Wednesday, 1 February 2017

મહાનુભાવો સાથે મુલાકાત (3)

આ અગાઉની બે પોસ્ટ્સમાં બે ચિત્રકારો અને બે સંગીતકારો સાથેના અનુભવનો ઉલ્લેખ થયો. હવે કળાથી વિજ્ઞાન તરફ પડખું ફરીએ.

મેટ્રીકની પરીક્ષા ફિઝીક્સ-કેમીસ્ટ્રી અને ઉચ્ચ ગણિત સાથે પાસ કરી, સાયન્સ કૉલેજમાં દાખલ થયો. માઈક્રોબાયોલોજી વિષય લઈ, B.Sc.ની ડીગ્રી મેળવી. આ સમયગાળામાં વિષયના અને સુક્ષ્મ જીવોના પ્રેમમાં પડી ગયો. નસીબજોગે M.Sc. માટે પણ એડ્મિશન મળી ગયું. B.Sc.ના અભ્યાસ દરમિયાન જે ભણ્યા એનાથી ખુબ જ અલગ પણ એટલા જ રોમાંચક એવા બે પેપર્સ – Genetics and Molecular Biology અને  Biochemistryનો પરિચય થયો. વિષય માટેનું પાગલપન કોને કહેવાય એ મારા મિત્રોને મને જોઈ ને સમજાતું હતું. જેટલો સાહિત્ય અને ફિલ્મી સંગીત માટે હતો એટલો જ ઘેલછાની કક્ષાનો રસ આ બન્ને ધારાઓ માટે કેળવાવા લાગ્યો.

Molecular Biology માટે જે અને જ્યાંથી મળે એ સાહિત્ય વાંચી લેતો હતો. ૧૯૬૦ પછીના સમયગાળામાં ઝડપથી વિકસી રહેલી આ વિજ્ઞાનશાખામાં નવી નવી દિશાએ શોધખોળ થતી રહેતી હતી અને જીવનનાં મૂળભૂત રહસ્યો આણ્વિક કક્ષાએ ખુલતાં જતાં હતાં. આ કક્ષાએ કામ કરનારા વૈજ્ઞાનિકો માટે આદર દિન પ્રતિદિન વધતો જતો હતો. રોઝાલીન્ડ ફ્રેંકલીન, જેઈમ્સ વોટ્સન, ફ્રાંસિસ ક્રીક, મેક્સ ડેલબ્રુક, સાલ્વાડોર લુરીયા, વિલિયમ હેઈઝ, એલેક્ઝાંડર રીશ, વોક્લૉ સાયબાલ્સ્કી, આર્થર કૉર્નબર્ગ,જોશુઆ લેડરબર્ગ, એસ. રામક્રિષ્ણન, જેવાં નામો વાંચવા અને સાંભળવા મળ્યા કરતાં હતાં. પુરાણોમાં જાણેલા ઋષી મુનિઓથી આ લોકો અલગ નહીં હોય એવું લાગતું હતું. અહીં નામ લખ્યાં છે એમાંની બે વિભૂતીઓને મળવાનો મોકો મળ્યો છે, એ વાત હવે સાદર છે.

વોક્લૉ સાયબાલ્સ્કી...(૧૯૨૧-)

૧૯૭૪ના ડીસેમ્બર મહિનામાં બેંગ્લોર સ્થિત ઈન્ડીયન ઈન્સ્ટીટ્યુટ ઑવ સાયન્સ ખાતે એસોસીએશન ઑવ માઈક્રોબાયોલોજિસ્ટ્સ ઑવ ઈન્ડીયા - AMI-  દ્વારા આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનું આયોજન થયાના ખબર મળ્યા. ‘Perspectives of Structure and Functions of DNA’ ઉપર યોજાયેલા આ પરિસંવાદમાં ખુબ જ પ્રતિષ્ઠીત વૈજ્ઞાનિકો હાજરી આપવાના હતા એ જાણતાં જ અમે થોડા મિત્રોએ એમાં હાજરી આપવા માટેની જરૂરી ઔપચારિક્તા સત્વરે પૂરી કરી લીધી અને નિયત સમયે ત્યાં પહોંચી ગયા.

પહેલે જ દિવસે વિખ્યાત ડૉ. એલેક્ઝાંડર રીશનું વ્યાખ્યાન હતું. ખુબ જ રસપ્રદ પડાવ ઉપર હતા ત્યાં અચાનક તેઓએ અટકી, દરવાજા તરફ જોયું. એકદમ ખુશ થઈ, તેઓએ એ દિશામાં હાથ ઉંચો કરી, મોટેથી અભિવાદન કર્યું, “Hi Darling!. ત્યાં તો અંદર એક ઉંચા, પહોળા અને દેખાવડા એવા એક જૈફ એ અભિવાદનને હસતા હસતા સ્વીકારતા હૉલમાં પ્રવેશ્યા. એ કોણ હશે એ એ દિવસે ખબર ન પડી. પણ જેને માટે એલેક્ઝાંડર રીશ પોતાનું વ્યાખ્યાન અટકાવી અને એમનું આટલું ઉષ્માભર્યું અભિવાદન કરે એ બહુ ઉંચી હસ્તિ હશે એટલું ચોક્કસ સમજાયું હતું. બીજા દિવસે સવારે વિશાળ શમિયાણામાં આંટા મારતો હતો ત્યાં અચાનક એ દેખાયા. દરેક ડેલીગેટ પોતાના નામ વાળું ઓળખપત્ર લગાડી ને ફરે એટલે મેં એમની નજીક જઈ અને નામ વાંચી લેવા માટેના પ્રયાસો આદર્યા.

આ દરમિયાન તેઓ એકલા તો પડતા જ ન્હોતા. વળી હું પણ મારો પ્રયત્ન તેઓના કે બીજાંઓના ધ્યાને ન પડી જાય એ બાબતે સભાન હતો. આખરે હું એમનું નામ વાંચી શકું એ રીતે એમની નજીક પહોંચ્યો અને કંઈક સમજાય નહીં એવું વંચાયું...Schzybalsky.  હવે આ કોઈ જાણીતું નામ તો ન લાગ્યું. એવામાં એમનું ધ્યાન મારી તરફ ખેંચાયું. હસી અને મને એમની બાજુ બોલાવ્યો અને પુછ્યું, “Yes, dear  son, what are you looking at?”  આવું થાય એટલે સામાન્ય સંજોગોમાં હું પકડાઈ ગયાની લાગણીથી વિચલીત થઈ ગયો હોઉં. પણ એમના હુંફાળા સ્મિત વડે મારો સંકોચ દૂર થઈ ગયો અને મેં કહ્યું, “ Sir, I couldn’t read properly what is written on your card and wondered if that was something that you’d  discovered”. મુક્ત અટ્ટહાસ્ય કરી ને તેઓ બોલ્યા,  “No son, that is something my PARENTS had discovered, that is indeed my name’. અને એમણે નામ ઉચ્ચાર સહિત કહ્યું, “સાયબાલ્સ્કી”. અને મને દિવો થયો. અમે બેંગલોર જવા નિકળ્યા એના આગલા અઠવાડીયે જ  એક પ્રેક્ટીકલ શરૂ કરેલો, ગ્રેડીયન્ટ પ્લેઇટ ટેકનિક. એનો મૂળ વિચાર આ ભેજાની પેદાશ હતો અને એને માટેની કાર્યપધ્ધતિ પણ તેઓએ જ વિકસાવી હતી. અમારી પ્રેક્ટીકલ મેન્યુઅલમાં એમના નામનો સ્પેલિંગ Szybalski  હતો, જ્યારે તેઓના કાર્ડ ઉપર  Schzybalsky લખ્યું હતું. આ બાબતે મેં એમનું ધ્યાન દોરતાં એમણે સ્પષ્ટતા કરી કે મૂળ પોલેન્ડના નાગરિક એવા તેઓ અમેરિકા સ્થાયી થયા, ત્યારે નામ અમેરિકન સ્પેલિંગ પ્રમાણે લખાવા લાગ્યું. પણ જ્યારે જાતે લખવાનું થાય ત્યારે તેઓ અચૂક પોલિશ સ્પેલિંગ પ્રમાણે લખતા હતા. અમે લોકો એ દિવસોમાં ગ્રેડીયન્ટ પ્લેઇટ ટેકનિકનો ઉપયોગ કરી રહ્યા હતા, એ જાણી ને તેઓ ખુબ જ ખુશ થયા અને મારા સહાધ્યાયી મીત્રોને પણ વાતોમાં સામેલ કર્યા. એ સમયે તેઓ કેન્સરનાં કારણો અને એના નિવારણના ઉપાયો ઉપર કામ કરી રહ્યા હતા.એમણે જણાવ્યું કે એમની પ્રારંભની તાલીમ કેમિકલ એન્જિનીયરીંગની હતી. પછી સમય જતાં મોલેક્યુલર બાયોલોજી તરફ તેઓ ફંટાયા અને એમાં જ બહુ ઉંચી કક્ષાનું પ્રદાન કર્યું.

બીજા દિવસનું એમનું વ્યાખ્યાન ખુબ જ પ્રભાવશાળી હતું. એ પછી લંચ દરમિયાન મેં આ વિભૂતીને મળવાની એક વધુ તક ઝડપી લીધી. લગભગ પાંચેક મિનીટ સુધી વાતો કર્યા બાદ એક વિશ્વવિખ્યાત વૈજ્ઞાનિકે ૨૧ વરસના એક મૂઢ અને મુગ્ધ યુવાનને પુછ્યું, “Anything else, Son?”  અને મેં વિનંતી કરી કે મારે ડૉ. એલેક્ઝાંડર રીશને મળવું હતું અને તેઓ એમાં મદદ કરે એવી મારી આશા હતી. “Oh, why not, he is such a darling.”  કહી, તેઓ ત્યારે જ તપાસ કરી પણ ડૉ. રીશ કોઈ અન્ય સંસ્થામાં ગયા હતા અને પછી નીકળી જવાના હતા એવી ખબર પડતાં મારી એ ઈચ્છા પૂરી ન થઈ શકી. પણ ડૉ. વોક્લૉ સાયબાલ્સ્કીને મળી,તેઓની સાથે વાતો કર્યાનો નશો કાંઈ જેવો તેવો ન હતો.

ફ્રાન્સીસ હેરી ક્રોમ્પ્ટન ક્રીક...(૧૯૧૬-૨૦૦૪)

વિજ્ઞાનનો થોડો ઘણો વ્યાસંગ હોય એ વ્યક્તિએ આ નામ ન સાંભળ્યું ન હોય એમ બને નહીં. પૃથ્વી ઉપરની સજીવ સૃષ્ટીના જીવનનો મુખ્ય સંચાલક અણુ એટલે  De Oxy RiboNucleic Acid, DNA.  આ રાસાયણિક ઘટકની ત્રીપરીમાણીય સંરચનાની જાણ વિશ્વને ડૉ. ક્રીકે જેઇમ્સ વોટ્સન સાથે મળી ને સને ૧૯૫૩માં કરી. વીસમી સદીના સમયગાળા દરમિયાન વિજ્ઞાનના ક્ષેત્રમાં થયેલાં શકવર્તી સંશોધનોમાંનું આ એક બની રહ્યું. આ માટે સને ૧૯૬૨નું Physiology & Medicine કેટેગરીનું નોબેલ પ્રાઈઝ વોટ્સન અને ક્રીકને એનાયત થયું હતું. એ લોકોએ તૈયાર કરેલા સૂચીત DNA મોડેલ સાથે એ બન્નેનો ફોટો અહીં મૂક્યો છે.



આ તો માત્ર શરૂઆત હતી. મોલેક્યુલર બાયોલોજીની શાખા આજે માન્યામાં ન આવે એ રીતે વિકાસ પામી રહી છે, ત્યારે એનો યશ ક્રીકને આપવો રહ્યો  કારણકે એ પાયાનો ખ્યાલ કે સજીવોના કોષમાંની જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ ચોક્કસ કાર્યપધ્ધતીને અનુસરે છે, એ ક્રીકે આપ્યો. એમણે  પ્રસ્થાપિત કર્યું કે સજીવનાં લક્ષણોની માહિતી DNA પાસે હોય છે, એ માહિતી RiboNucleic Acid- RNA-ની મધ્યસ્થી વડે કોષરસમાં પહોંચી, અલગ અલગ પ્રકારનાં લક્ષણોના પ્રાગટ્ય માટે જરૂરી ક્રીયાઓનું નિયમન કરે છે. આ બાબતને ‘Central Dogma’ તરીકે ઓળખવામાં આવે છે. અને એ કેન્દ્રવર્તી વિચારનું શ્રેય ક્રીકને મળે છે. DNAની સંરચના તેમ જ કોષમાં થતી કાર્યવહીના સંચાલનમાં DNAની એકહથ્થુ સત્તા ખુબ જ સંકીર્ણ બાબત છે અને અહીં એનું વર્ણન બિલકુલ અપ્રસ્તુત બની રહે. છતાં એ બાબતને લગતું એક Animation મૂકવાની લાલચ થઈ આવે છે. જીજ્ઞાસુઓને એમાંથી વધારે જાણવાની પ્રેરણા મળે તો ઈન્ટરનેટ ઉપર તો ભરપૂર ખજાનો ઉપલબ્ધ છે જ.


એક ભૌતિકશાસ્ત્રી તરીકે કારકિર્દી શરૂ કરનારા ફ્રાન્સીસ ક્રીકે બાયોલોજીના ક્ષેત્રમાં દાખલ થઈ, સજીવ સૃષ્ટીનાં પાયાનાં રહસ્યો ઉકેલવામાં ભગીરથ ફાળો આપ્યો. એમને મળવાની ઈચ્છા હોવી એ મોલેક્યુલર બાયોલોજીના વિદ્યાર્થી તરીકે મારે માટે અત્યંત સ્વાભાવિક હતું. ૧૯૭૭ના વર્ષમાં ઈન્ડીયન સાયન્સ કોંગ્રેસની વાર્ષિક સભાનું આયોજન અમદાવાદમાં થયું હતું (કદાચ ૧૯૭૮ પણ હોય, બરાબર યાદ નથી.). એમાં ક્રીક આવવાના છે એવી વાત હતી. પણ સંજોગોવશાત એમ બન્યું નહીં. આવેલી તક જતી રહી એનો વસવસો ઘણો જ થયો પણ એમાં તો શું થઈ શકે?  એ વાતને લાંબો સમય વિતે એ પહેલાં એક મિત્ર ખબર લાવ્યો કે વડોદરા ખાતે ડૉ. ક્રીક આવ્યા છે! વધારે તપાસ કરતાં ખબર પડી કે એ દિવસે સાંજે એમ. એસ. યુનિવર્સિટીના મધ્યસ્થ હૉલમાં તેઓનું વ્યાખ્યાન હતું અને રાતે જ તેઓ ત્યાંથી નીકળી જવાના હતા. આજથી ચાળીશ વરસ પહેલાં મુસાફરીની સુવિધા અત્યારે છે એટલી સુલભ અને સગવડભરી ન હતી. પણ એ બધુ વિચારવાનો સમય હતો જ નહીં. બનતી ત્વરાથી કૉલેજમાં રજા મૂકી, ભાગ્યો અને વડોદરાની બસ પકડી.

છેવટે સ્થળ ઉપર પહોંચ્યો ત્યારે જોયું કે વ્યાખ્યાન પૂરું થઈ ગયું હતું અને એ સાંભળનારા નસીબવંતાઓ હૉલની બહાર નીકળી રહ્યા હતા. સાંભળવા ન મળ્યા તો કાંઈ નહીં, જોવા તો મળશે એમ સાંત્વન લઈ ને હું હૉલમાં પ્રવેશ્યો ત્યાં તો જોયું કે યુનિ.ના કર્તાહર્તાઓ ડૉ. ક્રીકને બહારની તરફ લઈ આવતા હતા. ઉંચા, પાતળા અને આછી શ્વેત દાઢી ધરાવતા તેઓ જેવા નજીક આવ્યા કે યોગાનુયોગે એમનું ધ્યાન મારી ઉપર પડ્યું એટલે મેં એમની સામે હાથ જોડ્યા. એમની સાથે ચાલવા લાગ્યો અને શક્ય એટલા ઓછા શબ્દોમાં હું એમને સાંભળી ન શક્યો એનું મને ખુબ જ લાગી આવ્યું હતું એમ જણાવ્યું. હવે જે બન્યું એ મારા માટે પૂરતું હતું. ડૉ. ક્રીકે મારો હાથ એમના હાથમાં લઈ, બીજા હાથે મારો ખભો થાબડ્યો અને બોલ્યા, “Never mind, young man. Next time !”  જે હાથે ૧૯૫૩ની સાલમાં DNA મોડેલ તૈયાર કર્યાનું પેપર લખ્યું હશે, એ જ હાથ મારા હાથમાં તેમ જ ખભા ઉપર હોવાનો રોમાંચ એ ઉમરે હતો એ આજે ૬૩ વર્ષની ઉમરે પણ એટલો જ તરોતાજો અને અવર્ણનીય છે. જો કે એ Next time ક્યારે ય ન આવ્યો.


આમ, મારા જીવનમાં મને પ્રાપ્ત થયેલા એવા મહાનુભાવોને રૂબરૂ મળવાના યાદગાર પ્રસંગોમાંના છ મેં અહીં ત્રણ તબક્કે રજૂ કર્યા છે. આ ઉપરાંત પણ આવા લ્હાવા મળ્યા છે પણ અહીં વર્ણવેલા અનુભવોની યાદ આજે પણ તાજી છે અને જ્યારે જ્યારે યાદ આવે ત્યારે મન આનંદથી ભરાઈ જાય છે. 
તસ્વીરો નેટ પરથી અને વિડિઓ યુ ટ્યુબ પરથી લીધેલાં છે.

Friday, 27 January 2017

મહાનુભાવો સાથે મુલાકાત (૧)

એક સામાન્ય માણસના જીવનમાં રોમાંચક ઘટનાઓ વારંવાર ઘટતી નથી હોતી. આવી ઘટનાઓને અલગ અલગ ખાનાંઓમાં વર્ગીકૃત કરી શકાય. જેમ કે કોઈ ઈચ્છિત ચીજ સાંપડે, ક્યારેક કલ્પના પણ ન કરી હોય એવી કોઈ ચીજ સાંપડે, લાંબા અરસાથી રાહ જોતા હોઇએ એ વ્યક્તિ આવી ને મળે, ધારી સફળતા પ્રાપ્ત થાય, વળી ક્યારેક અણધારી સફળતા પ્રાપ્ત થાય તો એનો નશો તો અનોખો જ હોવાનો. જો કે  ઉમરના કયા તબક્કે કઈ ઘટના આકાર લે છે એનું પણ આગવું મહત્વ છે. વળી વ્યક્તિનાં અંગત ઘડતરની અને રસ-રૂચીની પણ એને શું રોમાંચક લાગશે એની ઉપર ચોક્કસ અસર હોય છે.

મારા જીવનમાં જે પ્રભાવક ઘટનાઓ ચિરંજીવ અસર છોડી ગઈ છે એમાં કેટલાક મહાનુભાવો સાથે પ્રત્યક્ષ મુલાકાતનો મોકો મળ્યો  છે તે બધીનું આગવું સ્થાન છે. મારી ઉમરના અલગ અલગ પડાવો ઉપર અલગ અલગ ક્ષેત્રોમાં પોતાનું આગવું સ્થાન જમાવી ને બીરાજેલા અને રાષ્ટ્રીય તેમ જ આંતરરાષ્ટ્રીય સ્તરે નામના મેળવી ચુકેલા એવા મહાનુભાવો સાથે થોડી ક્ષણો ગાળવા મળી એ સદ્ નસીબની વાતો અહીં વહેંચવી છે. વધારે પ્રસ્તાવના ન કરતાં મૂળ વાત ઉપર આવી જાઉં.

જેમને પ્રત્યક્ષ મળવાનો મોકો મળ્યો છે એમાંના બે ખ્યાતનામ ચિત્રકારો છે, બે સ્વનામધન્ય એવા અલગ અલગ ક્ષેત્રના સંગીતકારો છે અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ખુબ જ ઉંચા આસને બેઠેલા એવા બે વૈજ્ઞાનિકોનો આ યાદીમાં સમાવેશ થાય છે. આમ યોગાનુયોગે દરેક ક્ષેત્રના બે બે મહાનુભાવો સાથે થયેલા અનુભવો ત્રણ તબક્કામાં રજુ કરું છું. શરૂઆત મારા નાનપણમાં બે મહાન ચિત્રકારો સાથે રૂબરૂ થવા મળ્યું એના વર્ણનથી કરું......

શ્રી સોમાલાલ શાહ... (૧૯૦૫-૧૯૯૪) 

મૂળ કપડવંજના અને ભાવનગરને કર્મભૂમી બનાવી, ચિત્રકળાની દુનિયામાં બહુ ઉંચી પ્રતિષ્ઠા હાંસલ કરનારા એવા શ્રી સોમાલાલ શાહ ભાવનગરની એક કરતાં વધુ શાળાઓમાં ચિત્રશિક્ષક તરીકે ખુબ જ સન્માનનીય બની રહેલા. તેઓ ગુજરાત રાજ્યમાં જ નહીં, દેશ વિદેશમાં પણ જાણીતા હતા. કલાગુરુ શ્રી રવિશંકર રાવળ અને શાંતિનિકેતનના આધારસ્થંભ એવા શ્રી નંદલાલ બસુ જેવા સિધ્ધહસ્ત કલાકારો પાસે તાલિમ મેળવી અને તેઓના પ્રીતીપાત્ર બની રહેલા સોમાલાલ શાહનાં ચિત્રો કેટલીયે સંસ્થાઓની અને ઘરોની શોભામાં વધારો કરતાં આવ્યાં છે. પ્રતિષ્ઠીત સામયીકોમાં પણ એમનાં ચિત્રો અવારનવાર પ્રગટ થતાં રહેતાં. રણજીતરામ સુવર્ણચંદ્રક અને રવિશંકર રાવળ એવૉર્ડ જેવાં સન્માનોથી તેઓ વિભૂષિત હતા. તેઓ મારા દાદાના મિત્ર હતા એ અમારા કુટુંબને માટે ગૌરવની બાબત હતી.

મારી લગભગ છ વરસની ઉમરે એક વાર તેઓ અમારે ઘરે બેસવા આવી પહોંચ્યા. એ વખતે હું હિંચકે ઝુલી રહેલા (નિત્યક્રમ મુજબ) દાદાની બાજુમાં બેસીને એમનું ‘માથું કાણું’ કરી રહ્યો હતો (નિત્યક્રમ મુજબ). તે દિવસનો મારો એજેન્ડા મારી પાટી-સ્લેટ-માં આગગાડી દોરવાનો હતો. અને એ માટે મદદ કરવા હું દાદાને વિનવી રહ્યો હતો. ચિત્રકળા બાબતે પોતાની આવડત વિશે દાદાનો ક્યારે ય કોઈ જ ઉંચો દાવો નહતો. એટલે “તારો બાપ આવે ત્યારે એને કહેજે, મારું માથું ખા મા. જા, ચા મૂકવા કહી આવ” કહી ને એમણે મને આઘો કરવા કોશિષ કરી. મેં તે સમયે દાદીને ચા મૂકવાનું સૂચન કરવાનાં ભયસ્થાનોનો નિર્દેશ કરી, ચિત્ર કરવાનો આગ્રહ રાખ્યો. અમારી વચ્ચે આ સંવાદ આગળ વધી ને એમને “લઉં હાથમાં લાકડી?”ના તાર સ્વરે પહોંચાડે એ પહેલાં “લાભભાઈ, આવું કે?” કરતા સોમાલાલદાદા ઘરમાં પ્રવેશ્યા. આમ થવાથી અમારો સંવાદ (વિવાદ?) અટક્યો અને અમારી બન્નેની તમન્ના પૂરી થવાનો ઉજળો સંજોગ ઉભો થયો. હવે ચા મૂકવાનું કહેવા માટે દાદાને મારી મધ્યસ્થીની જરૂર ન રહી. અને એમણે પોતે જ ખુબ જ નમ્રતા(કે જે વિશીષ્ટ સંજોગોમાં એમને સહજસાધ્ય હતી) થી દાદીને ચા બનાવવા માટે કહ્યું. એ દરમિયાન મારા હાથમાં પાટી પેન જોઈ ને સોમાલાલદાદાએ હું શું કરી રહ્યો હતો એમ પૂછતાં મેં મારી દોરેલી આગગાડી એમને બતાડી.

કલાના આરાધક એવા તેઓથી કલાની આવી નિર્મમ હત્યા સહન નહીં થઈ હોય એટલે આ વિખ્યાત કલાકારે મારી પાટીમાં એક રેલ્વે સ્ટેશન અને ત્યાં ઉભેલી આગગાડીનું ચિત્ર કરી આપ્યું! મેં ચિત્રને બરાબર જોયું અને પછી એમને ત્યાં પોતાની સહી કરવાનું કહ્યું. અમારા ઘરમાં એમનું એક ચિત્ર દાદાના રુમમાં હતું એટલે હું એમની વિશીષ્ટ સહીથી પરિચીત હતો. એ ઉપરથી શરુ કરી, નીચે તરફ જાય એવી રીતે સહી કરતા. પહેલાં એક બીન્દી આકાર હોય, એની નીચે ‘સો’ સ્પષ્ટ વંચાય એવી રીતે હોય અને પછી નીચે ઉતરતા જતા અવાચ્ય અક્ષરો હોય. અહીં એમનું બનાવેલું એક ચિત્ર મૂક્યું છે એમાં જમણી બાજુએ ઉપર એમની સહી જોઈ શકાય છે. 

 લગભગ મારા દાદાની ઉમરના અને લબ્ધપ્રતિષ્ઠીત એવા આ કલાકારે છ વરસના નાદાન છોકરડાની પાટીમાં પ્રેમથી સહી પણ કરી આપી. એ ઉમરે આ શું સાંપડ્યું એ સમજવાની અક્કલ નહતી. પણ આજે એ બાબત યાદ આવે ત્યારે ચોક્કસ રોમાંચની લાગણી થાય છે.

શ્રી રવિશંકર રાવળ...(૧૮૯૨-૧૯૭૭)


સોમાલાલ શાહ અને દાદાની વાતોમાં એકાદ વાર આ નામનો ઉલ્લેખ કાને પડેલો. એટલું સમજાયું હતું કે એ કોઈ ખુબ જ ઉંચી કક્ષાના ચિત્રકાર છે. મૂળ ભાવનગરના શ્રી રાવળ મારા દાદાના મોટાભાઈના મિત્ર હતા. પણ મિત્રના અવસાન પછી તેઓના નાનાભાઈ એટલે કે મારા દાદા સાથે તેમણે સંબંધ જાળવી રાખ્યો હતો. ભાવનગર આવે ત્યારે શક્ય હોય તો એ થોડા સમય માટે પણ અમારે ઘરે આંટો આવી જતા. ‘કલાગુરુ’ તરીકે જાણીતા તેઓએ ગુજરાતના સાહિત્ય અને કલાના ક્ષેત્રમાં ખુબ જ મોટું પ્રદાન કર્યું છે. ‘વીસમી સદી’ અને ‘કુમાર’ જેવાં શિષ્ટ સામયિકો સાથે તેઓનું નામ કાયમી ધોરણે જોડાયેલું રહેશે. 




તેઓનાં બનાવેલાં ચિત્રો કલાના શોખીનો માટે ઘરેણાંથી પણ વિશેષ મૂલ્યવાન બની રહ્યાં છે. એકથી એક ચડે એવાં તેઓનાં સર્જનોમાંનું એક ગાંધીજી ઉપર ચલાવવામાં આવેલા કૉર્ટ કેઈસનું છે. અમદાવાદના સર્કીટ હાઉસમાં સને ૧૯૨૨ના માર્ચ મહિનાની ૧૮મી તારીખે કેઈસ ચલાવવામાં આવ્યો ત્યારે કૉર્ટરૂમમાં ફોટોગ્રાફરોને પ્રવેશ ન્હોતો અપાયો. આ ઘટનાને રવિશંકર રાવળે ચિત્રીત કરી છે. આ તો એક ઉદાહરણ માત્ર છે. કંઈ કેટલાંયે ઐતિહાસીક અને સામાજિક પાત્રો તેઓની પીંછીના સથવારે સજીવન બન્યાં છે. ચિત્રકલાના અલગ અલગ આયામો ઉપર તેઓનો સમાન કાબુ હતો.



મુંબઈની જે એન્ડ જે સ્કૂલ ઑવ આર્ટ્સમાં અભ્યાસ કરી તેઓએ અમદાવાદને કાર્યક્ષેત્ર બનાવ્યું. ગુજરાતની લગભગ ત્રણ પેઢીના ચિત્રકારોને તેઓનો સીધો કે પરોક્ષ લાભ મળ્યો છે. રણજીતરામ સુવર્ણચંદ્રક, બોમ્બે આર્ટ્સ સોસાયટીનો ચંદ્રક, મેયો ચંદ્રક અને ભારત સરકારના નાગરિક સન્માન ‘પદ્મશ્રી’, ઉપરાંત અનેક ઈનામો અને અકરામો વડે તેઓને નવાજવામાં આવ્યા છે. સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના આયોજન/સંવર્ધન માટે અમદાવાદ શહેરની મધ્યમાં બનાવવામાં આવેલા મકાનને સાહિત્ય અને કલાના ક્ષેત્રમાં તેઓના પ્રદાનને ખ્યાલે રાખી ‘રવિશંકર રાવળ કલા ભવન’ નામ આપવામાં આવ્યું છે.

એમને મળવાનો મોકો મળ્યો ત્યારે મારી ઉમર આઠેક વરસની એટલે કે નાદાનિયતની હતી. એ ભાવનગર આવ્યા હતા અને દાદાને મળવા એકાદ કલાક ફાળવી ને આવી પહોંચ્યા. એ આવવાના છે  એવી ખબર પડી એટલે મેં તો એમની પાસે એરોડ્રોમ અને એરોપ્લેઈન  દોરાવવા માટે પાટી પેન તૈયાર કરી દીધાં! દાદાને મારી મહેચ્છાની ખબર પડતાં જ મને એમ ન કરવા સૂચના આપી, જે આમ તો  ચેતવણી જ હતી. થોડી વાર પછી તેઓ અને સોમાલાલ શાહ સાથે આવ્યા.

હું એ લોકો બેઠા હતા એટલામાં ફર્યા કરતો હતો એટલે એમણે મને પ્રેમથી પાસે બોલાવ્યો અને નામ તેમ જ ભણતર બાબતે પૃચ્છા કરી. હું જવાબો આપતો હતો એવામાં સોમાલાલદાદાએ  મારી ‘ચિત્રપ્રવૃત્તિ’ બાબતે એમને જણાવ્યું. એમણે મારી પીઠ થાબડી અને મને આશિર્વાદ આપ્યા. બસ, આટલું જ બન્યું પણ એ પછી દિવસો સુધી નિશાળમાં હું શ્રી શાહબુદ્દીન રાઠોડના પાત્ર લાભુ મેરાઈ માફક “મારે ઘરે આવ્યા, મારું નામ લીધું અને મારો વાંહો થાબડ્યો”નાં બણગાં ફુંકતો રહેલો. એ વખતના અમારા સંગીત-ચિત્રશિક્ષક હાજી સાહેબને જ્યારે આ ઘટનાની ખબર પડી ત્યારે એમણે મને બોલાવી અને ખુબ જ શાબાશી આપી અને હવે પછી ક્યારેય રાવળ સાહેબ મારે ઘરે આવે તો એમને જણાવવા માટે કહ્યું, જેથી “ઈ ગુરુનાં દર્શન થાય, એમના પગ પકડાય”. ત્યારે અમારે માટે હાજી સાહેબ કરતાં કોઈ મહાન હોય, એ માનવું અઘરું હતું. એ જેમનો ચરણસ્પર્શ કરવા માંગતા હોય એ કેવી મોટી હસ્તિ હશે એ ક્ષણે સમજાયું. બાકી મેં તો તેઓ ‘દાદાના ભાઈબંધ કે જે ચિત્રો સારાં દોરે છે’થી વિશેષ જાણ્યા ન્હોતા.


પૂરક માહિતી, મહાનુભાવોના તેમ જ ચિત્રોના ફોટોગ્રાફ્સ નેટ ઉપરથી લીધેલા છે.

Tuesday, 6 December 2016

વ્યસનકથા - ૨



થોડા સમય પહેલાં મિત્ર નિશીથે એની સાથેની શેખર અને મારી દસકાઓ જૂની મૈત્રીની દુહાઈ આપતાં કહ્યું, "We three have not been only 'C'lassmates but have often been  'G'lassmates too"! આ બાબતે મેં એને કહ્યું કે, "ભાઈ, તેં એવો ઈલ્ઝામ લગાવ્યો છે કે સ્વીકારી લઉં તો ખોટું બોલ્યાનું પાપ છે અને જો ઠુકરાવું છું તો બહુ જ લાગી આવે છે!" ખરેખર, સારા સારા મિત્રો કે સંબંધીઓની સાથે ‘બેઠક’નું આયોજન થયું હોય, એમાં હાજરી અચૂક આપું છું પણ વર્ષોથી આ માદક ચીજને હાથે નથી લગાડી, ત્યાં હોઠે લગાડવાની તો વાત જ ક્યાં રહી!


આજે આ અલખને ઓટલે મિત્રો સાથે મય/સુરા અને એના પાન વિષે થોડીક વાતો વહેંચવાની ઈચ્છા થઈ આવી છે. નાનપણમાં ભાવનગરના સંયુક્ત કૌટુંબિક વાતાવરણમાં મોટો થતો હતો, ત્યારે દાદાના એક મિત્રના મદ્યાનુરાગી સ્વભાવને લગતી વાતો સાંભળેલી. અન્યથા એ એટલા પ્રેમાળ હતા, કે મનમાં થાય કે જેમ દાદા ચાના શોખીન છે, એમ જ _____કાકા અન્ય પીણાના કેમ ન હોય? આ બાબતે સાતેક વરસની ઉમરે દાદા સાથે દલીલો કરી, ત્યારે એમણે કીધું કે, "એક વાર ઈ ઢીંચે છે ને, પછી રાખ્ખહ(રાક્ષસ) થઈ જાય છે!" એ સમયે  એમ માની લીધું કે દારુ પીએ એ સજ્જન માણસ પણ દૈત્ય થઇ જાય. વાર્તાઓમાં અને ચિત્રકથાઓમાં જ્યાં રાક્ષસનો ઉલ્લેખ આવે, તો એમ માની લેતો કે કોઈ સારા માણસે દારુ પી લીધો હશે, એનું આ પરિણામ છે! પછી ઉમર વધતાં જાતે બહાર જવાના પ્રસંગો પડતાં રસ્તા ઉપર નશાની અસરમાં ઉચિત નહીં એવી અવસ્થામાં અસામાજિક વર્તન કરતા લોકો નજરે ચડવા લાગ્યા. પરિણામે મનમાં એક ખૂણે 'દારુ અને દારૂડિયાઓ બિલકુલ નકામાએવી માન્યતા ઘર કરી ગઈ.


કિશોરાવસ્થામાં પ્રવેશની સાથે જ સંગીત અને ગઝલ આ બન્નેનો ઘેલછાની હદનો શોખ લાગ્યો. યોગાનુયોગે આ ક્ષેત્રોમાં જાણીતાં જે કોઈ નામ હતાં, એમના મદ્ય માટેના અસાધારણ લગાવ વિષે કોઈ ને કોઈ પાસે થી સાંભળવા મળતું. હવે આવા દૈવી કક્ષાના લોકો જો મય પ્રત્યે અનુરાગ ધરાવતા હોય, તો એ ચીજ ખરાબ શી રીતે હોય, એ વિચારે મારો પીણા અને પીનારાઓ માટેનો જે પૂર્વગ્રહ બંધાઈ ગયેલો, એ ધીમે ધીમે પીગળવા લાગ્યો.


ભાવનગરની કૉલેજમાં તો બે ખુબ જ સરસ ભણાવનારા અધ્યાપકો પણ 'પીક્કડ' હોવાની જાણ થઈ. એ લોકો અભ્યાસપૂરક પ્રવૃત્તિઓમાં પણ  ખાસ્સા સમર્પિત હોવાથી એમનો પરિચય વધતો ચાલ્યો અને એમની વિદ્વતા, ક્ષમતા તેમ જ માણસાઈને નિકટથી ઓળખવાના કેટલાય પ્રસંગો પડ્યા. એ લોકોએ મને સમજાવ્યું કે તેઓ 'દારૂડિયા' કે 'પીક્ક્ડ' ન્હોતા. શોખથી પીતા હતા, બંધ કમરે પીતા હતા, માપમાં પીતા હતા  અને પીધા પછી છાકટા થઈને ગેરવર્તન તો ક્યારેય ન્હોતા કરતા. કેટલાક ઉમદા કલાકારો/કવિઓ અને ખાસ તો અમારા આ બન્ને પ્રેમાળ અધ્યાપકો સાથે સંબંધ થયા પછી હવે હું 'દારુ'ને ‘શરાબ’, 'મય' કે 'મદ્ય' જેવા માનવાચક શબ્દપ્રયોગથી ઓળખવા લાગ્યો. જો કે એની સાથે નજીકની મૈત્રી કેળવવા સુધીની હિંમત થવાને હજી વાર હતી.


સત્તર વરસની ઉમરે નડિયાદની કૉલેજમાં ભણવા ગયો ત્યારે હોસ્ટેલમાં રહેવાનું હોઈ, બાપુજીએ ધુમ્રપાન ન કરીશ એમ કહ્યું, એ સમયે એમના મનમાં એવી શ્રધ્ધા હશે કે શરાબનો તો કોઈ સવાલ જ નથી. પણ એ ન્હોતા જાણતા કે, આ તો મયનગરી હતી. દુનિયાભરની શરાબની બ્રાન્ડ્સ ત્યાં 'હાજર સ્ટોક'માં મળી આવતી. અલબત્ત, અમારી હોસ્ટેલમાં હજી આ પીણું પ્રવેશ્યું ન્હોતું. જે ચાર પાંચ શોખીનો હતા, એ બહારથી 'મારી'ને આવતા. આ મહારથીઓમાં મારા નિકટના કોઈ મિત્રો ન હોવાથી હું હજી કોરો ધાકોર હતો.


એવામાં 1972માં કૉલેજ દ્વારા આયોજિત કાશ્મીરના પ્રવાસમાં જોડાવાનું થયું. પહેલી રાતનો પડાવ ઉદયપુર મુકામે હતો. ત્યાં મહેફિલ જામી ગઈ! અમે 'C'lassmates મિત્રો-- શેખર , નિશીથ, રેમન્ડ, પંકજ ત્રિવેદી અને હું એ મહેફિલમાં જોડાઈને 'G'lassmates  બન્યા. આ સાહસને લીધે કશુંય અવનવું બન્યું નહીં. ચાર અઠવાડિયાં લાંબી આ ટુરમાં પાંચેક વાર સુરોના પીણાનો સ્વાદ ચાખ્યો. ખાસ તો અમારામાંથી કોઈ જ જરા ય છાકટો ન થયો હોવાથી એમ સમજાયું કે માત્રામાં પીવાથી શરાબ માણસને નુકસાન ન પહોંચાડી શકે. આ પ્રવાસ દરમિયાન શરાબ પીવાના પ્રસંગો પરથી અમે મિત્રો બે તારણો ઉપર આવ્યા. . .
1) માપમાં પીવું અને
2) પોતાના ખર્ચે ન પીવું.


હવે મુદ્દા નં. 2) બાબતે અમે બધા જ બિલકુલ એકમત હોવાથી નડિયાદમાં પાછા આવ્યા એટલે આ પ્રવૃત્તિ બંધ થઇ ગઈ. અન્યથા નટપુર નામથી પ્રસિધ્ધ આ નગરીમાં તો ધારો તો પરબ બંધાવી શકાય એટલી છૂટથી માંગો એ બ્રાંડ મળતી. ખેર, આમ ને આમ બે વરસ વિતી ગયાં અને મોટા ભાગના મિત્રો B.Sc.ની ડીગ્રી મેળવી અન્યત્ર જતા રહ્યા.


રેમન્ડ અને હું M.Sc.માટે નડિયાદની કૉલેજમાં પ્રવેશ મળી જતાં બે વધુ વરસ માટે નડિયાદમાં રહી ગયા. એવામાં કે.ડી. દેસાઈ ઉર્ફે 'કેડી'નો પરિચય થયો. એ આફ્રીકામાં પેઢીઓથી સ્થાયી થયેલા તાલેવંત કુટુંબનો નબીરો હતો. એ પ્રકારના યુવાનમાં હોય એવાં બધાં જ ઈચ્છનીય તેમ જ અનિચ્છનીય લક્ષણો ભરપૂર માત્રામાં ધરાવતો કેડી એની તલબ શાંતિથી બુઝાવી શકાય એવી જગ્યાની તલાશમાં હતો. એણે અમને પ્રસ્તાવ મુક્યો કે રૂમ અમારી અને 'માલ' એનો. બે વરસ અગાઉ અમે મિત્રોએ સર્વાનુમતે કરેલા ઠરાવની મુદ્દા નં. 2) ની શરત અહીં પૂરેપૂરી સંતોષાતી હોઈ, અમે તાત્કાલિક ધોરણે એની દરખાસ્ત સ્વીકારી લીધી. બહુ નિયમિત ધોરણે અમારી રૂમમાં મહેફીલો યોજાવા લાગી. અમે સીનીયર હોવા છતાં જુનીયરોને મોટે ભાગે પ્રેમથી રાખતા, એમને ભણવામાં પણ મદદ કરતા અને તેમ છતાંય કેટલાક સંજોગોમાં કોઈ કોઈને મારતા પણ ખરા. એને પરિણામે અમારા રેક્ટર સુધી ક્યારેય અમારી પ્રવૃત્તિની ફરિયાદ ગઈ નહીં. રેમન્ડ અને હું એકાદ પેગ લઈ, અમારું ભણવાનું કરતા અથવા સુઈ જતા, જ્યારે કેડી તો મોડી રાત કે વ્હેલી સવાર સુધી મંડ્યો રહેતો. પછી એ સુઈ જાય અને મોડો ઉઠે એટલે અમને એના સ્કુટર/મોટરનો લાભ પણ મળી રહેતો.


આમ ને આમ ચારેક મહિના ચાલ્યું અને કેડી આફ્રિકા જતો રહ્યો એટલે અમે વળી પાછા 'સુધરી' ગયા. પણ ક્યારેક લોકલ મિત્રો ઘેર બોલાવીને 'ઓફર' કરે તો છોછ વગર પી લેતા. પછી તો M.Sc.ની ડીગ્રી હાથમાં આવી ગઈ અને નડિયાદ છૂટી ગયું.  થોડા વખત પછી અમદાવાદમાં નોકરી મળી ગઈ, ત્યાં મહેફીલો મંડાવાના બહુ સંજોગો ઉભા ન થયા. તેમ છતાં ક્યારેક ક્યારેક મેળ પડી જતો. વિશેષમાં હવે જાતે કમાતો થયો હોવાથી એકાદ બે વાર મિત્રોને ખાણી ‘પીણી’ની દાવતો પણ આપી હોવાનું યાદ છે. પણ આ બધું લાંબું ચાલે એ પહેલાં અચાનક જ  એક  ચોક્કસ સંજોગમાં પત્ની સ્નેહાએ તાકિદ કરી કે હવે બિલકુલ છોડી દે અને ત્યારથી એને આપેલ બોલ હજી પળું છું.


આટલી વિગતે વાત કરી એટલા માટે કે આજે 37 વરસથી હાથ પણ નથી લગાવ્યો, પણ હું અત્યંત પ્રમાણીકતાથી માનું છું કે શરાબ પીનારા બધા 'દારૂડિયા' નથી હોતા. એકદમ ઉત્તમ કક્ષાના માણસોને હું જાણું છું કે જેઓ શરાબથી પરહેજ નથી. આપણા સમાજમાં શરાબ એટલે ઝેર અને એના પીનારાઓ એટલે અસામાજિક પ્રાણીઓ એવી માન્યતા પ્રવર્તે છે, એનું હું બિલકુલ સમર્થન નથી કરતો. સાથોસાથ આ સમગ્ર પ્રવૃત્તિનો પ્રચાર પણ નથી કરતો. દારૂબંધીની વિરુધ્ધમાં લખવાનો પણ ઈરાદો નથી. અભણ અને આર્થિક રીતે પછાત કુટુંબોમાં હલકી ગુણવત્તાના 'દેશી' પીવાથી થતાં નુકસાનથી પણ પૂર્ણપણે વાકેફ છું. પણ, 'પીએ' એ અસામાજિક હોય, એવી માન્યતાથી બચીને રહું છું. અહીં જેમનો ઉલ્લેખ થયો છે એ બધાજ મિત્રો પોતપોતાના ક્ષેત્રમાં ઉંચી પ્રતિષ્ઠા હાંસલ કરી ચુક્યા છે અને ક્યારેક ક્યારેક અને એ પણ માપમાં આચમન કરતા રહેતા હોવાથી ઉમરના છ દાયકા વટાવીને પણ કડેધડે છે.


હા, અતિશય માત્રામાં તો લાગણી પણ અયોગ્ય નથી?