Monday 15 June 2015

'અસ્તિત્વને પેલે પાર'

                                              
મિત્ર અને આ ક્ષેત્રે માર્ગદર્શક એવા શ્રી બીરેન કોઠારીના સુચનનો તાત્કાલીક ધોરણે અમલ કરી, આજ થી બ્લોગની શરુઆત કરું છું.પ્રાયોગીક ધોરણે અગાઉ  Facebook ઉપર મુકેલ મારી એક પોસ્ટ અહીં મુકું છું.
                                           
 આપણે જે જોઈએ અને અનુભવીએ છીએ, એના થી પર અન્ય સૃષ્ટિ છે ખરી? બુદ્ધિવાદીઓ અને શ્રધ્ધાળુઓ વચ્ચે આને વિષે યુગો થી ગજગ્રાહની કક્ષાનો વિવાદ ચાલ્યા કરે છે. આ બે અંતિમો પર વસતાં સન્નારીઓ/સજ્જનો, પરસ્પરને અનુક્રમે 'વિતંડાવાદી' અને 'બુડથલ અંધશ્રધ્ધાળુઓ' તરીકે વખોડતાં હોય છે. એક મધ્યમમાર્ગી તરીકે અહીં જે રજૂઆત કરવી છે, એ માટે બે પાત્રોનો પરિચય જરૂરી છે.

1) સ્વામી સ્વયંજ્યોતીતીર્થ. . હવે સ્વર્ગસ્થ. ભરૂચમાં મકતમપુર વિસ્તારમાં 'જ્ઞાન સાધન આશ્રમ'ની સ્થાપના કરી, સમગ્ર જીવન ત્યાં વ્યતીત કર્યું. ક્યારેય ચેલકા ચેલ્કીઓ ને 'મુંડયાં' નહીં. કોઈ 'પંથ' કે 'સંપ્રદાય' શરુ ન કર્યો. પોતે સન્યસ્ત જીવનની શરૂઆતમાં હિમાલયમાં ગુરુ દ્વારા તેમ જ ઉચ્ચ તપશ્ચર્યા દ્વારા જે પ્રાપ્ત કર્યું, તે સીમિત વર્તુળોમાં વહેંચ્યું. વેદ અને અધ્યાત્મ ઉપર પુસ્તકો લખ્યાં, તેમ જ પ્રવચનો પણ આપ્યાં. ક્યારેય 'પધરામણી' કે 'ઉછામણી' જેવી ઉઘરાણી પ્રવૃત્તિમાં પડ્યા નહીં. અંધશ્રધ્ધાને પોષે, એવી કોઈ પણ પ્રવૃત્તિને આકરા શબ્દોમાં વખોડી કાઢતા. તેઓના 'પરચા' કોઈને થયા હોય, એવું જાણમાં નથી. 

1969 માં એસ એસ સી ની પરિક્ષા આપ્યા બાદ મારા બાપુજીની સાથે આશ્રમ જવાનું થયું, ત્યારે તેઓની અતીતીન્દ્રીય શક્તિનો નાનકડો પરીચય થયેલો. બપ્પોરે મને આશ્રમની લાઈબ્રેરીમાં ફરતાં એક પુસ્તક ઉપર નજર નાખતાં જ પૂરેપૂરું વાંચવા ઘરે લઇ જવાની ઈચ્છા થઇ. ત્યાં હું એકલો જ હોઈ, વિચાર્યું કે પાછા વળતાં સ્વામીજી ને પૂછીને જો હા પાડે, તો લઇ જવું. એકાદ કલ્લાક લાઈબ્રેરીમાં વિતાવી અને પાછો એ લોકો બેઠા હતા, ત્યાં પહોચ્યો, તો સ્વામીજીએ એ પુસ્તકની નકલ બાપુજીને ભેટ આપી દીધી હતી! હજારો પુસ્તકોની વચ્ચે હું એકલો હતો અને આ ચોક્કસ પુસ્તક લઇ જવાની મને ઈચ્છા થઇ, એ તેઓ એ શી રીતે જાણ્યું, ખબર નહીં!


2) લાભશંકર પંડ્યા. . મારા દાદા. સાત વર્ષની ઉમરે પિતાને ગુમાવી દીધા. મોસાળના આશરે ગાયો ચારી, ખેતમજુરી કરી, ભણતા ગયા. 'મેટ્રિક પાસ' હોવાનું અતિશય ગૌરવ હતું. સ્વબળે આગળ આવ્યા અને એ જમાનાની કાઠીયાવાડ બેન્કના મેનેજર પદે પહોંચેલા. હાડોહાડ પ્રમાણિક અને વાસ્તવવાદી. ભગવાન સત્યનારાયણ માં પ્રચંડ શ્રધ્ધા એ રીતે કે "સત્ય એ જ નારાયણ". કોઈ જ વિધિ વિધાનમાં ન માને. મેં અમારા ઘરમાં કોઈ અનુષ્ઠાન, યજ્ઞ કે સાધુ બાવાઓની પધરામણી જોઈ નથી. "ખોટું કરશો નહીં, ખોટું બોલશો નહીં અને જાણી જોઇને કોઈને દુભવશો નહીં", આ એમની શીખ. આ સ્વભાવ છતાં એમને સ્વામીજી સાથે ખુબ જ લગાવ હતો. એમની પણ કોઈ વાતમાં જો શંકા પડે, તો ચર્ચા ઉપર ઉતારી જાય. સ્વામીજી એમનો ઉલ્લેખ "મારો ભાઈબંધ" તરીકે કરતા. નિવૃત્તિ પછી દાદા નિયમિત રીતે ભરૂચ આશ્રમમાં લાંબા સમય માટે રહેવા પણ જતા.

ટલી પશ્ચાદભૂમિકા પછી હવે મુદ્દા ઉપર આવું. એક વાર દાદા ભરૂચ હતા, ત્યારે પ્રેતસૃષ્ટિ ઉપર ચર્ચા ચાલી. સ્વામીજીએ પણ જ્યારે એને સમર્થન આપ્યું, ત્યારે દાદાએ પોતાની નારાજગી વ્યક્ત કરી. ખુબ જ લંબાણપૂર્વકની ચર્ચા પછી પણ દાદા એમના સ્વભાવ પ્રમાણે પોતાની માન્યતાને વળગી રહ્યા. એમની છેલ્લી દલીલ " હું તો જોઉં તો માનું" હતી. સ્વામીજીએ આખરી પાસો ફેંક્યો......"લાભશંકર, ઝેરનાં પારખાં ન હોય". પણ દાદાએ પોતાની વાત પકડી રાખી. આથી સ્વામીજીએ કહ્યું કે એમના એક પરિચિત દંડી સ્વામી બે ત્રણ દિવસમાં ભરૂચ પહોંચવાના હતા, એ આ બાબતે દાદાને સમજાવવા સક્ષમ હશે. વાત ત્યાં પૂરી થઇ.


બે એક દિવસમાં ઉલ્લેખાયેલ દંડી સ્વામી આવી પહોંચતાં સ્વામીજીએ તેઓને દાદાનો પરિચય કરાવી, એમના Rationalist મિજાજ વિષે જણાવી, પ્રેત સૃષ્ટિ ઉપર વધુ પ્રકાશ પાડવા કહ્યું. દંડી સ્વામીએ દાદાને મધરાતે નર્મદા કિનારે બેસી, ચર્ચા કરવા નિમંત્રણ આપ્યું. દાદા તો તૈયાર! કહેલા સમયે આશ્રમની નીચે નદી કિનારે એક ભેખડ ઉપર ચર્ચા શરુ થઇ. લગભગ પરોઢ થવા સુધી દાદાએ સ્વામીનો એક પણ તર્ક સ્વીકાર્યો નહીં. 

ખરે દંડીજી એ પૂછ્યું કે, "લાભશંકર, કાંઈ ગળે ઉતર્યું?" દાદાએ સ્પષ્ટ ના પાડી અને પોતે અનુભવે/જુએ નહીં, ત્યાં સુધી પ્રેત સૃષ્ટિ નું અસ્તિત્વ સ્વીકારવાની ના પાડી. "સારું, ત્યારે લાભશંકર, નમો નારાયણ" કહેતાં જ દંડી સ્વામીએ નમસ્કારની મુદ્રા કરી અને આંખ અંજાઈ જાય, એવા તેજસ્વી પ્રકાશ સાથે અદ્રશ્ય થઇ ગયા! દાદાએ મને કહેલું કે, આમ બન્યા પછી એ ત્યાં જ બેભાન થઇ ગયેલા અને લગભગ 12-14 કલ્લાકે ભાનમાં આવ્યા , ત્યારે પથારીની પાંગતે સ્વામીજી બેઠેલા. "કાં, લાભશંકર?" સાંભળતાં જ  બેઠા થઇ એમને ચરણ સ્પર્શ કરવા જતા લાભશંકર પંડ્યાને સ્વામીજીએ હવે પછી ઝેરનાં પારખાં ન કરવા ફરી એક વાર યાદ કરાવ્યું! 

ગાઉ સ્વામીજી અને મારા દાદાનો વિશેષ પરિચય એટલે કરાવ્યો કે, એક દંભી ગુરુ દ્વારા ઘેલસઘરા ચેલા ઉપર થયેલો આ પ્રયોગ હરગીઝ નહોતો. વિજ્ઞાન જાણે/સ્વીકારે છે, તેની પેલે પાર પણ સૃષ્ટિ અને અસ્તિત્વો હોય છે, એની પ્રતીતિ એક પરમહંસ કક્ષાના તપસ્વીએ એક સંપૂર્ણ વાસ્તવવાદીને કરાવી, એની આ વાત છે, જે મને ખુદ દાદાએ એક વાર એમની સાથે મારી કિશોરાવસ્થામાં હું કોઈ વિતંડાવાદમાં ઉતરી પડ્યો, ત્યારે કરેલી.

2 comments:

  1. Congratulations and best Wishes for initiating your blog--worth reading and sharing--please continue

    ReplyDelete
  2. હું ખૂબ જ નાનો હતો ત્યારે મારા કુટુંબના વડીલો સાથે સ્વામી સ્વયંજ્યોતિ પાસે ગયો હતો તેવી ખૂબ જ ઝાંખી યાફ છે.

    ReplyDelete