Sunday 7 January 2018

અંબરીષ પરીખ, વિસ્તરતા જણ



આપણા સમાજનો એક બૃહદ વર્ગ એવી માન્યતા ધરાવે છે કે વ્યવસાયિક કલાકારોને બિરદાવવાના ન હોય, કેમ કે આવાં કાર્યોનું વળતર એમને આર્થિક સ્વરૂપે મળતું રહેતું હોય છે. પણ એ બાબતે સહેજ શાંતિથી વિચારીએ તો ખરા અર્થમાં બિન વ્યવસાયિક કોને કહી શકાય? કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિમાં સંકળાનાર વ્યક્તિ એક યા બીજી રીતે તેની પ્રવૃત્તિનું વળતર કોઈ ને કોઈ સ્વરૂપમાં મેળવે જ છે. સમાજના માળખાના પીરામીડની અને લોકપ્રિયતાની ટોચે બેઠેલાં  સત્તાધીશો, સાધુ સંતો, અભિનેત્રી/તાઓ કે પછી જે કોઈનો પણ વિચાર કરીએ, એ બધાંમાંથી જૂજ અપવાદ બાદ કરતાં બિલકુલ નિ:સ્પૃહભાવે ચોક્કસ પ્રવૃત્તિ આચરનાર તો ભાગ્યે જ મળી આવે. સૌ કોઈ આ બાબત સુપેરે સમજતા હોવા છતાંયે ક્ષોભ સાથે કહેવું પડે છે કે મોટા ભાગના કિસ્સાઓમાં અને એમાં પણ  ફિલ્મી ગાયન/વાદન ક્ષેત્રે વ્યવસાયિક ધોરણે કાર્યરત હોય એવા યોગ્ય પાત્રની કદર કરવામાં આપણે ખાસ્સા ઉણા ઉતરતા રહેતા હોઈએ છીએ. આપણે આ અગાઉની સુખ્યાત ઓરકેસ્ટ્રા સંચાલક શરદ ખાંડેકર વિશેની પોસ્ટમાં આ બાબતે વિગતવાર ચર્ચા કરી ગયા છીએ. આથી વધુ વિગતોમાં ન ઉતરતાં અત્રે આપણે એ જ ક્ષેત્રના એક ખુબ જ સન્માનનીય વ્યક્તિત્વનો વિસ્તૃત પરિચય કેળવીએ. એ છે સ્ટેજ કાર્યક્ર્મોના વિ/સુખ્યાત આયોજક, શ્રી અંબરીષ પરીખ, જેમનો ઉલ્લેખ હવે પછી અંબરીષભાઈ તરીકે થશે.


 ગુજરાતમાં કે ભારતમાં જ નહીં, વિશ્વભરમાં જ્યાં જ્યાં હિન્દી ફિલ્મી ગીતોના શોખીનો વસે છે, ત્યાં ત્યાં ‘વિસ્તરતા સૂર’ નામથી એમણે જાણીતાં/અજાણ્યાં અને એકદમ મધુરાં હિન્દી ફીલ્મોનાં ગીતોના અગણિત કાર્યક્રમો સ્ટેજ ઉપરથી રજૂ કર્યાં છે. કાર્યક્રમનું આ નામ, ‘વિસ્તરતા સૂર’, ખરા અર્થમાં વિસ્તરી, ચારે દિશાએ છવાયેલું રહ્યું છે. છ દાયકાઓ કરતાં લાંબા સમયથી અમદાવાદમાં વસતા અને ફક્ત(??!!!) ૮૩ વર્ષની ઉમરના અને ચુસ્તી અને સ્ફૂર્તીથી સભર એવા અંબરીષ ભાઈની સાથે તબક્કાવાર ત્રણ મુલાકાતો કરી, એનો અહેવાલ પ્રસ્તુત છે.

તા.૧૬ ઑક્ટોબર, સને ૧૯૩૪ના રોજ લૂણાવાડા ખાતે જન્મેલા અંબરીષભાઈના પિતાજી ચંદુલાલ પરીખ ત્યાંના નગરશેઠ હતા. એમણે લૂણાવાડાની મ્યુનિસીપાલીટીનું પ્રમુખપદ ૨૮ વરસ સુધી નિભાવ્યું હતું. અંબરીષભાઈના બાળપણના દિવસો દરમિયાન હજી રાજાશાહી જીવંત હતી. અલગ અલગ તહેવારોએ તેમ જ રાજાના જન્મદિવસે મોટા સમારોહો યોજાતા, જેમાં દિગ્ગજ કલાકારોને નિમંત્રવામાં આવતા. નગરશેઠના દીકરા હોવાને નાતે અંબરીષભાઈને આવા કાર્યક્રમોનો લ્હાવો લેવા માટે વિશેષ સવલત મળી રહેતી અને એમણે એનો ભરપૂર ફાયદો ઉઠાવવામાં કોઈ કચાશ ન રાખી. દિગ્ગજ શાસ્ત્રીય ગાયક ઉસ્તાદ ફૈયાઝખાનના શિષ્ય ગુલામરસૂલખાન ત્યાં નિયમિત પોતાની કળા રજૂ કરતા. એ દિવસોમાં ઈલેક્ટ્રીસીટી ન હોવાથી માઈક જેવી સુવિધા તો શક્ય જ ન હતી. એ સંજોગોમાં પણ ઉસ્તાદજી પોતાના અવાજની બુલંદી વડે છેવાડાના શ્રોતા સુધી પોતાની ગાયકીને પહોંચાડતા એ બાબતથી અંબરીષભાઈ ખાસ્સા પ્રભાવીત થતા રહેતા. વળી આટલી બુલંદી વાળો અવાજ આટલો કોમળ પણ હોય એ હકિકત એમને બાળવયે ખુબ જ આશ્ચર્યચકિત કરી જતી. ધીમે ધીમે આવા સંગીતમેળાવડાઓ વડે એમનાં રસ રૂચી સંગીત તરફ કેળવાવા લાગ્યાં.

જીવનનાં પહેલાં અઢાર વર્ષ એમણે લૂણાવાડામાં ગાળ્યાં. એક બાજુ શાળાકિય અભ્યાસ ચાલ્યો અને બીજી બાજુ સંગીત પ્રત્યે પ્રીતી વધતી ચાલી. એ સમયગાળામાં લૂણાવાડા સ્થિત હિરાભાઈ પાઠક નામેરી સજ્જને એમને હાર્મોનિયમ વગાડતાં શીખવ્યું. આ તાલિમ ચાલુ હતી અને મુંબઈ નિવાસી એવા વિનોદ જોશી નામના એક સંગીતકાર લૂણાવાડા આવી ને સ્થાયી થયા. અંબરીષભાઈએ એમની પાસે મેન્ડોલીન શીખવાનું શરૂ કર્યું. આમ શાળાકિય અભ્યાસ પૂરો કરતાં સુધીમાં એમણે હાર્મોનિયમ અને મેન્ડોલીન વગાડવા ઉપર ખાસ્સી હથોટી કેળવી લીધી. એ સિફતથી આ બન્ને વાદ્યો વગાડતા થઈ ગયા. જો કે આ શાસ્ત્રીય તાલિમ ન હતી.  

મેટ્રીક પાસ કરી ને આગળ અભ્યાસ માટે અંબરીષભાઈએ અમદાવાદની ગુજરાત કૉલેજમાં પ્રવેશ મેળવ્યો. અહીં એમની પ્રતિભા નિખરવા લાગી. આ કૉલેજના ખુબ જ વિદ્વાન અધ્યાપકો વિદ્યાર્થીઓની અભ્યાસપૂરક પ્રવૃત્તિઓમાં પણ ઊંડો રસ લઈ, એમને જે તે ક્ષેત્રે આગળ વધવા માટે પ્રોત્સાહિત કરતા હતા. અંબરીષભાઈ ખાસ કરી ને લબ્ધપ્રતિષ્ઠીત એવા પ્રાધ્યાપક ધીરુભાઈ ઠાકરનો ઉલ્લેખ ખુબ જ આદરથી કરે છે. અહીં મળેલા પ્રોત્સાહનની અસર હેઠળ એમણે સને ૧૯૫૩માં યોજાયેલા એક કાર્યક્રમનું પૂરું સંગીત સંચાલન કરી, ખાસ્સી પ્રશંસા મેળવી. હવે એ આ ક્ષેત્રના જાણકારોની નજરે ચડવા લાગ્યા. આને પરિણામે એમને નિયમીત રીતે કાર્યક્રમો મળવા લાગ્યા.

એ સમયે સુગમ સંગીતના કાર્યક્રમોની બોલબાલા હતી. અંબરીષભાઈ કુશળ ગાયક તરીકે પણ નીખરી રહ્યા હતા. આથી એમને અવારનવાર જાહેરમાં ગાવાની તક મળ્યા કરતી. વળી તે સારા વાદક અને વાદ્યવૃંદ સંચાલક પણ પૂરવાર થતા આવતા હતા. સુગમ સંગીતના કાર્યક્રમોમાં ઝાઝાં વાજીંત્રોનું બનેલું મોટું વાદ્યવૃંદ હોય એવું તો ભાગ્યે જ બનતું. પરિણામે સ્ટેજ ઉપર કાર્યક્રમની રજૂઆત દરમિયાન એના સંચાલન માટે બહુ જહેમત ઉઠાવવી નહોતી પડતી. આ રીતે ધીમી અને મક્કમ ગતિથી અંબરીષભાઈનો ગાયન તેમ જ વાદ્યવૃંદ સંચાલન માટેનો આત્મવિશ્વાસ વધતો ચાલ્યો. એક નવી દિશા એ ખુલી કે સને ૧૯૬૦-૬૧ના સમયગાળામાં અમદાવાદમાં ‘આ માસનું ગીત’ શિર્ષક અંતર્ગત સુગમ ગીતોની રજૂઆતનો એક નવતર પ્રયોગ શરૂ થયો. ટાઉનહૉલના સ્ટેજ ઉપરથી પ્રતિમાસ નવું ગુજરાતી ગીત રજૂ થાય અને એ મારફતે નવા નવા કલાકારોને તક મળતી રહે એ હેતુથી શરૂ કરાયેલા આ ઉપક્રમના મોટા ભાગના કાર્યક્રમોના સંગીત સંચાલનની જવાબદારી અંબરીષભાઈના શીરે રહેતી અને યુવા વયે એમણે એનું સુપેરે વહન પણ કર્યું. આ પ્રવૃત્તિ દરમિયાન અંબરીષભાઈએ ક્ષમતાથી ભરપૂર એવી એક યુવાન ગાયિકાને પહેલી વાર જાહેરમાં ગાવાની તક આપી. આ તકનો ઉપયોગ કરી ને એ સન્નારી, નામે હંસા દવે, આગળ જતાં ગુજરાતી સુગમ સંગીતનાં ખુબ જ પ્રતિષ્ઠીત અને સન્માનનીય કલાકાર બની રહ્યાં. આવા એક કાર્યક્રમમાં ખ્યાતનામ સંગીતકાર અવિનાશ વ્યાસ મુખ્ય મહેમાનપદે ઉપસ્થીત રહ્યા હતા. યુવાન અંબરીષભાઈના સંચાલનથી એ ખુબ જ પ્રભાવિત થયા અને એમણે જાહેરમાં એ બાબતનો ઉલ્લેખ પણ કર્યો હતો. આ અને આવી અન્ય પ્રવૃત્તિઓ વડે અંબરીષભાઈને રાસબિહારી દેસાઈ અને પુરુષોત્તમ ઉપાધ્યાય જેવા એ સમયના ઉભરી રહેલા કલાકારો સાથે અંગત સંબંધ બંધાયો, જે એ ત્રણે ય કલાકારોની પોતપોતાના ક્ષેત્રે થતી રહેલી અસાધારણ પ્રગતિ જેટલો જ મજબૂત અને કાયમી બની રહ્યો છે.

અંબરીષભાઈની પ્રવૃત્તિના આરંભનાં વર્ષોમાં ફિલ્મી ગીતોની સ્ટેજ ઉપરથી રજૂઆત કરતા કાર્યક્રમો એકદમ ઓછા પ્રમાણમાં થતા. સને ૧૯૬૦ અને પછીનાં વર્ષોમાં મહેશકુમાર એન્ડ પાર્ટી, હુસૈની પાર્ટી, કે પછી ફરીદ છીપા એન્ડ પાર્ટી જેવા કલાકારોનાં જૂથો નાના પાયે છૂટાછવાયા કાર્યક્ર્મો દ્વારા ફિલ્મી ગીતોની રજૂઆત કરતાં. અંબરીષભાઈએ નોંધ્યું કે જનસામાન્યની રુચી આવા કાર્યક્રમો તરફ પણ આકર્ષાવા લાગી હતી. જો કે હજી એમની પ્રવૃત્તિઓ સુગમ સંગીત પૂરતી મર્યાદિત હતી. એવામાં અમદાવાદમાં એક નવા જૂથનો ઉદય થયો, જેણે ફિલ્મી ગીતો પીરસવાં શરૂ કર્યાં.એ હતા પેટ્રીક માર્ક્સ, નવીન ગજ્જર અને એમના સાથીદારો. આવા કલાકારોને અને એમના કાર્યક્રમોને જે ઝડપથી લોકસ્વીકૃતિ મળવા લાગી એ જોતાં અંબરીષભાઈને આ પ્રકારના કાર્યક્રમો પણ કરવાની ઇચ્છા બળવત્તર થતી ચાલી. આમ ને આમ વિચારવામાં આઠેક વર્ષ નીકળી ગયાં. આખરે સને ૯ એપ્રીલ, ૧૯૬૯ના દિવસે અંબરીષભાઈએ ‘વિસ્તરતા સૂર’ શિર્ષક અંતર્ગત ફિલ્મી ગીતોનો કાર્યક્રમ પહેલી વાર સ્ટેજ ઉપરથી રજૂ કર્યો. અવિનાશ વ્યાસના મુખ્ય મહેમાનપદ હેઠળ યોજાયેલા આ કાર્યક્રમને ખુબ જ સારો પ્રતિસાદ મળ્યો. પહેલા જ પ્રયત્નને મળેલી સફળતાથી પ્રોત્સાહિત થયેલા અંબરીષભાઈ નિયમિત ધોરણે આવા કાર્યક્રમોનું આયોજન કરવા લાગ્યા. ધીમે ધીમે કાર્યક્ર્મમાં વૈવિધ્ય ઉમેરવાના પ્રયત્નો ચાલુ કર્યા. જેમ કે મદનમોહનનાં સંગીતબદ્ધ કરેલાં ગીતો, કલ્યાણજી-આણંદજીનાં સંગીતબદ્ધ કરેલાં ગીતો,  મહંમદ રફીએ સાથી કલાકારો સહ ગાયેલાં યુગલગીતો, રાજ કપૂરની ફિલ્મોનાં ગીતો, વિગેરે વિષયો આધારીત ગીતોના કાર્યક્રમો તેમણે રજૂ કર્યા. એમાં પણ ‘સરગમ’  શીર્ષક અંતર્ગત શાસ્ત્રીય રાગો પર આધારીત ફિલ્મી ગીતોનો કાર્યક્રમ તો અતિશય સફળતાને વર્યો. સને ૧૯૭૪ની ૨૪ ડીસેમ્બરના રોજ રજૂ થયેલા આ કાર્યક્રમનું શબ્દસંચાલન રાસબિહારી દેસાઈ જેવા સુગમ સંગીતના હાડોહાડ સમર્પિત એવા કલાકારે સામેથી સ્વીકારી ને કર્યું હતું. અંબરીષભાઈએ કહ્યું, “મારી સમગ્ર કારકિર્દીની યશકલગી સમાન આ કાર્યક્રમ હતો. હજી પણ મને એ યાદ કરાવનારાઓ મળે છે.” એ અરસામાં ઈલેક્ટ્રોનીક વાદ્યોનો દોર ચાલુ થઈ ગયો હતો પણ અંબરીષભાઈ પોતાના કાર્યક્રમોમાં સિતાર, સારંગી, દીલરુબા, ટ્રમ્પેટ, શરણાઈ જેવાં વાદ્યોનો અવાજ એવાં ઈલેક્ટ્રોનીક વાદ્ય વડે ઉત્પન્ન કરવાને બદલે જે તે મૂળ વાદ્યનો  જ આગ્રહ રાખતા. એમની આ ચોકસાઈ એ હદ સુધીની હતી કે ફિલ્મ ‘નવરંગ’નું ગીત ‘તુ છૂપી હૈ કહાં’ રજૂ કરવાનું હોય ત્યારે એમાં વાગતા ઘંટારવની અસર ઉભી કરવા માટે નવ અલગ અલગ સૂરથી વાગતા ઘંટ સાથે રાખી, એ વગડાવતા!

ફિલ્મી દુનીયાનાં બહુ મોટાં અને પ્રતિષ્ઠીત માથાં સાથે અંબરીષભાઈને ખુબ જ સારા સંબંધો રહ્યા છે. એમની આ મેઘધનુષી મહેફીલના માનવંતા મહેમાનો  વિશે એક પછી એક જાણકારી મેળવીએ.

નૌશાદ:  સને ૧૯૬૯-૧૯૭૧ દરમિયાન અંબરીષભાઈ મુંબઈ ખાતે મહિને સાતથી આઠ કાર્યક્રમો કરતા હતા. આવા લગભગ સીત્તેરેક કાર્યક્રમો થઈ ગયા પછી એ સમયના વિખ્યાત મીમીક્રી કલાકાર કાંતિ પટેલ એમને નૌશાદની મુલાકાતે લઈ ગયા. આ પહેલા જ પરિચયથી પરસ્પર સ્નેહગાંઠ બંધાઈ ગઈ. એમણે અનુકૂળતાએ અંબરીષભાઈના એકાદ કાર્યક્રમમાં હાજરી આપવાનું સ્વીકાર્યું. ખરેખર તો એ બોલેલા, “આપકા હુકમ સર આંખોં પે”. એ મુજબ સને ૧૯૭૪ની ૧૬ ઑક્ટોબરના રોજ અમદાવાદ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં નૌશાદ હાજર રહ્યા. એ અંબરીષભાઈ માટે ખાસ બની રહ્યો, કારણ કે એ એમનો જન્મદિવસ હતો! અમદાવાદના ટાઉનહોલમાં નૌશાદજીને સ્ટેજ સુધી લઈ જતાં ખાસ્સો સમય લાગી ગયો હતો, કારણકે એમને નજીકથી જોવા માટે મોટી ભીડ એકત્રીત થઈ ગઈ હતી અને લોકો એમના પગમાં પડતું મૂકતા હતા. પછી તો આ સંબંધ ખુબ જ ગાઢ બની ગયો. જ્યારે અંબરીષભાઈનો કાર્યક્રમ મુંબઈમાં હોય, ત્યારે ઘણી વાર નૌશાદ એમાં હાજરી આપતા. તેઓ અંબરીષભાઈના હાર્મોનિયમ વાદનથી અને અંબરીષભાઈનાં પત્નિ (હવે સ્વર્ગસ્થ)ઈંદીરાબહેનની ગાયકીથી ખુબ જ ખુશ હતા. ઈંદીરાબહેન માટે તો “યેહ મેરી શમશાદ બેગમ હૈ” એમ કહેતા. 
નૌશાદ સાથે પરીખ દંપતી
બહુ ઓછા લોકો જાણે છે કે નૌશાદ ગુજરાતી સારું બોલી શકતા. ઘણી વાર એ પરીખ દંપતી સાથે ગુજરાતીમાં વાતો કરતા. ખાસ નોંધનીય વાત તો એ છે કે નૌશાદના મ્યુઝીક રૂમમાં દિલીપકુમાર અને શકીલ બદાયૂનવી જેવી બહુ ઓછી હસ્તીઓને જવા મળતું. એમાં અંબરીષભાઈને પ્રવેશનું કાયમી નિમંત્રણ હતું! પોતાની આત્મકથાના વિમોચન સમયે સંગીતનો કાર્યક્રમ અંબરીષભાઈના સંચાલનમાં થાય એવો આગ્રહ નૌશાદે રાખ્યો હતો. મારે નૌશાદ સાહેબનાં ચરણોમાં બેસવું હતુ, પણ એમણે તો મને પોતાના હ્રદયમાં બેસાડ્યો” કહેતાં અંબરીષભાઈની આંખોમાં ચમક આવી જાય છે. નૌશાદજીની ચીર વિદાય પછી પણ એમના પુત્ર અંબરીષભાઈ સાથે સંબંધ રાખે છે.

મહંમદ રફી: આ સંબંધની વિગતો અંબરીષભાઈના શબ્દોમાં જ માણવા જેવી છે.
 “સને ૧૯૭૬માં અમદાવાદના પોલીસ સ્ટેડીયમમાં યોજાયેલા એક કાર્યક્રમમાં રફી સાહેબે હાજરી આપી હતી. સંગીત સંચાલન મારું હતું. કાર્યક્રમ શરૂ થતાં પહેલાં એમાં રજૂ થનારાં ગીતોની યાદી રફી સાહેબે જોવા માંગી. એ જોયા પછી મને પૂછ્યું કે આવાં જૂનાં અને અજાણ્યાં ગીતોને ઓડીયન્સ સ્વીકારશે? મેં ભરપૂર આત્મવિશ્વાસથી કહ્યું કે ચોક્કસ સ્વીકારશે. ખરેખર એવું બનતાં રફી સાહેબ મને કાર્યક્રમ પૂરો થયે ભેટી પડેલા.”
મહંમદ રફી દ્વારા સન્માન 
“આ ઘટનાનાં થોડાં વર્ષો પછી એક સવારે હું મારા બગીચાના હિંચકે બેઠો હતો, એવામાં એક કાર મારા દરવાજે આવી અને એમાંથી એક અજાણ્યા સજ્જન ઉતર્યા અને અંદર આવ્યા. એમણે મને કારમાં બેઠેલા વ્યક્તિ બોલાવી રહ્યા હોવાનું કહી, બહાર આવવા કહ્યું. કાર પાસે જઈ, અંદર જોતાં જ હું તો આભો બની ગયો, એમાં રફી સાહેબ બેઠા હતા! એક કાર્યક્રમ માટે એમને માટે જે હાર્મોનિયમની વ્યવસ્થા કરવામાં આવે હતી એ એમને અનુકૂળ ન પડવાથી એ મારું હાર્મોનિયમ લેવા આવ્યા હતા. એ સમયે તો બહુ ઉતાવળમાં હોવાથી મારા આગ્રહ છતાં ઘરમાં ન આવ્યા, પણ ફરી ચોક્કસ આવવાનો વાયદો કરી ને ગયા. જો કે એ દિવસ ક્યારે ય ન આવ્યો. ખેર, મારા હાર્મોનિયમ ઉપર એમની આંગળીઓ ફરી એ હકિકતથી મને સારું હાર્મોનિયમ વસાવ્યાનો પૂર્ણ સંતોષ થયો.”

આ હાર્મોનિયમ અંબરીષભાઈએ સને ૧૯૬૦માં રામસિંહ નામના પ્રખ્યાત કારીગર પાસે ખાસ ઓર્ડરથી બનાવરાવ્યું છે. સવા ચાર સપ્તક, સાત ધમણ અને સ્કેલ ચેન્જની સુવીધા ધરાવતું આ હાર્મોનિયમ હજી પણ એમની આંગળીઓ ફરતાં જ જીવંત થઈ ઉઠે છે. એક નમૂનો માણીએ.



રાજ કપૂર: ગાયક મુકેશની સ્મૃતીમાં સને ૧૯૭૭માં ગાયકો માટેની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. કુલ ૪૦૦ હરીફોમાંથી ચૂંટાયેલા ૧૬ હરીફોની અંતિમ સ્પર્ધા અમદાવાદમાં યોજાઈ હતી, જેમાં સંગીત સંચાલન અંબરીષભાઈનું હતું. વિજેતાને મુકેશ ટ્રોફી અર્પણ કરવા રાજ કપૂર આવ્યા હતા. એ અંબરીષભાઈના દેખાવથી ખુબ જ પ્રભાવિત થયા. ભોજન સમયે એમણે અંબરીષભાઈ સાથે ખુબ જ વાતો કરી અને આયોજકો પાસે એમની ક્ષમતાનાં વખાણ કર્યાં. આ રીતે અમદાવાદને ગૌરવ અપાવવા બદલ અહીંની પ્રતિષ્ઠીત ઓરીએન્ટ ક્લબના અધિષ્ઠાતાઓએ અંબરીષભાઈને આજીવન સભ્યપદ આપી, એમનું બહુમાન કર્યું.



દિલીપકુમાર: આ કલાકાર એમના સંગીતપ્રેમ અને એ માટેની ઊંડી સમજ માટે જાણીતા છે. એ અંબરીષભાઈથી કેટલા ખુશ હશે એ વાતની પ્રતિતી એ બાબતથી થાય કે એમણે અંબરીષભાઈના પાંચ અલગ અલગ કાર્યક્રમોમાં હાજરી આપી છે. એમાં પણ અમદાવાદની સી.એન.વિદ્યાલયમાં આયોજિત કાર્યક્રમમાં હાજર રહ્યા હતા ત્યારે તો એમણે અચાનક અંબરીષભાઈને બોલાવ્યા અને ઉક્ત કાર્યક્રમમાં સ્વયં ગાવાની ઈચ્છા દર્શાવી. એમણે કહ્યું, “મને ખ્યાલ છે કે આવી રીતે અચાનક અને કોઈ તૈયારી વિના ગાઉં તો તમારા વાદકોને તકલીફ પડે. પણ હું તો તમે આપો, એ સૂરથી ગાઈશ.” અને ખરેખર, એમણે સ્ટેજ ઉપરથી બે ગીતો રજૂ કરી, શ્રોતાઓને ખુશ કરી દીધા.

દિલીપકુમાર દ્વારા સન્માન
દિલીપકુમાર અંબરીષભાઈની સંગતમાં
ખય્યામ: મુંબઈમાં યોજાતા કાર્યક્રમો દરમિયાન મળવાનું બનતું રહેતું હોવાથી અંબરીષભાઈને આ સક્ષમ સંગીત નિર્દેશક સાથે સુદ્રઢ સંબંધ બંધાયેલો. ખય્યામને એમને માટે કેટલો આદર હતો એની પ્રતિતી કરાવતી એક ઘટના સને ૨૦૦૫માં ઘટી. એ વર્ષની ૧૯મી જૂનના રોજ વડોદરા મુકામે ખય્યામના સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથેની સંગીત સંધ્યામાં સંચાલન અંબરીષભાઈનું હોય એવી વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. કાર્યક્રમના થોડા જ દિવસો અગાઉ અંબરીષભાઈનાં પત્નિ ઈંદીરાબહેનની તબિયત ખરાબ થઈ ગઈ અને અંબરીષભાઈ એમાં જઈ શકે એવી કોઈ જ શક્યતા ન રહી. આ જાણ ખય્યામને થતાં જ એમણે આયોજકોંને સૂચન કર્યું કે કાર્યક્રમ વડોદરાને બદલે અમદાવાદમાં થાય એવી વ્યવસ્થા કરો. એમ જ થયું અને એ કાર્યક્રમમાં ખય્યામની સાથે સાથે અંબરીષભાઈનું પણ સન્માન કરવામાં આવ્યું.

આ ઉપરાંત અંબરીષભાઈએ મુકેશ અને મન્નાડે જેવા પાર્શ્વગાયકો સાથે સ્ટેજ કાર્ય્ક્રમોમાં સંગીત નિયોજન સંભાળ્યું છે. એમને સી.રામચંદ્ર, જયદેવ, સલીલ ચૌધરી, તલત મહેમુદ, સુરૈયા, કલ્યાણજી-આણંદજી અને જગમોહન તેમ જ દિલીપ ધોળકીયા, અજિત મરચન્ટ, અવિનાશ વ્યાસ, મનહર ઉધાસ, હંસા દવે અને બીજાં અનેક સંગીતનાં આરાધકો સાથે અંગત સંબંધો રહ્યા છે. 

તલત મહેમૂદ સાથે
દિલીપ ધોળકીયા સાથે
પુરુષોત્તમ ઉપાધ્યાય અને રાસબિહારી દેસાઈ સાથેની એમની ગાઢ મૈત્રીનો ઉલ્લેખ શરૂઆતમાં થઈ ગયો છે. વિશ્વવિખ્યાત જાદૂગર કે.લાલ સાથે પણ એમને આજીવન મૈત્રી બની રહી. 

કે.લાલ સાથે
આ ઉપરાંત કમલેશ આવસત્થી અને શબ્બીરકુમાર જેવા કલાકારોને એમની કારકિર્દીની શરૂઆતમાં અંબરીષભાઈએ ચમકાવ્યા હતા. આગળ જતાં આ બંને ફિલ્મોમાં પાર્શ્વગાયનના યશસ્વી પડાવ સુધી પહોંચ્યા. આ વાતો કરતાં એમની આંખોમાં અનેરી ચમક આવી જાય છે અને કહે છે, “હું અત્યંત નસીબદાર છું ભાઈ. આ બધી મા સરસ્વતીની કૃપા છે, બાકી આ વાણીયાને કોણ ઓળખે!”

ત્રીજા તબક્કાની મુલાકાતના અંતભાગમાં એમણે ખુલી ને વાતો કરી. ખાસ તો વધતી જતી ઉમર સાથે ઓછી થયેલી ગળાની મીઠાશનો ઉલ્લેખ કર્યો. એમણે કહ્યું, “એ તબક્કો આવ્યા પછી મેં ગાવાનું ઓછું કરી નાખ્યું. પૂરા કાર્યક્રમમાં માત્ર દોઢ ગીત ગાતો. દોઢ ગીત એટલે એક સોલો ગીત અને બીજું યુગલ ગીત, આમ કુલ મળી ને દોઢ! જ્યારે લાગ્યું કે ગાયકીની ગુણવત્તા ઓછી થઈ છે ત્યારે મેં લોકોને અન્ય રીતે પણ મનોરંજન આપવાનું શરૂ કર્યું. જેમ કે મારું અને ઈંદીરા(એમનાં પત્નિ)નું યુગલગીત ‘મીલતે હી આંખેં દિલ હુઆ દીવાના કિસીકા’ એટલું લોકપ્રિય હતું કે દરેક કાર્યક્રમમાં એ તો ગાવું જ પડતું. આ ગીતની રજૂઆત પહેલાં હું કહેતો કે ‘અસલ ગીત શમશાદ બેગમ અને તલત મહેમુદના સ્વરમાં છે, અહીં આપની સમક્ષ શમ’શેર’ બેગમ અને ‘ગ’લત મહેમૂદ રજૂ કરશે’ અને પાછલી હરોળોમાંથી તાળીઓના ગડગડાટ થતા. એક કાર્યક્રમની શરૂઆતમાં એક ખુબ જ જાણીતાં અને અત્યંત સ્થૂળકાય કલાકાર મુખ્ય મહેમાન તરીકે સ્ટેજ ઉપરથી બોલ્યાં, ‘હવે થોડા સમય પછી અંબરીષભાઈના કાર્યક્રમોમાં ચકલાં ય નહીં ફરકે.’ એ કલાકારે કરેલી ટકોર મારા માટે બહુ આનંદદાયક ન હતી. એવા સંજોગોમાં એમને સામો જવાબ પણ કેવી રીતે અપાય! પણ મને એ જ ક્ષણે જવાબ સ્ફુરી આવ્યો. મારા હાથમાં માઈક્રોફોન આવ્યું ત્યારે મેં કહ્યું, ‘આવનારા દિવસોમાં ભલે ચકલાં ન ફરકે, આજે મારા કાર્યક્રમમાં હાથી ફરક્યો છે, એનો મને આનંદ છે.’ આવાં આવાં ગતકડાં પણ શ્રોતાગણને ખુશ રાખવા માટે કરવાં પડતાં. બધાં જ શ્રોતાઓ સંગીતની બારીકીઓને માણનારાં સુજ્ઞ થોડા હોય?”

અંબરીષભાઈના સુવર્ણકાળમાં વીડીઓ રેકોર્ડીંગની સુવિધા ન હતી એથી એ વખતની કોઈ જ સામગ્રી ઉપલબ્ધ નથી. યુ ટ્યુબ ઉપરથી એ સ્ટેજ ઉપર હોય એવા બે અલગ અલગ વીડીઓ મળ્યા છે, જે અહીં મૂક્યા છે.


અત્યારે ૮૩ વર્ષની પાકટ વયે પણ અંબરીષભાઈ જાતે કાર ચલાવી પૂરા અમદાવાદમાં ઘૂમે છે! મને એમનો પરિચય કરાવી, આ મુલાકાત માટે ત્રણે ય વાર મારી સાથે રહેનારા મિત્ર ચંદ્રશેખર વૈદ્યને અને મને એક પણ વાર આગ્રહ અને પ્રેમપૂર્વક ચા-નાસ્તો કરાવ્યા વિના છોડ્યા નથી. 
અંબરીષભાઈ(વચ્ચે) અને ચન્દ્રશેખર વૈદ્ય(જમણે)સાથે સેલ્ફી
છેલ્લે છૂટા પડતી વેળાએ એમણે સમય સમયે યોજાતી રહેતી અમારી કેટલાક મિત્રોની ચા-ભજીયાં પાર્ટીમાં સામેલ થવાનું વચન આપ્યું છે. ખરેખર, એમના લાગણી નીતરતા વ્યવહારથી ભીંજાય એ સૌ સ્વીકારશે કે ‘વિસ્તરતા સૂર’ના આયોજક અંબરીષભાઈ સ્વયં એક વિસ્તરતા જણ છે.

સૌજન્ય સ્વીકાર:  અંબરીષ પરીખનો પરિચય અને મુલાકાત માટે ચંદ્રશેખર વૈદ્યનો આભાર.
                   તસવીરો  અંબરીષભાઈના સૌજન્યથી મળી છે.
                   વીડીઓઝ યુ ટ્યુબ પરથી લીધા છે, આ સામગ્રીનો વ્યવસાયીક ઉપયોગ થશે નહીં.