Monday 1 July 2019

ગુજરે હૈ હમ કહાં કહાં સે (૫)


                                                                     મજ્જા!
સને ૧૯૬૧-૬૨ના સમયગાળા દરમિયાન ગઢડામાં અમારી બરાબર સામેના ઘરમાં ઉપરના માળે એક યુવાન, ખુબ જ દેખાવડા અને મળતાવડા સજ્જન નામે અંબાલાલ, ભાડે રહેતા હતા. એ મધ્ય ગુજરાતના વતની હોવાથી અમને એમના ઉચ્ચારો બહુ રમૂજ પૂરી પાડતા. આવી રમૂજભાવના સાપેક્ષ અને પરસ્પર હોય એ સમજવાની અમારામાંના મોટા ભાગના છોકરાઓની એ ઉમર નહોતી. વળી જેની પાસે એવી સમજ હતી, એમને એ બાબતની કોઈ પરવા નહોતી.

અંબાલાલ રહેતા એ મકાનમાં દાખલ થઈએ અને પછી ત્રણ પગથીયાં ચડીએ કે તરત જ એક દાદરો હતો, જે સીધો રોડ ઉપર પડતો હતો. એ દાદરો ઉપરના માળે અંબાલાલના ઓરડા સુધી લઈ જતો હતો. આમ હોવાથી અમે શેરીમાં રમતા હોઈએ અને અંબાલાલ ઘરમાંથી બહાર જવા દાદરો ઉતરે કે પછી બહારથી ઘરે આવે ત્યારે દાદરો ચડીને ઠેઠ એમના ઓરડામાં પહોંચી જાય એ અમારી નજરમાં રહેતું. જેટલી વાર અંબાલાલ જતા કે આવતા દેખાય, એ દરેક વખતે અમારામાંથી કોઈ ને કોઈ ચોક્કસ લહેકામાં “કાં અંબાલાલ, કેમ છો?” કહીને એમનું અભિવાદન કરે. જવાબમાં એ ભલો માણસ, હસીને માત્ર ”મજ્જા” એટલું બોલીને આગળ વધી જાય એવો ધારો થઈ ગયેલો. ધીરે ધીરે અમારી ટોળકી સાથે અંબાલાલ વધુ ને વધુ ભળવા લાગ્યા. રજાના દિવસે એ ક્યારેક થોડો સમય અમારી સાથે વાતો કરતા થયા અને પછી તો કોઈ કોઈ વાર અમે ‘બોલ-બેટ’ રમતા હોઈએ તો એમાં પણ જોડાઈ જવા લાગ્યા. ક્યારેક એ અમદાવાદ અને વડોદરા જેવી દેવોને વસવા યોગ્ય નગરીઓની રોમાંચક વાતો પણ માંડતા, જ્યાં અમારો આશય અચંબો પામવાનો રહેતો અને એમનો આશય અમને અચંબો પમાડવાનો રહેતો. અત્યારે સુપેરે સમજાય છે કે એમની કથાઓમાં તથ્ય કરતાં કલ્પનનું પ્રમાણ ભારેથી અતિભારે રહેતું હશે. એમની સાથે કરેલી ગોઠડીઓ હું અમારા નિશાળના ગોઠીયાઓ સાથે વહેંચતો. કોઈ કોઈ વાર તો હું જાતે જ અમદાવાદ/વડોદરા જઈને કશોક દિવ્ય અનુભવ પામી આવ્યો હોઉં એવું પણ જરાય ક્ષોભ વગર કહી દેતો અને પરિણામે એ મિત્રોના ચહેરા ઉપર વિસ્મયના હાવભાવ જોઈને રોમાંચ પામતો. જેમ જેમ મૈત્રી વધતી ગઈ એમ એમ અંબાલાલ અમારી વધુ ને વધુ નજીક આવતા ગયા. પછી તો એ અમારાં તોફાન-મસ્તીમાં પણ ભળવા લાગ્યા.

એ અરસામાં અમારી શેરીમાં એક સાવ ખખડધજ વૃધ્ધા એકાકી જીવન ગુજારી રહ્યાં હતાં. એ પોતે અને એમનું ખોરડું એમાંથી વધારે જીર્ણ અવસ્થા કોની હતી એ કહેવું મુશ્કેલ હતું. વર્ષોની એકલતા અને અભાવોથી ભરેલ જીવન — આ બે પરિબળોએ એમને અત્યંત ચીડીયાં બનાવી દીધાં હતાં. સ્વાભાવિક છે કે અમે શેરીમાં રમતા રમતા દોડાદોડી અને બૂમાબૂમી કરતા જ રહેતા હોઈએ. જેવો અમારો અવાજ એમના કાને પડે, એ ભેગાં એ એમની બારીમાંથી ‘હેઈક્ક, હેઈક્ક, ભાગો! મારા રોયાઉં, મરી ગઈ સ તમારી માવર્યું, કે આયાં ધડીકા લ્યો સો! ભાગો, ભાગો આંઈથી!’ જેવાં સુવાક્યો વડે શરૂઆત કરતાં અને જો એવો પ્રેમાળ ઉપદેશ કારગત ન નીવડે તો છેવટે હાથમાં લાકડી લઈને એમની ઝાંપલી સુધી આવી, અમે અને અમારાં સગાં વ્હાલાંઓ કાળી રાતે ફાટી પડીએ એવાં આશિર્વચનો પણ ઉચ્ચારી લેતાં. એમને પૂરતાં ખીજવી લીધાં છે એવો સંતોષ થાય એટલે અમે છોકરાઓ ત્યાંથી સ્થળબદલો કરી જતા. એ જમાનામાં આ પ્રકારની વૃધ્ધાઓ કદાચ ગામેગામમાં મળી આવતી હશે એટલે એમનું વધુ વિગતે વર્ણન નથી કરતો. આ બધું વિગતવાર ધ્યાને પડતાં અંબાલાલે એક વાર પોતાના બાળપણ દરમિયાનના ગ્રામ્યનિવાસને યાદ કરતાં અમને પૂછ્યું કે અમે એ માજીની અંતિમયાત્રા કેમ ન્હોતા કાઢતા? આવો અઘરો શબ્દપ્રયોગ અમારામાંના મોટા ભાગનાઓને પલ્લે ન પડ્યો, પણ છોટુ બોલ્યો, “તે અંબાલાલ, અમીં ઈ ડોશીની ઠાઠડી કાઢવી ઈમ ક્યો સ ને?” જવાબમાં હકારો મળતાં અમારી ટોળીએ ઉક્ત કાર્યક્રમ અંબાલાલના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક ધોરણે અમલમાં મૂકી દેવાનું આયોજન કરી નાખ્યું. એ મુજબ ક્યાંક્થી દેશી નળીયું ગોતી લાવી, એમાં એક મધ્યમ કદનો પથરો મૂકી દેવામાં આવ્યો. આ નળીયું ઠાઠડીનું અને એમાં મૂકેલ પથરો ઓલાં માજીના પ્રતિકરૂપે હતાં એ સ્પષ્ટતા અંબાલાલે કરવી ન પડી. તૈયારી થઈ ગઈ એટલે એમણે કહ્યું, “ હવે તમારે આ નનામી લઈ, અહીં (અ)ગાડીથી ડોહીના ઘર લગી ઠૂઠવો મેલતાં મેલતાં જવાનું. એવીયે ગુસ્સે થઈને બહાર આવે તંહીં લગી તંહીં ‘ગાડી જ ઉભા રહી, રોતા રહેવાનું. પછી એવીયે ગુસ્સે ભરાય અને તમને ગારો(ળો) ભાંડવા લાગે એટલે અહીં ‘ગાડી પાછા ભાગી આબ્બાનું.” અમે અતિશય આજ્ઞાંકિતપણે અંબાલાલની તાલિમને અમલમાં મૂકી, એમાં એ માજીને જે માનસિક પરિતાપ પડ્યો હશે એ યાદ આવે છે ત્યારે આજે સાડાપાંચ દાયકા પછી પણ જીવ વલોવાઈ જાય છે. એમની મુખમુદ્રા નજર સામે તરે ત્યારે એક નિ:સહાય, એકાકી કૃશકાય વૃધ્ધાને પરજાળ્યા કરતી ટોળકીનો સભ્ય હોવા માટે હું હજી મારી જાતને માફ નથી કરી શકતો. ખેર, આમ દિવસો વિત્યે જતા હતા એવામાં અંબાલાલે અમને જણાવ્યું કે ટૂંક સમયમાં એમનાં પત્નિ ગઢડા આવી જવાનાં હતાં. એ અમારાં વણજોયેલાં સન્નારીનો ઉલ્લેખ એમણે ‘તમારી ભાભી’ તરીકે કર્યો એમાં તો અમારી ટોળકી એકદમ રોમાંચિત થઈ ગઈ, કારણ કે એવું પાત્ર અમારા બધા માટે સ્વપ્નવત હતું. હવે તો અંબાલાલે નહીં જોઈ હોય એટલી તીવ્રતાથી અમે સૌ એ ‘ભાભી’ની રાહ જોવા માંડ્યા.

આખરે એક દિવસ અમે જાણ્યું કે ભાભી પછીના અઠવાડીયે આવવાનાં હતાં. એ ટૂંકા સમયગાળામાં અંબાલાલના ઓરડાની સજાવટમાં નોંધપાત્ર ફેરફારો થઈ ગયા અને એવા જ ફેરફારો એમની અદામાં પણ થયા હોય એવું અમારી ટોળકીના વરિષ્ઠ સભ્યોએ નોંધ્યું. એવામાં એક દિવસ અંબાલાલ એમના દાદરાના સૌથી ઉપરના પગથીયે હતા અને અમારા શિરીષે “કાં, અંબાલાલ?” પૂછીને એમનું રોજીંદું અભિવાદન કર્યું. એ પણ રોજની જેમ “મજ્જા” કહેવાના હતા. એમાંનો “મ” બોલતી વેળા એ સૌથી ઉપરના પગથીયે હતા અને “જ્જા” ઉચ્ચાર એમણે સૌથી નીચેના પગથીયે બેઠે બેઠે કર્યો! એકદમ ઝડપથી આકાર લઈ ગયેલા એ ઘટનાક્રમ દરમિયાન ‘ધડ ધડ ધડ ધડ’ અવાજો પણ અમારે કાને પડ્યા, એ ઉપરથી અમે તાત્પર્ય કાઢ્યું કે અંબાલાલ ઉપલા પગથીયેથી લપસીને ઠેઠ નીચે પડ્યા! એ ઉમર એવી હતી કે આવી ઘટનાનો ભોગ બનેલા એ યુવાન માટે અમને સહાનુભૂતીને બદલે રમૂજની લાગણી નિષ્પન્ન થઈ અને એ લાગણીને કશા જ છોછ વગર અમે સૌએ ખુલ્લે દિલે માર્ગ આપ્યો એટલે કે ‘દાંત કાઢી કાઢીને અમે બધા બઠ્ઠા પડી ગ્યા.’ કેટલીક ક્ષણો પછી એ મૂઢ માર જીરવી ગયેલા એ ભલા માણસ અંબાલાલે પણ અમને હાસ્યની છોળો ઉડાડવામાં સાથ આપ્યો. એ દિવસથી અમારે આ રમત થઈ ગઈ. અંબાલાલ ઘરે ન હોય એવા સમયે એક છોકરો એમના દાદરાના સૌથી ઉપરના પગથીયે જઈને ઉભો રહે. નીચેથી એને પૂછવામાં આવે, “કાં, અંબાલાલ?” એ ત્યાં જ ઉભો ઉભો “મ” બોલે અને પછી ખુબ જાળવીને ઠેઠ નીચે ઉતરી આવી, “જ્જા” બોલે અને પછી બધા ‘દાંત કાઢી કાઢીને બઠ્ઠા પડી જઈએ’!

એમ ને એમ અંબાલાલની અને અમારી આતુરતાનો અંત લાવનારો દિવસ ઉગ્યો. આધારભૂત સ્રોતમાંથી અમારો છોટુ જાણી લાવ્યો કે અમારાં ભાભી તો એમના પીયરની મોટરમાં આવવાનાં હતાં. એણે તાત્કાલિક ધોરણે સ્વાગતગીતનો મુખડો જોડી નાખ્યો, ”અંબા, ’લાલ’ મોટર આવશે, મારાં ભાભીને ઈ લાવશે, અંબાલાલને ગઢડામાં લીલાલ્હેર છે!” અને એ દિવસની સવારથી શેરી અમારા કંઠે રેલાઈ રહેલા એ મુખડાથી ગુંજવા લાગી. અમુક ઘરોમાંથી અને ખાસ તો ઓલાં માજીના ઘરમાંથી ‘હેઈક, હેઈક, થોડાક જંપો, ભાગો, ટળો આંઈથી’ જેવી બીરદાવલીઓ અમારે કાને પડતી હતી પણ કાનને તો એ રોજનું થયું હતું. આ બધી ગતિવિધીઓમાં સમય વિતતો રહ્યો અને બપોર પડવા આવી ત્યાં શેરીમાં એક મોટર દાખલ થઈ અને અંબાલાલના ઓટલા આગળ આવી, ઉભી રહી. એક બાજુ ડ્રાઈવરે નીચે ઉતરી, ડીકી ખોલીને બેગ-બીસ્તરા બહાર કાઢવાનું શરૂ કર્યું અને બીજી બાજુ અંબાલાલનાં મા-બાપ અને સાસુ સસરા ઉતર્યાં. આખરે જે સન્નારી ઉતર્યાં એને જોઈને અમે મિત્રો ડઘાઈ ગયા! અત્યારે આવું લખતાં ભારે ક્ષોભ અનુભવાય છે પણ એમના દેખાવને માટે એકાદ પણ સારો શબ્દ કહી શકાય એવાં એ ન્હોતાં. વાન. બાંધો કે ચહેરો – નારીસૌંદર્યના એ ત્રણેય માપદંડો વડે એમની મૂલવણી કરતાં નિરાશા જ સાંપડે એવું હતું. કાયમી બટકબોલો એવો છોટીયો ત્યારે જ બોલ્યો, “ અંબાલાલ, આ તો બાંઠકી ને જાડી સે! તમે પૈશાને પરણ્યા સો ને!” અને ત્યાંથી ભાગી ગયો. આટલું બનતાં તો સોપો પડી ગયો. અમે બાકીનાઓ પણ વીખેરાઈ ગયા. ખાસ કરીને મને તો ભોંઠામણનો પાર ન્હોતો કારણકે અમારું ઘર બિલકુલ એમની સામે પડતું હતું. નવાગંતુક યુવતી, અંબાલાલ અને એમનાં કુટુંબીજનો ઉપર શું અસર પડી એ જોવાની કે સમજવાની કે પછી ત્યાં જઈ, એ લોકોની માફી માંગવાની પુખ્તતા મારામાં ચોક્કસ ન્હોતી, પણ આવું બને તો મોઢું સંતાડી દેવા જેટલી તો અક્કલ હતી. એટલે હું ઝડપથી મારા ઘરમાં જતો રહ્યો.

એ જ સાંજે અંબાલાલ અને એમનાં પત્નિ અમારે ઘરે આવ્યાં. મારી ફરીયાદ કરવા આવ્યાં હશે એવા ખાત્રીભર્યા ડરનો માર્યો હું તો દોડીને અંદરના રૂમમાં ભરાઈ ગયો. હકિકતે એ બન્ને પેંડા લઈને અમારા કુટુંબને મળવા આવ્યાં હતાં. ખુબ જ શાલિનતાથી મધુબહેન નામેરી એ યુવાન નારીએ મારાં મા-બાપ સાથે પરિચય કેળવ્યો અને મને પણ રૂમની બહાર બોલાવી, પ્રેમથી એમને ઘરે આવતા-જતા રહેવા કહ્યું. એ ટૂંકા સમયગાળામાં જ એમની મીઠાશ મને સ્પર્શી ગઈ. મોડી સાંજે અમે મિત્રો શેરીમાં ભેગા થયા ત્યારે દરેકના મોઢા ઉપર ભોંઠપ જણાતી હતી. અમારી શેરીનાં સૌને ઘેર એ દંપતિ સૌજન્યપૂર્ણ વ્યવહાર કરી ગયું હતું. બીજા જ દિવસથી જ મધુબહેને અમારી ટોળકી સાથે મૈત્રી બાંધવાની શરૂઆત કરી દીધી. આગલા દિવસે છોટુએ કરેલ ટીપ્પણીની જાણે એમને ખબર જ ન હોય એવો એમનો વ્યવહાર હતો. વધુ પરિચય કેળવાતાં ખબર પડી કે એ અનુસ્નાતક કક્ષાની ઉપાધી મેળવી, મહેસાણાની કોઈ માધ્યમિક શાળામાં શિક્ષીકા તરીકે નોકરી કરતાં હતાં એ છોડીને આવ્યાં હતાં. પહેલે દિવસે એમના દેખાવમાં જે ખોટ વર્તાતી હતી એ એમને મૂલવવા માટે કેટલી ક્ષુલ્લક હતી એ અમને નાદાનોને પણ એ જ ઘડીએ સુપેરે સમજાઈ ગયું.

એ પછીના થોડા અરસામાં મારા બાપુજીની બદલી ભાવનગર થતાં અમે ગઢડા છોડ્યું ત્યાં સુધી એ લોકો અમારી સામે જ રહેતાં હતાં. વર્ષો પછી એક વાર એ બંને ભાવનગરમાં રસ્તે જતાં મને અચાનક જ ભટકાઈ ગયાં ત્યારે સાથે એમનાં ત્રણ સંતાનો હતાં. એ પાંચેયના ચહેરા ઉપર જે આનંદ હતો એ એમના સુખે ચાલી રહેલા સંસારનો દ્યોતક હતો. પરસ્પર ખબરોની આપ-લે પછી છૂટા પડતી વેળા મેં અંબાલાલને પૂછ્યું, “અંબાલાલ, બાકી કેમ હાલે ચ્છ?” જવાબમાં એમણે કહ્યું, “બસ, મજ્જા!” સદનસીબે એ સમયે અંબાલાલ દાદરા ઉપર ન્હોતા એટલે ‘મ’ અને ‘જ્જા’ની વચ્ચે ‘ધડ ધડ ધડ ધડ’ અવાજ ન આવ્યો!

નોંધઃ આ લેખ 'વેબગુર્જરી' ઉપર તા. 28/06/2019ના રોજ પ્રકાશિત થયો છે. ત્યાંથી સાભાર અહીં વહેંચ્યો છે.

No comments:

Post a Comment