Friday 12 August 2016

મારો શાળા પ્રવેશોત્સવ

 

આજકાલ પોતાના બાળકને માટે શાળામાં એડ્મીશન  મેળવવું  કેટલું કઠીન છે, એ સર્વવિદિત છે. આ પરિપ્રેક્ષ્યમાં ૫૭ વરસ પહેલાંના મારા 'શાળા પ્રવેશ'ની યાદ આવી, જે પ્રસ્તુત છે.

૧૯૫૮ના નવેમ્બરમાં મને પાંચ વર્ષ પૂરાં થયાં. મારા દાદાએ ત્યાં સુધીમાં મને એકત્રીશાં થી ચાલીશાં, પાયાં, અડધાં, પોણાં, સવાયાં, દોઢાં અને અઢિયાં સુધી પલાખાં મોઢે કરાવી દીધાં હતાં (ઉંઠાં_સાડા ત્રણનો ઘડીયો_ નહીં  શીખવવા પાછળ એમની દિર્ઘ દ્રષ્ટી કામ કરી ગઈ હશે કે, મોટો થતાં હું મારી સમગ્ર કારકિર્દી દરમિયાન ઉંઠાં જ ભણાવવાનો છું!). વળી સાથે સાથે છાપાંના માધ્યમથી  થોડું વાંચતાં પણ શીખવેલું. ઉક્ત વર્ષે મારા જનમ દિવસે એમણે ઘરમાં ઘોષણા કરી કે, આને હવે નિશાળે બેસાડી દેવો છે. જો કે આમ તો આ સીધે સીધો વટહુકમ જ હતો, પણ સંસદે તેને હર્ષભેર પસાર કર્યો. સંસદ માત્ર એક જ સભ્ય__દાદી__ની બનેલી હતી! યોગ્ય સમયે દાદા તપાસ કરી આવ્યા અને એક શુભ દિને અને શુભ ચોઘડીયે મને લગામ પહેરાવી દેવાનું મુહૂર્ત આવી ગયું. ઔપચારિકતા નિભાવવા મારાં મા-બાપને આની જાણ દાદાએ આગલી રાતે કરી દીધી.
બીજે દિવસે સવારમાં મને વેળાસર તૈયાર કરી દેવામાં આવ્યો. દાદીએ મારા કપાળમાં મોટો ચાંદલો કરી, ઘી ગોળ ભાત ચોળીને ખવરાવ્યું, જે તે દિવસ થી લઈને આજ સુધી નથી ભાવ્યું! દાદા મને આંગળીએ લઈને દાદરો ઉતર્યા, ત્યારે દાદીએ મોટા અવાજે 'નિશાળ ગરણું ' (શાળા પ્રવેશોત્સવનું ગીત) છેડ્યું. ‘પ્રવેશોત્સવ’ આ રીતે કૌટુંબિક કક્ષાએ જ ઉજવાતો, સરકારોને એ સમયમાં બીજાં ઉપયોગી કાર્યો કરવાનાં રહેતાં! આ સમયે નીચે કુંડીએ કપડાં ધોતી માને જાણ થઇ કે છોકરો હાથથી જવાની શરૂઆત થઇ ગઈ! બાપુજી તો એકાદ કલ્લાક પહેલાં માથે હાથ ફેરવી, 'સરસ ભણજે' કહી, નોકરીએ નીકળી ગયેલા. શાળાએ જતાં રસ્તામાં ભીખા લખમણની દુકાનેથી દાદાએ શાળામાં વહેંચવા સારુ શેર પતાસાં લીધાં. મોકો જોઈને મેં દયનીય મુખે થોડોક ‘ભાગ’ અપાવવાની માંગણી કરી, જે દાદાએ એમણે પોતે પણ નહીં ધાર્યું હોય, એટલી ઝડપથી સ્વિકારી લીધી. આમ દોમ દોમ સાહ્યબીથી છલકાતે ખીસ્સે હું દાદાની સાથે આગળ ચાલ્યો. ડોનના ચોકમાં આવેલ નૂતન વિદ્યામંદિર ના હેડ માસ્તર શ્રી સાકરલાલ ભટ્ટ દાદાના સારા મિત્ર હતા. ત્યાં પહોંચી, દાદાએ તેઓને કહ્યું કે, "આજથી આ છોકરો તને સોંપ્યો." સાકરકાકાએ મને શું શું આવડે છે એ વિષે પૃચ્છા કરતાં દાદાએ મારી પાસે વિવિધ પલાખાં બોલાવ્યાં, જે  'પઢો રે પોપટ રાજા રામના' થી વિશેષ ન હતું! વાંચનની પણ થોડીક કસોટી લીધા પછી સાકરકાકાએ મને ધોરણ ત્રીજામાં 'બેસાડવા' નું નક્કી કર્યું. અને તે વર્ગમાં મને મૂકી ગયા.
શાળા છૂટી, ત્યાં સુધી સાકરકાકા સાથે ત્યાં જ, એમની ઑફિસમાં બેસીને દાદાએ સમય પસાર કર્યો. ઘરે જઈને તેમણે ગર્વોન્નત મસ્તકે બધી વાત કરી. એમનો ઈંગિત એ તરફ હતો કે “હિંચકે ઝુલતાં આખ્ખો દિ’ પાનપટ્ટી અને વારે ઘડીયે ચા ને છાપાં” સિવાય પોતે છોકરાને શીખવવા જેવુ કશુંક ઉપયોગી કામ પણ કરતા હતા.  પણ દાદીએ વિરોધ પક્ષના નેતાની અદાથી ઘટનાને વખોડી કાઢી. "આવડા એવા છોકરાને ત્રીજામાં તે મુકાતો હશે? મરી જશે મરી, મારો છોકરો! કાલે જઈને ઉતારી આવો, એક ધોરણ." બીજે દિવસે દાદાએ સાકરકાકાને ઘરમાં ઉઠેલ વિરોધ વિષે જણાવતાં મારું તત્કાળ Demotion થયું અને હું બીજા ધોરણમાં 'બેઠો'! આ સમગ્ર ઘટનાક્રમમાં એક બાબત હવે ધ્યાન ઉપર આવે છે કે સાકરકાકાએ તે સમયના હિતેચ્છુ હેડ માસ્તરોની જેમ મારી જન્મતારીખ ૧૯૫૩ની જગ્યાએ ૧૯૫૪ લખી હતી. હવે જો દાદીએ મને ત્રીજા ધોરણમાં રહેવા દીધો હોત તો એ હીસાબે ચાર વરસની ઉમરે ત્રીજા ધોરણમાં હોવા બદલ મને કેટલી પ્રસિધ્ધિ મળી હોત! ‘એક સાથે ત્રીશ્ કેળાં ખાઈ જતો આઠ વરસનો બાળક’ કે પછી 'ચૌદ આંગળી ધરાવતી કન્યા’નાં  એ જમાનામાં ભરાતા મેળામાં પ્રદર્શનો યોજાતાં એવી રીતે કાંઈક મારી સાથે પણ બન્યું હોત. ખેર!
હું ત્રીજા ધોરણમાં હતો અને બાપુજીની બદલી ગઢડા મુકામે થતાં જાન્યુઆરી ૧૯૬૧માં ત્યાં ફરવાનું થયું. હવે મારા એડ્મીશન માટે શું કરવું એ બાબતે જેટલો નચિંત હું હતો એટલાં જ નચિંત મારાં મા બાપ પણ હતાં. ત્યાંની ‘મોહનલાલ મોતીચંદ શાળા’માં મને લઈ ને મારા બાપુજી પહોંચ્યા ત્યારે ત્યાંના હેડ માસ્તર સાહેબે ત્યારના સંજોગોમાં મને બે મહિના માટે ત્યાંની ‘ધૂડી નિશાળ’માં બેસાડવા સુચવ્યું અને ધોરણ ચારથી તેઓ મને ‘મોહન મોતી’માં લઈ લેશે એમ જણાવ્યું. આ તબક્કે ધૂડી નિશાળ શું એ જણાવી દઉં. આવી શાળાઓમાં વિદ્યાર્થીને લાકડાનું એક પાટીયું આપવામાં આવે. નદીની માટી લાવી, એને પાણીમાં ભેળવી, એનું લીંપણ એ પાટીયા ઉપર કરી, એનું સમતલ પડ બનાવી દેવાનું. એને થોડી વાર માટે સુકાવા દેવાનું એટૅલે એ ત્યાં જામી જાય. પછી એ પડ ઉપર સળીની મદદથી અક્ષરો/આકૃત્તિઓ પાડવાનાં રહેતાં. ગ્રામ્ય બોલીમાં ધૂળ ને ધૂડ કહે, માટે આ ધૂડી નિશાળ!  સ્લેટ-પેન વાપરવાથી ટેવાયેલા મને આ બહુ રોમાંચક લાગ્યું ઘરના જમવા બેસવાના પાટલા ઉપર પણ મેં ‘ધૂડા’ પ્રયોગો ચાલુ  કરી દીધા. મા બાપને તો આમાં મારી સર્જનાત્મક શક્તિને વિકસવાની તક જણાવા લાગી અને આ બાબતે મને ભારે પ્રોત્સાહન મળવા લાગ્યું! જો કે આ શાળામાં હજી થોડાક જ  દિવસ વિત્યા હશે તેવામાં નગરશેઠના ઘરેથી ચા પાણી માટેનું આમંત્રણ આવ્યું. ઔપચારિકતાઓનાંં આદાન-પ્રદાન દરમિયાન બાપુજીએ મારા ‘ધૂડા’ પ્રયોગો વિષે વાત કરતાં શેઠ મહેન્દ્રભાઈએ મને ‘મોહન મોતી’માં કેમ નથી મૂક્યો એમ પુછ્યું. બાપુજીએ સ્પષ્ટતા કરી, એટલે શેઠે કંઈ જ બોલ્યા વગર બે તાળી પાડી. જે બે જણા નાસ્તો અને શરબતના પ્યાલા લઈને પ્રગટ થયા એમાંના એક  ‘મોહન મોતી’ના હેડ માસ્તર સાહેબ હતા! શેઠે તેઓને મેનેજર સાહેબના દિકરાને બીજા જ દિવસે દાખલ કરી દેવાની સુચના આપી અને જો એમ નહીં થાય તો શું થઈ શકે એની સાહેબને ખબર હતી એની ય ખાત્રી કરી લીધી. આમ, સાહેબના હાથે નાસ્તા અને શરબત બાદ બીજે દિવસે ‘મોહન મોતી’માં ઉમળકાભેર આવકાર પણ મળ્યો. અને  આમ મારું ભણતર ‘ધૂડમાં મળતું’ અટક્યું.
આટલા વિસ્તારથી વાત કરવાનું પ્રયોજન એ કે, આજથી ૫૫-૬૦ વરસ પહેલાંનો સમાજ અત્યારથી કેટલો અલગ હતો, એ અહીં ઉજાગર કરવું છે. મહદ અંશે બાળકો દાદા દાદી પાસે ઉછરતાં. એમની કારકિર્દી (એ વળી કઈ બલા?) વિષયક નિર્ણયો પણ એ  કક્ષાએ જ લેવાતા. એમાં મા-બાપને પોતાના અધિકાર ક્ષેત્ર પર તરાપ ન દેખાતી, બલ્કે સધિયારો રહેતો. શાળામાં પ્રવેશ, બગીચામાં પ્રવેશ જેટલો જ સાહજિક હતો. અને આ રીતે, કોઈ ચોક્કસ 'System' વગરના સમાજ માં જનમતાં, ઉછરતાં અને ભણતાં બાળકોનું ભાવિ પણ બહુ ખરાબ ન રહેતું. નોકરિયાત લોકોને કોઈ પણ કારણસર એક ગામથી બીજે ગામ ફરવાનો સંજોગ ઉભો થાય તો એ સમયે બાળકોના ભણતર વિષે કે એડ્મીશન વિષે કોઈ ચિંતા ન અનુભવાતી. ભાવનગરથી ગઢડા ફરવાનો મહિનો જાન્યુઆરી હતો, તો પણ એપ્રીલ મહિના સુધી ભાવનગરમાં ભણાવી, જે તે શૈક્ષણિક વરસ પૂરું થાય પછી ગઢડા દાખલ કરાવવાનો વિચાર કોઈ કુટુંબીજનને આવ્યો ન્હોતો. આવા ગાળામાં જન્મી, ઉછરી, ભણી, તૈયાર થયાનો કોઈ જ રંજ નથી, બલ્કે આનંદ છે. એ જમાનાની સહુથી મોટી રાહત એ હતી કે, કારકિર્દીને લઈને 'માનસિક તાણ' શબ્દપ્રયોગ ત્યારે પ્રયોજાયો ન હતો. ન તો મા- બાપ માટે, ન તો ખુદ બાળક માટે.