ખેલ ખલ્લાસ્સ’ એની ખાતરી થઈ ગઈ. એવામાં અમારી તરફ ધ્યાન પડતાં એ ઓળાએ જોરથી ત્રાડ નાખી, “કોનીના સો!” અને અમને બન્નેને ખ્યાલ આવ્યો કે એ તો છોટીયાના બાપા હતા! છોટીયાએ સમયસૂચકતા વાપરી, જરા અવાજ બદલી, મને પાછા ભાગવાનો હૂકમ કર્યો અને અમે એકબીજાનો હાથ પકડી, ભાગવા લાગ્યા. સહેજ સલામત અંતરે પહોંચ્યા પછી મેં પાછા વળી, જોયું તો એ અમારો પીછો કરતા નહતા. કદાચ એમ કરવા જેટલી એમની શારિરીક કે માનસીક સ્વસ્થતા હશે જ નહીં.

આ ક્ષણે હું સંપૂર્ણપણે ભયમુક્ત થઈ ગયો. હવે મને ટીખળ સૂઝી. છોટીયાથી સહેજ દૂર હટી, મેં જોરથી બૂમ પાડી, ‘નદ્દી કિન્ન્નાર્રે ટમ્મેટ્ટું, ટમ્મેટ્ટું.’ અને પછી એમના તરફથી ‘કોનીનો સે’ની ત્રાડ આવે એ પહેલાં અમે રાજ્યકક્ષાની સ્પર્ધામાં ભાગ લીધો હોય એવી ઝડપથી ઘર તરફ દોડવા લાગ્યા. અમારી સાંકડી શેરીના નાકે મારા બાપુજી હાથમાં ટોર્ચ સાથે સામા મળ્યા. એમની અપેક્ષાથી મોડું થયું હોવાથી એ રહીમના ઘર તરફ મને લેવા માટે નીકળ્યા હતા. એ ક્ષણે એમની મહામૂલી અમાનત પરત કરતો હોય એવા અંદાજમાં છોટીયાએ એમને કહ્યું, “રહીમીયાને ન્યાં રમવામાં મોડું થઈ ગ્યું ઈ ધ્યાન જ નો રીયું. પછી રાત વરતનો આ પીયૂસીયો તો બવ બીવા માંડ્યો. પણ મેં તો જ્યાં લગી એને તમારા હાથમાં નો મૂકું ત્યાં લગી પાણી નો પીવાની બાધા લીધી ‘તી.“ એની આ ચેષ્ટાથી ભારે પ્રભાવિત થયેલા મારા બાપુજીને વર્ષો સુધી આ બાબતે મેં કોઈ જ ચોખવટ કરી નહતી.

વર્ષો પછી એટલે કે સને ૨૦૦૩માં જ્યારે ગઢડા જવાનું થયું ત્યારે છોટીયાની તપાસે એના ઘરે ગયો હતો. ઓટલે બેઠેલાં એની બાએ જણાવ્યું કે છોટુ તો આફ્રીકા જતો રહ્યો હતો અને ત્યાં કથા-વાર્તા કરી, સારું રળતો હતો. એના બાપા બાજુમાં પડેલી એક આરામખુરશીમાં બેઠા બેઠા બીડી ફૂંકી રહ્યા હતા. મારામાંના ટીખળીને ઈચ્છા થઈ આવી કે એક વાર જોરથી ‘નદ્દી કિન્ન્નાર્રે ટમ્મેટ્ટું, ટમ્મેટ્ટું.’ બોલી, નાસી છૂટું. પણ ત્યારની મારી ઉમર અને ખાસ તો મારો દીકરો સાથે હતો એ બે પરિબળોએ મને એમ કરતાં રોક્યો.

નોંધઃ ગુજરાતી વેબ પોર્ટલ 'વેબગુર્જરી' ઉપર તા.26/04/2019ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.

Monday, 1 July 2019

ગુજરે હૈ હમ કહાં કહાં સે (૫)


                                                                     મજ્જા!
સને ૧૯૬૧-૬૨ના સમયગાળા દરમિયાન ગઢડામાં અમારી બરાબર સામેના ઘરમાં ઉપરના માળે એક યુવાન, ખુબ જ દેખાવડા અને મળતાવડા સજ્જન નામે અંબાલાલ, ભાડે રહેતા હતા. એ મધ્ય ગુજરાતના વતની હોવાથી અમને એમના ઉચ્ચારો બહુ રમૂજ પૂરી પાડતા. આવી રમૂજભાવના સાપેક્ષ અને પરસ્પર હોય એ સમજવાની અમારામાંના મોટા ભાગના છોકરાઓની એ ઉમર નહોતી. વળી જેની પાસે એવી સમજ હતી, એમને એ બાબતની કોઈ પરવા નહોતી.

અંબાલાલ રહેતા એ મકાનમાં દાખલ થઈએ અને પછી ત્રણ પગથીયાં ચડીએ કે તરત જ એક દાદરો હતો, જે સીધો રોડ ઉપર પડતો હતો. એ દાદરો ઉપરના માળે અંબાલાલના ઓરડા સુધી લઈ જતો હતો. આમ હોવાથી અમે શેરીમાં રમતા હોઈએ અને અંબાલાલ ઘરમાંથી બહાર જવા દાદરો ઉતરે કે પછી બહારથી ઘરે આવે ત્યારે દાદરો ચડીને ઠેઠ એમના ઓરડામાં પહોંચી જાય એ અમારી નજરમાં રહેતું. જેટલી વાર અંબાલાલ જતા કે આવતા દેખાય, એ દરેક વખતે અમારામાંથી કોઈ ને કોઈ ચોક્કસ લહેકામાં “કાં અંબાલાલ, કેમ છો?” કહીને એમનું અભિવાદન કરે. જવાબમાં એ ભલો માણસ, હસીને માત્ર ”મજ્જા” એટલું બોલીને આગળ વધી જાય એવો ધારો થઈ ગયેલો. ધીરે ધીરે અમારી ટોળકી સાથે અંબાલાલ વધુ ને વધુ ભળવા લાગ્યા. રજાના દિવસે એ ક્યારેક થોડો સમય અમારી સાથે વાતો કરતા થયા અને પછી તો કોઈ કોઈ વાર અમે ‘બોલ-બેટ’ રમતા હોઈએ તો એમાં પણ જોડાઈ જવા લાગ્યા. ક્યારેક એ અમદાવાદ અને વડોદરા જેવી દેવોને વસવા યોગ્ય નગરીઓની રોમાંચક વાતો પણ માંડતા, જ્યાં અમારો આશય અચંબો પામવાનો રહેતો અને એમનો આશય અમને અચંબો પમાડવાનો રહેતો. અત્યારે સુપેરે સમજાય છે કે એમની કથાઓમાં તથ્ય કરતાં કલ્પનનું પ્રમાણ ભારેથી અતિભારે રહેતું હશે. એમની સાથે કરેલી ગોઠડીઓ હું અમારા નિશાળના ગોઠીયાઓ સાથે વહેંચતો. કોઈ કોઈ વાર તો હું જાતે જ અમદાવાદ/વડોદરા જઈને કશોક દિવ્ય અનુભવ પામી આવ્યો હોઉં એવું પણ જરાય ક્ષોભ વગર કહી દેતો અને પરિણામે એ મિત્રોના ચહેરા ઉપર વિસ્મયના હાવભાવ જોઈને રોમાંચ પામતો. જેમ જેમ મૈત્રી વધતી ગઈ એમ એમ અંબાલાલ અમારી વધુ ને વધુ નજીક આવતા ગયા. પછી તો એ અમારાં તોફાન-મસ્તીમાં પણ ભળવા લાગ્યા.

એ અરસામાં અમારી શેરીમાં એક સાવ ખખડધજ વૃધ્ધા એકાકી જીવન ગુજારી રહ્યાં હતાં. એ પોતે અને એમનું ખોરડું એમાંથી વધારે જીર્ણ અવસ્થા કોની હતી એ કહેવું મુશ્કેલ હતું. વર્ષોની એકલતા અને અભાવોથી ભરેલ જીવન — આ બે પરિબળોએ એમને અત્યંત ચીડીયાં બનાવી દીધાં હતાં. સ્વાભાવિક છે કે અમે શેરીમાં રમતા રમતા દોડાદોડી અને બૂમાબૂમી કરતા જ રહેતા હોઈએ. જેવો અમારો અવાજ એમના કાને પડે, એ ભેગાં એ એમની બારીમાંથી ‘હેઈક્ક, હેઈક્ક, ભાગો! મારા રોયાઉં, મરી ગઈ સ તમારી માવર્યું, કે આયાં ધડીકા લ્યો સો! ભાગો, ભાગો આંઈથી!’ જેવાં સુવાક્યો વડે શરૂઆત કરતાં અને જો એવો પ્રેમાળ ઉપદેશ કારગત ન નીવડે તો છેવટે હાથમાં લાકડી લઈને એમની ઝાંપલી સુધી આવી, અમે અને અમારાં સગાં વ્હાલાંઓ કાળી રાતે ફાટી પડીએ એવાં આશિર્વચનો પણ ઉચ્ચારી લેતાં. એમને પૂરતાં ખીજવી લીધાં છે એવો સંતોષ થાય એટલે અમે છોકરાઓ ત્યાંથી સ્થળબદલો કરી જતા. એ જમાનામાં આ પ્રકારની વૃધ્ધાઓ કદાચ ગામેગામમાં મળી આવતી હશે એટલે એમનું વધુ વિગતે વર્ણન નથી કરતો. આ બધું વિગતવાર ધ્યાને પડતાં અંબાલાલે એક વાર પોતાના બાળપણ દરમિયાનના ગ્રામ્યનિવાસને યાદ કરતાં અમને પૂછ્યું કે અમે એ માજીની અંતિમયાત્રા કેમ ન્હોતા કાઢતા? આવો અઘરો શબ્દપ્રયોગ અમારામાંના મોટા ભાગનાઓને પલ્લે ન પડ્યો, પણ છોટુ બોલ્યો, “તે અંબાલાલ, અમીં ઈ ડોશીની ઠાઠડી કાઢવી ઈમ ક્યો સ ને?” જવાબમાં હકારો મળતાં અમારી ટોળીએ ઉક્ત કાર્યક્રમ અંબાલાલના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક ધોરણે અમલમાં મૂકી દેવાનું આયોજન કરી નાખ્યું. એ મુજબ ક્યાંક્થી દેશી નળીયું ગોતી લાવી, એમાં એક મધ્યમ કદનો પથરો મૂકી દેવામાં આવ્યો. આ નળીયું ઠાઠડીનું અને એમાં મૂકેલ પથરો ઓલાં માજીના પ્રતિકરૂપે હતાં એ સ્પષ્ટતા અંબાલાલે કરવી ન પડી. તૈયારી થઈ ગઈ એટલે એમણે કહ્યું, “ હવે તમારે આ નનામી લઈ, અહીં (અ)ગાડીથી ડોહીના ઘર લગી ઠૂઠવો મેલતાં મેલતાં જવાનું. એવીયે ગુસ્સે થઈને બહાર આવે તંહીં લગી તંહીં ‘ગાડી જ ઉભા રહી, રોતા રહેવાનું. પછી એવીયે ગુસ્સે ભરાય અને તમને ગારો(ળો) ભાંડવા લાગે એટલે અહીં ‘ગાડી પાછા ભાગી આબ્બાનું.” અમે અતિશય આજ્ઞાંકિતપણે અંબાલાલની તાલિમને અમલમાં મૂકી, એમાં એ માજીને જે માનસિક પરિતાપ પડ્યો હશે એ યાદ આવે છે ત્યારે આજે સાડાપાંચ દાયકા પછી પણ જીવ વલોવાઈ જાય છે. એમની મુખમુદ્રા નજર સામે તરે ત્યારે એક નિ:સહાય, એકાકી કૃશકાય વૃધ્ધાને પરજાળ્યા કરતી ટોળકીનો સભ્ય હોવા માટે હું હજી મારી જાતને માફ નથી કરી શકતો. ખેર, આમ દિવસો વિત્યે જતા હતા એવામાં અંબાલાલે અમને જણાવ્યું કે ટૂંક સમયમાં એમનાં પત્નિ ગઢડા આવી જવાનાં હતાં. એ અમારાં વણજોયેલાં સન્નારીનો ઉલ્લેખ એમણે ‘તમારી ભાભી’ તરીકે કર્યો એમાં તો અમારી ટોળકી એકદમ રોમાંચિત થઈ ગઈ, કારણ કે એવું પાત્ર અમારા બધા માટે સ્વપ્નવત હતું. હવે તો અંબાલાલે નહીં જોઈ હોય એટલી તીવ્રતાથી અમે સૌ એ ‘ભાભી’ની રાહ જોવા માંડ્યા.

આખરે એક દિવસ અમે જાણ્યું કે ભાભી પછીના અઠવાડીયે આવવાનાં હતાં. એ ટૂંકા સમયગાળામાં અંબાલાલના ઓરડાની સજાવટમાં નોંધપાત્ર ફેરફારો થઈ ગયા અને એવા જ ફેરફારો એમની અદામાં પણ થયા હોય એવું અમારી ટોળકીના વરિષ્ઠ સભ્યોએ નોંધ્યું. એવામાં એક દિવસ અંબાલાલ એમના દાદરાના સૌથી ઉપરના પગથીયે હતા અને અમારા શિરીષે “કાં, અંબાલાલ?” પૂછીને એમનું રોજીંદું અભિવાદન કર્યું. એ પણ રોજની જેમ “મજ્જા” કહેવાના હતા. એમાંનો “મ” બોલતી વેળા એ સૌથી ઉપરના પગથીયે હતા અને “જ્જા” ઉચ્ચાર એમણે સૌથી નીચેના પગથીયે બેઠે બેઠે કર્યો! એકદમ ઝડપથી આકાર લઈ ગયેલા એ ઘટનાક્રમ દરમિયાન ‘ધડ ધડ ધડ ધડ’ અવાજો પણ અમારે કાને પડ્યા, એ ઉપરથી અમે તાત્પર્ય કાઢ્યું કે અંબાલાલ ઉપલા પગથીયેથી લપસીને ઠેઠ નીચે પડ્યા! એ ઉમર એવી હતી કે આવી ઘટનાનો ભોગ બનેલા એ યુવાન માટે અમને સહાનુભૂતીને બદલે રમૂજની લાગણી નિષ્પન્ન થઈ અને એ લાગણીને કશા જ છોછ વગર અમે સૌએ ખુલ્લે દિલે માર્ગ આપ્યો એટલે કે ‘દાંત કાઢી કાઢીને અમે બધા બઠ્ઠા પડી ગ્યા.’ કેટલીક ક્ષણો પછી એ મૂઢ માર જીરવી ગયેલા એ ભલા માણસ અંબાલાલે પણ અમને હાસ્યની છોળો ઉડાડવામાં સાથ આપ્યો. એ દિવસથી અમારે આ રમત થઈ ગઈ. અંબાલાલ ઘરે ન હોય એવા સમયે એક છોકરો એમના દાદરાના સૌથી ઉપરના પગથીયે જઈને ઉભો રહે. નીચેથી એને પૂછવામાં આવે, “કાં, અંબાલાલ?” એ ત્યાં જ ઉભો ઉભો “મ” બોલે અને પછી ખુબ જાળવીને ઠેઠ નીચે ઉતરી આવી, “જ્જા” બોલે અને પછી બધા ‘દાંત કાઢી કાઢીને બઠ્ઠા પડી જઈએ’!

એમ ને એમ અંબાલાલની અને અમારી આતુરતાનો અંત લાવનારો દિવસ ઉગ્યો. આધારભૂત સ્રોતમાંથી અમારો છોટુ જાણી લાવ્યો કે અમારાં ભાભી તો એમના પીયરની મોટરમાં આવવાનાં હતાં. એણે તાત્કાલિક ધોરણે સ્વાગતગીતનો મુખડો જોડી નાખ્યો, ”અંબા, ’લાલ’ મોટર આવશે, મારાં ભાભીને ઈ લાવશે, અંબાલાલને ગઢડામાં લીલાલ્હેર છે!” અને એ દિવસની સવારથી શેરી અમારા કંઠે રેલાઈ રહેલા એ મુખડાથી ગુંજવા લાગી. અમુક ઘરોમાંથી અને ખાસ તો ઓલાં માજીના ઘરમાંથી ‘હેઈક, હેઈક, થોડાક જંપો, ભાગો, ટળો આંઈથી’ જેવી બીરદાવલીઓ અમારે કાને પડતી હતી પણ કાનને તો એ રોજનું થયું હતું. આ બધી ગતિવિધીઓમાં સમય વિતતો રહ્યો અને બપોર પડવા આવી ત્યાં શેરીમાં એક મોટર દાખલ થઈ અને અંબાલાલના ઓટલા આગળ આવી, ઉભી રહી. એક બાજુ ડ્રાઈવરે નીચે ઉતરી, ડીકી ખોલીને બેગ-બીસ્તરા બહાર કાઢવાનું શરૂ કર્યું અને બીજી બાજુ અંબાલાલનાં મા-બાપ અને સાસુ સસરા ઉતર્યાં. આખરે જે સન્નારી ઉતર્યાં એને જોઈને અમે મિત્રો ડઘાઈ ગયા! અત્યારે આવું લખતાં ભારે ક્ષોભ અનુભવાય છે પણ એમના દેખાવને માટે એકાદ પણ સારો શબ્દ કહી શકાય એવાં એ ન્હોતાં. વાન. બાંધો કે ચહેરો – નારીસૌંદર્યના એ ત્રણેય માપદંડો વડે એમની મૂલવણી કરતાં નિરાશા જ સાંપડે એવું હતું. કાયમી બટકબોલો એવો છોટીયો ત્યારે જ બોલ્યો, “ અંબાલાલ, આ તો બાંઠકી ને જાડી સે! તમે પૈશાને પરણ્યા સો ને!” અને ત્યાંથી ભાગી ગયો. આટલું બનતાં તો સોપો પડી ગયો. અમે બાકીનાઓ પણ વીખેરાઈ ગયા. ખાસ કરીને મને તો ભોંઠામણનો પાર ન્હોતો કારણકે અમારું ઘર બિલકુલ એમની સામે પડતું હતું. નવાગંતુક યુવતી, અંબાલાલ અને એમનાં કુટુંબીજનો ઉપર શું અસર પડી એ જોવાની કે સમજવાની કે પછી ત્યાં જઈ, એ લોકોની માફી માંગવાની પુખ્તતા મારામાં ચોક્કસ ન્હોતી, પણ આવું બને તો મોઢું સંતાડી દેવા જેટલી તો અક્કલ હતી. એટલે હું ઝડપથી મારા ઘરમાં જતો રહ્યો.

એ જ સાંજે અંબાલાલ અને એમનાં પત્નિ અમારે ઘરે આવ્યાં. મારી ફરીયાદ કરવા આવ્યાં હશે એવા ખાત્રીભર્યા ડરનો માર્યો હું તો દોડીને અંદરના રૂમમાં ભરાઈ ગયો. હકિકતે એ બન્ને પેંડા લઈને અમારા કુટુંબને મળવા આવ્યાં હતાં. ખુબ જ શાલિનતાથી મધુબહેન નામેરી એ યુવાન નારીએ મારાં મા-બાપ સાથે પરિચય કેળવ્યો અને મને પણ રૂમની બહાર બોલાવી, પ્રેમથી એમને ઘરે આવતા-જતા રહેવા કહ્યું. એ ટૂંકા સમયગાળામાં જ એમની મીઠાશ મને સ્પર્શી ગઈ. મોડી સાંજે અમે મિત્રો શેરીમાં ભેગા થયા ત્યારે દરેકના મોઢા ઉપર ભોંઠપ જણાતી હતી. અમારી શેરીનાં સૌને ઘેર એ દંપતિ સૌજન્યપૂર્ણ વ્યવહાર કરી ગયું હતું. બીજા જ દિવસથી જ મધુબહેને અમારી ટોળકી સાથે મૈત્રી બાંધવાની શરૂઆત કરી દીધી. આગલા દિવસે છોટુએ કરેલ ટીપ્પણીની જાણે એમને ખબર જ ન હોય એવો એમનો વ્યવહાર હતો. વધુ પરિચય કેળવાતાં ખબર પડી કે એ અનુસ્નાતક કક્ષાની ઉપાધી મેળવી, મહેસાણાની કોઈ માધ્યમિક શાળામાં શિક્ષીકા તરીકે નોકરી કરતાં હતાં એ છોડીને આવ્યાં હતાં. પહેલે દિવસે એમના દેખાવમાં જે ખોટ વર્તાતી હતી એ એમને મૂલવવા માટે કેટલી ક્ષુલ્લક હતી એ અમને નાદાનોને પણ એ જ ઘડીએ સુપેરે સમજાઈ ગયું.

એ પછીના થોડા અરસામાં મારા બાપુજીની બદલી ભાવનગર થતાં અમે ગઢડા છોડ્યું ત્યાં સુધી એ લોકો અમારી સામે જ રહેતાં હતાં. વર્ષો પછી એક વાર એ બંને ભાવનગરમાં રસ્તે જતાં મને અચાનક જ ભટકાઈ ગયાં ત્યારે સાથે એમનાં ત્રણ સંતાનો હતાં. એ પાંચેયના ચહેરા ઉપર જે આનંદ હતો એ એમના સુખે ચાલી રહેલા સંસારનો દ્યોતક હતો. પરસ્પર ખબરોની આપ-લે પછી છૂટા પડતી વેળા મેં અંબાલાલને પૂછ્યું, “અંબાલાલ, બાકી કેમ હાલે ચ્છ?” જવાબમાં એમણે કહ્યું, “બસ, મજ્જા!” સદનસીબે એ સમયે અંબાલાલ દાદરા ઉપર ન્હોતા એટલે ‘મ’ અને ‘જ્જા’ની વચ્ચે ‘ધડ ધડ ધડ ધડ’ અવાજ ન આવ્યો!

નોંધઃ આ લેખ 'વેબગુર્જરી' ઉપર તા. 28/06/2019ના રોજ પ્રકાશિત થયો છે. ત્યાંથી સાભાર અહીં વહેંચ્યો છે.

Sunday, 7 January 2018

અંબરીષ પરીખ, વિસ્તરતા જણ



આપણા સમાજનો એક બૃહદ વર્ગ એવી માન્યતા ધરાવે છે કે વ્યવસાયિક કલાકારોને બિરદાવવાના ન હોય, કેમ કે આવાં કાર્યોનું વળતર એમને આર્થિક સ્વરૂપે મળતું રહેતું હોય છે. પણ એ બાબતે સહેજ શાંતિથી વિચારીએ તો ખરા અર્થમાં બિન વ્યવસાયિક કોને કહી શકાય? કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિમાં સંકળાનાર વ્યક્તિ એક યા બીજી રીતે તેની પ્રવૃત્તિનું વળતર કોઈ ને કોઈ સ્વરૂપમાં મેળવે જ છે. સમાજના માળખાના પીરામીડની અને લોકપ્રિયતાની ટોચે બેઠેલાં  સત્તાધીશો, સાધુ સંતો, અભિનેત્રી/તાઓ કે પછી જે કોઈનો પણ વિચાર કરીએ, એ બધાંમાંથી જૂજ અપવાદ બાદ કરતાં બિલકુલ નિ:સ્પૃહભાવે ચોક્કસ પ્રવૃત્તિ આચરનાર તો ભાગ્યે જ મળી આવે. સૌ કોઈ આ બાબત સુપેરે સમજતા હોવા છતાંયે ક્ષોભ સાથે કહેવું પડે છે કે મોટા ભાગના કિસ્સાઓમાં અને એમાં પણ  ફિલ્મી ગાયન/વાદન ક્ષેત્રે વ્યવસાયિક ધોરણે કાર્યરત હોય એવા યોગ્ય પાત્રની કદર કરવામાં આપણે ખાસ્સા ઉણા ઉતરતા રહેતા હોઈએ છીએ. આપણે આ અગાઉની સુખ્યાત ઓરકેસ્ટ્રા સંચાલક શરદ ખાંડેકર વિશેની પોસ્ટમાં આ બાબતે વિગતવાર ચર્ચા કરી ગયા છીએ. આથી વધુ વિગતોમાં ન ઉતરતાં અત્રે આપણે એ જ ક્ષેત્રના એક ખુબ જ સન્માનનીય વ્યક્તિત્વનો વિસ્તૃત પરિચય કેળવીએ. એ છે સ્ટેજ કાર્યક્ર્મોના વિ/સુખ્યાત આયોજક, શ્રી અંબરીષ પરીખ, જેમનો ઉલ્લેખ હવે પછી અંબરીષભાઈ તરીકે થશે.


 ગુજરાતમાં કે ભારતમાં જ નહીં, વિશ્વભરમાં જ્યાં જ્યાં હિન્દી ફિલ્મી ગીતોના શોખીનો વસે છે, ત્યાં ત્યાં ‘વિસ્તરતા સૂર’ નામથી એમણે જાણીતાં/અજાણ્યાં અને એકદમ મધુરાં હિન્દી ફીલ્મોનાં ગીતોના અગણિત કાર્યક્રમો સ્ટેજ ઉપરથી રજૂ કર્યાં છે. કાર્યક્રમનું આ નામ, ‘વિસ્તરતા સૂર’, ખરા અર્થમાં વિસ્તરી, ચારે દિશાએ છવાયેલું રહ્યું છે. છ દાયકાઓ કરતાં લાંબા સમયથી અમદાવાદમાં વસતા અને ફક્ત(??!!!) ૮૩ વર્ષની ઉમરના અને ચુસ્તી અને સ્ફૂર્તીથી સભર એવા અંબરીષ ભાઈની સાથે તબક્કાવાર ત્રણ મુલાકાતો કરી, એનો અહેવાલ પ્રસ્તુત છે.

તા.૧૬ ઑક્ટોબર, સને ૧૯૩૪ના રોજ લૂણાવાડા ખાતે જન્મેલા અંબરીષભાઈના પિતાજી ચંદુલાલ પરીખ ત્યાંના નગરશેઠ હતા. એમણે લૂણાવાડાની મ્યુનિસીપાલીટીનું પ્રમુખપદ ૨૮ વરસ સુધી નિભાવ્યું હતું. અંબરીષભાઈના બાળપણના દિવસો દરમિયાન હજી રાજાશાહી જીવંત હતી. અલગ અલગ તહેવારોએ તેમ જ રાજાના જન્મદિવસે મોટા સમારોહો યોજાતા, જેમાં દિગ્ગજ કલાકારોને નિમંત્રવામાં આવતા. નગરશેઠના દીકરા હોવાને નાતે અંબરીષભાઈને આવા કાર્યક્રમોનો લ્હાવો લેવા માટે વિશેષ સવલત મળી રહેતી અને એમણે એનો ભરપૂર ફાયદો ઉઠાવવામાં કોઈ કચાશ ન રાખી. દિગ્ગજ શાસ્ત્રીય ગાયક ઉસ્તાદ ફૈયાઝખાનના શિષ્ય ગુલામરસૂલખાન ત્યાં નિયમિત પોતાની કળા રજૂ કરતા. એ દિવસોમાં ઈલેક્ટ્રીસીટી ન હોવાથી માઈક જેવી સુવિધા તો શક્ય જ ન હતી. એ સંજોગોમાં પણ ઉસ્તાદજી પોતાના અવાજની બુલંદી વડે છેવાડાના શ્રોતા સુધી પોતાની ગાયકીને પહોંચાડતા એ બાબતથી અંબરીષભાઈ ખાસ્સા પ્રભાવીત થતા રહેતા. વળી આટલી બુલંદી વાળો અવાજ આટલો કોમળ પણ હોય એ હકિકત એમને બાળવયે ખુબ જ આશ્ચર્યચકિત કરી જતી. ધીમે ધીમે આવા સંગીતમેળાવડાઓ વડે એમનાં રસ રૂચી સંગીત તરફ કેળવાવા લાગ્યાં.

જીવનનાં પહેલાં અઢાર વર્ષ એમણે લૂણાવાડામાં ગાળ્યાં. એક બાજુ શાળાકિય અભ્યાસ ચાલ્યો અને બીજી બાજુ સંગીત પ્રત્યે પ્રીતી વધતી ચાલી. એ સમયગાળામાં લૂણાવાડા સ્થિત હિરાભાઈ પાઠક નામેરી સજ્જને એમને હાર્મોનિયમ વગાડતાં શીખવ્યું. આ તાલિમ ચાલુ હતી અને મુંબઈ નિવાસી એવા વિનોદ જોશી નામના એક સંગીતકાર લૂણાવાડા આવી ને સ્થાયી થયા. અંબરીષભાઈએ એમની પાસે મેન્ડોલીન શીખવાનું શરૂ કર્યું. આમ શાળાકિય અભ્યાસ પૂરો કરતાં સુધીમાં એમણે હાર્મોનિયમ અને મેન્ડોલીન વગાડવા ઉપર ખાસ્સી હથોટી કેળવી લીધી. એ સિફતથી આ બન્ને વાદ્યો વગાડતા થઈ ગયા. જો કે આ શાસ્ત્રીય તાલિમ ન હતી.  

મેટ્રીક પાસ કરી ને આગળ અભ્યાસ માટે અંબરીષભાઈએ અમદાવાદની ગુજરાત કૉલેજમાં પ્રવેશ મેળવ્યો. અહીં એમની પ્રતિભા નિખરવા લાગી. આ કૉલેજના ખુબ જ વિદ્વાન અધ્યાપકો વિદ્યાર્થીઓની અભ્યાસપૂરક પ્રવૃત્તિઓમાં પણ ઊંડો રસ લઈ, એમને જે તે ક્ષેત્રે આગળ વધવા માટે પ્રોત્સાહિત કરતા હતા. અંબરીષભાઈ ખાસ કરી ને લબ્ધપ્રતિષ્ઠીત એવા પ્રાધ્યાપક ધીરુભાઈ ઠાકરનો ઉલ્લેખ ખુબ જ આદરથી કરે છે. અહીં મળેલા પ્રોત્સાહનની અસર હેઠળ એમણે સને ૧૯૫૩માં યોજાયેલા એક કાર્યક્રમનું પૂરું સંગીત સંચાલન કરી, ખાસ્સી પ્રશંસા મેળવી. હવે એ આ ક્ષેત્રના જાણકારોની નજરે ચડવા લાગ્યા. આને પરિણામે એમને નિયમીત રીતે કાર્યક્રમો મળવા લાગ્યા.

એ સમયે સુગમ સંગીતના કાર્યક્રમોની બોલબાલા હતી. અંબરીષભાઈ કુશળ ગાયક તરીકે પણ નીખરી રહ્યા હતા. આથી એમને અવારનવાર જાહેરમાં ગાવાની તક મળ્યા કરતી. વળી તે સારા વાદક અને વાદ્યવૃંદ સંચાલક પણ પૂરવાર થતા આવતા હતા. સુગમ સંગીતના કાર્યક્રમોમાં ઝાઝાં વાજીંત્રોનું બનેલું મોટું વાદ્યવૃંદ હોય એવું તો ભાગ્યે જ બનતું. પરિણામે સ્ટેજ ઉપર કાર્યક્રમની રજૂઆત દરમિયાન એના સંચાલન માટે બહુ જહેમત ઉઠાવવી નહોતી પડતી. આ રીતે ધીમી અને મક્કમ ગતિથી અંબરીષભાઈનો ગાયન તેમ જ વાદ્યવૃંદ સંચાલન માટેનો આત્મવિશ્વાસ વધતો ચાલ્યો. એક નવી દિશા એ ખુલી કે સને ૧૯૬૦-૬૧ના સમયગાળામાં અમદાવાદમાં ‘આ માસનું ગીત’ શિર્ષક અંતર્ગત સુગમ ગીતોની રજૂઆતનો એક નવતર પ્રયોગ શરૂ થયો. ટાઉનહૉલના સ્ટેજ ઉપરથી પ્રતિમાસ નવું ગુજરાતી ગીત રજૂ થાય અને એ મારફતે નવા નવા કલાકારોને તક મળતી રહે એ હેતુથી શરૂ કરાયેલા આ ઉપક્રમના મોટા ભાગના કાર્યક્રમોના સંગીત સંચાલનની જવાબદારી અંબરીષભાઈના શીરે રહેતી અને યુવા વયે એમણે એનું સુપેરે વહન પણ કર્યું. આ પ્રવૃત્તિ દરમિયાન અંબરીષભાઈએ ક્ષમતાથી ભરપૂર એવી એક યુવાન ગાયિકાને પહેલી વાર જાહેરમાં ગાવાની તક આપી. આ તકનો ઉપયોગ કરી ને એ સન્નારી, નામે હંસા દવે, આગળ જતાં ગુજરાતી સુગમ સંગીતનાં ખુબ જ પ્રતિષ્ઠીત અને સન્માનનીય કલાકાર બની રહ્યાં. આવા એક કાર્યક્રમમાં ખ્યાતનામ સંગીતકાર અવિનાશ વ્યાસ મુખ્ય મહેમાનપદે ઉપસ્થીત રહ્યા હતા. યુવાન અંબરીષભાઈના સંચાલનથી એ ખુબ જ પ્રભાવિત થયા અને એમણે જાહેરમાં એ બાબતનો ઉલ્લેખ પણ કર્યો હતો. આ અને આવી અન્ય પ્રવૃત્તિઓ વડે અંબરીષભાઈને રાસબિહારી દેસાઈ અને પુરુષોત્તમ ઉપાધ્યાય જેવા એ સમયના ઉભરી રહેલા કલાકારો સાથે અંગત સંબંધ બંધાયો, જે એ ત્રણે ય કલાકારોની પોતપોતાના ક્ષેત્રે થતી રહેલી અસાધારણ પ્રગતિ જેટલો જ મજબૂત અને કાયમી બની રહ્યો છે.

અંબરીષભાઈની પ્રવૃત્તિના આરંભનાં વર્ષોમાં ફિલ્મી ગીતોની સ્ટેજ ઉપરથી રજૂઆત કરતા કાર્યક્રમો એકદમ ઓછા પ્રમાણમાં થતા. સને ૧૯૬૦ અને પછીનાં વર્ષોમાં મહેશકુમાર એન્ડ પાર્ટી, હુસૈની પાર્ટી, કે પછી ફરીદ છીપા એન્ડ પાર્ટી જેવા કલાકારોનાં જૂથો નાના પાયે છૂટાછવાયા કાર્યક્ર્મો દ્વારા ફિલ્મી ગીતોની રજૂઆત કરતાં. અંબરીષભાઈએ નોંધ્યું કે જનસામાન્યની રુચી આવા કાર્યક્રમો તરફ પણ આકર્ષાવા લાગી હતી. જો કે હજી એમની પ્રવૃત્તિઓ સુગમ સંગીત પૂરતી મર્યાદિત હતી. એવામાં અમદાવાદમાં એક નવા જૂથનો ઉદય થયો, જેણે ફિલ્મી ગીતો પીરસવાં શરૂ કર્યાં.એ હતા પેટ્રીક માર્ક્સ, નવીન ગજ્જર અને એમના સાથીદારો. આવા કલાકારોને અને એમના કાર્યક્રમોને જે ઝડપથી લોકસ્વીકૃતિ મળવા લાગી એ જોતાં અંબરીષભાઈને આ પ્રકારના કાર્યક્રમો પણ કરવાની ઇચ્છા બળવત્તર થતી ચાલી. આમ ને આમ વિચારવામાં આઠેક વર્ષ નીકળી ગયાં. આખરે સને ૯ એપ્રીલ, ૧૯૬૯ના દિવસે અંબરીષભાઈએ ‘વિસ્તરતા સૂર’ શિર્ષક અંતર્ગત ફિલ્મી ગીતોનો કાર્યક્રમ પહેલી વાર સ્ટેજ ઉપરથી રજૂ કર્યો. અવિનાશ વ્યાસના મુખ્ય મહેમાનપદ હેઠળ યોજાયેલા આ કાર્યક્રમને ખુબ જ સારો પ્રતિસાદ મળ્યો. પહેલા જ પ્રયત્નને મળેલી સફળતાથી પ્રોત્સાહિત થયેલા અંબરીષભાઈ નિયમિત ધોરણે આવા કાર્યક્રમોનું આયોજન કરવા લાગ્યા. ધીમે ધીમે કાર્યક્ર્મમાં વૈવિધ્ય ઉમેરવાના પ્રયત્નો ચાલુ કર્યા. જેમ કે મદનમોહનનાં સંગીતબદ્ધ કરેલાં ગીતો, કલ્યાણજી-આણંદજીનાં સંગીતબદ્ધ કરેલાં ગીતો,  મહંમદ રફીએ સાથી કલાકારો સહ ગાયેલાં યુગલગીતો, રાજ કપૂરની ફિલ્મોનાં ગીતો, વિગેરે વિષયો આધારીત ગીતોના કાર્યક્રમો તેમણે રજૂ કર્યા. એમાં પણ ‘સરગમ’  શીર્ષક અંતર્ગત શાસ્ત્રીય રાગો પર આધારીત ફિલ્મી ગીતોનો કાર્યક્રમ તો અતિશય સફળતાને વર્યો. સને ૧૯૭૪ની ૨૪ ડીસેમ્બરના રોજ રજૂ થયેલા આ કાર્યક્રમનું શબ્દસંચાલન રાસબિહારી દેસાઈ જેવા સુગમ સંગીતના હાડોહાડ સમર્પિત એવા કલાકારે સામેથી સ્વીકારી ને કર્યું હતું. અંબરીષભાઈએ કહ્યું, “મારી સમગ્ર કારકિર્દીની યશકલગી સમાન આ કાર્યક્રમ હતો. હજી પણ મને એ યાદ કરાવનારાઓ મળે છે.” એ અરસામાં ઈલેક્ટ્રોનીક વાદ્યોનો દોર ચાલુ થઈ ગયો હતો પણ અંબરીષભાઈ પોતાના કાર્યક્રમોમાં સિતાર, સારંગી, દીલરુબા, ટ્રમ્પેટ, શરણાઈ જેવાં વાદ્યોનો અવાજ એવાં ઈલેક્ટ્રોનીક વાદ્ય વડે ઉત્પન્ન કરવાને બદલે જે તે મૂળ વાદ્યનો  જ આગ્રહ રાખતા. એમની આ ચોકસાઈ એ હદ સુધીની હતી કે ફિલ્મ ‘નવરંગ’નું ગીત ‘તુ છૂપી હૈ કહાં’ રજૂ કરવાનું હોય ત્યારે એમાં વાગતા ઘંટારવની અસર ઉભી કરવા માટે નવ અલગ અલગ સૂરથી વાગતા ઘંટ સાથે રાખી, એ વગડાવતા!

ફિલ્મી દુનીયાનાં બહુ મોટાં અને પ્રતિષ્ઠીત માથાં સાથે અંબરીષભાઈને ખુબ જ સારા સંબંધો રહ્યા છે. એમની આ મેઘધનુષી મહેફીલના માનવંતા મહેમાનો  વિશે એક પછી એક જાણકારી મેળવીએ.

નૌશાદ:  સને ૧૯૬૯-૧૯૭૧ દરમિયાન અંબરીષભાઈ મુંબઈ ખાતે મહિને સાતથી આઠ કાર્યક્રમો કરતા હતા. આવા લગભગ સીત્તેરેક કાર્યક્રમો થઈ ગયા પછી એ સમયના વિખ્યાત મીમીક્રી કલાકાર કાંતિ પટેલ એમને નૌશાદની મુલાકાતે લઈ ગયા. આ પહેલા જ પરિચયથી પરસ્પર સ્નેહગાંઠ બંધાઈ ગઈ. એમણે અનુકૂળતાએ અંબરીષભાઈના એકાદ કાર્યક્રમમાં હાજરી આપવાનું સ્વીકાર્યું. ખરેખર તો એ બોલેલા, “આપકા હુકમ સર આંખોં પે”. એ મુજબ સને ૧૯૭૪ની ૧૬ ઑક્ટોબરના રોજ અમદાવાદ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં નૌશાદ હાજર રહ્યા. એ અંબરીષભાઈ માટે ખાસ બની રહ્યો, કારણ કે એ એમનો જન્મદિવસ હતો! અમદાવાદના ટાઉનહોલમાં નૌશાદજીને સ્ટેજ સુધી લઈ જતાં ખાસ્સો સમય લાગી ગયો હતો, કારણકે એમને નજીકથી જોવા માટે મોટી ભીડ એકત્રીત થઈ ગઈ હતી અને લોકો એમના પગમાં પડતું મૂકતા હતા. પછી તો આ સંબંધ ખુબ જ ગાઢ બની ગયો. જ્યારે અંબરીષભાઈનો કાર્યક્રમ મુંબઈમાં હોય, ત્યારે ઘણી વાર નૌશાદ એમાં હાજરી આપતા. તેઓ અંબરીષભાઈના હાર્મોનિયમ વાદનથી અને અંબરીષભાઈનાં પત્નિ (હવે સ્વર્ગસ્થ)ઈંદીરાબહેનની ગાયકીથી ખુબ જ ખુશ હતા. ઈંદીરાબહેન માટે તો “યેહ મેરી શમશાદ બેગમ હૈ” એમ કહેતા. 
નૌશાદ સાથે પરીખ દંપતી
બહુ ઓછા લોકો જાણે છે કે નૌશાદ ગુજરાતી સારું બોલી શકતા. ઘણી વાર એ પરીખ દંપતી સાથે ગુજરાતીમાં વાતો કરતા. ખાસ નોંધનીય વાત તો એ છે કે નૌશાદના મ્યુઝીક રૂમમાં દિલીપકુમાર અને શકીલ બદાયૂનવી જેવી બહુ ઓછી હસ્તીઓને જવા મળતું. એમાં અંબરીષભાઈને પ્રવેશનું કાયમી નિમંત્રણ હતું! પોતાની આત્મકથાના વિમોચન સમયે સંગીતનો કાર્યક્રમ અંબરીષભાઈના સંચાલનમાં થાય એવો આગ્રહ નૌશાદે રાખ્યો હતો. મારે નૌશાદ સાહેબનાં ચરણોમાં બેસવું હતુ, પણ એમણે તો મને પોતાના હ્રદયમાં બેસાડ્યો” કહેતાં અંબરીષભાઈની આંખોમાં ચમક આવી જાય છે. નૌશાદજીની ચીર વિદાય પછી પણ એમના પુત્ર અંબરીષભાઈ સાથે સંબંધ રાખે છે.

મહંમદ રફી: આ સંબંધની વિગતો અંબરીષભાઈના શબ્દોમાં જ માણવા જેવી છે.
 “સને ૧૯૭૬માં અમદાવાદના પોલીસ સ્ટેડીયમમાં યોજાયેલા એક કાર્યક્રમમાં રફી સાહેબે હાજરી આપી હતી. સંગીત સંચાલન મારું હતું. કાર્યક્રમ શરૂ થતાં પહેલાં એમાં રજૂ થનારાં ગીતોની યાદી રફી સાહેબે જોવા માંગી. એ જોયા પછી મને પૂછ્યું કે આવાં જૂનાં અને અજાણ્યાં ગીતોને ઓડીયન્સ સ્વીકારશે? મેં ભરપૂર આત્મવિશ્વાસથી કહ્યું કે ચોક્કસ સ્વીકારશે. ખરેખર એવું બનતાં રફી સાહેબ મને કાર્યક્રમ પૂરો થયે ભેટી પડેલા.”
મહંમદ રફી દ્વારા સન્માન 
“આ ઘટનાનાં થોડાં વર્ષો પછી એક સવારે હું મારા બગીચાના હિંચકે બેઠો હતો, એવામાં એક કાર મારા દરવાજે આવી અને એમાંથી એક અજાણ્યા સજ્જન ઉતર્યા અને અંદર આવ્યા. એમણે મને કારમાં બેઠેલા વ્યક્તિ બોલાવી રહ્યા હોવાનું કહી, બહાર આવવા કહ્યું. કાર પાસે જઈ, અંદર જોતાં જ હું તો આભો બની ગયો, એમાં રફી સાહેબ બેઠા હતા! એક કાર્યક્રમ માટે એમને માટે જે હાર્મોનિયમની વ્યવસ્થા કરવામાં આવે હતી એ એમને અનુકૂળ ન પડવાથી એ મારું હાર્મોનિયમ લેવા આવ્યા હતા. એ સમયે તો બહુ ઉતાવળમાં હોવાથી મારા આગ્રહ છતાં ઘરમાં ન આવ્યા, પણ ફરી ચોક્કસ આવવાનો વાયદો કરી ને ગયા. જો કે એ દિવસ ક્યારે ય ન આવ્યો. ખેર, મારા હાર્મોનિયમ ઉપર એમની આંગળીઓ ફરી એ હકિકતથી મને સારું હાર્મોનિયમ વસાવ્યાનો પૂર્ણ સંતોષ થયો.”

આ હાર્મોનિયમ અંબરીષભાઈએ સને ૧૯૬૦માં રામસિંહ નામના પ્રખ્યાત કારીગર પાસે ખાસ ઓર્ડરથી બનાવરાવ્યું છે. સવા ચાર સપ્તક, સાત ધમણ અને સ્કેલ ચેન્જની સુવીધા ધરાવતું આ હાર્મોનિયમ હજી પણ એમની આંગળીઓ ફરતાં જ જીવંત થઈ ઉઠે છે. એક નમૂનો માણીએ.



રાજ કપૂર: ગાયક મુકેશની સ્મૃતીમાં સને ૧૯૭૭માં ગાયકો માટેની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. કુલ ૪૦૦ હરીફોમાંથી ચૂંટાયેલા ૧૬ હરીફોની અંતિમ સ્પર્ધા અમદાવાદમાં યોજાઈ હતી, જેમાં સંગીત સંચાલન અંબરીષભાઈનું હતું. વિજેતાને મુકેશ ટ્રોફી અર્પણ કરવા રાજ કપૂર આવ્યા હતા. એ અંબરીષભાઈના દેખાવથી ખુબ જ પ્રભાવિત થયા. ભોજન સમયે એમણે અંબરીષભાઈ સાથે ખુબ જ વાતો કરી અને આયોજકો પાસે એમની ક્ષમતાનાં વખાણ કર્યાં. આ રીતે અમદાવાદને ગૌરવ અપાવવા બદલ અહીંની પ્રતિષ્ઠીત ઓરીએન્ટ ક્લબના અધિષ્ઠાતાઓએ અંબરીષભાઈને આજીવન સભ્યપદ આપી, એમનું બહુમાન કર્યું.



દિલીપકુમાર: આ કલાકાર એમના સંગીતપ્રેમ અને એ માટેની ઊંડી સમજ માટે જાણીતા છે. એ અંબરીષભાઈથી કેટલા ખુશ હશે એ વાતની પ્રતિતી એ બાબતથી થાય કે એમણે અંબરીષભાઈના પાંચ અલગ અલગ કાર્યક્રમોમાં હાજરી આપી છે. એમાં પણ અમદાવાદની સી.એન.વિદ્યાલયમાં આયોજિત કાર્યક્રમમાં હાજર રહ્યા હતા ત્યારે તો એમણે અચાનક અંબરીષભાઈને બોલાવ્યા અને ઉક્ત કાર્યક્રમમાં સ્વયં ગાવાની ઈચ્છા દર્શાવી. એમણે કહ્યું, “મને ખ્યાલ છે કે આવી રીતે અચાનક અને કોઈ તૈયારી વિના ગાઉં તો તમારા વાદકોને તકલીફ પડે. પણ હું તો તમે આપો, એ સૂરથી ગાઈશ.” અને ખરેખર, એમણે સ્ટેજ ઉપરથી બે ગીતો રજૂ કરી, શ્રોતાઓને ખુશ કરી દીધા.

દિલીપકુમાર દ્વારા સન્માન
દિલીપકુમાર અંબરીષભાઈની સંગતમાં
ખય્યામ: મુંબઈમાં યોજાતા કાર્યક્રમો દરમિયાન મળવાનું બનતું રહેતું હોવાથી અંબરીષભાઈને આ સક્ષમ સંગીત નિર્દેશક સાથે સુદ્રઢ સંબંધ બંધાયેલો. ખય્યામને એમને માટે કેટલો આદર હતો એની પ્રતિતી કરાવતી એક ઘટના સને ૨૦૦૫માં ઘટી. એ વર્ષની ૧૯મી જૂનના રોજ વડોદરા મુકામે ખય્યામના સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથેની સંગીત સંધ્યામાં સંચાલન અંબરીષભાઈનું હોય એવી વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. કાર્યક્રમના થોડા જ દિવસો અગાઉ અંબરીષભાઈનાં પત્નિ ઈંદીરાબહેનની તબિયત ખરાબ થઈ ગઈ અને અંબરીષભાઈ એમાં જઈ શકે એવી કોઈ જ શક્યતા ન રહી. આ જાણ ખય્યામને થતાં જ એમણે આયોજકોંને સૂચન કર્યું કે કાર્યક્રમ વડોદરાને બદલે અમદાવાદમાં થાય એવી વ્યવસ્થા કરો. એમ જ થયું અને એ કાર્યક્રમમાં ખય્યામની સાથે સાથે અંબરીષભાઈનું પણ સન્માન કરવામાં આવ્યું.

આ ઉપરાંત અંબરીષભાઈએ મુકેશ અને મન્નાડે જેવા પાર્શ્વગાયકો સાથે સ્ટેજ કાર્ય્ક્રમોમાં સંગીત નિયોજન સંભાળ્યું છે. એમને સી.રામચંદ્ર, જયદેવ, સલીલ ચૌધરી, તલત મહેમુદ, સુરૈયા, કલ્યાણજી-આણંદજી અને જગમોહન તેમ જ દિલીપ ધોળકીયા, અજિત મરચન્ટ, અવિનાશ વ્યાસ, મનહર ઉધાસ, હંસા દવે અને બીજાં અનેક સંગીતનાં આરાધકો સાથે અંગત સંબંધો રહ્યા છે. 

તલત મહેમૂદ સાથે
દિલીપ ધોળકીયા સાથે
પુરુષોત્તમ ઉપાધ્યાય અને રાસબિહારી દેસાઈ સાથેની એમની ગાઢ મૈત્રીનો ઉલ્લેખ શરૂઆતમાં થઈ ગયો છે. વિશ્વવિખ્યાત જાદૂગર કે.લાલ સાથે પણ એમને આજીવન મૈત્રી બની રહી. 

કે.લાલ સાથે
આ ઉપરાંત કમલેશ આવસત્થી અને શબ્બીરકુમાર જેવા કલાકારોને એમની કારકિર્દીની શરૂઆતમાં અંબરીષભાઈએ ચમકાવ્યા હતા. આગળ જતાં આ બંને ફિલ્મોમાં પાર્શ્વગાયનના યશસ્વી પડાવ સુધી પહોંચ્યા. આ વાતો કરતાં એમની આંખોમાં અનેરી ચમક આવી જાય છે અને કહે છે, “હું અત્યંત નસીબદાર છું ભાઈ. આ બધી મા સરસ્વતીની કૃપા છે, બાકી આ વાણીયાને કોણ ઓળખે!”

ત્રીજા તબક્કાની મુલાકાતના અંતભાગમાં એમણે ખુલી ને વાતો કરી. ખાસ તો વધતી જતી ઉમર સાથે ઓછી થયેલી ગળાની મીઠાશનો ઉલ્લેખ કર્યો. એમણે કહ્યું, “એ તબક્કો આવ્યા પછી મેં ગાવાનું ઓછું કરી નાખ્યું. પૂરા કાર્યક્રમમાં માત્ર દોઢ ગીત ગાતો. દોઢ ગીત એટલે એક સોલો ગીત અને બીજું યુગલ ગીત, આમ કુલ મળી ને દોઢ! જ્યારે લાગ્યું કે ગાયકીની ગુણવત્તા ઓછી થઈ છે ત્યારે મેં લોકોને અન્ય રીતે પણ મનોરંજન આપવાનું શરૂ કર્યું. જેમ કે મારું અને ઈંદીરા(એમનાં પત્નિ)નું યુગલગીત ‘મીલતે હી આંખેં દિલ હુઆ દીવાના કિસીકા’ એટલું લોકપ્રિય હતું કે દરેક કાર્યક્રમમાં એ તો ગાવું જ પડતું. આ ગીતની રજૂઆત પહેલાં હું કહેતો કે ‘અસલ ગીત શમશાદ બેગમ અને તલત મહેમુદના સ્વરમાં છે, અહીં આપની સમક્ષ શમ’શેર’ બેગમ અને ‘ગ’લત મહેમૂદ રજૂ કરશે’ અને પાછલી હરોળોમાંથી તાળીઓના ગડગડાટ થતા. એક કાર્યક્રમની શરૂઆતમાં એક ખુબ જ જાણીતાં અને અત્યંત સ્થૂળકાય કલાકાર મુખ્ય મહેમાન તરીકે સ્ટેજ ઉપરથી બોલ્યાં, ‘હવે થોડા સમય પછી અંબરીષભાઈના કાર્યક્રમોમાં ચકલાં ય નહીં ફરકે.’ એ કલાકારે કરેલી ટકોર મારા માટે બહુ આનંદદાયક ન હતી. એવા સંજોગોમાં એમને સામો જવાબ પણ કેવી રીતે અપાય! પણ મને એ જ ક્ષણે જવાબ સ્ફુરી આવ્યો. મારા હાથમાં માઈક્રોફોન આવ્યું ત્યારે મેં કહ્યું, ‘આવનારા દિવસોમાં ભલે ચકલાં ન ફરકે, આજે મારા કાર્યક્રમમાં હાથી ફરક્યો છે, એનો મને આનંદ છે.’ આવાં આવાં ગતકડાં પણ શ્રોતાગણને ખુશ રાખવા માટે કરવાં પડતાં. બધાં જ શ્રોતાઓ સંગીતની બારીકીઓને માણનારાં સુજ્ઞ થોડા હોય?”

અંબરીષભાઈના સુવર્ણકાળમાં વીડીઓ રેકોર્ડીંગની સુવિધા ન હતી એથી એ વખતની કોઈ જ સામગ્રી ઉપલબ્ધ નથી. યુ ટ્યુબ ઉપરથી એ સ્ટેજ ઉપર હોય એવા બે અલગ અલગ વીડીઓ મળ્યા છે, જે અહીં મૂક્યા છે.


અત્યારે ૮૩ વર્ષની પાકટ વયે પણ અંબરીષભાઈ જાતે કાર ચલાવી પૂરા અમદાવાદમાં ઘૂમે છે! મને એમનો પરિચય કરાવી, આ મુલાકાત માટે ત્રણે ય વાર મારી સાથે રહેનારા મિત્ર ચંદ્રશેખર વૈદ્યને અને મને એક પણ વાર આગ્રહ અને પ્રેમપૂર્વક ચા-નાસ્તો કરાવ્યા વિના છોડ્યા નથી. 
અંબરીષભાઈ(વચ્ચે) અને ચન્દ્રશેખર વૈદ્ય(જમણે)સાથે સેલ્ફી
છેલ્લે છૂટા પડતી વેળાએ એમણે સમય સમયે યોજાતી રહેતી અમારી કેટલાક મિત્રોની ચા-ભજીયાં પાર્ટીમાં સામેલ થવાનું વચન આપ્યું છે. ખરેખર, એમના લાગણી નીતરતા વ્યવહારથી ભીંજાય એ સૌ સ્વીકારશે કે ‘વિસ્તરતા સૂર’ના આયોજક અંબરીષભાઈ સ્વયં એક વિસ્તરતા જણ છે.

સૌજન્ય સ્વીકાર:  અંબરીષ પરીખનો પરિચય અને મુલાકાત માટે ચંદ્રશેખર વૈદ્યનો આભાર.
                   તસવીરો  અંબરીષભાઈના સૌજન્યથી મળી છે.
                   વીડીઓઝ યુ ટ્યુબ પરથી લીધા છે, આ સામગ્રીનો વ્યવસાયીક ઉપયોગ થશે નહીં.
                    
                   






Wednesday, 29 November 2017

'સૂરંદાજ' શરદ ખાંડેકર


આપણા સમાજમાં વર્ગભેદ સદીઓથી ચાલ્યો આવ્યો છે. ‘તું નાનો હું મોટો’ એ જગતના ખ્યાલને કવિ ભલે ખોટો કહેતા હોય, વાસ્તવિકતા અલગ દિશામાં જ આંગળી ચીંધે છે. અહીં આપણે આ વાત સંગીતના સંદર્ભે આગળ ચલાવીએ. સંગીતના મુખ્ય ત્રણ વર્ગો પડે છે – શાસ્ત્રીય, ઉપશાસ્ત્રીય અને હળવું/સહજ/સુગમ/ફિલ્મી સંગીત. આ અલગ અલગ પ્રકારોને અજમાવનારા સંગીતકારોમાં વાદકો તેમ જ ગાયકોનો સમાવેશ થાય છે. એક સામાન્ય નિરીક્ષણ મુજબ શાસ્ત્રીય સંગીતને અપનાવનારાઓ અન્ય પ્રકારના સંગીતસાધકોને ઉતરતા ગણતા આવ્યા છે. વળી સમગ્રપણે જોતાં એ બાબત પણ ધ્યાને પડે છે કે ગાયકો, વાદકોને હંમેશાં એક પાયરી ઉતરતા ગણાવતા આવ્યા છે. પરિણામે જનસામાન્યમાં પણ એવી જ છાપ બની રહી છે કે સંગીતના ક્ષેત્રમાં મુખ્ય કલાકાર હંમેશાં ગાયક જ હોય અને વાદકો તો મોટે ભાગે સંગત કરવા માટે જ ચાલે! આ રીતે ઉતરતી ભાંજણીનો વિચાર કરવામાં આવે તો ફિલ્મી દુનિયાના વાદકોને તો સાવ છેવાડે જ બેસાડી દેવામાં આવ્યા હોય એમ લાગે. કેટલાક જૂજ અપવાદો બાદ કરતાં આ વાદક કલાકારો ક્યારેય પ્રકાશમાં આવતા નથી.

હજી થોડા આગળ વધીએ તો આપણે એવા વાદક કલાકારો સુધી પહોંચીએ, જે ફિલ્મી ગીતોના સ્ટેજ ઉપર આયોજિત થતા કાર્યક્રમોમાં વગાડતા આવ્યા છે. આવા કલાકારોની કદર કરવામાં તો આપણે ખુબ જ ઉણા ઉતરીએ છીએ. હકિકતે જે ફિલ્મી ગીતનું અસલ રેકોર્ડીંગ આપણે સાંભળીએ છીએ એ તો કલાકોના કરાયેલા પ્રયાસોનું આખરી પરિણામ હોય છે. ફિલ્મી ગીતોના રેકોર્ડીંગ માટે અત્યારની અત્યાધુનિક રેકોર્ડીંગ પધ્ધતિઓ હાથવગી નહોતી ત્યારે પણ રીટેકની સુવિધા તો હતી જ. આથી એકાદ કલાકારની પણ શરતચૂક થઈ જાય તો સુધારાને અવકાશ હંમેશાં રહેતો. આવી કોઈ જ સુવિધા સ્ટેજ ઉપરથી રજૂઆત કરનારા કલાકારો પાસે હોતી નથી. એ લોકોએ જ્યારે અને ત્યારે જ પોતાનો કસબ ઠાલવી દેવાનો રહે છે. જે ચાર મિનીટ્સ મળે એમાં જે તે ગીતને પોતપોતાના વાદ્યના સૂરથી ભરી દેવાનું હોય છે અને એમાં પણ અસલ ગીતના સંગીતની આબેહૂબ નકલ ઉતારવાની રહે છે.

અને તેમ છતાં પણ જૂજ અપવાદો બાદ કરતાં એવું નથી બનતું કે કોઈ કાર્યક્રમ ઓરકેસ્ટ્રાના નામ ઉપર પ્રખ્યાત થયો હોય. સ્ટેજ કાર્યક્રમોની જાહેરાતો મહદઅંશે ગાયકોના નામથી કરવામાં આવે છે. એમાં વગાડનારા કલાકારોનાં નામ કાર્યક્રમના સંચાલક એક વાર ઝડપથી ઉચ્ચારી જાય છે અને વાત પૂરી. હા, એ નામાવલીના અંતે જે તે વાદ્યવૃંદના સંચાલકનો થોડો ઘણો પરિચય અપાય છે. આ વાદ્યવૃંદ સંચાલક બહુ મોટી જવાબદારી ઉપાડી ને શ્રોતાઓ સમક્ષ એક પછી એક ગીતની રજૂઆત મહત્તમ શક્ય ક્ષમતાથી થયા કરે એની કાળજી લેતા હોય છે. રજૂ થઈ રહેલા ગીત દરમિયાન કયા મકામ પર કયા વાજિંત્ર ઉપર કયો ટુકડો વગાડવાનો છે એ બાબતનું નિયમન ‘ઓરકેસ્ટ્રા કંડક્ટર’ તરીકે ઓળખાતા આ સંચાલક કરે છે. વળી આયોજકો, ગાયકો, કાર્યક્રમના ઉદઘોષક, વાદક કલાકારો તેમ જ સ્ટેજ ઉપરથી થઈ રહેલી રજૂઆત શ્રોતાગારમાં દરેકના કાને સુપેરે પહોંચે એની વ્યવસ્થા સંભાળતા ધ્વનિ સંયોજક વચ્ચે યોગ્ય તાલમેળ અને સુમેળ જળવાઈ રહે એ જવાબદારી પણ વાદ્યવૃંદ સંચાલકની બની રહે છે.


આટલી વિસ્તૃત પ્રસ્તાવના પછી આપણે એક એવા વ્યક્તિવિશેષનો પરિચય કેળવીએ, જે સ્ટેજ ઉપરથી રજૂ થતા ફિલ્મી સંગીતના કાર્યક્રમોના ઓરકેસ્ટ્રા સંચાલક તરીકે ભારતભરમાં મોખરાના સ્થાને પોતાનું નામ નોંધાવી ચૂક્યા છે. આ નામ છે અમદાવાદ નિવાસી અને દુનિયાભરમાં મશહૂર એવા શરદ ખાંડેકરનું.
                        *      *      *      *      *      *      *      *

મૂળ મહારાષ્ટ્રીય પણ પેઢીઓથી અમદાવાદ નિવાસી બની રહેલા ખાંડેકર કુટુંબમાં સને ૧૯૫૧ના ફેબ્રુઆરીની ૨૧ તારીખે જન્મેલા શરદ ખાંડેકર( હવે પછી એમનો ઉલ્લેખ શરદભાઈ તરીકે થશે.)
નો વિસ્તૃત પરિચય મેળવીએ એ પહેલાં એક રસપ્રદ કિસ્સો રજૂ કરવો છે. આ વર્ષ(સને ૨૦૧૭)ના માર્ચ મહિનાની આઠમી તારીખે અમદાવાદની પ્રતિષ્ઠિત એવી ગ્રામોફોન ક્લબનો એક કાર્યક્રમ આયોજિત થયો હતો. કાર્યક્રમ શરૂ થાય એવી જ ક્લબના અધિષ્ઠાતાએ ઘોષણા કરી, “આપણા ઓરકેસ્ટ્રાના મુખ્ય કલાકાર અને સંયોજક એવા શરદભાઈની તબિયત અચાનક લથડી છે અને એમને ખુબ જ ચિંતાભરી હાલતમાં હોસ્પીટલમાં દાખલ કરવા પડ્યા છે. ડાક્ટરોએ ૪૮ કલાક સુધી ઘનીષ્ઠ સારવાર આપવાનું નક્કી કર્યું છે. આથી આપણે આજના કાર્યક્રમમાં એમની ગેરહાજરી ચલાવી લેવાની છે.” આ પછી એકાદ અઠવાડીયામાં જ અન્ય લોકપ્રિય ક્લબ ‘સુરાંગન’નો કાર્યક્રમ થવાનો હતો અને એમાં પણ શરદભાઈનું જ ઓરકેસ્ટ્રા હતું. આવી ધર્મસંકટભરી પરિસ્થિતીમાં આયોજકો હોસ્પીટલમાં શરદભાઈની ખબર કાઢવા ગયા ત્યારે એમનો પ્રતિભાવ હતો, “મારી તબિયત જક્કાસ છે, તમારા કાર્યક્રમમાં હું આવી જઈશ.”! ખરેખર, બીજે અઠવાડીયે બધાના સુખદ આશ્ચર્ય વચ્ચે શરદભાઈએ સાડા ત્રણ કલાક સુધી સ્ટેજ સંભાળ્યું અને એવું સંભાળ્યું કે કોઈ માને નહીં કે આઠ દિવસ પહેલાં આ માણસ સ્ટ્રોકની સારવાર માટે ICCUમાં હોઈ શકે! આ છે એમની સંગીત પ્રત્યેની નિષ્ઠા અને વ્યવસાયિક પ્રતિબધ્ધતા.

લાક્ષણિક મહારાષ્ટ્રીય સંસ્કારો મુજબ ખાંડેકર કુટુંબમાં સંગીત વણાયેલું હતું. પણ, એક પરંપરા પ્રમાણે કુટુંબીજનોનું સંપૂર્ણ ધ્યાન શાસ્ત્રીય સંગીત ઉપર હતું. આવા કુટુંબમાં ઉછરતા શરદભાઈ પણ શરૂઆતનાં વર્ષોમાં શાસ્ત્રીય સંગીતના આરાધક બની રહ્યા. નાની ઉમરથી જ એમણે સિતાર જેવા કષ્ટસાધ્ય વાદ્ય ઉપર ઘનિષ્ઠ રિયાઝ કરતા રહી, એ વગાડવા ઉપર પ્રભુત્વ મેળવવા માટે કઠોર સાધના કરી. એ સમયે સંગીતને સંપૂર્ણપણે બિનવ્યવસાયિક ધોરણે અપનાવવાનો હેતુ લઈને શરદભાઈ શીખતા રહ્યા. એમનાથી મોટાભાઈ સુધીર ખાંડેકર પણ આ જ માર્ગે આગળ વધી રહ્યા હતા. એ વાયોલિન ઉપર સાધના કરી રહ્યા હતા. એવામાં એક વળાંક આવ્યો. આ બન્ને ભાઈઓએ જ્યાં શાળાકિય અભ્યાસ કર્યો હતો એ ‘મહારાષ્ટ્ર શિક્ષણ મંડળ હાઈસ્કૂલ’ તરફથી સને ૧૯૬૮માં એક એવા કાર્યક્રમનું આયોજન થયું, જે સંપૂર્ણપણે તે સમયના પ્રવર્તમાન અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા સંચાલિત થવાનો હતો. આ બંધુ જોડીને સંગીતનો પૂરો હવાલો સોંપી દેવામાં આવ્યો. કાર્યક્રમ અતિશય સફળ થયો અને એના શ્રેયની ખાસ્સી ટકાવારી ખાંડેકર ભાઈઓને મળી. આ કાર્યક્રમને બહોળી પ્રસિધ્ધી મળી અને એ પછી આ ભાઈઓને નાના મોટા કાર્યક્રમોમાં સંગત કરવા માટે નિમંત્રણો મળવા લાગ્યાં. સને ૧૯૭૦માં જાણીતા વાદ્યવૃંદ સંચાલક અંબરીશ પરીખ સુધી એમની ખ્યાતી પહોંચી. એવામાં એક યોગાનુયોગ સર્જાયો. એની વિગતમાં જતાં પહેલાં આપણે ફિલ્મ ‘મેરા સાયા’નું આ ગીત સાંભળીએ, જેમાં સિતારના ખુબ જ કર્ણપ્રિય ટૂકડા સાંભળવા મળે છે.

બન્યું એવું કે સને ૧૯૭૧માં યોજાયેલા અંબરીશ પરીખના એક કાર્યક્રમમાં આ ગીતનો સમાવેશ હતો. એના રિહર્સલ વખતે સિતાર વગાડી રહેલા કલાકારના વાદનથી અંબરીશભાઈને પૂરતો સંતોષ થતો નહોતો. વારંવારના પુનરાવર્તન પછી પણ એ કલાકાર સંતોષજનક વાદન ન કરી શક્યા. આ જોઈને ત્યાં હાજર પ્રસિધ્ધ મેન્ડોલીન વાદક ઈમુ દેસાઈએ અંબરીશભાઈને સૂચન કર્યું કે એક મોકો શરદભાઈને આ ટૂકડાઓ સિતાર પર છેડવા માટે આપવો જોઈએ. શરદભાઈએ આ મોકાને પૂરેપૂરો ન્યાય આપ્યો અને આ સાથે માત્ર વીશ વર્ષની ઉમરે શરદભાઈ એક સક્ષમ સિતાર વાદક તરીકે  ઉપસી આવ્યા. વળી સુધીરભાઈ વાયોલિન ઉપર રિયાઝ કરતા હોય ત્યારે શરદભાઈ તબલાં ઉપર સંગત કરતા. આમ સૂર અને તાલ બંનેની ઊંડી સમજ કેળવાવા લાગી. 

ધીમે ધીમે ખાંડેકર ભાઈઓને સમજાયું કે ફિલ્મી સંગીત પણ એ લોકો માનતા હતા એના કરતાં ખુબ જ ઉંચી કક્ષાની ક્ષમતા માંગી લેતો સંગીતનો એક સારો પ્રકાર હતો. હવે શરદભાઈએ નિયમિત રીતે ફિલ્મી ગીતોના કાર્યક્ર્મોમાં વગાડવાનું શરૂ કર્યું. શરદભાઈએ જણાવ્યું, “ એ જમાનામાં હું મુખ્યત્વે એકૉર્ડીયન વગાડતો. જરૂર પડ્યે સિતાર ઉપર પણ સંગત કરી લેતો. મોટાભાઈ (સુધીર ખાંડેકર) વાયોલિન વગાડતા. એક કાર્યક્રમમાં  વગાડવાના એ દિવસોમાં ૭૫ રૂપીયા મળતા, જે અમે ભાઈઓ જમા કરતા રહેતા.”

આ દિવસોમાં શરદભાઈ પૂરી નિષ્ઠાથી એકૉર્ડીયન તેમ જ સિતારવાદનની બારિકીઓ અનુક્રમે જૉન માઈકલ અને સુખરાજસિંહ ઝાલા જેવા સિધ્ધહસ્ત વાદકો પાસેથી શિખતા રહ્યા. રિહર્સલો અને કાર્યક્રમો સાથે સાથે રોજના ઓછામાં ઓછા બે કલાક તાલિમ લેવાનું પણ ચાલુ રાખ્યું અને ધીરે ધીરે બન્ને વાદ્યો ઉપર પ્રભુત્વ વધતું ચાલ્યું. એ અરસામાં સ્ટેજ કાર્યક્રમોમાં ઈલેક્ટ્રોનીક ઓર્ગનનો પ્રવેશ થયો. વખતની જરૂરીયાત સમજી, શરદભાઈએ સને ૧૯૭૩માં એક ઓર્ગન ખરીદી લીધું, જેમાં ડાબા હાથના દોઢ સપ્તકને કોર્ડ્સ વગાડવા માટે વિભાજીત કરી શકાતું હતું અને તે ઉપરાંત એમાં વિવિધ પ્રકારના તાલ નિષ્પન્ન થઈ શકતા હતા (આજે તો આવાં ઓર્ગન સરળતાથી ઉપલબ્ધ છે, પણ એ સમયમાં આની નવાઈ હતી.). એની ઉપર પણ સઘન પ્રયાસો દ્વારા પ્રભુત્વ કેળવ્યા પછીના દિવસોમાં એક જ ગીતની રજૂઆત દરમિયાન શરદભાઈ એકૉર્ડીયન અને ઓર્ગન વારા ફરતી વગાડતા હોય એવું પણ બનતું હતું.

હવે શરદભાઈને લાગ્યું કે પોતે  સ્વતંત્ર રીતે કાર્યક્રમો તૈયાર કરવા સક્ષમ હતા. આથી ધીમે ધીમે એમણે વાદ્યવૃંદ સંચાલન ઉપર ધ્યાન આપવાનું શરૂ કર્યું. અને એ બાબતે આત્મવિશ્વાસ કેળવાયા પછી મોટાભાઈ સુધીર ખાંડેકર સાથે મળીને ‘ખાંડેકર બ્રધર્સ’ ઓરકેસ્ટ્રાના નેજા હેઠળ કાર્યક્રમો કરવાની શરૂઆત કરી. એમણે સમજી લીધું હતું કે સફળ સંચાલક બનવા માટે મુખ્ય બે ચીજો ઉપર કાબુ હોવો જરૂરી છે. એક તો જે તે ગીતના સંપૂર્ણ સાંગીતિક બંધારણની બારીકતમ સમજ અને બીજું, સમગ્ર ગીતની ગાયકી તેમ જ સાથે વાગતાં વાદ્યો દ્વારા સૂર પૂરાવતા ટૂકડાઓને સ્વરલિપીબધ્ધ કરવાની ક્ષમતા. સંગીતને લિપીબધ્ધ કરવા માટેની ભારતીય પધ્ધતિમાં બે અલગ અલગ લિપીઓ છે: પલૂસકર લિપી અને ભાતખંડે લિપી. એ પૈકીની પલૂસકર લિપી તો શરદભાઈ નાની ઉમરથી ઘરમાં જ શીખતા રહ્યા હતા. અનુભવે તેમને જણાયું કે એ લિપીની સરખામણીએ ભાતખંડે લિપી સહેલી હતી. આથી એ લિપી પણ આત્મસાત કર્યા પછી શરદભાઈએ એ બન્ને લિપીના સંકરણથી પોતાની આગવી લિપી વિકસાવી અને આજદિન સુધી એ સંકર લિપીથી જ લખતા આવ્યા છે. આ રીતે એ પ્રહાર/Stroke વડે વગાડવામાં આવતાં તંતુવાદ્યો માટે ક્યારે પ્રહાર કરવો તે અને ક્યારે એવાં વાદ્યોમાંથી સળંગ સૂર (મીંડ) નિષ્પન્ન કરવા, એ પણ જે તે સાજિંદા માટે લખે છે. આવી બારીક લિપીબધ્ધતાથી લખનારા પૂરા ભારતમાં શરદભાઈ એક માત્ર સંચાલક છે. 
શરદભાઈએ લખેલી સ્વરલિપી
પશ્ચીમી વાદ્યગાન લિપી કે જેને સ્ટાફ નોટેશન્સ કહે છે, એ સમજનારા બહારથી આવનારા કલાકારો માટે એ તૈયાર કરવાની જવાબદારી એમના ભત્રીજા (અને અગાઉ જેમનો ઉલ્લેખ થઈ ગયો છે એ સુધીરભાઈના દીકરા) અનુપ્રીત ખાંડેકર ઉપાડી લે છે. શરદભાઈ કેટલી બારિકીથી લિપીલેખન કરે છે એ સમજવા એક વિડીઓ જોઈએ.



શરદભાઈની એક એક સૂર માટેની પ્રતિબધ્ધતા સમજવા માટે આપણે ફિલ્મ ‘બ્રહ્મચારી’નુ મહમ્મદ રફીએ ગાયેલું ગીત સાંભળીએ. પહેલાં એક બાબત સમજવી મહત્વની છે. આપણાં ફિલ્મી ગીતો ચોક્કસ વિભાગોમાં વિભાજીત થયેલાં હોય છે. ગાયકી શરૂ થાય એના પહેલાં કેટલાંક ગીતોમાં વાદ્યસંગીત હોય છે, જેને ‘પ્રિલ્યુડ’ કહે છે. પછી ગાયક/કો મેદાનમાં આવે છે. આ ભાગ ‘મુખડો’ નામે ઓળખાય છે. પછી વાદ્યસંગીતના ટૂકડાઓ વાગે એને ‘ઈન્ટરલ્યુડ’ કહેવાય છે. ફરી પાછું ગાયન આવે, જેને ‘અંતરો’ કહે છે. અંતરા પછી ફરી એક ‘ઈન્ટરલ્યુડ’ વાગે અને પાછો એક અંતરો ગવાય. કોઈ પણ ગીતને ખુબ જ ધ્યાનથી સાંભળતાં ખ્યાલ આવે છે કે આ બધાં અંગો ઉપરાંત સમગ્ર ગીત વાગતું રહે એ  દરમિયાન એની પશ્ચાદભૂમીકામાં વાદ્યસંગીતનો એક દોર સતત સંભળાયા કરતો રહે છે. આવા સંગીતને ‘કાઉન્ટર્સ’ કહેવામાં આવે છે. સામાન્ય રીતે આપણે આપણું ધ્યાન આવા કાઉન્ટર્સની ઉપર જતું નથી પણ એ જાણવું અને સમજવું ખુબ જરૂરી છે કે ગીતને ભર્યું ભર્યું બનાવવામાં એ કાઉન્ટર્સ અત્યંત મહત્વનો ભાગ ભજવે છે  આટલી સ્પષ્ટતા પછી હવે મૂળ ગીત સાંભળીએ. શંકર જયકિશન જેવા સમર્થ સંગીતકારો અને એમના સહાયકો દ્વારા તૈયાર કરાયેલા આ ગીતને ઉપર જણાવ્યાં એ બધાં જ અંગો સહિત માણશો એવો અનુરોધ છે. 





હવે આ જ ગીતની એક સ્ટેજ કાર્યક્રમમાં થયેલી રજૂઆત સાંભળીએ. ગાયક છે બંકીમ પાઠક અને ઓરકેસ્ટ્રા સંચાલન શરદભાઈનું છે. ગાયકી તો કર્ણપ્રિય છે જ, પણ આપણે અહીં આ ગીત એટલે પસંદ કર્યું છે કે અહીં સમગ્ર ગીત સાથે કાઉન્ટર્સ એકદમ સ્પષ્ટપણે સંભળાય છે. એકે એક વાદ્ય ઉપર વગાડવામાં આવતો એકે એક સાંગીતીક ટૂકડો યથાસ્થાને કાને પડે છે ત્યારે શરદભાઈની સંચાલનક્ષમતાનો ખરો ખ્યાલ આવે છે. આ બધું એમના મૂળ ગીત/ધૂન ને સંપૂર્ણપણે વફાદાર એવા સ્વરલિપીલેખનનો નિષ્કર્ષ છે. 


આ રીતે એક એક ગીત માટે ખુબ જ જહેમત ઉઠાવનારા શરદભાઈ સ્વાભાવિક રીતે જ એમની સાથે વગાડનારાઓ/ગાનારાઓ પાસેથી ૧૦૦% થી ઓછું કશું જ ચલાવી નથી લેતા. “આપણો અંતરાત્મા ડંખે એવું કશું જ નહીં થવા દેવાનું”, એ કહેતા હોય છે. ગાયકોએ સૂરને વફાદાર રહેવું એ તો અતિ સામાન્ય છે, શરદભાઈ ઉચ્ચાર બાબતે પણ સંપૂર્ણતાનો આગ્રહ રાખે છે. એમની સાથે વગાડનારા એક વાદકે કહ્યું, ” પ્રેક્ટીસ દરમિયાન એકાદ જગ્યાએ કોઈથી એકાદ સૂર પણ આઘોપાછો વાગી ગયો તો પૂરું ગીત ફરીથી પ્રેક્ટીસમાં લેવું પડે. જ્યારે શરદભાઈ ‘જક્કાસ’ બોલે, તો સમજો એવૉર્ડ મળી ગયો!” શરદભાઈના આવા ચૂસ્ત વલણને લઈને એમના કાર્યક્રમમાં વગાડવું કે ગાવું એ કલાકારો માટે પ્રતિષ્ઠાની બાબત ગણાય છે.

આવી ભારોભાર ક્ષમતા હોવા છતાં શરદભાઈને પ્રસિધ્ધીની જરાય ખેવના નથી. આગળ વધીને એમ કહેવાય કે એ પ્રસિધ્ધીથી દૂર રહે છે. એમણે ફિલ્મી મહારથીઓની હાજરીમાં અનેક કાર્યક્રમો કર્યા છે. વહીદા રહેમાન, સાધના, સુનીલ દત્ત, શશી કપૂર અને સંજીવકુમાર જેવાં અભિનેત્રી/તાઓ તેમ જ નૌશાદ, જયદેવ અને સલીલ ચૌધરી જેવા દિગ્ગજ સંગીત નિર્દેશકો શરદભાઈના કાર્યક્રમો શોભાવી ચૂક્યાં છે. સુરેશ વાડેકર અને સુષમા શ્રેષ્ઠ જેવાં ગાયકો સાથે શરદભાઈ વિદેશપ્રવાસો પણ કરી ચૂક્યા છે. આવા એક પ્રવાસના અંતે સુષમાએ એમને કહ્યું હતું કે આટલી પ્રતિબધ્ધતાથી વગાડવા અને વાદ્યવૃંદનું સંયોજન કરવાવાળા અન્ય કોઈ પોતે જોયા નથી. આ ઉપરાંત કેટલાયે સંગીતકારો પણ એમનાથી ખાસ્સા પ્રભાવિત થયા હોય એમ બનતું રહ્યું છે. પણ, શરદભાઈ પાસે એમાંથી કોઈ સાથે પડાવેલો એક પણ ફોટો નથી! ‘એવું કેમ’ એવા પ્રશ્નના જવાબમાં એમણે કહ્યું, “મને એવી ઈચ્છા જ ન થાય, ખબર નહીં એ કદાચ મારો ક્ષોભ હશે. હું માનું છું કે આપણું નામ નહીં, આપણું કામ બોલવું જોઈએ.” 

હાલમાં પણ ખુબ જ વ્યસ્ત એવા શરદભાઈ માટે કહી શકાય કે Music runs in the family. અગાઉ આપણે જાણી ગયા કે શરદભાઈએ એમના મોટાભાઈ સુધીર ખાંડેકર સાથે મળીને ‘ખાંડેકર બ્રધર્સ ઓરકેસ્ટ્રા’ની સ્થાપના કરી હતી. સાડાચાર દાયકાઓ પછી આજે પણ એ જ નેજા હેઠળ ચાલતી એમની આ પ્રવૃત્તિમાં બીજી પેઢી સુપેરે દાખલ થઈ ગઈ છે. આ ઓરકેસ્ટ્રામાં એમના બે દીકરાઓ અક્ષત અને સંકેતને અનુક્રમે કી બોર્ડ અને ગીટાર ઉપર અને સુધીરભાઈના દીકરા અનુપ્રીતને કી બોર્ડ ઉપર સંગત કરતા માણવા એ એક લ્હાવો છે.
ખાંડેકર મહારથીઓ ડાબેથી જમણે: સંકેત, શરદભાઈ, અક્ષત અને અનુપ્રીત 
વળી આ ત્રણે થોડે ઘણે અંશે વાદ્યવૃંદનું સંચાલન પણ કરતા રહે છે. સુધીરભાઈની અન્ય ક્ષેત્રોમાં વ્યસ્તતા એમને આ ક્ષેત્રથી દૂર લઈ ગઈ છે. પણ એમના મોટા દીકરા અનિકેતની શાસ્ત્રીય રાગરાગીણીઓ બાબતે સમજણ અને ગાયકી દેશ વિદેશમાં મશહૂર છે. 

જેમ તીરથી સચોટ નિશાન તાકનારને તીરંદાજ કહેવાય છે એમ સૂર માટે આટલી કાળજી લઈ, સચોટ રજૂઆત કરનારા શરદભાઈ માટે સૂરંદાજ શબ્દ પ્રયોજાય તો એ એકદમ વ્યાજબી લાગે. ‘જક્કાસ’ શબ્દપ્રયોગ શરદભાઈનો તકિયાકલામ હોવાનું જાણવા મળ્યું છે. સંપૂર્ણતાના આગ્રહી એવા એ જ્યારે પૂર્ણપણે સંતુષ્ટ થાય ત્યારે જ આ શબ્દપ્રયોગ કરતા હોય છે. શરદભાઈ,વર્ષોથી ચાલ્યા આવતા તમારા ઉત્કૃષ્ટ સંગીત માટે ચાહકો તમારે માટે એક જ શબ્દ કહેવા માંગે છે, ‘જક્કાસ’!

વિડીઓઝ યુ ટ્યુબ ઉપરથી સાભાર લીધા છે.