Friday, 4 November 2016

વ્યસનકથા--૧

મારી લગભગ સાતેક વર્ષની ઉમરે અમે ભાવનગરથી ગઢડા(સ્વામીના) જતાં હતાં, ત્યારે રસ્તામાં ઢસા નામના ગામે બસ ઉભી રહી અને કંડક્ટરે એ હાલો ભાયું, આયાં બસ ચા પાણી હાટુ ઉભી રેશેની ઘોષણા કરી. એ જ સમયે  બસ ડ્રાઈવરની કેબીનમાંથી ત્રાડ સંભળાઈ, “તે ક્યાં મરી ગ્યોતો?” જવાબમાં મારીથી માંડ એકાદ બે વર્ષ મોટો હોય, એવડા છોકરાએ નીચે ઉભા ઉભા એવા જ અંદાજમાં તે બાપા, આ તમારી હાટુ કેવેંડર લઈને નઈ આવ્વાનું?” કહી, ડ્રાઈવરના હાથમાં બીડી-બાકસઆપ્યાં. ડ્રાઈવરે આગવી અદાથી ધુમ્રપાન શરૂ કર્યું.

મારા બાપુજીએ એનું ધ્યાન બસમાં ધુમ્રપાન કરવાની મનાઈ હોવાની સુચના વાળા પાટીયા તરફ દોરતાં એણે તે સાહેબ, અહિયાં વાંસતાં જ કોને આવડે સ?” કહી, એક દમ વધુ લગાવ્યો. બસમાં બેસી રહેલાં મુસાફરો હસી હસીને ગોટો વળી ગયાં. તે જ સમયે એક સજ્જને ડ્રાઈવરને માહિતી આપી કે, “તે ભાવુભા (એ વિસ્તારમાં કાંઈ પણ બોલવાની શરૂઆત તેથી જ થાય!), આ તો બેંકના મોટા સાયેબ છે. ઈમની તો મરજાદ રાખવી જોશે”. “તે લે, પેલેથી ખબર હોવી જુવે ને?” કહેતાં ડ્રાઈવરે કેવેંડરનીચે ઉભેલા દીકરાને આપી દીધી અને એ ભડનો (શબ્દશ:) દીકરો બાકી રહેલી સિગારેટના ટેસથી દમ મારવા લાગ્યો!
 
ઉદાર બાપનો નસીબવંતો દીકરો!
એ ક્ષણે મને પહેલી વાર હજી સુધી આવા સ્વર્ગીય આનંદથી વંચિત રહ્યા હોવાનો ખ્યાલ આવ્યો. જો કે સામે બેઠેલાં મા-બાપ ઉપર નજર પડતાં હતાશાએ ઘેરી લીધો કે આવનારાં ઘણાં વર્ષો સુધી આમ જ રહેવાનું છે. કુમળા બાળમાનસ ઉપર એની ઈચ્છા મુજબ ન વર્તવા દેવાથી કેવી ખરાબ અસરો પડે એ સમજવા જેટલાં એ લોકો ઉત્ક્રાંત ન્હોતાં થયાં, એ બાબતનો બહોળા અનુભવથી ખ્યાલ હતો! આમ હોવાથી મેં એમની પાસે બીડી પીવાની મારી હાર્દિક ઈચ્છા વ્યક્ત કરવાનું ટાળ્યું. આ બસના ડ્રાઈવર જેવા ઉદાર મારા બાપુજી ન હોવા બદલ હતાશા તેમ જ લાચારી અનુભવી. જો કે એ ઉમરથી જ ભારે આશાવાદી હોવાથી ક્યારેક તો સુખનો સુરજ જરૂર ઉગશે એમ મન મનાવ્યું.

ત્રણેક વર્ષ બાદ મારી અપેક્ષા પ્રમાણે સુખનો સુરજ ઉગ્યો. હવે બાપુજીની બદલી પાછી ભાવનગર થઈ ગઈ હતી. અમે રહેતાં ત્યાંથી મોસાળ બિલકુલ નજીક હતું. મન ફાવે ત્યારે ત્યાં જઈ, જલ્સા કરવાનો અધિકાર હું પૂર્ણપણે ભોગવતો. ત્યાં ત્રીકમભાઈ નામે ઘરઘાટી હતા, જે હંમેશાં હોકલી પીતા. નવરા પડે એટલે વરંડામાં જઈ, ત્યાં દાદરાની નીચેના ગોખલામાં રાખેલ હોકલીમાં તમાકુ ભરી, અદાથી સળગાવી, બેઠા બેઠા મોજથી ઘુંટ લગાવે.
ત્રીકમભાઈ 
એક વાર રજાના દિવસે મોસાળ ગયો ત્યારે
ત્રીકમભાઈ રજા ઉપર હોવાની ખબર મામાના મોટા દિકરા જગતે સહર્ષ આપી. થોડી વાર થઈ, ત્યાં માશીનો દીકરો જયંત પ્રગટ થયો. આ બન્નેના હાવભાવ જોતાં કાંઈક અવનવું બનવાનું હોય, એમ લાગતું હતું. હકિકતે તો ક્ષણે ક્ષણે સ્વર્ગ ઢૂકડું આવતું જતું હતું!

બપોરના ભોજન બાદ વડીલો આરામ માટે ગયાં. મોટાભાઈઓ દ્વારા મને વરંડામાં આવવાની સૂચના મળી. વડીલોને ખબર ન પડે એવી ખુફીયા પ્રવૃત્તિઓ માટે આ સ્થળ અનુકુળ રહેતું. કોઈ કોઈ વાર આવી કેટલીક પ્રવૃત્તિઓમાં મારી સમર્પિત સંડોવણી રહેતી. આના પુરસ્કાર રૂપે મોટાભાઈઓએ મને આજે ન્યાલ કરી દેવાનું નક્કી કર્યું હતું. વરંડાનું ઘરમાં ખુલતું બારણું અમે બહારથી બંધ કર્યું અને મારે માટે સ્વર્ગનું દ્વાર ખુલ્યું! બેઈ ભાઈઓએ સિધ્ધહસ્ત કલાકારની અદાથી ત્રીકમભાઈની હોકલી સળગાવી, વારાફરતી દમ લગાવ્યા અને પછી એ ધન્ય ક્ષણ આવી પહોંચી, જ્યારે મુજ શિખાઉના હાથમાં દીવ્ય આનંદ તરફ દોરી જનારું સાધન મુકવામાં આવ્યું. પહેલો ઘુંટ મારતાં જ આ આપણી લેન ન હોયની સમજ પડી ગઈ, પણ ભાઈઓ આગળ તો એમની ટોળકીમાં માંડ મળેલ સ્થાન ટકાવી રાખવા માટે થઈને બહુ મજા પડી ગઈકહી, બીજી વાર પણ મોકો મળ્યે આ પ્રવૃત્તિમાં મને ફરીથી ભેળવવા આજીજી કરી. જો કે એ પછી આવા મોકા ભાગ્યેજ આવ્યા.

હું ભણતો એ નિશાળ (એ.વી.સ્કૂલ)માંના કેટલાક છોકરાઓ બેકદર સમાજને અસ્વિકાર્ય હોય, એવી ઘણી બાબતે શુરાપૂરા રહેતા. શાળાની પ્રતિષ્ઠાવધારવામાં એમનો સારો એવો ફાળો રહેતો. રિસેસના સમયે એમાંના મોટા ભાગના, સામે આવેલી પાનની દુકાને જઈ, બીડી સળગાવી ધુમાડાના ગોટે ગોટા ઉડાડતા. હું નિમાણાની જેમ વર્ગની બારીમાંથી એ જોયા કરતો. ધુમકેતુએ જો ક્યારેક આ દ્રશ્ય જોયું હોત, તો તેઓએ તેમની પ્રસિધ્ધ વાર્તા ભીખુમાં મીઠાઈની દુકાને ઉભા રહી, જલેબી તરફ તાકી રહેલા ભુખ્યા ગરીબ છોકરાની જગ્યાએ બીડીની દુકાન સામે ઉભેલા વંચિત છોકરાનું શબ્દચિત્રણ કર્યું હોત! અગાઉના બહુ આનંદદાયક નહીં એવા ધુમ્રપાનના અનુભવ બાદ પણ એવી સમજણ કેળવી હતી કે આ તો મર્દો વાળી બાબત હતી અને વધુ અનુભવથી એમાં આગળ વધાશે.

એ સમયગાળામાં હુસેન નામનો એક મિત્ર કે જે નિશાળે જવા આવવાનો સંગાથી હતો એ તો ખીસામાં જ બીડી બાકસ રાખતો અને જાહેર રસ્તે મન ફાવે ત્યારે બીડી પીવા લાગતો! આ ઉમદા પ્રવૃત્તિમાં એની સાથે જોડાઈ જવાની તીવ્ર ઈચ્છા, વડીલો દ્વારા પકડાઈ જવાના અને ત્યાર પછી તે બાબતે થઈ શકતા ઉપચારના ડરથી દબાયેલી રહેતી. ખેર, આમ ને આમ શાળાજીવનના દિવસો વિતી ગયા. કૉલેજનાં બે વર્ષ ભાવનગરમાં ગાળ્યા બાદ આખરે આગળ અભ્યાસ માટે નડીયાદ જવાની તક મળી. એ જમાનાની એક સારી કૉલેજમાં માઈક્રોબાયોલોજી જેવો રસપ્રદ વિષય ભણવા મળશે, એનો હતો એટલો જ રોમાંચ હોસ્ટેલમાં રહી, પૂરેપૂરી સ્વતંત્રતાથી જીવવા મળશે, એનો પણ હતો. સત્તર વર્ષે કેળવેલી કેટલીક મહત્વાકાંક્ષાઓમાંની એક, ટેસથી ઇચ્છા પડે ત્યારે, ઇચ્છા પડે એટલી વાર ધુમ્રપાન કરવાની હતી.

પણ એમ કાંઈ બધાં સપનાં થોડાં સાકાર થાય? મારા બાપુજી મારા જવાની આગલી રાતે મને કોઈ વાતે મુંઝાવું નહીં વિગેરે કીધા બાદ મુખ્ય મુદ્દે આવ્યા. જો ભાઈ, બીજું બધ્ધું બરાબર પણ મારી એવી અપેક્ષા છે કે તું મારા પૈશાનો ધુમાડોનો કરતો.આટલું કીધા પછી હું આનો સૂચિતાર્થ સમજ્યો કે નહીં એની તેઓએ ખાત્રી કરી. આ સાથે મારા ધુમ્રપાનના સપનાનો જ ધુમાડોથઈ ગયો. બાપુજીના શબ્દો ને શબ્દશ: લઉં, તો જાતે રળતો ન થાઉં, ત્યાં સુધી આ આનંદદાયી પ્રવૃત્તીથી વિ‘મુખ’ રહેવાનું હતું.

એમને આપેલ વચનનું પાલન ધાર્યા કરતાં વધુ કઠિન નીવડ્યું.  નડીયાદની અમારી હોસ્ટેલમાં મોટા ભાગના છોકરાઓ ધુમ્રપાન કરતા. વિવિધ પ્રકારની બીડી
સ્વર્ગની સીડી
બહોળા પ્રમાણમાં પીવાતી. અમુક તાલેવંતો બ્રીસ્ટોલ
, પનામા અથવા તાજ છાપના દમ મારતા. આ મહાસુખદાયી કાર્યક્રમનો અંતર્ગત ભાગ ન હોવાની લાચારી કાયમ કઠતી. ઘરથી દૂર હોવા છતાં પણ બાપુજીને આપેલ વચન તોડવાની હામ ન થતી. હોસ્ટેલના મીત્રો મને પલોટવા માટે સામ, દામ, દંડ અને ભેદ ઉપરાંત ચાણક્યનિતીમાં ન જડે એવા અન્ય ઉપાયો પણ અજમાવતા રહેતા હતા. પીગળી જવાની વૃત્તિ અત્યંત પ્રબળ રહેતી હોવા છતાં છેલ્લી ક્ષણે આંખ સામે બાપુજીનો ચહેરો આવી જતો અને કાશ, એ આટલા સ્નેહાળ ન હોત, તો અત્યારે એમને આપેલ વચનનો દ્રોહ કરાત એવા વિચારો આવતા. આમ ને આમ હોસ્ટેલનાં વર્ષો પૂરાં થયાં અને હું વંચિતનો વંચિત જ રહ્યો, સમયગાળા દરમિયાન જાતની સરખામણી ઘણી વાર ટેન્ટેલસ નામના ગ્રીક પાત્ર(કે જેના હોઠે આવી અમૃતનો પ્યાલો ઢોળાઈ જતો) સાથે થઈ જતી. જો કે કંઈ લાખો નિરાશાઓમાં અમર આશા છુપાયેલી છેએ સુવાક્યના સહારે એ સમય નીકળી ગયો.

આખરે નોકરી માટે અમદાવાદ આવવાનું થયું. પગારની તારીખે 300 રૂપિયાની માતબર(!) રકમ હાથમાં આવી એટલે જીવનની પહેલી કમાણીના 21 રૂપિયા ભદ્રકાળીના મંદીરે ચડાવી, સીધો પહોંચ્યો નજીકમાં આવેલી સિગારેટની દુકાને અને તાજ છાપનું પૂરું પાકીટ ખરીદ્યું. આ પસંદગીમાં એની જાહેરખબરમાં આવતી પ્રભાવશાળી ટેગલાઈન, “ધીમી બળે છે અને વધુ લહેજત આપે છે” મોટો ભાગ ભજવી ગયેલી. 

હવે પિતાની નહીં, પોતાની કમાણીનો ધુમાડો તો થઈ શકે એ સમજણ ભારે રાહતદાયી હતી.

                 આ દિવસો બિલકુલગધાપચીસીના બની રહ્યા, જ્યારે કોઈ જ જવાબદારી વિના માત્ર મોજ કરવાની હતી. જો કે લત લાગી જાય એ હદે વાત આગળ ન વધી. પણ ઈચ્છા થાય ત્યારે સિગરેટ પી લેતો. આવા જ અરસામાં સ્નેહા નિકટ આવવા લાગી અને એ બાબત સિગારેટથી દૂર રહેવા માટે કારણભૂત બની રહી. જો કે દિવસની એકાદ બે તો પીવાઈ જ જતી. લગ્ન બાદ સ્નેહાએ આદર્શ પત્નિનાં ઘણાં
પાસાં ઉજાગર કર્યાં, જેમાંનું એક મારી વ્યસનમુક્તિનું અભિયાન હતું. મેં પણ આદર્શ પતિ જેમ પત્નિને આપેલાં વચનોનો દ્રોહ કરવાની પરંપરાનું પૂરેપૂરી સમર્પીત ભાવનાથી પાલન કર્યું! એ જમાનામાં આવતી વિલ્સ સિગરેટની ‘Made for each other’ જાહેરાત દેખાડી હું એને સમજાવતો કે ઉત્તમ સહજીવન માટે ધુમ્રપાન જરૂરી હતુ!  એ દિવસોમાં બહુ વ્યાપક પ્રમાણમાં બીડી સિગારેટની જાહેરાતો થતી. એકમાં તો કોઈ ડૉક્ટર જ પ્રચાર કરતા દેખાય છે!


ડૉક્ટર દ્વારા પ્રચાર!

જેને વ્યસન કહેવાય એવી લત 1983થી લાગુ પડી. પરદેશથી આવેલ એક મિત્ર ત્યાંની શ્રેષ્ઠ ગણાતી સિગારેટ જથ્થાબંધના હિસાબે લઈ આવ્યો અને એનો એક સારો એવો ભાગ મને આપ્યો. અત્યાર સુધી ઘરમાં સિગારેટ રાખવાનો અને પરિણામે પીવાનો પ્રસંગ બન્યો ન હતો. હવે એ દોર પણ શરૂ થયો. જો કે એ જ અરસામાં બાપુજીની બદલી અમદાવાદ થઈ જતાં ઘરમાં મા-બાપની ઉપસ્થિતીને લીધે અલબત્ત, અંકુશ રહેતો. એવામાં એક દિવસ તેઓ મારા માટે બ્રીટીશ બનાવટની રોયલ પ્રીન્સ પાઈપ અને તમાકુ લઈ આવ્યા!
 

'રોયલ પ્રીન્સ'

જો કે પછીથી સમજાયું કે આ તો એમની સોદાબાજીનો એક ભાગ હતો! એમને છીંકણીની ટેવ હતી. અમદાવાદ આવ્યા પછી મા સાથે સ્નેહા ભળવાથી એમની સામેનો મોરચો બળવત્તર બની રહ્યો હતો અને વળતા હુમલાતરીકે એ મને વ્યસન બાબતે  સહભાગી બનાવવા ઈચ્છતા હતા. 

આવા આવા પ્રવાહો વચ્ચે સ્નેહાને સમજાયું કે પીયૂષ સુધારણા પ્રકલ્પના અન્ય આયામો પાસે ધુમ્રપાન નિષેધની બાબત તો નગણ્ય છે! આથી એણે અન્ય મોરચા ખોલ્યા અને આ બાબતે મને ટોકવાનું બંધ કર્યું. આશ્ચ્રર્યની બાબત તો એ ઘટી કે એ એક વાર મારા માટે 'Break in case of emergency’ લખેલ કાચની એક ડબ્બી લઈ આવી, જેમાં અંદર એક સિગારેટ મૂકેલી હતી! આ તો સૈંયા ભયે કોટવાલવાળી વાત હતી અને હવે ડર કાયેકાની સ્થિતીમાં મારું ધુમ્રપાન બેકાબુ બનતું ચાલ્યું.
એક જાણીતા સંસ્કૃત સુભાષીતમાં કહ્યા મુજબ મૂર્ખ માણસનો સમય વ્યતીત થવામાં નિંદ્રા અને કલહ ઉપરાંત વ્યસનનો મુખ્ય ફાળો હોય છે. એમાંથી પહેલાં બે તો નાનપણથી જ પાળી રાખેલાં હતાં, હવે ધુમ્રપાનનો ઉમેરો થતાં પૂર્ણ સમયના મૂર્ખ તરીકેની લાયકાત કેળવી લીધી.

ઘરમાં તેમ જ કૉલેજમાં કોઈ ક્ષોભ વગર સિગારેટનું સેવન ચાલુ થઈ ગયું. અલબત્ત, ઘરમાં મા બાપ કે અન્ય વડિલો અને કૉલેજમાં સિનીયર અધ્યાપકોની આમન્યા રાખતો. મારાં સંતાનો કે વિદ્યાર્થીઓની હાજરીનો કોઈ જ છોછ ન રહેતો.
જાહેર સ્થળો કે રસ્તા પર સિગારેટ પીવામાં કાંઈ ખોટું કર્યું હોવાની શરૂઆતની લાગણી ધીમે ધીમે જતી રહી. રોડ ઉપરના લારી ગલ્લા ઉપરથી સિગારેટ ખરીદવાનું એક અધ્યાપક તરીકે વ્યાજબી ન ગણાય, એવી સમજણને પણ પ્રયત્નપૂર્વક દૂર હડસેલી મૂકવાનું ફાવી ગયું. એક વાર ખાસ મને મળવા આવેલ એક ખૂબજ હોંશિયાર અને કારકિર્દીમાં ખાસ્સા આગળ વધી ચૂકેલ એવા ભુતપૂર્વ વિદ્યાર્થીએ મને કહ્યું કે, એ હંમેશાં મને 'Role Model’ ગણતો આવ્યો છે ત્યારે થયેલો આનંદ ક્ષણવારમાં જ ઓસરી ગયો, જ્યારે એણે ઉમેર્યું કે એ બિલકુલ મારી જેવી જ અદાથી સિગારેટ પીતો હતો!

મારા માટે આ ઘટના આંખ ઉઘાડનાર  બની રહી અને મેં તાત્કાલિક અસરથી સંતાનો અને વિદ્યાર્થીઓની હાજરીમાં ધુમ્રપાન બંધ કરી દીધું. આનું સાટું વાળવા માટે જ્યાં અને જ્યારે એ લોકોની હાજરી ન હોય એવા અનુકૂળ સંજોગોમાં ઉપાડ વધી ગયો. લગભગ 24 વર્ષ સુધી અનેકવિધ વિરોધો અને અવરોધો વચ્ચે આ વ્યસન ટકી રહ્યું.

2006ની સાલમાં અચાનક છાતીમાં દુ:ખાવો શરુ થયો અને ડૉક્ટર પાસે ધસી જવું પડ્યું. જૂની ઓળખાણ હોવાથી તેઓ મારી જીવનશૈલીથી વાકેફ હતા. મને તપાસતી વેળાએ જો હું સિગારેટ છોડી દેવાનો હોઉં તો જ મારી સારવાર માટે આગળ વધવાની એમણે વાત કરી અને મેં એ નબળી ક્ષણે એમની વાત સ્વિકારી લીધી. સદનસીબે ડૉક્ટરી તપાસમાં કશું ચિંતાકારક જડ્યું નહીં પણ આ ઘટનાએ મને વિચારતો કરી દીધો. બસ, એ બાબત Turning Point બની રહી. અને મેં મારા વ્યસનમુક્તી અભિયાનનો આરંભ કર્યો. 

શરૂઆતમાં ઘણું જ મુશ્કેલ લાગતું આ અભિયાન ધીમે ધીમે સફળતાના આરે પહોંચ્યું છે. જો કે હજી પણ સંપૂર્ણ પણે મુક્ત નથી થયો. ક્યારેક સરસ વરસાદી વાતાવરણમાં કે પછી કોઈ અતિ સુંદર જગ્યાએ ફરતી વખતે કે પછી ક્યારેક પ્રિય દોસ્તોના સહવાસમાં ધુમ્રપાનની તીવ્ર ઈચ્છા થઈ આવે છે અને તેવે સમયે તેને ખાળવા માટે બહુ ગંભીર પ્રયત્નો નથી કરતો! જો કે જે પરિચીતો આ ટેવ ધરાવે છે એ લોકોને તેઓ તેમાં કાપ મૂકે એવું સૂચન ચોક્કસ કરું છું.

ઉમરના સાતમા દાયકામાં પ્રવેશ થયા બાદ ઉંઘનું અને કલહનું પ્રમાણ, અનુક્રમે કુદરતી રીતે અને સ્વાભાવીક રીતે ઘટ્યું છે. વ્યસનની માત્રા પણ નોંધનીય કક્ષાએ ઓછી થઈ ગઈ છે. એટલે અગાઉ ઉલ્લેખ કરેલ, એ સુભાષીતમાં વર્ણવેલાં મૂર્ખતાનાં ત્રણે ય  લક્ષણો પ્રચ્છન્ન થવા લાગ્યાં છે. એ સુભાષીત આ પ્રમાણે છે:

                કાવ્યશાસ્ત્ર વિનોદેન કાલો ગચ્છ્તિ ધિમતામ્,
                વ્યસનેન તુ મૂર્ખાણામ્ નિંદ્રયા કલહેનવા.

હવે અહીં આપેલી વ્યાખ્યા પ્રમાણે જો બુધ્ધિશાળી ગણાવું હોય તો જે સુચવ્યું છે, એ રીતે કાવ્ય અને શાસ્ત્રોની ચર્ચાના વિનોદ વડે કાલનિર્ગમન કરવાની તો ગુંજાઈશ નથી. આ પૂરેપૂરું વાંચવાની ધીરજ અને સહનશીલતા ધરાવતાં શુભેચ્છકોમાંથી કોઈ ઉપાય બતાવશે? આ તો શું કે નિવૃત્ત  થઈ ગયો છું. નોકરીનાં વર્ષો દરમિયાન તો વાંધો ન આવ્યો, હવે તો થોડા બુધ્ધિશાળી હોવું પડશે ને!

૧) ચિત્રો અને તસવીરો પ્રતિકાત્મક છે અને નેટ પરથી મેળવેલ છે.
૨) આ મારી કેફિયત છે અને કોઈ પણ રીતે ધુમ્રપાનનો મહિમા કરવાનો ઉપક્રમ નથી.




Tuesday, 25 October 2016

અમારો હુસેનીયો

૧૯૯૨ના મે મહિનામાં ભાવનગર ગયેલો ત્યારે ત્યાંની બાર્ટન લાઈબ્રેરીની આસપાસમાં આવેલા એક મકાનમાં રહેતા સજજનને એક સંપેતરું પહોંચાડવાનું હતું. હું ત્યાં આગળ સાઈકલ ઉભી રાખીને મકાન શોધી રહ્યો હતો. એ જ સમયે બાજુમાં આવેલા હનુમાનજીના મંદીરના ચોગાનમાં મજુરી/ફેરી માટે પોતપોતાની લારીઓ લઈને કેટલાક માણસો ઉભા હતા. એમાંના એકે બૂમ પાડી, “એ....ઈ.... પીયૂસીયા, શું ગોત સ, ન્યાં?” તાત્કાલિક તો ખ્યાલ ન આવ્યો પણ પછી લાક્ષણિક એવાં ભાવનગરી મહેણાં ટોણાં મારીને એણે જાતે જ ઓળખાણ આપી, “હું હુસેનીયો, આપડે એ વી સ્કૂલમાં હારે નો ભણતા?”

ત્યાં જ મને યાદ આવી ગયો, અમારો હુસેનીયો. ધોરણ ૬ થી લઈ, ૯ સુધી અમે બન્ને એક જ નિશાળમાં અને એક જ વર્ગમાં જતા( ‘ભણતા’ એમ કહેવું જરા વધારે પડતું થઈ જશે!). પછી એણે અભ્યાસ છોડી દીધો. ધીમે ધીમે અમારું મળવાનું ઓછું થતાં થતાં લગભગ ૧૯૬૮ સુધીમાં સાવ જ બંધ થઈ ગયેલું. એ પછી ૨૪ વરસના અવકાશે પણ એ મને જોતાં વેંત ઓળખી ગયો. બહુ પ્રેમથી સોડા પીવાનું એણે કરેલું સૂચન મેં એટલા જ પ્રેમથી સ્વિકાર્યું. એ દરમિયાન થોડું ઘણું ‘તને સાંભરે રે’ ચાલ્યું. પછી એ મને યોગ્ય મકાન સુધી મુકી ગયો. કિશોરવયની હાસ્યવૃત્તિ એણે પૂરેપૂરી જાળવી રાખી હતી અને એના ચમકારા અમારા અડધીએક કલ્લાકના સંગમાં વખતોવખત એણે બતાડ્યા.

એનું મૂળ નામ મહમ્મદ હુસૈન, પણ એને ય ઉંઘમાંથી ઉઠાડીને કોઈ નામ પુછે તો એ પોતે પણ  ‘હુસેનીયો’ જ કહે! એની કૌટુંબિક પશ્ચાદભૂ અને એના રહેણાકના વિસ્તાર વિષે જાણ્યા પછી એનું એ સમયનું વર્તન સહેલાઈથી સમજી શકાય. એ નિશાળે આવવામાં ઘણો જ અનિયમીત હતો અને જ્યારે આવ્યો હોય ત્યારે પણ વર્ગમાં આવીને બેસે એ જરૂરી નહતું. ઘરકામ બાબતે એની નિર્લેપતા કોઈ સંતની સંસાર પ્રત્યે હોય એ કક્ષાની હતી!  અપશબ્દો બોલવા, મારામારી કરવી, સાહેબોની સામે થઈ જવું એ બધુ એને સહજસાધ્ય હતું. વર્ગમાં બેઠો હોય તો પણ કાંઈક એવી પ્રવૃત્તિમાં પડ્યો હોય કે સાહેબો એને બહાર જવા માટે ખાસ્સું પ્રોત્સાહન આપતા! અમારી જેવા નિર્માલ્યો તો સાહેબ દ્વારા કરાયેલ ‘ગેડાઉટ’ ને અત્યંત માનહાનીની ઘટના તરીકે જોતા અને એવું ‘માથું વઢાવવાની’ સજા ક્યારે ય ન મળે એ માટે ખુબ જ સતર્ક રહેતા. સામે છેડે હુસેનીયો તો સાહેબના આ એકમાત્ર સૂચનનું પાલન ખુબ જ આજ્ઞાંકિતપણે કરતો. બહાર જતી વખતે પણ કાંઈક એવી ચેષ્ટા કરતો જાય કે અમે બધા હસવું ન રોકી શકીએ. એ પોતાને મળેલા આ કિંમતી સમયનો ઉપયોગ નિશાળના પરિસરની બહાર જઈ, બીડી પીવામાં કરતો. 

હુસેનના ‘ભણવા’ વિષે તો એટલું જ કહી શકાય કે અમે સાથે હતા એ વર્ષોમાં એ કોઈ વાર નાપાસ ન થયો. જો કે એ ચિત્રકામમાં બહુ જ કાબેલ હતો. આથી અમારા જે તે સમયના ચિત્રશિક્ષકોના એની ઉપર હંમેશાં ચારેય હાથ રહેતા. અહીં અમારા શાળાજીવનની બે એક રમુજી ઘટનાઓ કે જેમાં હુસેનીયો સીધેસીધો જ સંડોવાયેલો હોય, એ યાદ કરવી છે.

૧) અમે છઠ્ઠા ધોરણમાં હતા ત્યારથી જ એને બીડી પીતો જોયેલો. નિશાળે જતાં અને ખાસ તો છુટીને ઘરે પાછા જતાં ઘણી વાર અમારો સંગાથ થઈ રહેતો. એ ખીસ્સામાં જ બીડી-બાકસ રાખતો અને રસ્તામાં જ્યારે ઇચ્છા થાય ત્યારે અદાથી બીડી સળગાવી ધુમાડા કાઢવા લાગતો. આવે સમયે  કોઈ કોઈ વાર મને પુછતો, “તારે પીવી સ, દઉં?” 
"તારે પીવી સ, દઉં?"

હું આ ઉમદા પ્રવૃત્તિમાં એને સાથ આપવા હ્રદયથી ઇચ્છતો હોવા છતાં લાચારીથી ના પાડતો. મારાં વડિલો આ બાબતે સહેજેય ઉદાર ન હોવાની મને સુપેરે જાણ હતી. એમાંથી કોઈ દ્વારા પકડાઈ જવાની અને પછી એ બાબતે થઈ શકતા ઉપચારની બીકે હું એમ ક્યારેય ન કરી શક્યો.

આ હતો ૧૯૬૪-૧૯૬૮ સુધી નો ગાળો. એ વખતે ભાવનગરમાં શ્રી આત્મારામ ભટ્ટ નામે એક અત્યંત પ્રતિષ્ઠિત સમાજસેવક/સુધારક હતા. ત્યારે ૭૫-0 આસપાસની ઉમર હશે. ખાદીનાં વસ્ત્રો પહેરેલા અને વધેલાં દાઢીમુછ વાળા આત્મારામદાદા દિવસના મોટા ભાગ દરમિયાન ભવનગરના ચોક્કસ વિસ્તારો માં તેમજ આસપાસનાં ગામોમાં જઈ ને બીડી, દારુ અને અન્ય વ્યસનો છોડી દેવા ત્યાંના રહીશો ને સમજાવવાના (વ્યર્થ) પ્રયત્નો અવિરત કરતા રહેતા.



એક વાર અમે નિશાળેથી આવી રહ્યા હતા, ત્યારે હુસેનીયો બીડી પીતો પીતો ચાલતો હતો. સામેથી આવી રહેલા આત્મારામદાદા આ જોઈ, અમારી પાસે આવી, હુસેનને સમજાવવા લાગ્યા કે વ્યસન બહુ ખરાબ ચીજ છે, છોડી દેવું જોઈએ, એનાથી ખુબ જ નૂકસાન થાય છે, વગેરે વગેરે. એમની વાત પૂરી થયે હુસેનીયો કહે, દાદા, વ્યસન તો તમને વળગ્યું છે, બીજાઓનાં વ્યસન છોડાવી દેવાનું. તમે ઈ છોડી દ્યો! દાદા કશું જ બોલ્યા વિના એને માથે હાથ ફેરવી, જતા રહેલા! 


જ્યારે પણ આ વાત યાદ આવે, ત્યારે એ સમયે થયેલી મારી કફોડી હાલત અને આત્મારામદાદાનું ઉદાર સૌજન્ય એક સાથે જ તાજું થાય છે. 


૨) હવે એક નવું પાત્ર ઉમેરાય છે...... ગુલામ ચારહથ્થો. મૂળ નામ ગુલામ હુસૈન. મારામારી તેમ જ કબડ્ડીની રમત દરમિયાન એ જે સ્ફુર્તીથી એના હાથનો (અને પગનો પણ) ઉપયોગ કરતો, એના ઉપરથી એને સૌ ચારહથ્થો કહેતા. એ ભાવનગરના એવા વિસ્તારનો બાશીન્દો હતો, જ્યાં દુનિયાભરની બદીઓ હાથવગી રહેતી. બીડી તો પીતો જ પીતો, સાથે સાથે લાગ મળ્યે ‘પ્યાલી’ પણ ચડાવી લેતો. અમારા જ વર્ગમાં હતો. અભ્યાસ, ઘરકામ, વર્ગની શિસ્ત વગેરે બાબતો પ્રત્યે એની ઉદાસીનતા અમારી ઈર્ષાનું કારણ બની રહેતી. પણ ગુલામ બહુ સારી હથોટીથી હાર્મોનિયમ વગાડતો અને ગાતો પણ ઘણું જ સારું. અમે નવમા ધોરણમાં આવ્યા ત્યાં સુધીમાં એ ભાવનગરના એ સમયના અતિશય પ્રતિષ્ઠીત ‘મીઠુ બેન્ડ’માં ક્લેરિયોનેટ વગાડતો થઈ ગયેલો. ઘણી બધી સામ્યતાઓને લઈને એની અને હુસેનિયાની દોસ્તી ઘણી જ ગાઢ હતી. નિશાળની અંદર તોફાનો, મારામારી, તોડફોડ જેવી અને તક મળે ત્યારે નિશાળની બહાર ભાગી જઈ, સામેની ‘હોટેલ’ ઉપર ઉભા રહી બીડીઓ પીતા પીતા આવારાગર્દી કરવા જેવી પ્રવૃત્તિઓમાં એ બન્નેએ સહકારનાં ઉચ્ચ શિખરો સર કરી રાખેલાં.

એક વાર રિસેસના સમયમાં એ બન્ને અંદરોઅંદર બાઝ્યા! શરૂઆતમાં તો સૌએ એમ ધારી લીધું કે મસ્તી કરતા હશે પણ આસ્તે આસ્તે ખ્યાલ આવવા લાગ્યો કે આ તો ખરાખરીનો ખેલ હતો! શાબ્દિક કક્ષાએ લડાઈ રહેલું આ યુધ્ધ ધીમે ધીમે મારામારી ઉપર ઉતરી આવવાની આશા પ્રેક્ષકગણને બંધાવા લાગી. એ માટે અમારે બહુ રાહ ન જોવી પડી. ટોળું વળીને ઉભેલા અમે સૌ અમારો પ્રેક્ષકધર્મ નિભાવવા માટે થઈને તાર સ્વરે “બાઝણ ચકે તો પૈશો દઉં”ના સુત્રોચ્ચાર કરવા લાગ્યા. અને શરૂ થઈ ગઈ એ બન્ને વચ્ચે ‘આરપારની’ લડાઈ! 

અમારી નિશાળના સાહેબોને આવી ઘટનાઓની ઝાઝી નવાઈ ન્હોતી. એ લોકો નું સર્વાનુમતે માનવું હતું કે વિદ્યાર્થીઓને એમની છુપાયેલી ક્ષમતાથી વાકેફ થવા દેવામાં બને ત્યાં સુધી આડું ન આવવું. હા, કોઈ કોઈ વાર એ ક્ષમતાના આવિર્ભાવમાં છોકરાઓ લોહીઝાણ  થઈ જાય ત્યારે એકાદ બે સાહેબ/સાહેબો આવી, પ્રમાણમાં જેને ઓછું લોહી નીકળ્યું હોય, એને બરાબરનો ઠમઠોરી, બીજાને શાબ્દિક કક્ષાએ ધિબેડી, મનોરંજિત પ્રેક્ષકોને ખુબ વઢીને થોડી વારમાં ‘પરિસ્થિતી કાબુમાં છે’નો અહેવાલ હેડ માસ્તર સાહેબને આપી દેતા. આ ઘટના સમયે હજી ‘પરિસ્થિતી કાબુમાં’ જ હતી, આથી હુસેનિયા અને ગુલામની લડાઈમાં તાત્કાલિક ધોરણે તો કોઈ અંતરાય આવે એમ ન હતો.

મારામારીનો બહોળો અનુભવ એ બન્ને બરાબર કામે લગાડી રહ્યા હતા. બુંગીયો, ઢોલ, ત્રાંસાં, નગારાં, તૂરી કે દુદુંભીની ખોટ ન પડે એ માટે અમારા સુત્રોચ્ચાર તો ચાલુ જ હતા. જોત જોતામાં શુરાતનની તીવ્રતા વધી ગઈ. હવે જે બથ્થંબથ્થા ચાલી એમાં બન્નેનાં ખમીસનાં બટન તુટ્યાં. આ ભાળીને નાયકોએ પેંતરો બદલવાનું નક્કી કર્યું. યુધ્ધ પાછું શાબ્દિક ક્ક્ષાએ ઉતરી આવ્યું.

અમારી તરફથી સતત મળી રહેલ પ્રોત્સાહનથી એ લોકોએ એમનો બહોળો શબ્દકોશ ખોલવાનું નક્કી કર્યું. એ બે એક બીજાની નજીકની, લોહીના સગપણની સન્નારીઓ સાથે ઘનિષ્ઠ સંબંધો બાંધવાની મહત્વાકાંક્ષાઓ સહેજે છોછ રાખ્યા વગર વ્યક્ત કરતા હતા. અમારી જેવા સંકુચિત મનોવૃત્તિ ધરાવતા છોકરાઓ આ બાબતને ‘ગાળ’ જેવા તુચ્છ શબ્દપ્રકાર તરીકે ઓળખતા હતા! એકાદ બે તો હવે ‘સાહેબને કે’વાનું આવ્યું’ નું સામુહિક ગુંજન ચાલુ કરાવવાનું પણ વિચારવા લાગેલા. એવામાં એમની આપ-લેના  સંદર્ભે ગુલામે હુસેનીયાની માશીબાનો ઉલ્લેખ કર્યો.

અને અચાનક પાસું પલટી ગયું. હુસેનીયો જોર જોરથી હસવા માંડ્યો. માંડ માંડ બોલ્યો કે, "પણ એલા ગુલામીયા, મારે તો માશીબા જ નથી!" લ્યો કહો, હવે ગુલામે ય માંડ્યો હસવા. અમે પણ સાથ પુરાવવા લાગ્યા! થોડી વારમાં તો હસીખુશીનો બગીચો ખીલી ઉઠ્યો! ગુલામે હુસેનીયાના ગળે હાથ પરોવી, બહારની પાનની દુકાને ‘પનામા’ પીવા જવાની દરખાસ્ત કરી, જેનો સહર્ષ સ્વીકાર અને તાત્કાલિક ધોરણે અમલ થયો. એ બન્ને શાળાની બહાર અને બાકીના અમે સૌ વર્ગની અંદર ગયા. આમ, સૌ સારાં વાનાં થયાં. લાગે છે કે જો હુસેનિયા અને ગુલામની પદ્ધતિએ યુદ્ધ કરવામાં આવે તો વિશ્વશાંતિની અપીલ કરવાની જરૂર જ ન રહે.


૧૯૯૭ની આસપાસ એક વાર અમે મળ્યા એ વખતે અમારો એક અન્ય મીત્ર પણ ભેગો હતો. એણે હુસેનને કીધું, “ આને હવે પીયૂસીયો નો બોલાવાય. તને ખબર છે, આ તો અમદાવાદની કૉલેજમાં ભણાવે છે?” એના જવાબમાં એ સહેજ ટટ્ટાર થયો, બીડીનો ઉંડો કસ ખેંચ્યો અને માત્ર એક જ અક્ષર બોલ્યો, ”તે?”!!! આવો અમારો હુસેનિયો છેલ્લો ૨૦૦૩ની સાલમાં મળેલો. ત્યાર પછી ભાવનગર તો ઘણી વાર જવાનું થાય છે પણ એને મળવાનો મેળ નથી પડ્યો. આશા છે કે કોઈક વાર ભાવનગરની ગલીઓમાં આંટા મારતો હોઈશ અને અચાનક એક ત્રાડ આવશે, “એ....ઈ.... પીયૂસીયા, શું ગોત સ, ન્યાં?”
ચારે ય ચિત્ર નેટ પરથી લીધાં છે.