Saturday 25 April 2020

ગાંધીયુગનો ખરી પડેલો સિતારો


કોઈ પણ માણસ ના જીવનમાં સમયસમયાંતરે નાના મોટા પલટા આવ્યા જ કરતા હોય છે. ‘સમયનો ચાકડો સતત ગોળ ગોળ ફર્યા કરે છે’, ‘કાળની ગતિ અકળ છે’ અને ‘વેળા વેળાની છાંયડી’ જેવા રૂઢીગત વાક્યપ્રયોગો આવા બદલાવોને અનુલક્ષી ને કરવામાં આવતા રહે છે. બહાદુરશાહ ઝફર, નેપોલીયન અને ઝુલ્ફીકાર અલી ભુટ્ટો જેવા કિસ્સાઓ જગપ્રસિધ્ધ બની રહ્યા છે, જેમાં અપાર સત્તા અને અમાપ સંપત્તિના ભોગવનારાઓને બિલકુલ નિ:સહાય અને લાચાર અવસ્થામાં મૂકાઈ ને બંદિવાન હાલતમાં પોતાના અંતિમ દિવસો ગુજારવા પડ્યા હતા. એકદમ ઝળહળતી કારકિર્દી દરમિયાન બહોળી પ્રસિધ્ધિ અને લોકપ્રિયતાને વરેલાં કલાકારો જીવનના અસ્તાચળે ગુમનામી અને કારમી ગરીબીમાં ક્યારે મોતને ભેટ્યાં એની નોંધ પણ બહુ ઓછાઓએ લીધી હોય એવા દાખલાઓ આપણી સામે છે જ. ખુબ જ  સમૃધ્ધ અને ભર્યાં ભાદર્યાં કુટુંબો વિખેરાઈ ગયાના કિસ્સાઓ પણ ક્યારેક ને ક્યારેક આપણી જાણમાં આવતા રહે છે. પણ કોઈ કોઈ કિસ્સાઓ તો સાવ અલગ જ પ્રકારના હોય છે. અહીં જેની વાત આલેખવાની છે તે એક એવી શખ્સીયતની છે, જેના જીવનમાં આવેલા ઉતારને જાણીએ ત્યારે નવાઈ પામી જવાય! જીવનનાં મહત્વનાં વર્ષો એક વિશ્વવંદ્ય વિભૂતીની સાથે ખભેખભા મીલાવીને સમાજસેવામાં રચ્યાપચ્યા રહેનાર વ્યક્તિએ એનાં આખરી વર્ષો તદ્દન પંગુ, લાચાર અને એકાકી અવસ્થામાં વિતાવવાનો વારો આવ્યો હતો. અનેક દુખીયાંઓના અધિકારો માટે પરદેશી સત્તા સામે વારંવાર બાથ ભીડનાર એ યોધ્ધાને બીરદાવવા તો ઠીક, એની સાથે બેસી અને એની એકલતા હળવી કરવા માટે પણ એનાં આખરી વર્ષોમાં ભાગ્યે જ કોઈ આગળ આવતું. એમના કાર્યરત જીવનની નોંધ બહુ જ મોટા પાયે લેવાઈ છે, પણ એક વાર એમનો સિતારો અસ્તાચળે ઉતરી આવ્યો એ પછી એમણે શી રીતે દિવસો વિતાવ્યા એ વિશે તો એમનાં કુટુંબીજનો અને નિકટનાં સ્વજનોને છોડીને કોઈ જ પાસે કશી જ માહિતી ઉપલબ્ધ નથી.
                  *****      ******      ******      ******      ******
આપણે વાત કરવા જઈ રહ્યા છીએ સુરેન્દ્રરાય બાપુરાય મેઢ વિશે. 


મહાત્મા ગાંધીજીના અંતરંગ વર્તુળમાં રહીને એમની સાથે દક્ષિણ આફ્રીકામાં લડતો ચલાવવામાં અને સત્યાગ્રહો કરવામાં સદાયના સાથીદાર એવા સુરેન્દ્રરાય એ સમયમાં ત્યાંના હિંદી સમાજમાં ખુબ જ લોકપ્રિય આગેવાન બની રહેલા. ગાંધીજીના જીવનને લગતા મોટા ભાગના દસ્તાવેજોમાં આ નામ ઉડીને આંખે વળગ્યા કરે છે. ગાંધીજીની આત્મકથામાં, નારાયણ દેસાઈએ તૈયાર કરેલા ગાંધીજીના જીવનના દસ્તાવેજીકરણ – ‘મારું જીવન એ જ મારી વાણી’ – માં, પ્રભુદાસ ગાંધી લિખીત ‘જીવનનું પરોઢ’માં, જવાહરલાલ નેહરુએ લખેલ Discovery of India’માં અને અન્ય કેટલીય જગ્યાએ એક કરતાં વધારે વાર સુરેન્દ્રરાયનો ઉલ્લેખ જોવા મળે છે. વળી આવા ગ્રંથોમાં એમની તસવીરો પણ મળી આવે છે. સામે પક્ષે એમના અંગત/કૌટુંબિક જીવનના મહત્વના પડાવોની તવારીખ માટે હાલમાં કોઈ જ દસ્તાવેજો ઉપલબ્ધ નથી. બીજું તો ઠીક, એમનાં વારસો પાસે એમની એકાદી તસવીર પણ નથી સચવાઈ. હા, એમનાં એકમાત્ર સંતાન એવાં એમનાં પૂત્રી પાસે ગાંધીજીએ એમની ઉપર લખેલા કેટલાક પત્રો થોકડી સ્વરૂપે સચવાયેલા હતા. એમાંના મોટા ભાગના પત્રો પણ ક્યાં ગતિ કરી ગયા કોણ જાણે, પણ છેવટે ત્રણેક પત્રો હાથવગા રહ્યા હતા. ગાલિબનો પેલો શેર* યાદ આવી જાય એમ, બાદ મરનેકે સુરેન્દ્રરાયકે, (ગાંધીજીકે) ચન્દ ખુતુત, બસ ઘરસે યેહ સામાં નીકલા! એક જમાનાનું આવું સન્માનનીય વ્યક્તિત્વ એકાકી અવસ્થામાં દિવસો વિતાવી રહ્યું હતું એની જાણ એમના ખાડીયામાં આવેલા નિવાસસ્થાનની આસપાસની પોળોના મોટા ભાગના રહેવાસીઓને પણ ન હતી અને જેને જાણ હતી, એને આ ઠરતા ચાલેલા દીવાની કોઈ દરકાર ન હતી.

ઉપર જણાવ્યું એમ સુરેન્દ્રરાયના દક્ષિણ આફ્રીકાના નિવાસ દરમિયાનના જાહેર જીવનને માટે પુષ્કળ સંદર્ભો મળી રહે છે. પણ ત્યાંના કે દેશમાંના તેઓના અંગત કે કૌટુંબિક જીવનની માહિતી મેળવવી એ ધૂળમાંથી સુવર્ણરજ કાઢવા સમાન બની રહ્યું છે. આથી કેટલાંક પ્રકાશનોમાંથી એમના જાહેર જીવન બાબતે અને આધારભૂત વ્યક્તિગત સ્રોતોમાંથી સુરેન્દ્રરાયના વ્યક્તિત્વ ઉપરાંત કૌટુંબિક તેમ જ સામાજિક સંબંધો વિશે મેળવેલી માહિતી વડે એમનું વ્યક્તિચિત્ર ઉપસાવવાની કોશિશ કરી છે.

સને ૧૮૫૮માં અમદાવાદમાં મનવંતીબહેન અને બાપુરાય મેઢના દામ્પત્યજીવન દરમિયાન જન્મેલા સુરેન્દ્રરાય આ દંપતિનાં સાત સંતાનોમાંના એક હતા. દેવીબહેન, પુણ્યવંતીબહેન અને શાંતીબહેન એમ ત્રણ બહેનો તથા જીતેન્દ્ર, સુરેન્દ્ર, ઈન્દ્ર અને નરેન્દ્ર એમ ચાર ભાઈઓમાં સુરેન્દ્રરાય ત્રીજા ક્રમાંકે હતા. એમના પિતા બાપુરાય કાઠીયાવાડી રાજ્યોની દિવાનગીરીમાં કાર્યરત હતા અને એક કરતાં વધુ રજવાડાંઓમાં સેવા આપી ચૂકેલા. બાપુરાયની નિષ્ઠા અને કાર્યક્ષમતાથી ખુશ થઈને એ સમયે અમદાવાદ જીલ્લા (હાલ સુરેન્દ્રનગર જીલ્લા)માં સમાવિષ્ટ રજવાડા ખારાઘોડાના રાજ્યકર્તાઓએ આ કુટુંબને બક્ષિસમાં ત્યાં જમીન આપી હતી. વળી વર્ષાસન રૂપે ચોક્કસ રકમ પણ બાંધી આપી હતી અને આ ઓછું હોય એમ કોઈ પણ એક સમયે એમના કુટુંબનાં ચાર સભ્યોને એ રાજ્યની નોકરીમાં રાખવાની બાહેંધરી પણ આપી હતી. આમ, એ જમાનાનાં ધારાધોરણો મુજબ એમનું કુટુંબ ‘ખાતું પીતું’ હતું. નાની વયથી જ સુરેન્દ્રરાય ખડતલ શારિરીક બાંધો અને મજબૂત મનોબળ ધરાવતા હતા. યુવાની આવતાં સુધીમાં કોઈ અકળ કારણોસર એક વિશિષ્ટ પ્રકારનું વિદ્રોહીપણું એમના વ્યક્તિત્વનો ભાગ બની ગયું.

એમના વિદ્યાભ્યાસ બાબતે ઝાઝી વિગતો મળતી નથી. વળી સને ૧૮૯૮માં એટલે કે ૨૦ વરસની ઉમરે તેમણે દક્ષિણ આફ્રીકાનું વહાણ પકડ્યું એ પરથી ખ્યાલ આવી શકે કે વધુમાં વધુ સુરેન્દ્રરાયે મેટ્રીક પાસ કરી હશે અને કદાચ કૉલેજનું એકાદું વરસ કાઢ્યું હોય! એમના અન્ય ભાઈઓ ચોક્કસ વધુ સારું ભણ્યા હશે કારણ કે એ ત્રણેય સરકારી નોકરીમાં જોડાયા હતા. આમના અલગારી વ્યક્તિત્વના પૂરાવાઓ કુટુંબીજનોને મળવા લાગ્યા જ હતા, એવામાં એ સ્વતંત્ર નિર્ણય લઈ, પરદેશ જતા રહ્યા. આ માટે એમને કોણે પ્રેરણા આપી કે કોણે મદદ કરી, એના કોઈ જ આસાર મળતા નથી. વળી ત્યાં જવા પાછળ એમનો શો ઉદ્દેશ હતો એ બાબતે પણ કોઈ માહિતી નથી મળતી. હા, એવી ધારણા કરી શકાય કે એમને સાંસારિક બંધનોમાં બંધાવું ન હતું અને એ માટેનો શ્રેષ્ઠ રસ્તો એમને પરદેશ જતા રહેવાનો લાગ્યો હોય. ખેર, ત્યાં પહોંચ્યા પછી પણ શરૂઆતના ગાળામાં એ ક્યાં રહ્યા કે ત્યાં ટકી રહેવા માટે શું કર્યું, એ કલ્પનાનો જ વિષય છે. માતા પિતા સાથે પત્રવ્યવહારથી જોડાયેલા રહ્યા હશે પણ એ માટેના આધારો મળતા નથી.

એ દક્ષિણ આફ્રીકામાં ગાંધીજીના સંપર્કમાં ક્યારે આવ્યા, શી ખબર પણ  એ એમના જીવનનો સુખદ અકસ્માત ગણવો રહ્યો. મૂળભૂત રીતે અલગારી સ્વભાવ અને અન્યો માટે શક્ય એટલું ઘસાઈ છૂટવાની એમની વૃત્તિને યોગ્ય માર્ગ મળી ગયો. માણસપારખુ ગાંધીજીએ એમના આ સદગુણો પારખ્યા અને એ ઉપરાંત એમનો મજબૂત શારિરીક બાંધો તેમ જ પોતાની માન્યતાઓમાંથી સહેલાઈથી વિચલીત નહીં થવાની એમની લાક્ષણીકતા તે સમયની ત્યાંની ગોરી સરકાર સામે લડવામાં ખુબ જ ઉપયોગી નીવડે એ ગાંધીજીએ જાણી લીધું. આ ઉપરાંત એમની પ્રામાણિકતા, નિષ્ઠા અને અસાધારણ બુધ્ધિમતા વડે સુરેન્દ્રરાય બહુ ઝડપથી ગાંધીજીથી ખુબ જ નિકટ આવી ગયા અને એમના અંતરંગ વર્તૂળમાં ભળી ગયા. આવા જ સમયગાળામાં એમણે આજીવન અપરિગ્રહ અને બ્રહ્મચર્યનું પાલન કરી, સાંસારિક માયાજાળમાં લપેટાયા વિના સમાજસેવાને સમર્પિત થઈ રહેવાનું વ્રત લઈ લીધું હોવું જોઈએ. જ્યારે જ્યારે પણ માતા પિતા એમને દેશમાં પરત થઈ લગન કરી લેવા માટે લખતાં ત્યારે એમણે કોઈને કોઈ રીતે એ વાતને ટાળ્યા જ કરી.

 સને ૧૮૯૯થી ૧૯૦૨ દરમિયાન ચાલેલા બોર-એંગ્લો યુધ્ધના સમયગાળામાં હજી જીવનની પચ્ચીશી પૂરી ન કરનારા સુરેન્દ્રરાયે ઘવાયેલા સૈનિકોને મલમપટ્ટા કરી, જરૂર પડે તો ઉંચકીને અથવા સ્ટ્રેચરમાં સુવડાવીને હોસ્પિટલે પહોંચાડવાની કામગીરી કરી, જે ભારે પ્રશંસા પામી. આનું પરિણામ એ આવ્યું કે સને ૧૯૦૬ના ઝૂલુ બળવા વખતે ગાંધીજીના નેતૃત્વમાં એમણે આ જ પ્રકારની કાર્યવાહિમાં જોડાવાનું આવ્યું. આ વખતે સરકારે ગાંધીજીની મદદ સ્વીકારી હતી અને એમની સાથે જોડાનારા સ્વયંસેવકોને કેટલીક સગવડો તેમ જ ભથ્થું આપવાનું પણ નક્કી કર્યું હતું. ડર્બન ખાતે ગાંધીજી સહિત કુલ ૨૦ જણાની પસંદગી થઈ હતી. એ લોકોને એક અરસા સુધી તાલિમ આપવામાં આવી અને તા.૨૨/૦૬/૧૯૦૬ની સવારે એ ટૂકડી ડરબનથી સ્ટેન્ગર નામના સ્થળે જવા રવાના થઈ. એમાં ગાંધીજીને સાર્જન્ટ મેજર અને સુરેન્દ્રરાયને સાર્જન્ટની પદવી આપવામાં આવી હતી. ખુબ જ નિષ્ઠાથી કામગીરી પૂરી કરીને આ ટૂકડી જ્યારે સ્ટેન્ગરથી પાછી ડરબન જવા નીકળી, ત્યારે રસ્તામાં ઠેરઠેર લોકોએ એ સેવકોનું સ્વાગત અને સન્માન કર્યું હતું. આવી મહત્વની કામગીરી કરવા ઉપરાંત સુરેન્દ્રરાય કોઈ ને કોઈ રીતે શોષિતોના હક્કની લડાઈઓ લડવામાં તો ખરા જ, સાથે સાથે અન્ય કોઈ પણ પ્રકારની કામગીરી માટે એક સમર્પિત સાથીદાર તરીકે ઉપલબ્ધ રહેતા હતા.
બેઠેલાઓમાં છેક ડાબે મેઢ, વચ્ચે ગાંધીજી
 
ગાંધીજી સ્વામી વિવેકાનંદની વિચારસરણી વડે ખાસ્સા પ્રભાવિત હતા. સ્વામીજી કહેતા કે યુવાનોએ શારિરીક ક્ષમતા કેળવવા અને એને ટકાવી રાખવા માટે કસરત ઉપરાંત વિવિધ રમતગમતોનો આશરો લેવો જોઈએ. ગાંધીજીએ આ વાતને પોતાના સાથીદારો પાસે મૂકી. એ સમયે દક્ષિણ આફ્રીકામાં ફૂટબોલની રમત ખાસ્સી લોકપ્રિય હતી અને તેથી ગાંધીજીએ સુરેન્દ્રરાય જેવા સહયોગીઓની મદદથી સને ૧૯૦૪માં જોહાનીસબર્ગમાં ‘પેસીવ રેઝીસ્ટર્સ’ નામે એક ફૂટબોલ ક્લબની સ્થાપના કરી. 


સુરેન્દ્રરાય પોતે એક સારા ખેલાડી નીવડ્યા. આ ક્લબના ખેલાડીઓ કોઈને કોઈ રીતે સરકારના દમનનો ભોગ બનેલા હતા અને તેથી મજાકમાં કહેવાતું કે ફૂટ્બોલને પડતી પ્રત્યેક લાત સરકારની અન્યાયી નિતીઓને મારવામાં આવતી હતી. આવા જ અરસામાં સુરેન્દ્રરાય ગાંધીજીના અંતેવાસી સમાન બની ગયા. ગાંધીજી થોડો થોડો સમય ફીનીક્સ આશ્રમમાં અને ટોલ્સટોય ફાર્મમાં રહેતા હતા. સુરેન્દ્રરાય એમની સાથે જ ફરતા રહેતા અને જે તે જગ્યાએ ગાંધીજી સોંપે તે પ્રવૃત્તિ કરતા રહેતા હતા. ખાસ કરીને ટોલ્સટોય ફાર્મમાં રહેતા સત્યાગ્રહીઓનાં બાળકો માટે ગાંધીજીએ આશ્રમશાળાની વ્યવસ્થા કરી હતી એમાં સુરેન્દ્રરાયે બહુ જ ખંતથી ભણાવવાનું કાર્ય લાંબા સમય સુધી કર્યું. આ વાતની પ્રતિતી ગાંધીજીએ એમને સેવાકાર્યો અને કક્ક માટેનાં સત્યાગ્રહો અને લડતો માટે આર્થિક ટેકો કરનારા રતન ટાટાને તા. ૦૧/૦૪/૧૯૧૨ના રોજ લખેલા પત્ર વડે થાય છે. ગાંધીજી લખે છે, “કદાચ લડતનું સૌથી ઉપયોગી બળ તે ફાર્મમાં સ્થપાયેલી નિશાળ છે. અત્યાર સુધી બે અડગ સત્યાગ્રહી, સર્વશ્રી મેઢ અને દેસાઈની મદદથી ચલાવું છું.” સાથે સાથે ત્યાંના પ્રકાશન ‘ઈન્ડીઅન ઓપીનીઅન’ને માટે દરેક કક્ષાએ સેવા આપી  હતી.

સને ૧૯૦૮માં ત્યાંની સરકારના કેટલાક અમાનૂષી કાયદાઓ સામે પ્રતિકાર કરતા સત્યાગ્રહીઓને તડીપાર કરવામાં આવ્યા હતા. આના વિરોધમાં યોજાયેલી ‘ટ્રાન્સવાલ કૂચ’માં તેઓ મોખરાની હરોળમાં હતા અને એ કૂચના સફળ સંચાલનમાં આગેવાની લીધી હતી. આ અને આવા અન્ય દેખાવોમાં જોડાઈને એમણે બધું મળીને અગિયાર વખત જેલવાસ વેઠ્યો હતો. વળી આવા જેલવાસ દરમિયાન બે વાર આઠ આઠ દિવસના ઉપવાસ પણ કર્યા હતા. આ બધી ગતિવિધીથી એ ગાંધીજીના કેટલા સ્નેહભાજન બની રહ્યા હશે એ બે ઉદાહરણોથી પ્રતિપાદિત થાય છે. સને ૧૯૧૧માં જ્યારે ગાંધીજીએ પોતાના પુIત્ર હરિલાલને બારિસ્ટરી ભણવા માટે પરદેશ જવાની સગવડ ન અપાવી અને એ શિષ્યવૃત્તિ અન્ય કોઈને ફાળવી આપવાનો આગ્રહ રાખ્યો ત્યારે એમનો તર્ક એ હતો કે પોતાના અંગતને લાભ અપાવવો એ નૈતિક ન હતું. આ બાબતે પારાવાર મનદુ:ખ લઈ, હરિલાલ ગૃહત્યાગ કરી ગયા. એ સમયે સુરેન્દ્રરાયે પારાવાર રખડપટ્ટી કરી, હરિલાલના સગડ મેળવી, એમના ખબર ગાંધીજીને આપી ને  એમને શાતા પહોંચાડી હતી. એ પછી ગાંધીજી હરિલાલને પત્ર લખ્યો હતો, જેનું એક વાક્ય બહુ સૂચક છે....”હું મેઢને બારીસ્ટર થવામાં ઉત્તેજન ન આપું, તો તમને શેં આપું?” આ વાક્ય પરથી બે તારણો નીકળી શકે છે. એક તો એ કે ગાંધીજી મેઢને પોતાના એટલા અંગત ગણવા લાગ્યા હતા કે જેમ હરિલાલને તે જ રીતે તેઓ મેઢને પણ કોઈ વિશેષ લાભ આપવા ઈચ્છતા નહોતા. વળી સુરેન્દ્રરાય ગાંધીજીના અન્ય દીકરા મણિલાલના ગાઢ મિત્ર બની ગયા  હતા. આથી એમનાથી દસેક વર્ષે મોટા ગાંધીજી એમને પુત્રવત ગણતા હશે. બીજું તારણ એ મળે છે કે સુરેન્દ્રરાય ભારતથી નીકળતાં પહેલાં કમસે કમ મેટ્રીકની પરીક્ષા સફળતાથી પસાર કરીને જ નીકળ્યા હોવા જોઈએ, અન્યથા ગાંધીજીએ એમના નામનો બારીસ્ટરી ભણવા માટે ક્ષણભર પણ વિચાર ન કર્યો હોત.  

 સને ૧૯૧૦ના ઑક્ટોબર મહિનામાં સુરેન્દ્રરાય એક સત્યાગ્રહના કાર્યક્રમમાં રોકાયેલા હતા, એવામાં એમની ઉપર એમના પિતાનો પત્ર આવી પડ્યો. આ પત્ર બહુ દારૂણ ખબર લઈને આવ્યો હતો. એમની એક બહેન ત્રણ નાનાં બાળકોને મૂકીને અવસાન પામી હતી. આવા કપરા સંજોગોમાં પુત્ર પોતાની સાથે આવીને થોડો સમય ગુજારે એવી અપેક્ષા સ્વાભાવિક રીતે જ મા બાપની હોય. પણ સુરેન્દ્રરાય કલાકો સુધી રડીને આવો કારમો ઘા પચાવી ગયા અને પાછા ‘જેલ ભરો’ આંદોલનમાં જોડાઈ ગયા. સને ૧૯૧૨માં ગાંધીજીના કહેવાથી એ થોડા સમય માટે અમદાવાદ જવા નીકળ્યા ત્યારે એમને માટે ભવ્ય વિદાય સમારંભ યોજાયો હતો, જેમાં ગાંધીજીએ ભાવસભર પ્રવચન કર્યું હતું. એ જ અરસામાં ગાંધીજીએ હેનરી પોલોકને લખેલા એક પત્રમાં નીચે મુજબ લખાણ છે, “મેઢ બહાદુર માણસ છે, બીજાઓએ એમનો દાખલો લેવાની જરૂર છે”. શક્ય છે કે જે રીતે મેઢ પોતાના કુટુંબમાં સર્જાયેલી કરુણ ઘટનાને જીરવી જઈ, સત્યાગ્રહની લડતમાં ટકી રહ્યા એ જોઈને ગાંધીજી આવું લખવા પ્રેરાયા હોય.

ખેર, એ અમદાવાદમાં રોકાયા એ દરમિયાન એમણે કૌટુંબિક બાબતોમાં જરૂરી રસ લઈ, માતા પિતાના દુ:ખને હળવું કરવા પ્રયત્ન કર્યો હતો. પણ એ બન્નેની અપેક્ષા ૩૫ વરસનો થવા આવેલો દીકરો પોતાનો સંસાર માંડી લે અને પછી એ જવાબદારી સહિત અન્ય જે પ્રવૃત્તિ કરવી હોય તે કરે એવી હતી. આથી આ બાબતની ચર્ચા વારંવાર થયા કરતી હશે. આ બાબતે એમણે અમદાવાદમાં રહ્યે રહ્યે ગાંધીજીને પત્રો લખી, પોતાની વ્યથા વ્યક્ત કરી હશે કારણકે એ જ સમયગાળા દરમિયાન ગાંધીજી એમના પરિચીત વર્તૂળમાં એવું કહેતા નોંધાયા છે કે મેઢને એમનાં મા બાપ સંસારમાં પરોવીને જ જંપશે. જો કે એવું કંઈ બને એ પહેલાં તો સુરેન્દ્રરાય પાછા દક્ષિણ આફ્રીકા ગાંધીજી પાસે પહોંચી ગયા. સને ૧૯૧૩માં એક આશ્ચર્યજનક કાર્યક્રમના ભાગરૂપે એમણે ફળોના વેપારીનો પાઠ ભજવ્યો! એક હાથલારીમાં ફળો ભરી, એ લારીને ઠેલતા ઠેલતા જોહાનીસબર્ગની કૉર્ટના મુખ્ય દરવાજા પાસે ઉભી કરી દીધી. આમ કરવામાં એમનો હેતુ કૉર્ટના કામમાં દખલ ઉભી કરવાનો અને એમ કરીને ધરપકડ વ્હોરી લેવાનો હતો. જો કે આ વખતે એમનો હેતુ બર ન આવ્યો. એમને પકડવામાં ન આવ્યા અને આખરે સાંજ સુધી ત્યાં ઉભા રહ્યા પછી લારી લઈને પાછા ગયા.

સને ૧૯૧૫ના ફેબ્રુઆરી મહિનામાં ગાંધીજી ભારત આવ્યા. હવે એમને પોતે દક્ષિણ આફ્રીકામાં સફળતાપૂર્વક ઉપયોગે લીધેલાં શસ્ત્રો - સવિનય કાનૂનભંગ અને સત્યાગ્રહ - વડે ભારતમાંના અંગ્રેજી શાસન સામે લડત ચલાવવી હતી. આની પૂર્વતૈયારી રૂપે સુરેન્દ્રરાય ગાંધીજીથી અગાઉ અમદાવાદ પહોંચી ગયા. ગાંધીજી પહેલી ફેબ્રુઆરીના રોજ અમદાવાદ આવ્યા અને બીજી ફેબ્રુઆરીએ એમણે સુરેન્દ્રરાયના આકાશેઠની પોળના મકાનના ઓટલા ઉપરથી સૌ પ્રથમ વાર ઐતિહાસિક ભાષણ આપ્યું હતું.
 એ ભાષણમાં ગાંધીજીએ કહ્યું હતું, “મારી સત્યાગ્રહની લડત ચલાવવામાં અને દુ:ખ ભોગવનાર અત્રેના જ વતની મિ. સુરેન્દ્રરાય મેઢ હતા દક્ષિણ આફ્રીકામાં મેં જે કાંઈ પણ કર્યું તે માટે મારું સન્માન નહીં પણ મેઢનું  કરવું જોઈએ”.


એ રાતનું ભોજન પણ એમણે સુરેન્દ્રરાયના ઘરે જ લીધું હતું. ભારતમાં રહીને કામ કરવાનો ઈરાદો ધરાવતા ગાંધીજી હવે દક્ષિણ આફ્રીકા જવાના ન હતા. ત્યાંનું બધું કાર્ય સુપેરે ચાલ્યા કરે એની વ્યવસ્થા એ ગોઠવીને આવ્યા હતા.  એ યોજનાના ભાગ રૂપે સુરેન્દ્રરાય પાછા ગયા અને ત્યાંના ટોલ્સટોય ફાર્મમાં ચાલતી અનેકવિધ પ્રવૃત્તિઓ ચલાવવામાં ફાળો આપવાનું ચાલુ રાખ્યું. કાળક્રમે વધુ ને વધુ વૃધ્ધ તેમ જ નિર્બળ થતાં જતાં માબાપનું ધ્યાન રાખવા માટે તો અન્ય ત્રણ દીકરાઓ અને ત્રણ દીકરીઓ પોતપોતાનાં જીવનસાથીઓ સહિત ઉપલબ્ધ હતાં જ પણ એ વૃધ્ધજનોને પોતાના આ અલગારી દીકરાની ચિંતા સતત સતાવ્યા કરતી હતી. આથી એ લોકો જ્યારે અને ત્યારે સુરેન્દ્રરાય ઉપર પોતાનો સંસાર વસાવી લેવા માટે લાગણીસભર દબાણ કર્યા કરતાં હતાં. આખરે સને ૧૯૧૮માં ૪૦ વરસના સુરેન્દ્રરાય ભારત આવ્યા અને લગ્નગાંઠે બંધાયા. એમનાં પત્નિ શશીકળાગૌરી સુરતનાં હતાં સ્વાભાવિક રીતે જ બન્નેની ઉમરમાં બહુ મોટો તફાવત રહ્યો હશે.

અત્યાર સુધી મહદ્ અંશે એક આદર્શ સત્યાગ્રહી, નિષ્ઠાવાન લોક્સેવક, અક્ષુણ્ણ ચારિત્રધારી, અપરિગ્રહી અને ગાંધીજીના સમર્પિત સાથીદાર સુરેન્દ્રરાયના જાહેર જીવન વિશે વાત થઈ છે. હવે એમના અંગત તેમજ કૌટુંબિક જીવનની વાત માંડીએ. અગાઉ ઉલ્લેખ થયા મુજબ નાની વયથી જ સ્વતંત્ર વિચારસરણી અને અલગારી સ્વભાવ  ધરાવનારા સુરેન્દ્રરાય યુવાવસ્થાના શરૂઆતના દોરમાં જ પરદેશ ચાલ્યા ગયા. એકદમ આદર્શવાદી માનસિકતા સાથે પુખ્ત થતા જતા એમને ગાંધીજી જેવા યુગપુરૂષ સાથે રહેવાનો મોકો સાંપડ્યો. એ સમજી શકાય એમ છે કે સામાન્ય સાંસારીક માણસ અને ગાંધીજી સાથે આશ્રમજીવન જીવી રહેલા માણસના આચાર અને ખાસ તો વિચારમાં આસમાન જમીનનો તફાવત હોય. વળી કોઈ પણ પ્રકારની સાંસારીક જવાબદારીઓ વગર માત્ર અને માત્ર જાહેર કાર્યો જ કરવાનાં હોય અને સતત પોતાને અને અન્યોને થતા અન્યાયો સામે લડતા રહેવાનું હોય, એવા સંજોગોમાં યુવાની વટાવી ચૂકેલા સુરેન્દ્રરાય જ્યારે લગ્નજીવનમાં પ્રવેશ્યા ત્યારે એમની સમાધાન કરવાની વૃત્તિઓ લગભગ નિર્મૂળ થઈ ચૂકી હશે. મૂળ તો કમને જ સંસારમાં દાખલ થયેલા અને એ પગલાને લીધે પોતાની બે પ્રતિજ્ઞાઓ – બ્રહ્મચર્ય અને અપરિગ્રહ - સાથે સમાધાન કરવું એમના માટે અઘરું બની રહ્યું હશે. બીજી તરફ એમનાં પત્નિ સુરતના એ જમાનાના સુખી કુટુંબનાં દીકરી હતાં. તે ખુબ જ દેખાવડાં હતાં. આજથી બરાબર એક શતક પહેલાંનાં સુરતીઓ અમદાવાદીઓની સરખામણીએ વધુ આધુનિક હતાં અને નાની વયે મા ગુમાવી બેઠેલાં શશીકળાને કુટુંબીજનોએ ખુબ જ લાડપ્યારથી ઉછેર્યાં હતાં. લાક્ષણિક સુરતી લહેરીપણું એમના સાસરામાં પણ છતું થવા લાગ્યું. એમનાં સાસરીપક્ષનાં સભ્યો એકદમ રૂઢીચુસ્ત હતાં, જ્યાં ઘરની સ્ત્રીઓએ માથે ઓઢી રાખવું ફરજીયાત હતું. વડીલોની હાજરીમાં પતિ પત્નિને સાથે ઉભાં રહેવાની પણ છૂટ ન હતી. એ જ રીતે સ્ત્રીઓને ઘરમાં વડીલો હોય ત્યારે એકદમ ધીમા અવાજે અને એ પણ અનિવાર્ય હોય તો જ બોલવાનો ધારો હતો. આ બધાથી અજાણ શશીકળા તો મોટાંઓની કોઈ જ પરવા રાખ્યા વિના મોટા અવાજે ગીતો ગાવાં, સૌની હાજરીમાં હિંચકે બેસી, પાન ખાવાં અને અન્ય એવી એવી પ્રવૃત્તિઓ કરતાં, જે બાબત આ કુટુંબનાં નાનાં મોટાં સૌ સભ્યો માટે આંચકારૂપ અને સંપૂર્ણપણે અસ્વીકાર્ય હતી. ઘરકામમાં પણ એમનું ઝાઝું ચિત્ત ન રહેતું. અલબત્ત, આને એમની જબરાઈ કરતાં નિર્દોષતા ઠેરાવવી વધુ વ્યાજબી ગણાશે.
આ દંપતીની વચ્ચેના ઉમરના, સ્વભાવના, સમજણના અને વર્તનના તફાવતોને પરિણામે એ બન્ને વચ્ચે સાયુજ્ય કેળવાય એ સમય માંગી લેનારી બાબત હતી. પણ એ માટેના પ્રયત્નો કર્યા વિના સુરેન્દ્રરાય ઘરમાં નવી નવી આવેલી પત્નિને મૂકીને પાછા દક્ષિણ આફ્રીકા ચાલ્યા ગયા. પાછળ રહી ગયેલાં શશીકળાને સાસરામાં ગોઠવાવાનું વધુને વધુ અઘરું બનતું ચાલ્યું. શ્વસૂરપક્ષનાં કેટલાંક સભ્યોએ એમને કુટુંબની મુખ્ય ધારામાં વાળવાના પ્રયત્નો કરી જોયા પણ એનાથી ઝાઝો ફેર ન પડ્યો. આખરે મહેણાં ટોણાં અને વઢામણનો દોર શરૂ થયો. આને લીધે એ ધીમે ધીમે હતાશામાં ડૂબવા લાગ્યાં. વચ્ચે વચ્ચે સુરેન્દ્રરાય આવે ત્યારે પણ પરિસ્થિતી લગભગ એવી જ રહેતી. ત્રણ વર્ષના તૂટક તૂટક લગ્નજીવનમાં બે બાળકો થયાં, જેમાંનું એક તો એકાદ મહિનામાં જ અવસાન પામ્યું. સને ૧૯૨૧માં પૂત્રીનો જન્મ થયો અને એ પછી થોડા જ સમયગાળામાં શશીકળાગૌરીની માનસીક સમતુલા જોખમાઈ રહી હોવાનો સૌને ખ્યાલ આવવા લાગ્યો. અગાઉથી ચાલી આવતી હતાશા અને અત્યારનું મેડીકલ વિજ્ઞાન જેને Postpartum Syndrome – પ્રસૂતીપશ્ચાતની હતાશા – તરીકે ઓળખે છે એ બન્નેની અસર હેઠળ એ પાગલપનને આરે પહોંચી ગયાં. જો કે આવી હાલતમાં ય સુરેન્દ્રરાય તો પત્નિને અને નાની દીકરીને મૂકીને દક્ષિણ આફ્રીકા જતા રહ્યા!
પત્નિ શશિકળા અને પુત્રી રશ્મીબાળા સાથે

હવે જે બે પાત્રોની વાત આવે છે તે હતાં સુરેન્દ્રરાયનાં બહેન શાંતિબહેન અને એમના પતિ દિનકરરાય ધ્રુવ. આ દંપતિએ અત્યંત પ્રેમ અને ધીરજથી કોઈ જ અપેક્ષા વિના સાવ સુનમુન બેસી રહેતાં શશીકળા અને એમની નાનકડી દીકરી રશ્મિબાળાને અપનાવી લીધાં. સુરેન્દ્રરાય પત્રોથી સંપર્ક જાળવી રાખતા હતા અને બેત્રણ વર્ષે આંટો આવી પણ જતા હતા. પોતાની સાંસારીક જવાબદારીઓ ઉભી થઈ હોવા છતાં એમની ઓલિયાગીરીમાં બદલાવ આવ્યો નહતો. હજી એ આફ્રીકામાં આર્થિક ઉપાર્જન કર્યા કરતાં વધુ સમય લોકોપયોગી કાર્યો માટે ખર્ચતા હતા. જો કે ત્યાંથી જ્યારે કોઈ પરિચીત અમદાવાદ આવે ત્યારે જે થોડી ઘણી બચત થઈ હોય એ બહેનને મોકલી આપતા. એ જ રીતે પોતે આવે ત્યારેય રોકડ બહેનના હાથમાં મૂકીને જતા. કેટલીક વાર સોનાની ગીનીઓ પણ આપી જતા. એમનાં આ ઉદારચરિત બહેન અને બનેવીએ સંપૂર્ણપણે બિનકાર્યક્ષમ ભાભીને સાચવ્યાં અને ભત્રીજીને જાતની દીકરી જેમ જ ઉછેરી. પોતાનાં પાંચ સંતાનો સાથે એ દીકરીનો ઉછેર એવો કર્યો કે એ બે ભાઈઓ અને ત્રણ બહેનો વત્તા રશ્મિબાળાની ત્રણ ત્રણ પેઢી સુધી એવો ને એવો ઉષ્માભર્યો સંબંધ ટકી રહ્યો છે. સામાન્ય રીતે આવી રીતે મોસાળમાં બાળકો ઉછરી ગયાં હોવાનાં અનેક ઉદાહરણો મળી આવે, પણ આજથી નેવું વરસ પહેલાંના સમાજમાં એક પુરૂષની અભાન સ્ત્રી અને એની પૂત્રીને એનાં બહેન અને બનેવી વર્ષો સુધી સાચવી લે એવો કદાચ આ અસાધારણ દાખલો હશે. સુરેન્દ્રરાય જે સોનાની ગીનીઓ આપી જતા એ શાંતિબહેને સાચવી રાખી હતી અને રશ્મિબાળાના લગ્નપ્રસંગે એનો ઉપયોગ કર્યો

સને ૧૯૩૮માં પૂત્રીનાં લગ્ન કરાવવા સુરેન્દ્રરાય જ્યારે અમદાવાદ આવ્યા ત્યારે એમણે પહેલી વાર પોતાની જવાબદારી સ્વીકારી અને પ્રસંગ પોતાના ઘરેથી ઉજવવાનું નક્કી કર્યું. એ મુજબ વડોદરાના રહેવાસી અને વકિલાતની સનદધારી રઘુવીર ભાનુપ્રસાદ મુન્શી સાથે રશ્મિબાળાનું દામ્પત્ય શરૂ થયું. આ પ્રસંગે ગાંધીજીના દીકરા મણિલાલ ગાંધીએ હાજરી આપી હતી. વળી નવદંપતિને દિલ્હી ફરવા આવવા ઈજન આપ્યું હતું અને એ બન્ને ત્યાં ગયાં ત્યારે એમને ઉતરવાની તેમ જ ફરવાની સોઈ કરાવી આપી હતી. એ પછી હરીપુરા ખાતે આયોજિત કોંગ્રેસ અધિવેશનમાં પણ એ દંપતિને ગાંધીજીએ બોલાવીને બે દિવસ રાખ્યાં હતાં.

 આ પછી સુરેન્દ્રરાય આફ્રીકા પાછા જતા રહ્યા. એમણે પૂરી સમર્પિતતાથી સને ૧૯૫૦ સુધી ટોલ્સટોય ફાર્મ ઉપર પોતાની સેવા આપવાનું ચાલુ રાખ્યું હતું. એ દરમિયાન જુલાઈ ૧૯૪૫માં ગાંધીજીએ એમને ફિનિક્સ આશ્રમના ટ્રસ્ટીમંડળમાં સ્થાન આપ્યું હતું. આમ, ગાંધીજીની અનઉપસ્થિતીમાં પણ એ ત્યાંની પ્રવૃત્તિઓ ચલાવવામાં રચ્યાપચ્યા રહેતા. વળી એ ગાંધીજીની સૂચનાથી બે વાર થોડો થોડો સમય લંડન પણ ગયા હતા. ત્યાં શી પ્રવૃત્તિ કરી એ બાબતે કોઈ માહિતી મળતી નથી.  ગાંધીજીની હત્યા સમયે સુરેન્દ્રરાય આફ્રીકામાં હતા. એમણે ખાસ સગવડ ઉભી કરી, ગાંધીજીનાં અસ્થિ ત્યાં મંગાવી, એને ત્યાંના રામમંદીરમાં પધરાવ્યાં હતાં. 


આ તબક્કે એ નોંધ લેવી રહી કે શરૂઆતનાં વર્ષોમાં બહેન અને બનેવીએ જેમ એમનાં પત્નિને સાચવ્યાં એમ જ લગ્ન થયા પછીનાં વર્ષોમાં દીકરી અને જમાઈએ સાચવ્યાં હતાં. શશીકળાગૌરીની ઉમર વધવાની સાથે એમની માનસિક અવસ્થા વધુ ને વધુ બગડતી ચાલી. એ સાથે શારિરીક તકલીફો પણ જોડાઈ. એવી બધી જ તકલીફો સાથે પણ એમની સંભાળ કોઈ નાના બાળકની લેવાય એ રીતે લેવાયા કરી. એ રીતે સમગ્ર પરિસ્થિતીને મૂલવતાં કહી શકાય કે એમનું મગજ અસ્થિર ભલે હતું, એમનું ભાગ્ય આજીવન ખુબ જ સ્થિર ટકી રહ્યું!
 સુરેન્દ્રરાય ભારતમાં હોય કે આફ્રીકા, એમને તો પત્નિની કશી દરકાર હતી જ નહીં. એ જ રીતે એમનાં પત્નિ કે દીકરી જમાઈ કે અન્ય કુટુંબીજનોને એમના દેશમાં હોવા કે ન હોવાથી કશો જ ફેર પડતો ન હતો. આ રીતે જોઈએ તો સુરેન્દ્રરાયે પોતાના કુટુંબના ભોગે સમાજસેવાનું ભગીરથ કાર્ય કર્યું એમ કહીએ તો એ સત્યથી બહુ વેગળું ન કહેવાય. કદાચ આ સ્તરના સમાજસેવક માટે એ સ્વાભાવિક હશે, પણ દુન્યવી દ્રષ્ટીએ એ બહુ વ્યવહારૂ અને સ્વીકાર્ય નહતું. એમનો સ્વભાવ એકદમ મનસ્વી અને સ્પષ્ટવક્તા તો હતો જ, ધીમે ધીમે એમાં ગુસ્સો પણ ભળી ગયો હતો. આને કારણે એ અન્ય લોકોની જ નહીં, સ્વજનોની અને કુટુંબીઓની લાગણી જાણ્યે અજાણ્યે ગુમાવી રહ્યા હતા. જો કે ઉમર પણ એનું કામ કરી રહી હતી. ડાયાબીટીસ લાગુ પડ્યાની જાણ આફ્રીકામાં રહ્યે રહ્યે જ થઈ ચૂકી હતી. તદ્દન એકલા રહીને તબિયત સંભાળવાનું વધુ ને વધુ મુશ્કેલ બનતું ચાલ્યું. આવા સંજોગોમાં એમને ઘરવાપસીના વિચારો આવવા શરૂ થયા હશે પણ તોયે એમણે ખેંચ્યે રાખ્યું. અગાઉ સને ૧૯૩૬માં એક માર્ગ અકસ્માતમાં એમના એક પગને ખુબ જ નુકસાન પહોંચ્યું હતું.  છેવટે સને ૧૯૫૨માં એ જ પગમાં ડાયાબીટીસની આડઅસરરૂપે Thromboangitis obliterans નામે ઓળખાતી બીમારી લાગુ પડી, એ વકરતી ચાલી અને એમાંથી ગેન્ગ્રીન થઈ, પગ સડવાની અને છેવટે કપાવવાની નોબત આવી.

બસ, જે વસાહતીઓ માટે સુરેન્દ્રરાયે તન, મન અને ધન ખર્ચી નાખ્યાં હતાં એમાંના જ કેટલાકે એમને પહેર્યે કપડે ભારત આવતી સ્ટીમરમાં બેસાડી, એમનાં સ્વજનોને એ બાબતે ટપાલ લખી જાણ કરી દીધી. લગભગ બે મહિનાની દરિયાઈ મુસાફરી પગની પારાવાર પીડા અને અકથ્ય શારિરીક નબળાઈ સાથે વિતાવ્યા પછી એ મુંબઈ પહોંચ્યા ત્યારે એમનાં ભાણેજોએ એમને અમદાવાદ સુધી પહોંચાડવાની કાળજી લીધી હતી. અમદાવાદમાં એમનાં દીકરી જમાઈએ એમને વાડીલાલ સારાભાઈ હોસ્પીટલમાં સારવાર અપાવવાની શરૂ કરી પણ અંતે ગેન્ગ્રીનના સકંજામાં સપડાઈ ગયેલા પગને કાપી નાખવો પડ્યો. બસ, આ અંતની શરૂઆત હતી. આ ઘટના એક ગરુડની પાંખો કપાઈ ગયાથી સહેજેય ઓછી હ્રદયવિદારક નહતી. અત્યાર સુધીની જીંદગીનાં ૭૪ વર્ષ પોતાની શરતોએ જીવી, અન્યો માટે ખરપાઈ ગયેલા સુરેન્દ્રરાયને પંગુતા વેઠવાના દિવસો આવ્યા. હવે જ્યારે એમને કુટુંબ અને સગાં સંબંધીઓ માટે વખત જ વખત હતો ત્યારે એ લોકોની પ્રાથમિકતાઓ બદલાઈ ચૂકી હતી.

હવે એમણે પોતાના નાનાભાઈ અને એમનાં પત્નિની સાથે સ્નેહથી વર્તવાનું શરૂ કરી દીધું હતું. જ્યારે જ્યારે મળવાનું થાય ત્યારે એમને માથે ઓઢવાની પ્રથા છોડી દેવા અનુરોધ કરતા રહેતા હતા. એટલું જ નહીં, પોતાની સામે હિંચકે બેસાડી, પોતે બનાવેલ પાન ખવડાવતા હતા. કદાચ ચાર દાયકાઓ પહેલાં શશીકળા સાથે જે થયું, એને તો ‘ન થયું’ ન કરી શકાય, પણ આ રીતે એ પોતાનાં વડીલોએ પત્નિને કરેલા અન્યાયનું સાટું વાળી રહ્યા હતા. આ બધા માટે હવે ઘણું મોડું થઈ ગયું હતું. પંગુતાને લીધે પોતાનું બહાર નીકળવું શક્ય નહતું રહ્યું. જૂજ અપવાદોને બાદ કરતાં એમને મળવા કોઈ આવતું પણ નહતું. એમના અંતિમ દિવસોમાં એમને જોનારાંઓ કહે છે કે એ પોતાના મકાનના ઉપરના માળે આવેલી રવેશમાં એકલા અટુલા શૂન્યમાં તાકતા બેસી રહેતા. જીવનનો મોટો હિસ્સો એક યુગપુરૂષની સાથે પરદેશની ધરતી ઉપર રહીને સતત અન્યાયો સામે લડત ચલાવવામાં એમણે જે શારિરીક કષ્ટો વેઠ્યાં એને પોતે ક્યારેય ગણકાર્યાં નહીં પણ હવે એ કષ્ટો તો કોઈ વિસાતમાં નહીં એવી તકલીફો એમના જૈફ શરીરને ઘેરી વળી હતી. ગાંધીજીના સાથીદાર હોવાને નાતે એક જમાનામાં એ જ્યારે અમદાવાદમાં હોતા ત્યારે એમની મુલાકાતો સરદાર વલ્લભભાઈ પટેલ, ઈન્દુલાલ યાજ્ઞિક, ગણેશ માવલંકર, કસ્તુરભાઈ લાલભાઈ અને મંગળદાસ ગિરધરદાસ જેવા મહાનુભાવો સાથે થયા કરતી. એને બદલે હવે એવો સમય આવ્યો કે પોળમાં પસાર થતા કોઈ માણસને પણ ઉંચું જોઈને એમના ‘કેમ છો’નો જવાબ આપવાની દરકાર નહતી રહી.
પથારીવશ સુરેન્દ્રરાય્

સને ૧૯૫૮માં એમનું અવસાન થયું. કુટુંબીજનો પાસે ચોક્કસ તારીખ નથી સચવાઈ, પણ એ દિવસે શિવરાત્રી હતી એ નોંધાયેલું છે. એ રીતે ગણીએ તો એ ફેબ્રુઆરી/માર્ચનો એકાદ દિવસ હશે એમ માની શકાય. ખેર, આ જીવની ઉપરથી એટલું સમજી શકાય કે સમર્પિત અને ભેખધારી સમાજસેવકને માટે પોતાના જાહેર અને અંગત જીવન વચ્ચે સમતુલા જાળવવી લગભગ અશક્ય છે. સુરેન્દ્રરાય મેઢને માતા પિતાએ પરાણે લગ્નના બંધનમાં જોડ્યા ન હોત તો કે પછી સુરેન્દ્રરાયે લગ્નની બેડી સ્વીકાર્યા પછી પત્નિને પ્રેમથી અને આદરથી સ્વીકાર્યાં હોત તો કે પછી એમણે પોતાના આદર્શો અને સિધ્ધાંતો સાથે થોડાં સમાધાનો કર્યાં હોત તો કદાચ એમના જીવનમાં અને ખાસ કરીને એમના અંતમાં કોઈ ફેર પડ્યો હોત? આ બધા ‘જો અને તો’ના ઉત્તર ક્યારેય કોઈનેય મળતા નથી હોતા.
અહીં સુરેન્દ્રરાયના અંગત અને કૌટુંબીક જીવન બાબતે વિશ્વાસપાત્ર રજૂઆત થઈ છે એની પાછળનું કારણ એ છે કે તેઓનાં દીકરીની ચોથા ક્રમની દીકરી આ લખનારની પત્નિ છે. વિશેષમાં, આ લેખ લખવા માટે ઉપર ઉલ્લેખ થયો છે તે શાંતિબહેન અને દિનકરરાયનાં દીકરી અને આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત બાળરોગ વિશેષજ્ઞ ડૉ. અવલોકીતા દેસાઈ (ઉમર ૯૦ વર્ષ)
ડૉ.અવલોકીતા દેસાઈ
અને સુરેન્દ્રરાયના નાનાભાઈ નરેન્દ્રરાયનાં દીકરી અને જાણીતાં સમાજસેવક હર્ષાબહેન મેઢ (ઉમર ૮૬ વર્ષ) 
હર્ષાબહેન મેઢ
પાસેથી અત્યંત આધારભૂત માહિતી મળી છે. એમના જાહેર જીવન બાબતે ઉપયોગે લીધેલા સંદર્ભગ્રંથોની યાદી લેખની શરૂઆતમાં આપી છે.
(*ચન્દ તસવીરેં બૂતાં, ચન્દ હસીનોંકે ખુતુત, બાદ મરનેકે મેરે ઘરસે યેહ સામાં નીકલા....મીરઝા ગાલીબ)