Thursday, 23 March 2017

આવું પણ બને(!?)

આજની વાત શરૂ કરતાં અગાઉ મારી કેફીયત આપી દઉં. હું વિજ્ઞાન ભણ્યો અને સમગ્ર કારકિર્દી વિજ્ઞાનના અધ્યાપનમાં ગાળી એ માત્ર ‘એમ થયું કારણકે એમ થયું’ જેવી વાત નથી. નાનપણથી જ સ્વભાવમાં સરાસરી કરતાં વધુ કુતુહલ વણાયેલું રહ્યું છે. કોઈ પણ વાત સ્વીકારી લેતાં પહેલાં તર્ક અને દલીલબાજીનો ઉપયોગ કરવાની વૃત્તિ વડે ઘણી વાર વડિલો, કુટુંબીજનો, શિક્ષકો, સહકર્મીઓ અને મિત્રો જેવાં લોકોની નારાજગી અને ખફગીનો ભોગ બન્યો છું. આ સ્વભાવ હોવાથી અહીં પ્રસ્તુત કરવી છે એ વાત જ્યારે જ્યારે સાંભળી છે ત્યારે દરેક વખતે જુદા જુદા તર્ક ઉભા કરી, એની યથાર્થતાની ચકાસણી કરવાના પ્રયત્નો કર્યા છે. આખરે આ એક સત્યકથા છે એમ માની લઈ ને અહીં રજૂ કરું છું. અલબત્ત, એને પ્રસ્થાપિત કરવા માટે કોઈ દસ્તાવેજી પૂરાવાઓ ઉપલબ્ધ નથી. એક કુટુંબની કેટલીક પેઢીઓનાં સભ્યો આ ઘટનાને એક કરતાં વધારે વાર મારી હાજરીમાં વર્ણવી ચૂક્યાં છે. એક વાર્તા તરીકે પણ અત્યંત રોમાંચક બની રહે એવી આ વાત માંડતાં પહેલાં એમાંનાં પાત્રોનો પરિચય આપવો જરૂરી છે.

૧) ભાઈશંકર ભટ્ટ ...... તેઓ ભાવનગરના પ્રશ્નોરા નાગર કુટુંબના મોભી અને એ સમયના ખુબ જ પ્રતિષ્ઠીત સજ્જન એવા કલ્યાણ ભટ્ટના સુપુત્ર હતા. 
ભાઈશંકર ભટ્ટ 
તેઓ વેદ, વેદાંત, ઉપનિષદો, જ્યોતિષ વગેરે શાસ્ત્રોના ઉચ્ચકક્ષાના વિદ્વાન હતા. આ ઉપરાંત તેઓ વૈદું જાણતા અને એ એમની આજીવીકાનું સાધન પણ હતું. સંપૂર્ણપણે સંસારી હોવા છતાં તેમની છાપ એક તપસ્વી કક્ષાના પરોપકારી પુરુષની હતી. કેટલાંકોના મતે તેઓને ભાવનગરના રાજવૈદ્ય તરીકે માન્યતા મળી હતી. જો કે આને માટે કોઈ દસ્તાવેજી પૂરાવો હાથવગો નથી. 

તેઓના જીવનની સૌથી રોમાંચક વાત તો તેમના જીવનના અંતને લગતી છે! તેમણે આતુર સન્યાસ લીધો હતો. સન્યાસનો આ એવો ઉચ્ચ તબક્કો છે, જ્યાં વ્યક્તિ સંસાર નહીં પણ દુનીયા છોડી દેવાનો સંકલ્પ કરે છે! એવું માનવામાં આવે છે કે, એક વાર આતુર સન્યાસ લીધાની ઘોષણા કર્યા પછી તે વ્યક્તિનો દેહ વધુમાં વધુ ત્રણ દિવસમાં છૂટી જવો જોઈએ. જો એમ ન બને અને જીવન લંબાય તો જન્મજન્માંતરનાં પુણ્યોનો ક્ષય થઈ જાય. વળી મૃત્યુ કુદરતી રીતે થવું જોઈએ. ઈચ્છામૃત્યુની એક અન્ય ધાર્મીક પ્રણાલિકા ‘સંથારા’ કરતાં આતુર સન્યાસ એ રીતે જુદો પડે છે કે સંથારામાં કોઈ સમયમર્યાદા નથી હોતી, જ્યારે અહીં માત્ર ત્રણ દિવસમાં જ દેહ છૂટી જવો અનિવાર્ય છે. ભાઈશંકર ભટ્ટે પોતે સાવ સાજાસારા હતા ત્યારે ભાદરવા મહીનાની વદ નોમના દિવસે આતુર સન્યાસ લેવાનું જાહેર કર્યું. દશમ તેમજ અગીયારશ ગઈ અને બારશના બ્રાહ્મમુહુર્તમા તેઓ દુનીયા ત્યાગી ગયા.

જવલગૌરી સાથે માંડેલા સંસાર દરમિયાન થયેલાં તેમનાં છ સંતાનોમાં પાંચ દિકરા અને એક દિકરીનો સમાવેશ થતો હતો. પોતાના જીવનકાળ દરમિયાન તેઓએ એમાંથી પાંચ સંતાનો સાથે ત્રિવેણી સંગમ, અલ્લાહાબાદ અને કાશી વિશ્વનાથ, વારાણસીની યાત્રા કરી હતી. જે બાકી રહી ગયા હતા, તેઓ આપણી વાતનું એક વધુ પાત્ર છે. આથી તેમનો ટૂંકો પરિચય મેળવી લઈએ.

૨) માણેકલાલ ભટ્ટ...... 
માણેકલાલ ભટ્ટ

ખુબ જ ફરજપરાયણ અને કુટુંબ વત્સલ તેમ જ કર્તવ્યનિષ્ઠ એવા તેઓ આ કુટુંબના પહેલા સભ્ય હતા, જે સરકારી નોકરીએ લાગેલા. તેઓના કાશીગૌરી સાથેના સંસારમાં થયેલાં કુલ અગીયાર સંતાનોમાંથી લાંબું જીવ્યાં એવાં ત્રણ દિકરા અને એક દિકરી હતાં. એમાંના ત્રીજા ક્રમાંકના દિકરા આજની આપણી વાતનું એક પાત્ર છે.

૩) અનંતરાય ભટ્ટ......  સને ૧૯૦૧માં જન્મેલા અને ભણવે અત્યંત તેજસ્વી એવા તેઓ મુંબઈ ભણવા ગયેલા. ત્યાંની એલ્ફીન્સ્ટન કૉલેજમાંથી બી.કૉમ.ની ડીગ્રી માટેની પરીક્ષા આપે એના થોડા જ મહીના પહેલાં બદલાયેલી કૌટુંબિક પરીસ્થિતિને લીધે ભાવનગર પાછા આવી ગયા અને રેલ્વેની નોકરીમાં જોડાઈ ગયા. ખુબ જ શિસ્તબદ્ધ જીવનશૈલી ધરાવતા પણ અતિશય પ્રેમાળ વ્યક્તિત્વના સ્વામી હતા. 
સરસ્વતીગૌરી ભટ્ટ, અનંતરાય ભટ્ટ 

સરસ્વતીગૌરી સાથેના તેઓના સંસારમાં સને ૧૯૩૪માં હયાત એવાં ત્રણ સંતાનો હતાં....દેવેન્દ્ર(હારિત), દિનમણી અને કોકીલા. એ વર્ષે જૂન મહીનામાં ચોથા સંતાન રૂપે પુત્રપ્રાપ્તિ થઈ, જે આ ઘટનાક્રમનું અતિ મહત્વનું પાત્ર છે.

૪) ચંદ્રવદન...... ખુબ જ સુંદર અને પરાણે વ્હાલો લાગે એવો આ બાળક નાની ઉમરથી જ પોતાની તીવ્ર મેધાનો પરિચય કરાવવા લાગેલો. ચંચળતા, રમતિયાળપણું વગેરે બાળ સહજ લાક્ષણિકતાઓ તો એનામાં હતી જ પણ ક્યારેક ક્યારેક એની ઉમરના પ્રમાણમાં કોઈએ કલ્પ્યું ન હોય એવું પુખ્તતાસભર વાણી-વર્તન એનામાં જોવા મળતું. એક ખાસ નોંધનીય બાબત એ હતી કે એના બન્ને પગના અંગુઠાઓની બાજુની આંગળીઓ થોડી થોડી વળીને અંગુઠા ઉપર ચડી ગયેલી રહેતી હતી. તે સમયનાં વડીલો કહેતાં કે આ લક્ષણ  ભાઈશંકર ભટ્ટમાં પણ જોવા મળેલું! પરિણામે કેટલાક એવી રમૂજ કરતા કે દાદા(ભાઈશંકર) પૌત્ર(અનંતરાય)ને ઘેર પુત્રરૂપે પાછા આવ્યા છે.

હવે આવીએ મૂળ વાત ઉપર. આતુર સન્યાસ લીધા પછી પોતાના આખરી ત્રણેય દિવસો દરમિયાન ભાઈશંકર ભટ્ટ શારીરિક અને માનસિક રીતે સંપૂર્ણપણે સ્વસ્થ હતા. એક તબક્કે દીકરા માણેકલાલ પાસે પોતે તેઓને યાત્રા ઉપર ન લઈ જઈ શક્યા એ બાબતે ખેદ  વ્યક્ત કર્યો. તેઓને વધારે ડંખ એ બાબતે હતો કે પોતાનાં છ સંતાનોમાંથી એક માત્ર માણેકલાલ જ આ લાભ ચુકી ગયા હતા. જો કે માણેકલાલ કે તેમનાં પત્નિ કાશીગૌરીને એ માટે કોઈ ફરિયાદ ન હતી. પણ ભાઈશંકર ભટ્ટે કહ્યું કે પોતે આ બાબતે વસવસો સાથે લઈને દુનિયા છોડી જવાના હતા. ખેર, અગાઉ જણાવ્યું એમ ત્રણ દિવસની અવધિ પૂરી થાય એ પહેલાં ભાઈશંકરે દેહ છોડી દીધો અને પ્રચંડ ઈચ્છાશક્તિનો પૂરાવો જગત સમક્ષ મુક્યો.

સમય સમયનું કાર્ય કરતો રહ્યો અને સને ૧૯૩૯ના જૂન મહીનાના એક દિવસે માણેકલાલ પોતાનાં પત્નિ કાશીગૌરી, ત્રણ દીકરા, એક દીકરી અને દસ પૌત્રો/પૌત્રીઓનો બહોળો વસ્તાર મુકીને આ દુનિયા છોડી ગયા. એ પછી એક વર્ષે એમના પુત્ર અનંતરાય અને પુત્રવધૂ સરસ્વતીગૌરીએ માતા કાશીબા સમક્ષ માણેકલાલ ભટ્ટના આત્માના કલ્યાણ અર્થે ત્રિવેણી સંગમ અને કાશી વિશ્વનાથની યાત્રાએ જવાનો પ્રસ્તાવ મુક્યો અને એ સ્વીકારાતાં સને ૧૯૪૦ના જૂન મહીનામાં કાશીબા, અનંતરાય, સરસ્વતીગૌરી તેમ જ છ વર્ષનો ચંદ્રવદન એમ ચાર જણાં યાત્રાએ ઉપડ્યાં.
કાશીગૌરી ભટ્ટ 
વારાણસી પહોંચ્યા પછી આ ત્રણેય વડીલોએ વારંવાર નોંધ્યું કે બાળક ચંદ્રવદન ત્યાંની ગલીઓમાં જાણે ત્યાંનો પરીચિત હોય એમ ફરતો રહેતો હતો! ઘણી વાર ચોક્કસ સ્થળે જવાનો રસ્તો બતાવતો હતો. એક કરતાં વધુ વાર કોઈ કોઈ જગ્યાએ પહોંચીને કહેતો હતો કે અહીં તો હું પહેલાં પણ આવી ગયો છું! અલબત્ત, વડીલો આ બાબતને બાળ સહજ ચેષ્ટા જેમ જ જોતાં હતાં.

યાત્રા પૂરી કરીને પાછાં આવ્યાના બે એક મહીનામાં ચંદ્રવદનને તાવ ચડ્યો. એ દિવસ હતો ભાદરવા વદ નોમનો. અત્યાર સુધી બિલકુલ સાજા સારા આ બાળકની તબિયત ઝડપથી બગડવા લાગી. એ સમયે ઉપલબ્ધ એવા ઉપચારો કર્યા પણ ત્રણ જ દિવસમાં ભાદરવા વદ બારશની વહેલી સવારે બ્રાહ્મમુહુર્તમાં એ છ વર્ષનો બાળક કાયમ માટે ચાલી નીકળ્યો.

હવે આપણે યોગાનુયોગ જોઈએ? ભાઈશંકર ભટ્ટ વિદાય લેતી વેળા માણેકલાલને યાત્રા ન કરાવી શક્યા હોવાનો વસવસો સાથે લઈ ગયા હતા. માણેકલાલના અવસાન પછી  તેઓના કલ્યાણાર્થે કરાયેલી યાત્રામાં ચંદ્રવદન જોડાયો હતો. ભાઈશંકરના બન્ને પગના અંગુઠાની બાજુની આંગળીઓ અંગુઠાની ઉપર ચડેલી રહેતી હતી. આ લાક્ષણિકતા ચંદ્રવદનમાં પણ જોવા મળી હતી. વધુમાં, બિલકુલ સાજાસારા ભાઈશંકર ભટ્ટે ભાદરવા વદ નોમના દિવસે આતુર સન્યાસ લીધો અને ભાદરવા વદ બારશના મળસ્કે દેહ છોડ્યો હતો. બિલકુલ એ જ રીતે સાજોસારો બાળ ચંદ્રવદન ભાદરવા વદ નોમના દિવસે તાવમાં સપડાયો અને ભાદરવા વદ બારશના મળસ્કે દુનિયા છોડી, જતો રહ્યો! આ બધું દુન્યવી સમજણના પરિઘની બહારનું છે. પણ જો બધી જ ઘટનાઓને બુધ્ધિગમ્ય તર્કથી જ મુલવવાનો આગ્રહ છોડી દેવામાં આવે તો એવું માનવા માટેનું કારણ મળે કે ભાઈશંકર ભટ્ટ પોતાના દીકરા માણેકલાલને સદેહે તો યાત્રા ન કરાવી શક્યા, પણ તેઓના પૌત્ર તરીકે અવતરી, માણેકલાલના આત્માના શ્રેયાર્થે કરાયેલી યાત્રામાં જોડાયા અને એ મકસદ પૂરો થતાં જીવન સંકેલી, અનંતની યાત્રાએ ચાલી નીકળ્યા!

હવે થોડી અંગત વાત. અનંતરાય માણેકલાલ ભટ્ટની દીકરી કોકીલા એ મારી મા. એનાથી નાનો ભાઈ ચંદ્રવદન તો બાલવયે જગત છોડી ગયો. એ પછી એક વર્ષે એને એક બહેન સાંપડી એ મારાં પારસમાશી. આ વાત સૌથી પહેલાં મને તેમણે કરી હતી. મારા વાતે વાતે તર્ક કરવાના સ્વભાવને લઈને મેં આ વાત એક કરતાં વધારે વાર મા પાસેથી સાંભળીને ચકાસી છે. એ જ રીતે મારા હારિત મામા તેમ જ ધીરુમામી સાથે પણ અનેક પ્રશ્નો કરતે કરતે આ વાતની ખાત્રી કરી છે. છેવટે પછી જાતને ટપારી છે કે, ‘છોડ જીવ, તારો વિતંડાવાદ અને એટલું સ્વીકારી લે કે તારી સમજણને પેલે પાર ઘણું બધું છે, જેને જેમ છે તેમ માની લેવામાં મજા છે’! આ વાંચી રહેલાં સૌને આ વાતને પોતપોતાના અભિગમથી મૂલવવા અને શક્ય હોય તો પોતાના પ્રતિભાવો આપવા માટે વિનંતી છે.

મારાં પૂજનીય વડીલો વિશે વાત કરી હોવા છતાં તે સૌનો ઉલ્લેખ કરતી વેળાએ મારાં વિનય વિવેકને દૂર રાખ્યાં છે, જેથી સમગ્ર ઘટનાક્રમનું વર્ણન કરતાં અતિશયોક્તિ દાખલ ન થઈ જાય. હવે એટલું કહેવાની લાગણી ટાળી નથી શકાતી કે અતિશય ખાનદાન અને પવિત્ર જીવનશૈલી અપનાવીને જીવી ચૂકેલાં/રહેલાં આવાં ઉમદા લોકોનાં જનીનો ધરાવતો માનવ દેહ મળ્યો હોવાથી ઘણાં કુકર્મોથી બચવા પામ્યો છું.

તસવીરો પૂરી પાડવા માટે કિરણ ભટ્ટ, ભરત ભટ્ટ અને હરેશ ભટ્ટનો હાર્દીક આભારી છું.






Tuesday, 28 February 2017

પંડીત નરેન્દ્ર શર્મા

આજે (૨૮/૦૨/૨૦૧૭) સવારે નિત્યક્રમ પ્રમાણે ઝાપટઝુપટ કરતો હતો (મહેરબાની કરી ને આ બાબતને મારી નજીકના ભૂતકાળમાં આવેલી નિવૃત્તી સાથે સાંકળી ન લેવી. આ મેં વર્ષોથી સામે ચાલીને  સ્વીકારેલી પ્રવૃત્તી છે. અને તે વિનય વિવેકથી સભર એવી એક સન્નારી દ્વારા થઈ શકાતી મારી ઝાપટઝુપટ સામે રક્ષણની ખાત્રી આપે છે.), ત્યારે બગાસામાં સાકર આવી ગઈ. આ સમયે રેડિઓમાં વિવિધ ભારતી ઉપર જુની ફિલ્મોનાં ગીતોનો કાર્યક્રમ ચાલતો હોય છે. એમાં અચાનક એક ગીત કાને પડ્યું અને ખુબ જ કર્ણપ્રિય જણાયું. જો કે આ અગાઉ ક્યારેય સાંભળ્યું નહીં હોઈ, રેડિઓની આસપાસમાં જ ચા પી રહેલી માને ગીત પૂરૂં થયે એની માહિતી પુછી. “ લે, તે તને ખબર નથી, આ તો દીલીપકુમારની પહેલી ફિલમ ‘જ્વાર ભાટા’નું ગીત હતું. એમાં ઓલ્યા અનીલ બીશ્વાસ નહીં, એનું સંગીત અને તને ખબર છે....”, એ આગળ બોલે એના પહેલાં બીજું એક સુમધુર ગીત ચાલુ થઈ ગયું. જે લોકો મારી માને ઓળખે છે એટલે કે એકાદ વાર પણ મળ્યાં છે એ સૌ સુપેરે જાણે છે કે એનું પોટલું જેવું છુટે એટલે હોય એ બધી જ માહિતી વેરીને જ વિશ્રામ લે છે!

બીજું ગીત પૂરૂં થતાં જાહેરાતો આવવા લાગી અને માએ વાત આગળ વધારી., “આજે તો કોક નરેન્દ્ર શર્માનો જનમદિવસ છે ને એમણે આ ગીત લખ્યું’તું એમ રેડિઓ કહે છે.” ઓહો, પંડીત નરેન્દ્ર શર્મા! ઘણી નાની ઉમરથી આ નામ વડે પ્રભાવિત થઈ જવાયેલું. કારણ, એમના શબ્દો અને અનીલ બીશ્વાસની તરજે મઢાયેલું તેમ જ મન્નાડેના સ્વરે ગવાયેલું એક ગીત જ્યારે પણ સાંભળવા મળે ત્યારે દિવ્યતાનો અનુભવ કરાવતું રહ્યું છે. આ ગીત સાંભળીએ અને સાથે એના શબ્દો પણ માણીએ.



હવે આજે સવારે રેડિઓ ઉપર સાંભળ્યું એ ગીતની વાત.. એના શબ્દો છે, ‘સાંજકી બેલા પંછી અકેલા....’. આ ગીત પણ શ્રી નરેન્દ્ર શર્મા અને અનીલ બીશ્વાસની દેણ છે. સને ૧૯૪૫માં આવેલી ફિલ્મ ‘જ્વાર ભાટાનું આ એકદમ લોકપ્રિય નિવડેલું ગીત અરૂણકુમાર અને સાથીદારોના અવાજમાં ગવાયેલું છે. સાંભળીએ.


પંડીત નરેન્દ્ર શર્મા વિશે વધુ વાત કરીએ એના પહેલાં એમની અને અનીલ બીશ્વાસની ભાગીદારીમાં રચાયેલું ફિલ્મ ‘અફસર’નું સુરૈયાના કંઠે ગવાયેલું એક ઔર ગીત માણીએ. 

હજી આગળ વધીએ એ પહેલાં એક એવું ગીત સાંભળીએ જે કોઈ પરિચયનું મોહતાજ નથી.

ફિલ્મ ‘ભાભીકી ચુડીયાં, સ્વર લતા મંગેશકરનો અને સ્વરનિયોજન સુધીર ફડકેનું. આટલી માહિતી પછી ‘શબ્દો કોના?’ એ પ્રશ્નના જવાબમાં ૩૩% લોકો પ્રદીપજીનું, ૩૩% ભરત વ્યાસનું અને બાકીના ૩૪% ‘કદા..આ..આ..ચ, નરેન્દ્ર શર્મા?’ એવો પ્રતિપ્રશ્ન કરશે. પહેલાં બે નામો કે જે શુધ્ધ હિન્દી ભાષાના કાવ્યાત્મક પ્રયોગ માટે જાણીતાં છે, એમની જ હરોળમાં બેસી શકે એવી જ પ્રતિભા પંડીત નરેન્દ્ર શર્માની છે.

આજે ‘સાંજકી બેલા’ ગીત બાબતે મિત્ર કીરણ જોશી સાથે વાત કરતાં નરેન્દ્ર શર્મા વિશે થોડી વાતો કરી અને એ બાબત ‘આ બૈલ મુઝે માર’ જેવી બની રહી. એ ગળે પડ્યા કે આ કવિ વિશે વધારે માહિતી ભેગી કરી, કાં તો ફેઈસબુક ઉપર અને કાં તો બ્લોગ ઉપર એક પોસ્ટ મુકો અને એ પણ આજે ને આજે જ. આમ તો એ..ઈ..ઈ..ઈ.ઈ....ને નિરાંતે ધુબાકા મારતો’તો, એમાંથી આ માણસે ધંધે લગાડી દોડતો કરી દીધો! એને નારાજ કરી દેવાથી એની સાથેના કહુંબા પાણી બંધ થઈ જાય એ પોસાય એવું નથી, કારણ કે ઉંડાં પાણીનો આ મરજીવો અણમોલ રત્નો જેવાં ગીતો ગોતી ગોતી ને પૂરાં પાડે છે. આથી હવે આજે કીરણ જોશીનો ચડાવ્યો હું નરેન્દ્ર શર્માજીને બ્લોગ ઉપર ચડાવવાની ચેષ્ટાએ લાગ્યો છું.  

સને ૧૯૧૩ના ફેબ્રુઆરીની અઠ્યાવીશ તારીખે ઉત્તર પ્રદેશના જહાંગીરપૂર નામના કસ્બામાં જન્મેલા નરેન્દ્ર શર્માએ નાનપણથી જ પોતાની બહુમુખી પ્રતિભાના ચમકારા દેખાડવા શરૂ કરી દીધેલા. અંગ્રેજી ભાષામાં એમ. એ.ની પદવી મેળવી અને જીવનમાં સ્થાયી થાય એ પહેલાં જ આઝાદીની ચળવળમાં ઝુકાવ્યું અને મળેલી નોકરી ડગુમગુ થવા લાગી. થોડા જ સમયમાં ધરપકડ થઈ અને ત્રણ વરસ જેલમાં ગાળ્યાં. બહાર આવી ને નોકરી શોધતા હતા પણ મેળ પડતો ન હતો. એક વાર કોઈ જગ્યાએ ગાંધીજીની સભામાં મોટા ભાગના શ્રોતાઓએ ગાંધીજી અંગ્રેજીમાં ઉદબોધન કરે એવો આગ્રહ રાખ્યો. સામે પક્ષે ગાંધીજીએ શરત મુકી કે જો કોઈ ત્યારે ને ત્યારે મારા અંગ્રેજી સંભાષણનું સમાંતરે હિન્દીમાં ભાષાંતર કરે તો હું અંગ્રેજીમાં બોલું. આ જવાબદારી શર્માજીએ સુપેરે નિભાવી અને તે સમયના નેતાઓના ધ્યાન ઉપર આવી ગયા. આને પરિણામે જવાહરલાલ નહેરૂજીએ એમને પોતાની સાથે સતત ત્રણ વરસ માટે રાખેલા.

એ દરમિયાન ફિલ્મી દુનીયા સાથે પણ તેઓનો નાતો બંધાયો. એ સમયનાં વિખ્યાત નિર્માત્રી અભિનેત્રી દેવીકારાણી સાથે ફિલ્મ લેખન, પટક્થા લેખન, સંવાદ તેમ જ ગીત લેખન જેવાં પાસાંઓ ઉપર નરેન્દ્રજીએ હાથ અજમાવ્યો. ફિલ્મી દુનીયામાં તેઓની હિન્દી ઉપરાંત સંસ્કૃત, ગુજરાતી, મરાઠી અને બંગાળી જેવી ભાષાઓ ઉપરની પકડને લઈને તેમજ ફિલ્મ નિર્માણના વિવિધ આયામોની જાણકારીને લઈને ખુબ જ ઉંચી પ્રતિષ્ઠા હતી અને એમનો ઉલ્લેખ હંમેશાં ‘પંડીત’ તરીકે જ કરવામાં આવતો. લતા મંગેશકર તો તેઓને પોતાના પિતા સમાન ગણતાં અને એમને ખુબ જ માન આપતાં.

શર્માજીના ભાતીગળ કાર્યકાળનું એક મહત્વનું સીમાચિહ્ન આવ્યું સને ૧૯૫૮-૫૯માં, જ્યારે પંડીત જવાહરલાલ નહેરૂજીએ તેઓને આકાશવાણી દ્વારા જનસામાન્ય માટે માત્ર અને માત્ર મનોરંજન કાર્યક્ર્મો પીરસતી નવી સેવા શરૂ કરવાની જવાબદારી સોંપી. ‘વિવિધ ભારતી’ના નામકરણથી લઈને એમાં કયા કયા અને કેવા કેવા કાર્યક્રમો આપવા અને એ કાર્યક્રમોના નામાભિધાન સુધીની કામગીરી નરેન્દ્રજીએ પ્રશંસનીય રીતે નિભાવી.

તેઓની યશસ્વી કારકિર્દીનું એક મહત્વનું સીમાચિહ્ન સને ૧૯૮૨માં આવ્યું, જ્યારે ભારતમાં યોજાયેલા એશિયાડ રમતોત્સવનું સ્વાગતગીત લખવા માટે પંડીત રવિશંકરજીએ તેઓની પસંદગી કરી.

રવિશંકરજીના એ સમયના સંગીત સહાયક શ્રી આશિત દેસાઈના જણાવ્યા મુજબ આ બન્ને મહારથીઓએ સાથે મળીને માત્ર  બારથી પંદર મિનીટ્સમાં આ અદ્ ભૂત ગીતનું સર્જન કરી દીધું હતું.

શ્રી નરેન્દ્ર શર્માનાં રચેલાં કેટલાંક અવિસ્મરણીય ગીતો યાદ કરીએ.
ફિલ્મ હમારી બાત(૧૯૪૩), સંગીતકાર અને ગાયક અનીલ બીશ્વાસ.

ફિલ્મ અફસર(૧૯૫૦), સંગીતકાર સચીન દેવ બર્મન, ગાયીકા સુરૈયા.

ફિલ્મ રતનઘર(૧૯૫૫) સંગીતકાર રોશન, ગાયીકા લતા મંગેશકર.

ફિલ્મ સુબહ(૧૯૮૨) સંગીતકાર હ્રદયનાથ મંગેશકર, ગાયીકા લતા મંગેશકર.


આવી આ બહુમુખી પ્રતિભાના ધણી એવા શ્રી નરેન્દ્ર શર્માના આવા વૈવિધ્યસભર પ્રદાન છતાં ય વિચીત્ર અને માન્યામાં ન આવે એવી વાત એ છે કે તેઓને સૌથી વધુ પ્રસિધ્ધી અપાવનાર એમનું કોઈ સાહિત્યીક કે કાવ્યાત્મક પ્રદાન નહીં હોતાં એક વ્યાપારી જાહેરખબર બની રહી. એ હતી પ્રેસ્ટીજ પ્રેશર કૂકરની જાહેરાત! 

ખેર, એ જાહેરાત પણ તેઓના જ ફળદ્રુપ ભેજાથી નીકળેલી હતી અને એના દ્વારા પણ તેઓ જનસામાન્ય સુધી જાણીતા અને માનીતા તો બની જ રહ્યા. સને ૧૯૮૯ના ફેબ્રુઆરીની અગીયારમી તારીખે તેઓએ આખરી શ્વાસ લીધો. એમની યાદમાં વિવિધ ભારતીએ તૈયાર કરેલા એક કાર્યક્રમ સાથે વીરમીએ. અસ્તુ.

સૌજન્ય સ્વીકાર:  વીડીઓ ક્લિપ્સ યુ ટ્યુબ ઉપરથી લીધી છે અને પૂરક માહિતી વિકીપીડીયા ઉપરથી સાભાર લીધી છે.




Wednesday, 15 February 2017

હૈદ્રાબાદની સફર (૨)

મારી હૈદ્રાબાદની મુલાકાત દરમિયાન એ શહેરનાં કેટલાંક સ્થળો જોયાં એને વિષે અગાઉની પોસ્ટમાં લખ્યું હતું. અમારા આયોજન મુજબ હવે વારો હતો ગોલકોન્ડા કિલ્લાની મુલાકાતનો. આગળથી એવું નક્કી કર્યું હતું કે સવારે બરાબર સાડા નવે ઘરેથી બે એક વાર ચા અને એક વાર નાસ્તો કરી નીકળી, દસ સવા દસની આસપાસ ત્યાં પહોંચી, ચારેક કલ્લાક કિલ્લાને વિગતવાર જોઈ, ભોજનાદી પતાવી, સાંજે વેળાસર ઘરે પહોંચી જવું, જેથી રાતના વાળુ પહેલાં બે ત્રણ વાર ચા પીવાનો અવકાશ મળી રહે. એ મુજબ ધારાએ ડ્રાઈવર વ્યંકટેશને અસરકારક અંદાજમાં સમયસર (અને એણે જાતે જ) આવી જવા સુચના આપી દીધી હતી. હું આદર્શ અને આજ્ઞાંકિત મહેમાનની માફક આઠ વાગ્યા સુધીમાં બિલકુલ તૈયાર થઈને એ લોકોના ઘરની વિશાળ રવેશમાં એક આરામદેહ ખુરશીમાં ગોઠવાઈ, કુંડાંમાં ઉગેલાં ફુલો અને ટમેટાં તેમ જ રિંગણાં જોવા લાગ્યો હતો. ધારા પણ મંદ મંદ સ્મિત સહ એણે ઉગાડેલા ફુદીનાનાં પાંદડાં ચુંટતી હતી. આ જોઈને મારા પગમાં વધુ ને વધુ જોર આવતું રહેતું હતું કેમકે સમગ્ર દ્રશ્ય ટૂંક સમયમાં મળનારી ચાનું  સૂચક હતું.
                                       નાસ્તા સાથે બીજી વારની ચા પીતે પીતે ચિત્ર બદલાયું. અભીજીતે ‘થોડાં મોડાં નીકળીએ તો શું વાંધો’ની પૃચ્છા કરી. ધારાએ એની વાતમાં સૂર પૂરાવતાં અભીજીતે એવા સંજોગોમાં સીધી એક કલ્લાકની મુદત પાડી અને એ મુજબ વ્યંકટેશને સૂચીત કરવા ધારાને સૂચીત કરી. એની થોડી વાર પછી મહાન માણસોના મહાન પુત્રોની જેમ વ્યોમેશે પિતાના પગલે આગળ વધવાનું નક્કી કરી, વધુ અડધી કલ્લાકની મુદત પાડી. પોણા અગિયારે અભીજીતે ધારાને વ્યંકટેશ ન આવ્યો હોય તો હવે એની આવી બની છે એમ કહેતાં ધારાએ નીચે જોઈને એ હજી સુધી ન આવ્યાની જાણ કરી. હવે અભીજીતે ફોન ઉપર જ વ્યંકટેશની ‘આવી બનાવવાની’ શરૂઆત કરી દીધી. અભીજીતના જીવનનાં સારાં એવાં વર્ષો નડીયાદમાં વિત્યાં છે અને પરિણામે એની પાસે વિપુલ માત્રામાં ચોક્કસ શબ્દભંડોળ છે. જો કે એણે કેટલાક ચુનંદા પ્રયોગો તો ન કર્યા, તેમ છતાં બે ત્રણ મિનીટના એ પ્રેમાળ વાર્તાલાપનું પરિણામ એ આવ્યું કે આખરે અમે ‘થોડાં મોડાં’ એટલેકે સાડા અગિયારે ઘરેથી નીકળ્યાં, ત્યારે નીચે કાર પાસે વ્યંકટેશ ધોયેલા મૂળા જેવો નજરે પડ્યો. અમે લોકો એને આપેલા સમયથી બે કલ્લાક મોડાં હતાં એ બાબતનો એણે ઉલ્લેખ સુધ્ધાં ન કર્યો. થોડી વાર પછી એણે વ્યોમેશને તેલુગુમાં એ અગાઉ બે દિવસ જાતે કેમ ન આવી શક્યો એનાં કારણો સમજાવ્યાં. વ્યોમેશે એને જે શાતાદાયક જવાબો આપ્યા એનાથી ફેર એ પડ્યો કે વ્યંકટેશના દાંત એકદમ સફેદ છે એ મને જણાયું.
                                          ખેર, અભીજીતનો બે દિવસનો દબાવી રાખેલો ગુસ્સો નીકળી જતાં પછી તો વ્યંકટેશની વાતચીતનું માધ્યમ તેલુગુથી બદલાઈને હિન્દી થઈ ગયું. મને જોઈને એણે કદાચ એણે માની લીધું હશે કે આ મોડું મારે લીધે થયું હશે અને અભીજીતની પ્રેમભરી વાણીનો પ્રથમ લાભાર્થી હું હોઈશ! એને એવી તો ખબર ન હોય ને કે, સને ૨૦૧૦માં આધાર કાર્ડ માટે ફોટો પડાવ્યો ત્યારથી હું કાયમી ધોરણે જ કોઈએ વઢી નાખ્યો હોય એવો નિમાણો દેખાવા લાગ્યો છું! આથી એણે મને પણ કહ્યું કે ‘સરજી કકોનટ જઈસ્સા, બહારસે ગુસ્સાવાલા, અંદરસે પ્યારા’! આમ સૌ સારાં વાનાં થયાં અને અમે લોકો ગંતવ્યસ્થાને પહોંચી ગયાં. સરકારી દેખરેખ હેઠળ અહીંનું કામ વ્યવ્સ્થિત ચાલતું હોય તેવું લાગ્યું. ટિકીટ વગેરેની ઔપચારીકતાઓ પછી આગળ ચાલ્યાં ત્યાં ગાઈડ માટેની સગવડ પણ સરકારી કક્ષાએ થતી હોવાનું જાણ્યું. એટલે અમે એની ઓફિસમાં જઈ, તપાસ કરતાં હુસેન નામના ગાઈડની ફાળવણી અમને કરવામાં આવી. કિલ્લા વિશે અહીં જે માહિતી અપાશે એની યથાર્થતાની સીધી જવાબદારી હુસેનના શીરે રહેશે. આમ તો ભરોસાપાત્ર લાગ્યો પણ એની વાકપટુતા એવી હતી કે કોઈ મહાનુભાવની ચાળીશ વરસ પછીની ખોપરી અત્યારે બતાડી દે અને જોનારાં માની પણ જાય!
                                       


                                               મૂળ કાકટીયા વંશના શાસકોએ ચૌદમી સદી દરમિયાન આ કિલ્લાનું પ્રાથમીક બાંધકામ કરાવેલું. આખરે સોળમી સદીમાં કુતુબ શાહી વંશે એનો કબ્જો મેળવી, અહીં રાજધાનીનું મુખ્ય મથક સ્થાપ્યું. પહેલાં અન્ય કિલ્લાઓ જોયા છે અને જો સરખામણી કરીએ તો આ કિલ્લામાં કોઈ આગવી વિશિષ્ટતા ન જણાઈ, પણ તેમ છતાં ય સદીઓ અગાઉ ટાંચાં સાધન સામગ્રી સાથે એક દુર્ગમ જગ્યા પસંદ કરી, ત્યાં સુયોગ્ય આયોજન ધરાવતી આવી રચના ખડી કરનારાઓ માટે ચોક્કસ માન થઈ આવે. હવે કેટલીક તસવીરો અને જે તે તસવીર વિશે થોડી માહિતી જોઈએ.
પ્રવેશમાર્ગ : રાજવી કુટુંબનો નિવાસ પણ અહીં હોવાથી કિલ્લાની રક્ષા પધ્ધતી ખુબ જ સક્ષમ હોય એ અત્યંત જરૂરી હતું. આથી દુશ્મનો સહેલાઈથી પ્રવેશી ન શકે એ માટેની સઘળી તકેદારી લેવાઈ છે. એક સાથે મોટી સંખ્યામાં દુશ્મન સૈનીકો ધસારો ન કરી શકે કે પછી કિલ્લાનો મુખ્ય દરવાજો તોડવા માટે હાથી જેવા જોરાવર પ્રાણીનો ઉપયોગ ન થઈ શકે એ માટેની તકેદારી માટે એ તરફનો માર્ગ સાંકડો રાખ્યો છે. ઉપરાંત એ સમયના મોટા ભાગના કિલ્લાઓમાં જોવા મળે છે એવા અણીદાર ખીલા દરવાજા ઉપર જડી દેવામાં આવ્યા છે. 
                                                
પ્રવેશદ્વાર 

વળી દરવાજાથી ખુબ જ નિકટના અંતરે સામેની બાજુએ ઉંચી દિવાલ ચણી લેવામાં આવી છે, જેથી શીશાના મુખ જેવી (Bottleneck) સ્થીતી સર્જાય અને આક્રમણખોરો સહેલાઈથી અંદર દાખલ ન થઈ શકે. આમ છતાં ય જો દાખલ થઈ જાય, તો પ્રવેશકમાનમાંથી એમની ઉપર ધગધગતું તેલ પડે, જે છેક ઉપરથી રેડવામાં આવ્યું હોય, એવી ચેનલ પણ છે. જો કે માનવતાનાં ધોરણો જાળવવા માટે થઈને અત્યારે એનું નિદર્શન કરવામાં નથી આવતું! 
                                    
                                     આ ઉપરાંત બહાર લગભગ ૨૪૦ કિલોગ્રામ વજનનો લોખંડનો એક બાટ રાખવામાં આવ્યો છે. અમને કહેવામાં આવ્યું કે એક જમાનામાં જો કોઈ સૈન્યમાં જોડાવા માટે આવે તો એની પહેલી કસોટી આ બાટને ઉપાડવાની થતી.
વજનીયું
અમારા ચહેરા ઉપર આશ્ચર્યના ભાવો જોતાં હુસેને કહ્યું, “એ જમાનાના સામાન્ય લોકો પણ સવા છથી સાડા છ ફીટની ઉંચાઈ અને સવાસો થી દોઢસો કિલોગ્રામ વજન હોય એવા હોતા. અત્યારના જેવું નહીં કે સાવ જેવા તેવા!” આટલું બોલીને એણે સાડા પાંચ ફીટની ઉંચાઈ અને એક્સઠ કિલો વજનનું દેહલાલિત્ય ધરાવતા મારી સામે ધારદાર નજર નાખી. પહેલાં તો હું થથરી ગયો પણ સવા પાંચ ફીટ ઉંચા અને આશરે પંચોતેર કિલોગ્રામ વજન (કે જેનો મોટો ભાગ શરીરના મધ્યે જમા થયેલો હતો) ધરાવતા હુસેનને બારીકીથી નિહાળ્યા પછી એના તરફથી આવેલા ઉપાલંભને જીરવી ગયો.
                                     ગુંબજ : આવી સગવડ અન્ય કોઈ કિલ્લામાં હોય તો પણ એની માહિતી નથી. પ્રવેશદ્વારથી થોડે જ આગળ વધતાં છત ગુંબજ આકારની છે અને બરાબર એની મધ્યમાં ગોળ કોતરણી છે. એને કેન્દ્રસ્થાને રાખી ઉભા રહેતા ચોકીદારે કરેલ આછો અવાજ ત્યાંથી દૂર લગભગ ૪૮૦ ફીટની ઉંચાઈએ આવેલ રાજ્ય કુટુંબના આવાસના રખેવાળો સાંભળી શકે એવી રચના છે. 
ગુંબજ

 હુસેને અમને આનું નિદર્શન આછી ચપટી વગાડીને કર્યું, જેનો અવાજ જ્યાં સંભળાવો જોઈએ ત્યાં જ વ્યોમેશને સ્પષ્ટ સંભળાયો. નવાઈની વાત એ છે કે ગુંબજના કેન્દ્રથી સહેજ પણ ખસીને કરવામાં આવતો અવાજ ઉપર પહોંચતો નથી. દૂરથી આવી રહેલા શત્રુઓની માહિતી મળતાં જ નીચે ઉભેલો ચોકીદાર આ રીતે ચેતવણી આપે એટલે છેક ઉપર રહેલી હરોળો સતર્ક થઈ જાય. એક બાજુ તેલ ઉકાળવાનું શરૂ થઈ જાય, સાથે સાથે તોપગોળા દાગવાનું શરુ થઈ જાય. શસ્ર્ત્રભંડાર યોગ્ય રીતે જ, અલગ અલગ સ્થળોએ રાખવામાં આવતા.
તોપ અને ગોળા
                                      
                                       દિવાલના કાન : શાસકને મળવા આવનારા મુલાકાતીઓને ખાસ્સી તપાસ કર્યા પછી જ આગળ જવા દેવામાં આવતા. તેમ છતાં ય જ્યાં એમની બેઠક વ્યવસ્થા હોતી, ત્યાંની દિવાલની વિશેષતા એ છે કે એક બાજુએ બેઠેલા માણસનો મર્મર ધ્વની પણ સામેની બાજુની દિવાલે  બેઠેલા કિલ્લાના જાસૂસને કાને પડે! વચ્ચે બેઠેલાઓને આ બાબતે કોઈ અંદેશો પણ ન આવે. આનું રહસ્ય દિવાલની ઉપરની બાજુએ જોવા મળતી પાસાદાર રચનામાં છે. વ્યોમેશે આવી જ રચનાઓ મધ્યપૂર્વના દેશોમાં પણ જોવા મળતી હોવાનું જણાવ્યું..
દિવાલના 'કાન'  
લોહીની નદી : શરૂઆતના કોઠા વટાવી અને દુશ્મનો જો અંદર પ્રવેશી જાય તો એમણે એક લાંબા રસ્તે પસાર થવું પડે એવી બાંધણી છે. અહીં જ અનેક વાર મોટે પાયે મારાકાપી થઈ હોવાનું હુસેને જણાવ્યું. એના કહેવા પ્રમાણે કોઈ કોઈ વખત તો આ જગ્યાએ શબ્દશ: લોહીની નદીઓ વહી છે. 
'રક્ત નીક'  
મનોરંજન મંડપ : શાસકનું નિવાસસ્થાન હોય ત્યાં મોજ શોખ અને ઉપભોગનાં સંસાધનો હોવાં અનિવાર્ય છે. આ કિલ્લામાં પણ એ માટેની સર્વ સામગ્રી હાથવગી રહી જ હશે. શાસક ઈચ્છે ત્યારે એનું, એનાં કુટુંબી જનોનું અને એનાં મહેમાનોનું મનોરંજન કરવા માટે સંગીતકારો, નૃત્યાંગનાઓ, ભાંડ, ભવાયા, રમતવીરો વગેરે પોતાની કળાનું પ્રદર્શન કરી શકે એ માટે ચારે બાજુએ દિવાલોથી ઘેરાયેલું એક ચોગાન છે. મહાનુભાવો પોતપોતાના ઝરુખે બેસી ને આરામથી જોઈ સાંભળી શકે એવી વ્યવસ્થા છે. સામાન્ય જનને અહીં પ્રવેશ નહીં અપાતો હોય એવું લાગ્યું.
મનોરંજન મંડપ
રાણીવાસ :  ખુબ જ સુરક્ષિત જગ્યાએ બાંધવામાં આવેલા આ આવાસોમાં રાણીઓ/બેગમો અને એમની દાસીઓએ રહેવાનું હતું. છેક ઉપર રહેતા રાજા/બાદશાહ બોલાવે તો જ એમને બંધ પાલખીમાં બેસાડી, સેવકો ત્યાં પહોંચાડતા જેથી સ્ત્રી વર્ગને ક્યારેય ટોચ સુધી પહોંચવાના રસ્તા વિશે ખબર ન પડતી(અહીં શ્લેષ અભિપ્રેત છે). આક્રમણ થાય ત્યારે રાણીવાસની લોખંડી જાળીઓ બંધ કરી દેવામાં આવતી. વળી અંદર કાયમી ધોરણે પૂરતી માત્રામાં બળતણનો પુરવઠો રાખવામાં આવતો જેથી ચોક્કસ સંજોગોમાં એમને સળગી જવું હોય ( કે પછી એમને સળગાવી દેવી હોય) તો સુગમ પડે. એક વિશાળ શસ્ત્રાગાર પણ રાણીવાસની બાજુમાં જોવા મળ્યો.
રાણીવાસ
                                           ટોચ : જમીનથી લગભગ ૪૮૦ ફીટ ઉપર ડુંગરની ટોચે શાસકનું રહેઠાણ આવેલું છે. જે તે રાજા/ બાદશાહની દોમ દોમ સાહ્યબીનાં પ્રતીક સમાં સુખોપભોગનાં બધાં જ સંસાધનો અગાઉના જમાનામાં આ સ્થળે ઉપલબ્ધ રહ્યાં હશે. કંઈ કેટલાંય ષડયંત્રો અહીં ઘડાયાં પણ હશે અને ફુટ્યાં પણ હશે. અહીં પણ નદી વહે એટલાં નહીં તો કુંડીઓ ભરાય એટલાં લોહી તો રેડાયાં જ હશે. 
 

.  
ટોચ
                                           ખંડેરો : એક જમાનામાં ભવ્ય કોતરણીથી શોભાયમાન હશે એવા આ ઐતિહાસીક કિલ્લાને સમયની થપાટો પૂરતા પ્રમાણમાં વાગી ચુકી છે. હવે તો રહી ગઈ છે એના ભૂતકાળની વાતો, જેમાંની ઘણી દસ્તાવેજી પુરાવાઓના અભાવે દંતકથા તરીકે સ્વીકારવી રહી. 
ખંડેરો
આ અગાઉ જ્યારે કિલ્લાઓ જોવાની તક મળી હતી ત્યારે લશ્કરી વ્યુહરચનાને અનુલક્ષી ને કરવામાં બાંધણી માટે મુગ્ધ થઈ જવાનું બનતું. આ વખતે તદ્દન અલગ વિચારોએ ઘેરી લીધો. રામાયણ મહાભારતના કાળ થી માંડી ને આજ સુધી રાજ્યકર્તાને ભાગે એક બાજુ દેવોને ય ઈર્ષ્યા કરાવે એવું ઐશ્વર્ય આવ્યું છે અને બીજી બાજુએ સતત ફફડાટ આવ્યો છે! કોણ ક્યારે કઈ દિશાએથી આક્રમણ કરશે, અંદરનાં જ કોણ લાગ જોઈને શત્રુઓ સાથે ભળી જશે, ક્યારે ખોરાક પાણીમાં ઝેર ભેળવાઈ જશે, ક્યારે દગા ફટકાનો અને ક્યારે બળવાનો સામનો કરવો પડશે એના ડરમાં ને ડરમાં જ જીવતા રહેવાનો અભિશાપ પણ દરેક શાસકને ભોગવવાનો આવ્યો જ છે. આ વાત કરતાં કરતાં મને ચારો ચરતાં કે પાણી પીતાં હરણ યાદ આવે છે. એક કોળીયો કે ઘુંટડો મોઢેથી ગળે ઉતરે એ પહેલાં તો ઉંચું થઈ, આંખોમાં ભયની લાગણી સાથે ચારે ય બાજુ જોઈ લે કે આસપાસમાં ક્યાંય શિકારી તો નથી ને! એક સામાન્ય મનુષ્ય ક્યારેય નથી અનુભવતો એવા ભયની લાગણીથી આજદિન સુધીના શાસકો પીડાતા રહ્યા છે. વળી માણસોના કાવાદાવા, દગા, ફટકા જેવા બધાથી પોતાનું ગમ્મે તેવી કિલ્લેબંધીથી રક્ષણ કરવા માંગતો કોઈ પણ શાસક ક્યારેય સમયદેવ સામે થઈ શક્યો છે? ‘ના’થી અલગ જવાબ હોય એવું એકાદ ઉદાહરણ પણ જો કોઈના ખ્યાલમાં હોય તો ધ્યાન દોરવા વિનંતી છે.

સૌજન્ય સ્વીકાર: માહિતી સ્થળ ઉપરના ભારત સરકાર દ્વારા પ્રમાણિત એવા મહંમદ હુસેન નામના ગાઈડ પાસે થી મળી છે.

તમામ તસવીરો વ્યોમેશ મહેતાએ ખેંચી છે અને મારી સાથે વહેંચી છે.

Monday, 13 February 2017

હૈદ્રાબાદની સફર(૧)

સધિયારો: આ પ્રવાસવર્ણન નથી.
                            આજ સુધીમાં અનેક પ્રવાસવર્ણનો વાંચી ચુકેલાઓ સુપેરે જાણે છે કે તેમાંનાં ઘણાંમાં લેખકને પ્રવાસ માટેનો વિચાર પહેલી વાર આવ્યો ત્યારથી લઈ ને એના આયોજન માટે કરેલું હોમવર્ક, એમાં વિવિધ તબક્કે પત્નિ, સંતાનો, જમાઈ, પુત્રવધુ, વેવાઈવેલો, ફુઆજી સસરા, સહકર્મીઓ ઉપરાંત અનેક શુભેચ્છકો દ્વારા કરાયેલાં સુચનો, ટિકીટ લેવાથી લઈ ને બેગ પેક કરવા સુધીની તૈયારીઓ, પ્રયાણના આગલા દિવસ સુધી વ્યાપેલી અનિશ્ચીતતા અને આખરે પત્નીએ સાથે બંધાવેલ ઢેબરાં, સુકી ભાજી અને સુખડી સહ સુખરૂપ પ્રયાણ સુધીનું વર્ણન વાંચતે વાંચતે વાચક પોતે જ આ બધામાંથી પસાર થયો હોય એવો અધમુઓ થઈ જાય છે. હજી જો વાંચવાનું ચાલુ રાખ્યું હોય, તો લેખક જ્યારે મંઝીલે પહોંચી જાય છે ત્યારે પાછો એક નવો દોર શરૂ થાય છે જ્યાં એને આવકારવા સ્ટેશને/એરપોર્ટે આવેલા યજમાનનાં વસ્ત્ર પરિધાનથી લઈ, એમના પર્ફ્યુમ અને એમની કુશાંદે મોટરનાં વખાણ આવે અને પછી એમનાં કુટુંબીજનોથી લઈ એમનાં પાળીતાં ટોમી, મોતી અને મિનીબાઈને પણ આપણે જાણવાં પડે છે. જોવા લાયક સ્થળો વિશે અને નવી જગ્યાએ ગયાના અનુભવ બાબતે થોડાં થોડાં  છાંટણાં અલબત્ત, વાંચવા મળે છે.

                            મારી આ પોસ્ટમાં આવું કશું જ નહીં હોય એની ખાત્રી આપું છું, કારણકે ઉપર જણાવ્યાં એવાં પ્રવાસવર્ણનો ઠેઠો ઠેઠ વાંચ્યા પછી એટલું જ્ઞાન ચોક્કસ લાધ્યું છે કે કોઈને ય એ બધામાં રસ નથી હોતો. માટે મને હૈદ્રાબાદ રહેતા મારા ભાઈ/મિત્ર/સ્વજન એવા અભીજીત અને એની પત્ની ધારાએ કેવા આગ્રહપૂર્વક બોલાવ્યો, એ બાબતે મેં સ્નેહા, મા, દિકરી પ્રીત, જમાઈ રવિ અને દિકરા પાર્થ સાથે શું શું ચર્ચા કરી, આખરે પાર્થે કેવી રીતે મને એકદમ સસ્તા ભાડાની વિમાનની ઈ-ટિકીટ બૂક કરાવી આપી, મેં પાંચ દિવસ રોકાવા માટે કયાં કપડાં અને એની કેટલી જોડી લઈ જવી એની સ્નેહા સાથે શું શું મસલતો કરી, આખરે (હંમેશ મુજબ) સ્નેહાએ જ મેડા ઉપરથી એક મધ્યમ સાઈઝની બેગ ઉતારી આપી એમાં મારે લઈ જવાનો સામાન-સરંજામ ભરી આપ્યો, એ સમયે ‘હું ન હોત તો શું થાત, આ ઘરનું’ એવા ઉદગાર વડે મને એ વિષયે વિચારવા માટે ૧૪,૭૪૯ મી (કે એથી વધુ પણ હોય!) વાર પ્રેરણા આપી એ બાબતે, અભીજીતના દિકરા વ્યોમેશને ભાવતો મોહનથાળ લઈ આવી, જ્યારે દિકરી પલક બેંગલોર ખાતે એમ.ડી.એસ. કરી રહેલી હોઈ, એને માટે એને માટે જે મોકલે એ વ્યંજનને વ્યોમેશ જ ન્યાય આપી દે અને જ્યારે મળે ત્યારે ભાઈ બહેન વચ્ચે થનારી મારા મારીનું નિમીત્ત હું બનું એમ વિચારી એ મુલતવી રાખ્યું, આગલે દિવસે મેં મારા માટે મુસાફરી દરમિયાન સમય પસાર કરવા ભાતું શું લઈ જવું એ બાબતે મેં ચર્ચા છેડતાં ‘બે કલ્લાકની જ મુસાફરીમાં તે વળી ભાતાં શેનાં?’ જેવાં કાને પડેલાં સુમધુર વાક્યો, નીકળતી વેળાએ જાતે જ સ્માર્ટફોનના ઉપયોગથી બોલાવેલી ટેકસી, માએ “સાચવી ને જજે અને અજાણ્યા કોઈની હારે બહુ હળી મળીને વાતો નો કરતો અને પરશાદી કહીને ય દે તો ય કાંઈ ખાવાની ચીજ નો લેતો ને પહોંચી ને તરત ફોન કરી દેજે”ની ૬૩ વરસના મને આપેલી સુચના, વગેરે ઘટનાઓ બાબતે મેં કશો જ  ઉલ્લેખ નથી કર્યો (?), તેની નોંધ અહીં સુધી પહોંચેલા સૌએ લીધી જ હશે.

                           હવે આગળ વધતાં પહેલાં અભીજીત (૫૭) અને કુટુંબીજનોનો ટૂંકમાં પરિચય આપી દઉં. અભીજીત (મહેતા) બહુ ઉંચી કક્ષાનો બાયોટેકનોલોજિસ્ટ છે અને અમદાવાદ તેમ જ હૈદ્રાબાદની ખ્યાતનામ કંપનીઓમાં સારા હોદ્દાઓ ઉપર કામ કરી હવે એ ક્ષેત્રના સલાહકાર તરીકે પોતાની ઇચ્છા મુજબ કામ કરે છે. એની પત્નિ ધારા (૫૬) ગુજરાત સરકારનાં વિવિધ ખાતાંઓમાં સેવા આપી, એ લોકોએ સને ૨૦૦૨માં હૈદ્રાબાદ સ્થાયી થવાનું નક્કી કર્યું તેથી વહેલી નિવૃત્તી લઈ લીધા પછી આનંદથી સમય વ્યતિત કરે છે. એમનો દીકરો વ્યોમેશ (૨૯) હૈદ્રાબાદ અને  ઈઝરાઈલ ખાતે એરોનોટિક્સની ઉત્કૃષ્ટ શૈક્ષણિક પદવીઓ હાંસલ કર્યા પછી આપણા સંરક્ષણ ખાતાના ઉપક્રમ DRDO (Defence Research and Development Organization)  માટે, હિન્દુસ્તાન એરોનોટીક્સ લિમિટેડ, બેંગલોર માટે તેમ જ કેટલીક ખાનગી કંપનીઓ માટે કામ કરે છે અને દીકરી પલક (૨૫) બેંગલોર ખાતે દંતચિકીત્સા માટેની  M.D.S. ડીગ્રી મેળવવા અભ્યાસ કરી રહી છે. કુટુંબનાં ચારે ય સભ્યો ખુબ જ આનંદી અને પ્રેમાળ છે.
વ્યોમેશ, અભીજીત, ધારા, પલક
                                                                       હૈદ્રાબાદ ઉતર્યો ત્યારે મને લેવા માટે અભીજીત અને વ્યોમેશ બન્ને આવ્યા હતા. અભીજીત લાગણીથી અને વ્યોમેશ લાગણી તેમ જ ફરજના ભાન(અને ભાર)થી આવ્યો હતો. બન્યું એવું કે એ લોકો નિયમીત રીતે વ્યંકટેશ નામના ડ્રાઈવરને બોલાવે છે, જે એ લોકોનો વર્ષોથી પરિચીત હોવા ઉપરાંત હિંદી સમજી-બોલી શકે છે. પણ એણે પોતે ન આવતાં એક એવા માણસને મોકલ્યો, જે હૈદ્રાબાદની ભૂગોળથી બહુ પરિચીત ન હતો. ઉપરાંત તેલુગુ સિવાયની અન્ય ભાષા જાણતો ન હતો. જે લોકો હૈદ્રાબાદના નવા એરપોર્ટથી પરિચીત છે તેઓ જાણે છે કે ખુબ જ વિશાળ પથારામાં ફેલાયેલા આ એરપોર્ટમાં ત્રીસ્તરીય પાર્કીંગ છે. ઉતારુ બહાર આવે પછી એને માટેના વાહનને ચોક્કસ જગ્યા સુધી લઈ આવવા માટે ડ્રાઈવરને યોગ્ય સુચના આપવી જરૂરી બની રહે છે. એટલે ડ્રાઈવર નામે સુંદરરમણને પાર્કીંગમાંથી ઉપર બોલાવવા માટે અને પછી યોગ્ય રસ્તો બતાડવા માટે તેલુગુ બોલી જાણતો વ્યોમેશ અનિવાર્ય હતો. અમે મળ્યા એટલે વ્યોમેશે એને ફોન કરી, ક્યાં આવવાનું છે એ બાબતે શક્ય એટલું સમજાવવાની કોશીશ કરી અને આખરે ભારે મથામણ પછી દસેક મિનીટે એ આવ્યો અને અમને ઘર તરફ લઈ ચાલ્યો. રસ્તામાં પણ એને થોડી થોડી વારે વ્યોમેશે સુચનાઓ આપવી પડતી હતી. એ દરમિયાન અભીજીતે આ માણસ માટે અને ખાસ કરીને એના માલિક વ્યંકટેશ માટે જે પ્રશંસાનાં ફુલો વેર્યાં એ જોતાં અભીજીત તેલુગુ ન્હોતો બોલી શકતો અને  સુંદરરમણ ગુજરાતી ન્હોતો સમજતો એ સૌને માટે ફાયદાની વાત હતી. અન્યથા કાં તો સુંદરરમણ અધવચ્ચે ઉતરી અને ભાગી જાત અને કાં તો અમને ઉતારી, કાર હંકારી મુકત! 
                         
                                                                પહોંચ્યાની રાતે અમે લોકોએ મારા રોકાણ દરમિયાન ક્યાં ફરવા જવું એની વિચારણા કરી. અગાઉ ક્યારેય  હૈદ્રાબાદ જવાનો અવસર મળ્યો ન હતો એટલે મને અને યજમાનોને આ અવસર માટે ઉત્સાહ હતો. મારું રોકાણ ટૂંક સમય માટે હતું (યજમાન કુટુંબના ઉત્સાહનું એ પણ એક કારણ હતું) એટલે એ દરમિયાન કોઈ એક જ એવી જગ્યા જોવી, જ્યાં ભીડ ભાડ બહુ ન હોય એ બાબતે અમે સૌ સંમત હતાં. ધાર્મીક સ્થળ માટે મારી સહેજે ઇચ્છા ન હતી. મારા આમ કહેવાથી ધારાએ મારી કરતાં નાની ઉમરનાં લોકો પણ ભવનું ભાતું બાંધવાનું શરૂ કરી દેતાં હોય છે એ બાબતે એકાદ બે ઉદાહરણો સહિત મને પ્રેરણા આપવાની (વ્યર્થ) કોશીષ કરી જોઈ. વ્યોમેશે રૂબરૂ અને પલકે ટેલીફોનથી મને ત્યાંના સલારજંગ મ્યુઝીયમની મુલાકાત લેવા માટે આગ્રહ કર્યો, પણ મેં એક જ દિવસમાં કરી શકાય એવું એ કામ ન હતું એમ કહી એ વિકલ્પ નકાર્યો. બીજાં સૌ કરતાં અભીજીત મને વધારે જાણતો હોઈ એ ચર્ચાના સમગ્ર દોર દરમિયાન નિર્લેપભાવે સાંભળતો રહ્યો.  
                        

                           છેવટે સર્વાનુમતી ગોલકોંડા કિલ્લા માટે સધાઈ. અમે લોકોએ એવું નક્કી કર્યું કે એક દિવસ હૈદ્રાબાદ શહેરમાં લાંબા સમય સુધી ફરી, અલગ અલગ સ્થળો જોવાં અને એક દિવસ ગોલકોંડા કિલ્લાની મુલાકાત લેવી. અભીજીતે વ્યંકટેશને ફોન કરી, બે દિવસની વરદી આપતાંની સાથે ચિમકી પણ આપી કે એણે અન્ય કોઈ બદલી ડ્રાઈવરને ન મોકલતાં જાતે જ આવવું. અને બિલકુલ સમયસર આવી જવું. પણ, જે દિવસે અમે હૈદ્રાબાદ શહેરમાં ફરવાનું નક્કી કર્યું હતું એ દિવસે ય વ્યંકટશે બીજા ડ્રાઈવરને મોકલ્યો અને એ માણસ આપેલા સમય કરતાં પંદરેક મિનીટ મોડો આવ્યો. એટલું ઓછું હોય એમ એ પણ તેલુગુ સિવાયની કોઈ જ ભાષા જાણતો ન હતો!
                               
                           ખેર, અભીજીતે કોઈ જ પ્રતિભાવ વગર આ ચલાવી લીધું એ અમને લોકોને આનંદાશ્ચર્યમાં ડૂબાડી ગયું. પણ હકીકતે એ શક્તિસંચય કરી રહ્યો હતો. એ વિશે પછીથી વાત. અત્યારે મારા હૈદ્રાબાદ ભ્રમણ બાબતે વાત કરું. આમ તો કોઈ પણ જગ્યાની બધી જ માહિતી તસવીરો સહિત નેટ ઉપર ઉપલબ્ધ હોવાથી એનું વર્ણન કરવાનો કે વાંચવાનો રોમાંચ નથી રહ્યો. તેમ છતાં મેં ટૂંકી અવધિમાં જે અને જેટલું જોયું એ વહેંચી રહ્યો છું.

૧) એરપોર્ટ : મેં જોયેલાં એરપોર્ટ્સમાં અહીંનું રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ મને સૌથી સારું લાગ્યું. આટલું લખતાં હું અચાનક વિશ્વપ્રવાસી અને એ પણ Frequent Flyer  હોઉં એવી મનોદશામાં આવી ગયો પણ કહીકતે માંડ દસેક વારની હવાઈ મુસાફરીઓ (અને એ પણ દેશમાં જ) દરમિયાન સાત જ એરપોર્ટ્સ જોયાં છે. જો કે એ બધાંમાં વિશાળતા અને ભવ્યતામાં આ એરપોર્ટ ચોક્કસ આગળ છે. શહેરથી લગભગ ૨૦ કિમી.દૂર આવેલા શમ્સાબાદ ગામના ખુબ જ લીલોતરીસભર પરિસરમાં ફેલાયેલા આ એરપોર્ટની એક વિશિષ્ટ આભા બની રહે છે. આ ખુબ જ આધુનિક બાંધકામ જેટલું દેખાવમાં ભવ્ય છે એટલું જ સગવડભરેલું છે અને પહેલી જ વાર અંદર દાખલ થતો સાવ અજાણ્યો મુસાફર પણ મુંઝાયા વિના પોતાના વિમાન સુધી પહોંચી શકે એ રીતે વિકસાવાયેલું છે.  
રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ
                                
૨) પી.વી. નરસીમ્હારાવ ઓવરબ્રીજ : એરપોર્ટ્થી હૈદ્રાબાદ શહેર તરફ આવતાં ૧૧.૬ કિમી. લંબાઈનો આ ઓવરબ્રીજ ભારતનો અત્યાર સુધીનો સૌથી લાંબો ફ્લાયઓવર પ્રકારનો રસ્તો છે. શહેરના મહેંદીપટનમ વિસ્તાર સુધી લઈ આવતો આ બ્રીજ ઑક્ટોબર ૨૦૦૯માં ખુલ્લો મુકાયો.
ઓવરબ્રીજ 

૩) હુસેનસાગર તળાવ : હૈદ્રાબાદ શહેરના ભવ્ય ભૂતકાળને આજ દિન સુધી સજીવ રાખતું આ એક ઐતિહાસિક તળાવ છે. સને ૧૫૬૩માં ઈબ્રાહીમ કુતુબ શાહે બંધાવેલા આ તળાવની વિશિષ્ટતા એ છે કે એ હ્રદયના આકારમાં બનાવવામાં આવેલું છે. લગભગ ૫.૭ વર્ગ કિમી. વિસ્તારમાં ફેલાયેલું આ તળાવ વિશ્વમાં સૌથી વિશાળ એવા માનવ સર્જિત હ્રદયાકાર તરીકે જાણીતું છે. અને એને યુનાઈટેડ નેશન્સ વર્લ્ડ ટૂરિઝમ ઓર્ગેનાઈઝેશન (UNWTO)  દ્વારા સને ૨૦૧૨ના સપ્ટેમ્બર મહિનામાં ‘Heart of the World’ તરીકે સતાવાર રીતે ઓળખાવવામાં આવ્યું છે. બરાબર મધ્યમાં સ્થાપીત એવી એક જ પથ્થરમાંથી ઘડી કાઢવામાં આવેલી ગૌતમ બુધ્ધની મૂર્તી આ તળાવની સુંદરતામાં વધારો કરે છે.
હુસેનસાગર તળાવ, મધ્યમાં બુધ્ધપ્રતિમા

૪)  ફિશરીઝ બીલ્ડીંગ : નેશનલ ફિશરીઝ ડેવલપમેન્ટ બોર્ડના હૈદ્રાબાદ એકમનું આ મકાન માછલીના આકારમાં બનાવાયું હોઈ, શહેરનાં આકર્ષણોમાંનું એક બની રહ્યું છે.


૫) અલંક્રીતા : શમીરપેટ મંડળના કરીમનગર રોડ ઉપર આવેલો આ હૈદ્રાબાદનો ખુબ જ જાણીતો રીસોર્ટ છે. અંગત માલિકીની આ જગ્યા વિશાળ વિસ્તારમાં ફેલાયેલી છે અને ખુબ જ સુરુચીપૂર્ણ ઢબે સજાવેલી આરામદેહ સગવડો ધરાવે છે. અહીં ભોજન વેળાએ વક્રદ્રષ્ટા એવા મારી નજર લીચીનાં ફળોમાંથી બનાવેલી Mousse  નામની એક વાનગીની બાજુમાં લગાવેલ લેબલ ઉપર પડી અને મેં એનો ફોટો પાડી લીધો. જ્યાં શહેરનાં ઉન્નતભ્રુ વર્ગનાં લોકોની અવરજવર રહેતી હોય તેવી જગ્યાએ આવી બેદરકારી જેટલી મને ખટકી એટલી ત્યાંના જવાબદારોને નહીં ખટકી હોય કારણ કે મેં ધ્યાન દોર્યા પછી પણ અમે નીકળ્યાં ત્યાં સુધી એ બદલવાની તસ્દી કોઈએ લીધી જણાઈ નહીં.


લીચી 'માઉસ'!

                                      આટલી જગ્યાઓ જોતે જોતે હૈદ્રાબાદ શહેરનું પ્રાથમીક નિરીક્ષણ પણ થયું. મનમાં ખૂંચે એવી બાબત એ રહી કે ભારતનાં અન્ય શહેરોમાં દેખાય છે એવી જ વહીવટી તંત્રની શહેરની જાળવણી માટેની અને નાગરીકોની સ્વચ્છતા તેમજ સ્વકીય શિસ્ત માટેની ઘોર ઉદાસીનતા સતત આંખે ચડતી રહી. તો સામાન્યમાંથી સામાન્ય માણસની પણ હાડમારીઓથી ભરપૂર જીંદગીને હસતે મોઢે ઝીલવાની મનોવૃત્તિ પ્રભાવીત કરતી રહી.

સૌજન્ય સ્વીકાર: પહેલી અને છેલ્લી બાદ કરતાં તસવીરો નેટ ઉપરથી લીધેલી છે. 
માહિતી વીકીપીડીયા ઉપરથી લીધી છે, પૂરક માહિતી વ્યોમેશ અને અભીજીત મહેતાએ પૂરી પાડી છે.