Sunday, 7 January 2018

અંબરીષ પરીખ, વિસ્તરતા જણ



આપણા સમાજનો એક બૃહદ વર્ગ એવી માન્યતા ધરાવે છે કે વ્યવસાયિક કલાકારોને બિરદાવવાના ન હોય, કેમ કે આવાં કાર્યોનું વળતર એમને આર્થિક સ્વરૂપે મળતું રહેતું હોય છે. પણ એ બાબતે સહેજ શાંતિથી વિચારીએ તો ખરા અર્થમાં બિન વ્યવસાયિક કોને કહી શકાય? કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિમાં સંકળાનાર વ્યક્તિ એક યા બીજી રીતે તેની પ્રવૃત્તિનું વળતર કોઈ ને કોઈ સ્વરૂપમાં મેળવે જ છે. સમાજના માળખાના પીરામીડની અને લોકપ્રિયતાની ટોચે બેઠેલાં  સત્તાધીશો, સાધુ સંતો, અભિનેત્રી/તાઓ કે પછી જે કોઈનો પણ વિચાર કરીએ, એ બધાંમાંથી જૂજ અપવાદ બાદ કરતાં બિલકુલ નિ:સ્પૃહભાવે ચોક્કસ પ્રવૃત્તિ આચરનાર તો ભાગ્યે જ મળી આવે. સૌ કોઈ આ બાબત સુપેરે સમજતા હોવા છતાંયે ક્ષોભ સાથે કહેવું પડે છે કે મોટા ભાગના કિસ્સાઓમાં અને એમાં પણ  ફિલ્મી ગાયન/વાદન ક્ષેત્રે વ્યવસાયિક ધોરણે કાર્યરત હોય એવા યોગ્ય પાત્રની કદર કરવામાં આપણે ખાસ્સા ઉણા ઉતરતા રહેતા હોઈએ છીએ. આપણે આ અગાઉની સુખ્યાત ઓરકેસ્ટ્રા સંચાલક શરદ ખાંડેકર વિશેની પોસ્ટમાં આ બાબતે વિગતવાર ચર્ચા કરી ગયા છીએ. આથી વધુ વિગતોમાં ન ઉતરતાં અત્રે આપણે એ જ ક્ષેત્રના એક ખુબ જ સન્માનનીય વ્યક્તિત્વનો વિસ્તૃત પરિચય કેળવીએ. એ છે સ્ટેજ કાર્યક્ર્મોના વિ/સુખ્યાત આયોજક, શ્રી અંબરીષ પરીખ, જેમનો ઉલ્લેખ હવે પછી અંબરીષભાઈ તરીકે થશે.


 ગુજરાતમાં કે ભારતમાં જ નહીં, વિશ્વભરમાં જ્યાં જ્યાં હિન્દી ફિલ્મી ગીતોના શોખીનો વસે છે, ત્યાં ત્યાં ‘વિસ્તરતા સૂર’ નામથી એમણે જાણીતાં/અજાણ્યાં અને એકદમ મધુરાં હિન્દી ફીલ્મોનાં ગીતોના અગણિત કાર્યક્રમો સ્ટેજ ઉપરથી રજૂ કર્યાં છે. કાર્યક્રમનું આ નામ, ‘વિસ્તરતા સૂર’, ખરા અર્થમાં વિસ્તરી, ચારે દિશાએ છવાયેલું રહ્યું છે. છ દાયકાઓ કરતાં લાંબા સમયથી અમદાવાદમાં વસતા અને ફક્ત(??!!!) ૮૩ વર્ષની ઉમરના અને ચુસ્તી અને સ્ફૂર્તીથી સભર એવા અંબરીષ ભાઈની સાથે તબક્કાવાર ત્રણ મુલાકાતો કરી, એનો અહેવાલ પ્રસ્તુત છે.

તા.૧૬ ઑક્ટોબર, સને ૧૯૩૪ના રોજ લૂણાવાડા ખાતે જન્મેલા અંબરીષભાઈના પિતાજી ચંદુલાલ પરીખ ત્યાંના નગરશેઠ હતા. એમણે લૂણાવાડાની મ્યુનિસીપાલીટીનું પ્રમુખપદ ૨૮ વરસ સુધી નિભાવ્યું હતું. અંબરીષભાઈના બાળપણના દિવસો દરમિયાન હજી રાજાશાહી જીવંત હતી. અલગ અલગ તહેવારોએ તેમ જ રાજાના જન્મદિવસે મોટા સમારોહો યોજાતા, જેમાં દિગ્ગજ કલાકારોને નિમંત્રવામાં આવતા. નગરશેઠના દીકરા હોવાને નાતે અંબરીષભાઈને આવા કાર્યક્રમોનો લ્હાવો લેવા માટે વિશેષ સવલત મળી રહેતી અને એમણે એનો ભરપૂર ફાયદો ઉઠાવવામાં કોઈ કચાશ ન રાખી. દિગ્ગજ શાસ્ત્રીય ગાયક ઉસ્તાદ ફૈયાઝખાનના શિષ્ય ગુલામરસૂલખાન ત્યાં નિયમિત પોતાની કળા રજૂ કરતા. એ દિવસોમાં ઈલેક્ટ્રીસીટી ન હોવાથી માઈક જેવી સુવિધા તો શક્ય જ ન હતી. એ સંજોગોમાં પણ ઉસ્તાદજી પોતાના અવાજની બુલંદી વડે છેવાડાના શ્રોતા સુધી પોતાની ગાયકીને પહોંચાડતા એ બાબતથી અંબરીષભાઈ ખાસ્સા પ્રભાવીત થતા રહેતા. વળી આટલી બુલંદી વાળો અવાજ આટલો કોમળ પણ હોય એ હકિકત એમને બાળવયે ખુબ જ આશ્ચર્યચકિત કરી જતી. ધીમે ધીમે આવા સંગીતમેળાવડાઓ વડે એમનાં રસ રૂચી સંગીત તરફ કેળવાવા લાગ્યાં.

જીવનનાં પહેલાં અઢાર વર્ષ એમણે લૂણાવાડામાં ગાળ્યાં. એક બાજુ શાળાકિય અભ્યાસ ચાલ્યો અને બીજી બાજુ સંગીત પ્રત્યે પ્રીતી વધતી ચાલી. એ સમયગાળામાં લૂણાવાડા સ્થિત હિરાભાઈ પાઠક નામેરી સજ્જને એમને હાર્મોનિયમ વગાડતાં શીખવ્યું. આ તાલિમ ચાલુ હતી અને મુંબઈ નિવાસી એવા વિનોદ જોશી નામના એક સંગીતકાર લૂણાવાડા આવી ને સ્થાયી થયા. અંબરીષભાઈએ એમની પાસે મેન્ડોલીન શીખવાનું શરૂ કર્યું. આમ શાળાકિય અભ્યાસ પૂરો કરતાં સુધીમાં એમણે હાર્મોનિયમ અને મેન્ડોલીન વગાડવા ઉપર ખાસ્સી હથોટી કેળવી લીધી. એ સિફતથી આ બન્ને વાદ્યો વગાડતા થઈ ગયા. જો કે આ શાસ્ત્રીય તાલિમ ન હતી.  

મેટ્રીક પાસ કરી ને આગળ અભ્યાસ માટે અંબરીષભાઈએ અમદાવાદની ગુજરાત કૉલેજમાં પ્રવેશ મેળવ્યો. અહીં એમની પ્રતિભા નિખરવા લાગી. આ કૉલેજના ખુબ જ વિદ્વાન અધ્યાપકો વિદ્યાર્થીઓની અભ્યાસપૂરક પ્રવૃત્તિઓમાં પણ ઊંડો રસ લઈ, એમને જે તે ક્ષેત્રે આગળ વધવા માટે પ્રોત્સાહિત કરતા હતા. અંબરીષભાઈ ખાસ કરી ને લબ્ધપ્રતિષ્ઠીત એવા પ્રાધ્યાપક ધીરુભાઈ ઠાકરનો ઉલ્લેખ ખુબ જ આદરથી કરે છે. અહીં મળેલા પ્રોત્સાહનની અસર હેઠળ એમણે સને ૧૯૫૩માં યોજાયેલા એક કાર્યક્રમનું પૂરું સંગીત સંચાલન કરી, ખાસ્સી પ્રશંસા મેળવી. હવે એ આ ક્ષેત્રના જાણકારોની નજરે ચડવા લાગ્યા. આને પરિણામે એમને નિયમીત રીતે કાર્યક્રમો મળવા લાગ્યા.

એ સમયે સુગમ સંગીતના કાર્યક્રમોની બોલબાલા હતી. અંબરીષભાઈ કુશળ ગાયક તરીકે પણ નીખરી રહ્યા હતા. આથી એમને અવારનવાર જાહેરમાં ગાવાની તક મળ્યા કરતી. વળી તે સારા વાદક અને વાદ્યવૃંદ સંચાલક પણ પૂરવાર થતા આવતા હતા. સુગમ સંગીતના કાર્યક્રમોમાં ઝાઝાં વાજીંત્રોનું બનેલું મોટું વાદ્યવૃંદ હોય એવું તો ભાગ્યે જ બનતું. પરિણામે સ્ટેજ ઉપર કાર્યક્રમની રજૂઆત દરમિયાન એના સંચાલન માટે બહુ જહેમત ઉઠાવવી નહોતી પડતી. આ રીતે ધીમી અને મક્કમ ગતિથી અંબરીષભાઈનો ગાયન તેમ જ વાદ્યવૃંદ સંચાલન માટેનો આત્મવિશ્વાસ વધતો ચાલ્યો. એક નવી દિશા એ ખુલી કે સને ૧૯૬૦-૬૧ના સમયગાળામાં અમદાવાદમાં ‘આ માસનું ગીત’ શિર્ષક અંતર્ગત સુગમ ગીતોની રજૂઆતનો એક નવતર પ્રયોગ શરૂ થયો. ટાઉનહૉલના સ્ટેજ ઉપરથી પ્રતિમાસ નવું ગુજરાતી ગીત રજૂ થાય અને એ મારફતે નવા નવા કલાકારોને તક મળતી રહે એ હેતુથી શરૂ કરાયેલા આ ઉપક્રમના મોટા ભાગના કાર્યક્રમોના સંગીત સંચાલનની જવાબદારી અંબરીષભાઈના શીરે રહેતી અને યુવા વયે એમણે એનું સુપેરે વહન પણ કર્યું. આ પ્રવૃત્તિ દરમિયાન અંબરીષભાઈએ ક્ષમતાથી ભરપૂર એવી એક યુવાન ગાયિકાને પહેલી વાર જાહેરમાં ગાવાની તક આપી. આ તકનો ઉપયોગ કરી ને એ સન્નારી, નામે હંસા દવે, આગળ જતાં ગુજરાતી સુગમ સંગીતનાં ખુબ જ પ્રતિષ્ઠીત અને સન્માનનીય કલાકાર બની રહ્યાં. આવા એક કાર્યક્રમમાં ખ્યાતનામ સંગીતકાર અવિનાશ વ્યાસ મુખ્ય મહેમાનપદે ઉપસ્થીત રહ્યા હતા. યુવાન અંબરીષભાઈના સંચાલનથી એ ખુબ જ પ્રભાવિત થયા અને એમણે જાહેરમાં એ બાબતનો ઉલ્લેખ પણ કર્યો હતો. આ અને આવી અન્ય પ્રવૃત્તિઓ વડે અંબરીષભાઈને રાસબિહારી દેસાઈ અને પુરુષોત્તમ ઉપાધ્યાય જેવા એ સમયના ઉભરી રહેલા કલાકારો સાથે અંગત સંબંધ બંધાયો, જે એ ત્રણે ય કલાકારોની પોતપોતાના ક્ષેત્રે થતી રહેલી અસાધારણ પ્રગતિ જેટલો જ મજબૂત અને કાયમી બની રહ્યો છે.

અંબરીષભાઈની પ્રવૃત્તિના આરંભનાં વર્ષોમાં ફિલ્મી ગીતોની સ્ટેજ ઉપરથી રજૂઆત કરતા કાર્યક્રમો એકદમ ઓછા પ્રમાણમાં થતા. સને ૧૯૬૦ અને પછીનાં વર્ષોમાં મહેશકુમાર એન્ડ પાર્ટી, હુસૈની પાર્ટી, કે પછી ફરીદ છીપા એન્ડ પાર્ટી જેવા કલાકારોનાં જૂથો નાના પાયે છૂટાછવાયા કાર્યક્ર્મો દ્વારા ફિલ્મી ગીતોની રજૂઆત કરતાં. અંબરીષભાઈએ નોંધ્યું કે જનસામાન્યની રુચી આવા કાર્યક્રમો તરફ પણ આકર્ષાવા લાગી હતી. જો કે હજી એમની પ્રવૃત્તિઓ સુગમ સંગીત પૂરતી મર્યાદિત હતી. એવામાં અમદાવાદમાં એક નવા જૂથનો ઉદય થયો, જેણે ફિલ્મી ગીતો પીરસવાં શરૂ કર્યાં.એ હતા પેટ્રીક માર્ક્સ, નવીન ગજ્જર અને એમના સાથીદારો. આવા કલાકારોને અને એમના કાર્યક્રમોને જે ઝડપથી લોકસ્વીકૃતિ મળવા લાગી એ જોતાં અંબરીષભાઈને આ પ્રકારના કાર્યક્રમો પણ કરવાની ઇચ્છા બળવત્તર થતી ચાલી. આમ ને આમ વિચારવામાં આઠેક વર્ષ નીકળી ગયાં. આખરે સને ૯ એપ્રીલ, ૧૯૬૯ના દિવસે અંબરીષભાઈએ ‘વિસ્તરતા સૂર’ શિર્ષક અંતર્ગત ફિલ્મી ગીતોનો કાર્યક્રમ પહેલી વાર સ્ટેજ ઉપરથી રજૂ કર્યો. અવિનાશ વ્યાસના મુખ્ય મહેમાનપદ હેઠળ યોજાયેલા આ કાર્યક્રમને ખુબ જ સારો પ્રતિસાદ મળ્યો. પહેલા જ પ્રયત્નને મળેલી સફળતાથી પ્રોત્સાહિત થયેલા અંબરીષભાઈ નિયમિત ધોરણે આવા કાર્યક્રમોનું આયોજન કરવા લાગ્યા. ધીમે ધીમે કાર્યક્ર્મમાં વૈવિધ્ય ઉમેરવાના પ્રયત્નો ચાલુ કર્યા. જેમ કે મદનમોહનનાં સંગીતબદ્ધ કરેલાં ગીતો, કલ્યાણજી-આણંદજીનાં સંગીતબદ્ધ કરેલાં ગીતો,  મહંમદ રફીએ સાથી કલાકારો સહ ગાયેલાં યુગલગીતો, રાજ કપૂરની ફિલ્મોનાં ગીતો, વિગેરે વિષયો આધારીત ગીતોના કાર્યક્રમો તેમણે રજૂ કર્યા. એમાં પણ ‘સરગમ’  શીર્ષક અંતર્ગત શાસ્ત્રીય રાગો પર આધારીત ફિલ્મી ગીતોનો કાર્યક્રમ તો અતિશય સફળતાને વર્યો. સને ૧૯૭૪ની ૨૪ ડીસેમ્બરના રોજ રજૂ થયેલા આ કાર્યક્રમનું શબ્દસંચાલન રાસબિહારી દેસાઈ જેવા સુગમ સંગીતના હાડોહાડ સમર્પિત એવા કલાકારે સામેથી સ્વીકારી ને કર્યું હતું. અંબરીષભાઈએ કહ્યું, “મારી સમગ્ર કારકિર્દીની યશકલગી સમાન આ કાર્યક્રમ હતો. હજી પણ મને એ યાદ કરાવનારાઓ મળે છે.” એ અરસામાં ઈલેક્ટ્રોનીક વાદ્યોનો દોર ચાલુ થઈ ગયો હતો પણ અંબરીષભાઈ પોતાના કાર્યક્રમોમાં સિતાર, સારંગી, દીલરુબા, ટ્રમ્પેટ, શરણાઈ જેવાં વાદ્યોનો અવાજ એવાં ઈલેક્ટ્રોનીક વાદ્ય વડે ઉત્પન્ન કરવાને બદલે જે તે મૂળ વાદ્યનો  જ આગ્રહ રાખતા. એમની આ ચોકસાઈ એ હદ સુધીની હતી કે ફિલ્મ ‘નવરંગ’નું ગીત ‘તુ છૂપી હૈ કહાં’ રજૂ કરવાનું હોય ત્યારે એમાં વાગતા ઘંટારવની અસર ઉભી કરવા માટે નવ અલગ અલગ સૂરથી વાગતા ઘંટ સાથે રાખી, એ વગડાવતા!

ફિલ્મી દુનીયાનાં બહુ મોટાં અને પ્રતિષ્ઠીત માથાં સાથે અંબરીષભાઈને ખુબ જ સારા સંબંધો રહ્યા છે. એમની આ મેઘધનુષી મહેફીલના માનવંતા મહેમાનો  વિશે એક પછી એક જાણકારી મેળવીએ.

નૌશાદ:  સને ૧૯૬૯-૧૯૭૧ દરમિયાન અંબરીષભાઈ મુંબઈ ખાતે મહિને સાતથી આઠ કાર્યક્રમો કરતા હતા. આવા લગભગ સીત્તેરેક કાર્યક્રમો થઈ ગયા પછી એ સમયના વિખ્યાત મીમીક્રી કલાકાર કાંતિ પટેલ એમને નૌશાદની મુલાકાતે લઈ ગયા. આ પહેલા જ પરિચયથી પરસ્પર સ્નેહગાંઠ બંધાઈ ગઈ. એમણે અનુકૂળતાએ અંબરીષભાઈના એકાદ કાર્યક્રમમાં હાજરી આપવાનું સ્વીકાર્યું. ખરેખર તો એ બોલેલા, “આપકા હુકમ સર આંખોં પે”. એ મુજબ સને ૧૯૭૪ની ૧૬ ઑક્ટોબરના રોજ અમદાવાદ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં નૌશાદ હાજર રહ્યા. એ અંબરીષભાઈ માટે ખાસ બની રહ્યો, કારણ કે એ એમનો જન્મદિવસ હતો! અમદાવાદના ટાઉનહોલમાં નૌશાદજીને સ્ટેજ સુધી લઈ જતાં ખાસ્સો સમય લાગી ગયો હતો, કારણકે એમને નજીકથી જોવા માટે મોટી ભીડ એકત્રીત થઈ ગઈ હતી અને લોકો એમના પગમાં પડતું મૂકતા હતા. પછી તો આ સંબંધ ખુબ જ ગાઢ બની ગયો. જ્યારે અંબરીષભાઈનો કાર્યક્રમ મુંબઈમાં હોય, ત્યારે ઘણી વાર નૌશાદ એમાં હાજરી આપતા. તેઓ અંબરીષભાઈના હાર્મોનિયમ વાદનથી અને અંબરીષભાઈનાં પત્નિ (હવે સ્વર્ગસ્થ)ઈંદીરાબહેનની ગાયકીથી ખુબ જ ખુશ હતા. ઈંદીરાબહેન માટે તો “યેહ મેરી શમશાદ બેગમ હૈ” એમ કહેતા. 
નૌશાદ સાથે પરીખ દંપતી
બહુ ઓછા લોકો જાણે છે કે નૌશાદ ગુજરાતી સારું બોલી શકતા. ઘણી વાર એ પરીખ દંપતી સાથે ગુજરાતીમાં વાતો કરતા. ખાસ નોંધનીય વાત તો એ છે કે નૌશાદના મ્યુઝીક રૂમમાં દિલીપકુમાર અને શકીલ બદાયૂનવી જેવી બહુ ઓછી હસ્તીઓને જવા મળતું. એમાં અંબરીષભાઈને પ્રવેશનું કાયમી નિમંત્રણ હતું! પોતાની આત્મકથાના વિમોચન સમયે સંગીતનો કાર્યક્રમ અંબરીષભાઈના સંચાલનમાં થાય એવો આગ્રહ નૌશાદે રાખ્યો હતો. મારે નૌશાદ સાહેબનાં ચરણોમાં બેસવું હતુ, પણ એમણે તો મને પોતાના હ્રદયમાં બેસાડ્યો” કહેતાં અંબરીષભાઈની આંખોમાં ચમક આવી જાય છે. નૌશાદજીની ચીર વિદાય પછી પણ એમના પુત્ર અંબરીષભાઈ સાથે સંબંધ રાખે છે.

મહંમદ રફી: આ સંબંધની વિગતો અંબરીષભાઈના શબ્દોમાં જ માણવા જેવી છે.
 “સને ૧૯૭૬માં અમદાવાદના પોલીસ સ્ટેડીયમમાં યોજાયેલા એક કાર્યક્રમમાં રફી સાહેબે હાજરી આપી હતી. સંગીત સંચાલન મારું હતું. કાર્યક્રમ શરૂ થતાં પહેલાં એમાં રજૂ થનારાં ગીતોની યાદી રફી સાહેબે જોવા માંગી. એ જોયા પછી મને પૂછ્યું કે આવાં જૂનાં અને અજાણ્યાં ગીતોને ઓડીયન્સ સ્વીકારશે? મેં ભરપૂર આત્મવિશ્વાસથી કહ્યું કે ચોક્કસ સ્વીકારશે. ખરેખર એવું બનતાં રફી સાહેબ મને કાર્યક્રમ પૂરો થયે ભેટી પડેલા.”
મહંમદ રફી દ્વારા સન્માન 
“આ ઘટનાનાં થોડાં વર્ષો પછી એક સવારે હું મારા બગીચાના હિંચકે બેઠો હતો, એવામાં એક કાર મારા દરવાજે આવી અને એમાંથી એક અજાણ્યા સજ્જન ઉતર્યા અને અંદર આવ્યા. એમણે મને કારમાં બેઠેલા વ્યક્તિ બોલાવી રહ્યા હોવાનું કહી, બહાર આવવા કહ્યું. કાર પાસે જઈ, અંદર જોતાં જ હું તો આભો બની ગયો, એમાં રફી સાહેબ બેઠા હતા! એક કાર્યક્રમ માટે એમને માટે જે હાર્મોનિયમની વ્યવસ્થા કરવામાં આવે હતી એ એમને અનુકૂળ ન પડવાથી એ મારું હાર્મોનિયમ લેવા આવ્યા હતા. એ સમયે તો બહુ ઉતાવળમાં હોવાથી મારા આગ્રહ છતાં ઘરમાં ન આવ્યા, પણ ફરી ચોક્કસ આવવાનો વાયદો કરી ને ગયા. જો કે એ દિવસ ક્યારે ય ન આવ્યો. ખેર, મારા હાર્મોનિયમ ઉપર એમની આંગળીઓ ફરી એ હકિકતથી મને સારું હાર્મોનિયમ વસાવ્યાનો પૂર્ણ સંતોષ થયો.”

આ હાર્મોનિયમ અંબરીષભાઈએ સને ૧૯૬૦માં રામસિંહ નામના પ્રખ્યાત કારીગર પાસે ખાસ ઓર્ડરથી બનાવરાવ્યું છે. સવા ચાર સપ્તક, સાત ધમણ અને સ્કેલ ચેન્જની સુવીધા ધરાવતું આ હાર્મોનિયમ હજી પણ એમની આંગળીઓ ફરતાં જ જીવંત થઈ ઉઠે છે. એક નમૂનો માણીએ.



રાજ કપૂર: ગાયક મુકેશની સ્મૃતીમાં સને ૧૯૭૭માં ગાયકો માટેની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. કુલ ૪૦૦ હરીફોમાંથી ચૂંટાયેલા ૧૬ હરીફોની અંતિમ સ્પર્ધા અમદાવાદમાં યોજાઈ હતી, જેમાં સંગીત સંચાલન અંબરીષભાઈનું હતું. વિજેતાને મુકેશ ટ્રોફી અર્પણ કરવા રાજ કપૂર આવ્યા હતા. એ અંબરીષભાઈના દેખાવથી ખુબ જ પ્રભાવિત થયા. ભોજન સમયે એમણે અંબરીષભાઈ સાથે ખુબ જ વાતો કરી અને આયોજકો પાસે એમની ક્ષમતાનાં વખાણ કર્યાં. આ રીતે અમદાવાદને ગૌરવ અપાવવા બદલ અહીંની પ્રતિષ્ઠીત ઓરીએન્ટ ક્લબના અધિષ્ઠાતાઓએ અંબરીષભાઈને આજીવન સભ્યપદ આપી, એમનું બહુમાન કર્યું.



દિલીપકુમાર: આ કલાકાર એમના સંગીતપ્રેમ અને એ માટેની ઊંડી સમજ માટે જાણીતા છે. એ અંબરીષભાઈથી કેટલા ખુશ હશે એ વાતની પ્રતિતી એ બાબતથી થાય કે એમણે અંબરીષભાઈના પાંચ અલગ અલગ કાર્યક્રમોમાં હાજરી આપી છે. એમાં પણ અમદાવાદની સી.એન.વિદ્યાલયમાં આયોજિત કાર્યક્રમમાં હાજર રહ્યા હતા ત્યારે તો એમણે અચાનક અંબરીષભાઈને બોલાવ્યા અને ઉક્ત કાર્યક્રમમાં સ્વયં ગાવાની ઈચ્છા દર્શાવી. એમણે કહ્યું, “મને ખ્યાલ છે કે આવી રીતે અચાનક અને કોઈ તૈયારી વિના ગાઉં તો તમારા વાદકોને તકલીફ પડે. પણ હું તો તમે આપો, એ સૂરથી ગાઈશ.” અને ખરેખર, એમણે સ્ટેજ ઉપરથી બે ગીતો રજૂ કરી, શ્રોતાઓને ખુશ કરી દીધા.

દિલીપકુમાર દ્વારા સન્માન
દિલીપકુમાર અંબરીષભાઈની સંગતમાં
ખય્યામ: મુંબઈમાં યોજાતા કાર્યક્રમો દરમિયાન મળવાનું બનતું રહેતું હોવાથી અંબરીષભાઈને આ સક્ષમ સંગીત નિર્દેશક સાથે સુદ્રઢ સંબંધ બંધાયેલો. ખય્યામને એમને માટે કેટલો આદર હતો એની પ્રતિતી કરાવતી એક ઘટના સને ૨૦૦૫માં ઘટી. એ વર્ષની ૧૯મી જૂનના રોજ વડોદરા મુકામે ખય્યામના સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથેની સંગીત સંધ્યામાં સંચાલન અંબરીષભાઈનું હોય એવી વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. કાર્યક્રમના થોડા જ દિવસો અગાઉ અંબરીષભાઈનાં પત્નિ ઈંદીરાબહેનની તબિયત ખરાબ થઈ ગઈ અને અંબરીષભાઈ એમાં જઈ શકે એવી કોઈ જ શક્યતા ન રહી. આ જાણ ખય્યામને થતાં જ એમણે આયોજકોંને સૂચન કર્યું કે કાર્યક્રમ વડોદરાને બદલે અમદાવાદમાં થાય એવી વ્યવસ્થા કરો. એમ જ થયું અને એ કાર્યક્રમમાં ખય્યામની સાથે સાથે અંબરીષભાઈનું પણ સન્માન કરવામાં આવ્યું.

આ ઉપરાંત અંબરીષભાઈએ મુકેશ અને મન્નાડે જેવા પાર્શ્વગાયકો સાથે સ્ટેજ કાર્ય્ક્રમોમાં સંગીત નિયોજન સંભાળ્યું છે. એમને સી.રામચંદ્ર, જયદેવ, સલીલ ચૌધરી, તલત મહેમુદ, સુરૈયા, કલ્યાણજી-આણંદજી અને જગમોહન તેમ જ દિલીપ ધોળકીયા, અજિત મરચન્ટ, અવિનાશ વ્યાસ, મનહર ઉધાસ, હંસા દવે અને બીજાં અનેક સંગીતનાં આરાધકો સાથે અંગત સંબંધો રહ્યા છે. 

તલત મહેમૂદ સાથે
દિલીપ ધોળકીયા સાથે
પુરુષોત્તમ ઉપાધ્યાય અને રાસબિહારી દેસાઈ સાથેની એમની ગાઢ મૈત્રીનો ઉલ્લેખ શરૂઆતમાં થઈ ગયો છે. વિશ્વવિખ્યાત જાદૂગર કે.લાલ સાથે પણ એમને આજીવન મૈત્રી બની રહી. 

કે.લાલ સાથે
આ ઉપરાંત કમલેશ આવસત્થી અને શબ્બીરકુમાર જેવા કલાકારોને એમની કારકિર્દીની શરૂઆતમાં અંબરીષભાઈએ ચમકાવ્યા હતા. આગળ જતાં આ બંને ફિલ્મોમાં પાર્શ્વગાયનના યશસ્વી પડાવ સુધી પહોંચ્યા. આ વાતો કરતાં એમની આંખોમાં અનેરી ચમક આવી જાય છે અને કહે છે, “હું અત્યંત નસીબદાર છું ભાઈ. આ બધી મા સરસ્વતીની કૃપા છે, બાકી આ વાણીયાને કોણ ઓળખે!”

ત્રીજા તબક્કાની મુલાકાતના અંતભાગમાં એમણે ખુલી ને વાતો કરી. ખાસ તો વધતી જતી ઉમર સાથે ઓછી થયેલી ગળાની મીઠાશનો ઉલ્લેખ કર્યો. એમણે કહ્યું, “એ તબક્કો આવ્યા પછી મેં ગાવાનું ઓછું કરી નાખ્યું. પૂરા કાર્યક્રમમાં માત્ર દોઢ ગીત ગાતો. દોઢ ગીત એટલે એક સોલો ગીત અને બીજું યુગલ ગીત, આમ કુલ મળી ને દોઢ! જ્યારે લાગ્યું કે ગાયકીની ગુણવત્તા ઓછી થઈ છે ત્યારે મેં લોકોને અન્ય રીતે પણ મનોરંજન આપવાનું શરૂ કર્યું. જેમ કે મારું અને ઈંદીરા(એમનાં પત્નિ)નું યુગલગીત ‘મીલતે હી આંખેં દિલ હુઆ દીવાના કિસીકા’ એટલું લોકપ્રિય હતું કે દરેક કાર્યક્રમમાં એ તો ગાવું જ પડતું. આ ગીતની રજૂઆત પહેલાં હું કહેતો કે ‘અસલ ગીત શમશાદ બેગમ અને તલત મહેમુદના સ્વરમાં છે, અહીં આપની સમક્ષ શમ’શેર’ બેગમ અને ‘ગ’લત મહેમૂદ રજૂ કરશે’ અને પાછલી હરોળોમાંથી તાળીઓના ગડગડાટ થતા. એક કાર્યક્રમની શરૂઆતમાં એક ખુબ જ જાણીતાં અને અત્યંત સ્થૂળકાય કલાકાર મુખ્ય મહેમાન તરીકે સ્ટેજ ઉપરથી બોલ્યાં, ‘હવે થોડા સમય પછી અંબરીષભાઈના કાર્યક્રમોમાં ચકલાં ય નહીં ફરકે.’ એ કલાકારે કરેલી ટકોર મારા માટે બહુ આનંદદાયક ન હતી. એવા સંજોગોમાં એમને સામો જવાબ પણ કેવી રીતે અપાય! પણ મને એ જ ક્ષણે જવાબ સ્ફુરી આવ્યો. મારા હાથમાં માઈક્રોફોન આવ્યું ત્યારે મેં કહ્યું, ‘આવનારા દિવસોમાં ભલે ચકલાં ન ફરકે, આજે મારા કાર્યક્રમમાં હાથી ફરક્યો છે, એનો મને આનંદ છે.’ આવાં આવાં ગતકડાં પણ શ્રોતાગણને ખુશ રાખવા માટે કરવાં પડતાં. બધાં જ શ્રોતાઓ સંગીતની બારીકીઓને માણનારાં સુજ્ઞ થોડા હોય?”

અંબરીષભાઈના સુવર્ણકાળમાં વીડીઓ રેકોર્ડીંગની સુવિધા ન હતી એથી એ વખતની કોઈ જ સામગ્રી ઉપલબ્ધ નથી. યુ ટ્યુબ ઉપરથી એ સ્ટેજ ઉપર હોય એવા બે અલગ અલગ વીડીઓ મળ્યા છે, જે અહીં મૂક્યા છે.


અત્યારે ૮૩ વર્ષની પાકટ વયે પણ અંબરીષભાઈ જાતે કાર ચલાવી પૂરા અમદાવાદમાં ઘૂમે છે! મને એમનો પરિચય કરાવી, આ મુલાકાત માટે ત્રણે ય વાર મારી સાથે રહેનારા મિત્ર ચંદ્રશેખર વૈદ્યને અને મને એક પણ વાર આગ્રહ અને પ્રેમપૂર્વક ચા-નાસ્તો કરાવ્યા વિના છોડ્યા નથી. 
અંબરીષભાઈ(વચ્ચે) અને ચન્દ્રશેખર વૈદ્ય(જમણે)સાથે સેલ્ફી
છેલ્લે છૂટા પડતી વેળાએ એમણે સમય સમયે યોજાતી રહેતી અમારી કેટલાક મિત્રોની ચા-ભજીયાં પાર્ટીમાં સામેલ થવાનું વચન આપ્યું છે. ખરેખર, એમના લાગણી નીતરતા વ્યવહારથી ભીંજાય એ સૌ સ્વીકારશે કે ‘વિસ્તરતા સૂર’ના આયોજક અંબરીષભાઈ સ્વયં એક વિસ્તરતા જણ છે.

સૌજન્ય સ્વીકાર:  અંબરીષ પરીખનો પરિચય અને મુલાકાત માટે ચંદ્રશેખર વૈદ્યનો આભાર.
                   તસવીરો  અંબરીષભાઈના સૌજન્યથી મળી છે.
                   વીડીઓઝ યુ ટ્યુબ પરથી લીધા છે, આ સામગ્રીનો વ્યવસાયીક ઉપયોગ થશે નહીં.
                    
                   






Wednesday, 29 November 2017

'સૂરંદાજ' શરદ ખાંડેકર


આપણા સમાજમાં વર્ગભેદ સદીઓથી ચાલ્યો આવ્યો છે. ‘તું નાનો હું મોટો’ એ જગતના ખ્યાલને કવિ ભલે ખોટો કહેતા હોય, વાસ્તવિકતા અલગ દિશામાં જ આંગળી ચીંધે છે. અહીં આપણે આ વાત સંગીતના સંદર્ભે આગળ ચલાવીએ. સંગીતના મુખ્ય ત્રણ વર્ગો પડે છે – શાસ્ત્રીય, ઉપશાસ્ત્રીય અને હળવું/સહજ/સુગમ/ફિલ્મી સંગીત. આ અલગ અલગ પ્રકારોને અજમાવનારા સંગીતકારોમાં વાદકો તેમ જ ગાયકોનો સમાવેશ થાય છે. એક સામાન્ય નિરીક્ષણ મુજબ શાસ્ત્રીય સંગીતને અપનાવનારાઓ અન્ય પ્રકારના સંગીતસાધકોને ઉતરતા ગણતા આવ્યા છે. વળી સમગ્રપણે જોતાં એ બાબત પણ ધ્યાને પડે છે કે ગાયકો, વાદકોને હંમેશાં એક પાયરી ઉતરતા ગણાવતા આવ્યા છે. પરિણામે જનસામાન્યમાં પણ એવી જ છાપ બની રહી છે કે સંગીતના ક્ષેત્રમાં મુખ્ય કલાકાર હંમેશાં ગાયક જ હોય અને વાદકો તો મોટે ભાગે સંગત કરવા માટે જ ચાલે! આ રીતે ઉતરતી ભાંજણીનો વિચાર કરવામાં આવે તો ફિલ્મી દુનિયાના વાદકોને તો સાવ છેવાડે જ બેસાડી દેવામાં આવ્યા હોય એમ લાગે. કેટલાક જૂજ અપવાદો બાદ કરતાં આ વાદક કલાકારો ક્યારેય પ્રકાશમાં આવતા નથી.

હજી થોડા આગળ વધીએ તો આપણે એવા વાદક કલાકારો સુધી પહોંચીએ, જે ફિલ્મી ગીતોના સ્ટેજ ઉપર આયોજિત થતા કાર્યક્રમોમાં વગાડતા આવ્યા છે. આવા કલાકારોની કદર કરવામાં તો આપણે ખુબ જ ઉણા ઉતરીએ છીએ. હકિકતે જે ફિલ્મી ગીતનું અસલ રેકોર્ડીંગ આપણે સાંભળીએ છીએ એ તો કલાકોના કરાયેલા પ્રયાસોનું આખરી પરિણામ હોય છે. ફિલ્મી ગીતોના રેકોર્ડીંગ માટે અત્યારની અત્યાધુનિક રેકોર્ડીંગ પધ્ધતિઓ હાથવગી નહોતી ત્યારે પણ રીટેકની સુવિધા તો હતી જ. આથી એકાદ કલાકારની પણ શરતચૂક થઈ જાય તો સુધારાને અવકાશ હંમેશાં રહેતો. આવી કોઈ જ સુવિધા સ્ટેજ ઉપરથી રજૂઆત કરનારા કલાકારો પાસે હોતી નથી. એ લોકોએ જ્યારે અને ત્યારે જ પોતાનો કસબ ઠાલવી દેવાનો રહે છે. જે ચાર મિનીટ્સ મળે એમાં જે તે ગીતને પોતપોતાના વાદ્યના સૂરથી ભરી દેવાનું હોય છે અને એમાં પણ અસલ ગીતના સંગીતની આબેહૂબ નકલ ઉતારવાની રહે છે.

અને તેમ છતાં પણ જૂજ અપવાદો બાદ કરતાં એવું નથી બનતું કે કોઈ કાર્યક્રમ ઓરકેસ્ટ્રાના નામ ઉપર પ્રખ્યાત થયો હોય. સ્ટેજ કાર્યક્રમોની જાહેરાતો મહદઅંશે ગાયકોના નામથી કરવામાં આવે છે. એમાં વગાડનારા કલાકારોનાં નામ કાર્યક્રમના સંચાલક એક વાર ઝડપથી ઉચ્ચારી જાય છે અને વાત પૂરી. હા, એ નામાવલીના અંતે જે તે વાદ્યવૃંદના સંચાલકનો થોડો ઘણો પરિચય અપાય છે. આ વાદ્યવૃંદ સંચાલક બહુ મોટી જવાબદારી ઉપાડી ને શ્રોતાઓ સમક્ષ એક પછી એક ગીતની રજૂઆત મહત્તમ શક્ય ક્ષમતાથી થયા કરે એની કાળજી લેતા હોય છે. રજૂ થઈ રહેલા ગીત દરમિયાન કયા મકામ પર કયા વાજિંત્ર ઉપર કયો ટુકડો વગાડવાનો છે એ બાબતનું નિયમન ‘ઓરકેસ્ટ્રા કંડક્ટર’ તરીકે ઓળખાતા આ સંચાલક કરે છે. વળી આયોજકો, ગાયકો, કાર્યક્રમના ઉદઘોષક, વાદક કલાકારો તેમ જ સ્ટેજ ઉપરથી થઈ રહેલી રજૂઆત શ્રોતાગારમાં દરેકના કાને સુપેરે પહોંચે એની વ્યવસ્થા સંભાળતા ધ્વનિ સંયોજક વચ્ચે યોગ્ય તાલમેળ અને સુમેળ જળવાઈ રહે એ જવાબદારી પણ વાદ્યવૃંદ સંચાલકની બની રહે છે.


આટલી વિસ્તૃત પ્રસ્તાવના પછી આપણે એક એવા વ્યક્તિવિશેષનો પરિચય કેળવીએ, જે સ્ટેજ ઉપરથી રજૂ થતા ફિલ્મી સંગીતના કાર્યક્રમોના ઓરકેસ્ટ્રા સંચાલક તરીકે ભારતભરમાં મોખરાના સ્થાને પોતાનું નામ નોંધાવી ચૂક્યા છે. આ નામ છે અમદાવાદ નિવાસી અને દુનિયાભરમાં મશહૂર એવા શરદ ખાંડેકરનું.
                        *      *      *      *      *      *      *      *

મૂળ મહારાષ્ટ્રીય પણ પેઢીઓથી અમદાવાદ નિવાસી બની રહેલા ખાંડેકર કુટુંબમાં સને ૧૯૫૧ના ફેબ્રુઆરીની ૨૧ તારીખે જન્મેલા શરદ ખાંડેકર( હવે પછી એમનો ઉલ્લેખ શરદભાઈ તરીકે થશે.)
નો વિસ્તૃત પરિચય મેળવીએ એ પહેલાં એક રસપ્રદ કિસ્સો રજૂ કરવો છે. આ વર્ષ(સને ૨૦૧૭)ના માર્ચ મહિનાની આઠમી તારીખે અમદાવાદની પ્રતિષ્ઠિત એવી ગ્રામોફોન ક્લબનો એક કાર્યક્રમ આયોજિત થયો હતો. કાર્યક્રમ શરૂ થાય એવી જ ક્લબના અધિષ્ઠાતાએ ઘોષણા કરી, “આપણા ઓરકેસ્ટ્રાના મુખ્ય કલાકાર અને સંયોજક એવા શરદભાઈની તબિયત અચાનક લથડી છે અને એમને ખુબ જ ચિંતાભરી હાલતમાં હોસ્પીટલમાં દાખલ કરવા પડ્યા છે. ડાક્ટરોએ ૪૮ કલાક સુધી ઘનીષ્ઠ સારવાર આપવાનું નક્કી કર્યું છે. આથી આપણે આજના કાર્યક્રમમાં એમની ગેરહાજરી ચલાવી લેવાની છે.” આ પછી એકાદ અઠવાડીયામાં જ અન્ય લોકપ્રિય ક્લબ ‘સુરાંગન’નો કાર્યક્રમ થવાનો હતો અને એમાં પણ શરદભાઈનું જ ઓરકેસ્ટ્રા હતું. આવી ધર્મસંકટભરી પરિસ્થિતીમાં આયોજકો હોસ્પીટલમાં શરદભાઈની ખબર કાઢવા ગયા ત્યારે એમનો પ્રતિભાવ હતો, “મારી તબિયત જક્કાસ છે, તમારા કાર્યક્રમમાં હું આવી જઈશ.”! ખરેખર, બીજે અઠવાડીયે બધાના સુખદ આશ્ચર્ય વચ્ચે શરદભાઈએ સાડા ત્રણ કલાક સુધી સ્ટેજ સંભાળ્યું અને એવું સંભાળ્યું કે કોઈ માને નહીં કે આઠ દિવસ પહેલાં આ માણસ સ્ટ્રોકની સારવાર માટે ICCUમાં હોઈ શકે! આ છે એમની સંગીત પ્રત્યેની નિષ્ઠા અને વ્યવસાયિક પ્રતિબધ્ધતા.

લાક્ષણિક મહારાષ્ટ્રીય સંસ્કારો મુજબ ખાંડેકર કુટુંબમાં સંગીત વણાયેલું હતું. પણ, એક પરંપરા પ્રમાણે કુટુંબીજનોનું સંપૂર્ણ ધ્યાન શાસ્ત્રીય સંગીત ઉપર હતું. આવા કુટુંબમાં ઉછરતા શરદભાઈ પણ શરૂઆતનાં વર્ષોમાં શાસ્ત્રીય સંગીતના આરાધક બની રહ્યા. નાની ઉમરથી જ એમણે સિતાર જેવા કષ્ટસાધ્ય વાદ્ય ઉપર ઘનિષ્ઠ રિયાઝ કરતા રહી, એ વગાડવા ઉપર પ્રભુત્વ મેળવવા માટે કઠોર સાધના કરી. એ સમયે સંગીતને સંપૂર્ણપણે બિનવ્યવસાયિક ધોરણે અપનાવવાનો હેતુ લઈને શરદભાઈ શીખતા રહ્યા. એમનાથી મોટાભાઈ સુધીર ખાંડેકર પણ આ જ માર્ગે આગળ વધી રહ્યા હતા. એ વાયોલિન ઉપર સાધના કરી રહ્યા હતા. એવામાં એક વળાંક આવ્યો. આ બન્ને ભાઈઓએ જ્યાં શાળાકિય અભ્યાસ કર્યો હતો એ ‘મહારાષ્ટ્ર શિક્ષણ મંડળ હાઈસ્કૂલ’ તરફથી સને ૧૯૬૮માં એક એવા કાર્યક્રમનું આયોજન થયું, જે સંપૂર્ણપણે તે સમયના પ્રવર્તમાન અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા સંચાલિત થવાનો હતો. આ બંધુ જોડીને સંગીતનો પૂરો હવાલો સોંપી દેવામાં આવ્યો. કાર્યક્રમ અતિશય સફળ થયો અને એના શ્રેયની ખાસ્સી ટકાવારી ખાંડેકર ભાઈઓને મળી. આ કાર્યક્રમને બહોળી પ્રસિધ્ધી મળી અને એ પછી આ ભાઈઓને નાના મોટા કાર્યક્રમોમાં સંગત કરવા માટે નિમંત્રણો મળવા લાગ્યાં. સને ૧૯૭૦માં જાણીતા વાદ્યવૃંદ સંચાલક અંબરીશ પરીખ સુધી એમની ખ્યાતી પહોંચી. એવામાં એક યોગાનુયોગ સર્જાયો. એની વિગતમાં જતાં પહેલાં આપણે ફિલ્મ ‘મેરા સાયા’નું આ ગીત સાંભળીએ, જેમાં સિતારના ખુબ જ કર્ણપ્રિય ટૂકડા સાંભળવા મળે છે.

બન્યું એવું કે સને ૧૯૭૧માં યોજાયેલા અંબરીશ પરીખના એક કાર્યક્રમમાં આ ગીતનો સમાવેશ હતો. એના રિહર્સલ વખતે સિતાર વગાડી રહેલા કલાકારના વાદનથી અંબરીશભાઈને પૂરતો સંતોષ થતો નહોતો. વારંવારના પુનરાવર્તન પછી પણ એ કલાકાર સંતોષજનક વાદન ન કરી શક્યા. આ જોઈને ત્યાં હાજર પ્રસિધ્ધ મેન્ડોલીન વાદક ઈમુ દેસાઈએ અંબરીશભાઈને સૂચન કર્યું કે એક મોકો શરદભાઈને આ ટૂકડાઓ સિતાર પર છેડવા માટે આપવો જોઈએ. શરદભાઈએ આ મોકાને પૂરેપૂરો ન્યાય આપ્યો અને આ સાથે માત્ર વીશ વર્ષની ઉમરે શરદભાઈ એક સક્ષમ સિતાર વાદક તરીકે  ઉપસી આવ્યા. વળી સુધીરભાઈ વાયોલિન ઉપર રિયાઝ કરતા હોય ત્યારે શરદભાઈ તબલાં ઉપર સંગત કરતા. આમ સૂર અને તાલ બંનેની ઊંડી સમજ કેળવાવા લાગી. 

ધીમે ધીમે ખાંડેકર ભાઈઓને સમજાયું કે ફિલ્મી સંગીત પણ એ લોકો માનતા હતા એના કરતાં ખુબ જ ઉંચી કક્ષાની ક્ષમતા માંગી લેતો સંગીતનો એક સારો પ્રકાર હતો. હવે શરદભાઈએ નિયમિત રીતે ફિલ્મી ગીતોના કાર્યક્ર્મોમાં વગાડવાનું શરૂ કર્યું. શરદભાઈએ જણાવ્યું, “ એ જમાનામાં હું મુખ્યત્વે એકૉર્ડીયન વગાડતો. જરૂર પડ્યે સિતાર ઉપર પણ સંગત કરી લેતો. મોટાભાઈ (સુધીર ખાંડેકર) વાયોલિન વગાડતા. એક કાર્યક્રમમાં  વગાડવાના એ દિવસોમાં ૭૫ રૂપીયા મળતા, જે અમે ભાઈઓ જમા કરતા રહેતા.”

આ દિવસોમાં શરદભાઈ પૂરી નિષ્ઠાથી એકૉર્ડીયન તેમ જ સિતારવાદનની બારિકીઓ અનુક્રમે જૉન માઈકલ અને સુખરાજસિંહ ઝાલા જેવા સિધ્ધહસ્ત વાદકો પાસેથી શિખતા રહ્યા. રિહર્સલો અને કાર્યક્રમો સાથે સાથે રોજના ઓછામાં ઓછા બે કલાક તાલિમ લેવાનું પણ ચાલુ રાખ્યું અને ધીરે ધીરે બન્ને વાદ્યો ઉપર પ્રભુત્વ વધતું ચાલ્યું. એ અરસામાં સ્ટેજ કાર્યક્રમોમાં ઈલેક્ટ્રોનીક ઓર્ગનનો પ્રવેશ થયો. વખતની જરૂરીયાત સમજી, શરદભાઈએ સને ૧૯૭૩માં એક ઓર્ગન ખરીદી લીધું, જેમાં ડાબા હાથના દોઢ સપ્તકને કોર્ડ્સ વગાડવા માટે વિભાજીત કરી શકાતું હતું અને તે ઉપરાંત એમાં વિવિધ પ્રકારના તાલ નિષ્પન્ન થઈ શકતા હતા (આજે તો આવાં ઓર્ગન સરળતાથી ઉપલબ્ધ છે, પણ એ સમયમાં આની નવાઈ હતી.). એની ઉપર પણ સઘન પ્રયાસો દ્વારા પ્રભુત્વ કેળવ્યા પછીના દિવસોમાં એક જ ગીતની રજૂઆત દરમિયાન શરદભાઈ એકૉર્ડીયન અને ઓર્ગન વારા ફરતી વગાડતા હોય એવું પણ બનતું હતું.

હવે શરદભાઈને લાગ્યું કે પોતે  સ્વતંત્ર રીતે કાર્યક્રમો તૈયાર કરવા સક્ષમ હતા. આથી ધીમે ધીમે એમણે વાદ્યવૃંદ સંચાલન ઉપર ધ્યાન આપવાનું શરૂ કર્યું. અને એ બાબતે આત્મવિશ્વાસ કેળવાયા પછી મોટાભાઈ સુધીર ખાંડેકર સાથે મળીને ‘ખાંડેકર બ્રધર્સ’ ઓરકેસ્ટ્રાના નેજા હેઠળ કાર્યક્રમો કરવાની શરૂઆત કરી. એમણે સમજી લીધું હતું કે સફળ સંચાલક બનવા માટે મુખ્ય બે ચીજો ઉપર કાબુ હોવો જરૂરી છે. એક તો જે તે ગીતના સંપૂર્ણ સાંગીતિક બંધારણની બારીકતમ સમજ અને બીજું, સમગ્ર ગીતની ગાયકી તેમ જ સાથે વાગતાં વાદ્યો દ્વારા સૂર પૂરાવતા ટૂકડાઓને સ્વરલિપીબધ્ધ કરવાની ક્ષમતા. સંગીતને લિપીબધ્ધ કરવા માટેની ભારતીય પધ્ધતિમાં બે અલગ અલગ લિપીઓ છે: પલૂસકર લિપી અને ભાતખંડે લિપી. એ પૈકીની પલૂસકર લિપી તો શરદભાઈ નાની ઉમરથી ઘરમાં જ શીખતા રહ્યા હતા. અનુભવે તેમને જણાયું કે એ લિપીની સરખામણીએ ભાતખંડે લિપી સહેલી હતી. આથી એ લિપી પણ આત્મસાત કર્યા પછી શરદભાઈએ એ બન્ને લિપીના સંકરણથી પોતાની આગવી લિપી વિકસાવી અને આજદિન સુધી એ સંકર લિપીથી જ લખતા આવ્યા છે. આ રીતે એ પ્રહાર/Stroke વડે વગાડવામાં આવતાં તંતુવાદ્યો માટે ક્યારે પ્રહાર કરવો તે અને ક્યારે એવાં વાદ્યોમાંથી સળંગ સૂર (મીંડ) નિષ્પન્ન કરવા, એ પણ જે તે સાજિંદા માટે લખે છે. આવી બારીક લિપીબધ્ધતાથી લખનારા પૂરા ભારતમાં શરદભાઈ એક માત્ર સંચાલક છે. 
શરદભાઈએ લખેલી સ્વરલિપી
પશ્ચીમી વાદ્યગાન લિપી કે જેને સ્ટાફ નોટેશન્સ કહે છે, એ સમજનારા બહારથી આવનારા કલાકારો માટે એ તૈયાર કરવાની જવાબદારી એમના ભત્રીજા (અને અગાઉ જેમનો ઉલ્લેખ થઈ ગયો છે એ સુધીરભાઈના દીકરા) અનુપ્રીત ખાંડેકર ઉપાડી લે છે. શરદભાઈ કેટલી બારિકીથી લિપીલેખન કરે છે એ સમજવા એક વિડીઓ જોઈએ.



શરદભાઈની એક એક સૂર માટેની પ્રતિબધ્ધતા સમજવા માટે આપણે ફિલ્મ ‘બ્રહ્મચારી’નુ મહમ્મદ રફીએ ગાયેલું ગીત સાંભળીએ. પહેલાં એક બાબત સમજવી મહત્વની છે. આપણાં ફિલ્મી ગીતો ચોક્કસ વિભાગોમાં વિભાજીત થયેલાં હોય છે. ગાયકી શરૂ થાય એના પહેલાં કેટલાંક ગીતોમાં વાદ્યસંગીત હોય છે, જેને ‘પ્રિલ્યુડ’ કહે છે. પછી ગાયક/કો મેદાનમાં આવે છે. આ ભાગ ‘મુખડો’ નામે ઓળખાય છે. પછી વાદ્યસંગીતના ટૂકડાઓ વાગે એને ‘ઈન્ટરલ્યુડ’ કહેવાય છે. ફરી પાછું ગાયન આવે, જેને ‘અંતરો’ કહે છે. અંતરા પછી ફરી એક ‘ઈન્ટરલ્યુડ’ વાગે અને પાછો એક અંતરો ગવાય. કોઈ પણ ગીતને ખુબ જ ધ્યાનથી સાંભળતાં ખ્યાલ આવે છે કે આ બધાં અંગો ઉપરાંત સમગ્ર ગીત વાગતું રહે એ  દરમિયાન એની પશ્ચાદભૂમીકામાં વાદ્યસંગીતનો એક દોર સતત સંભળાયા કરતો રહે છે. આવા સંગીતને ‘કાઉન્ટર્સ’ કહેવામાં આવે છે. સામાન્ય રીતે આપણે આપણું ધ્યાન આવા કાઉન્ટર્સની ઉપર જતું નથી પણ એ જાણવું અને સમજવું ખુબ જરૂરી છે કે ગીતને ભર્યું ભર્યું બનાવવામાં એ કાઉન્ટર્સ અત્યંત મહત્વનો ભાગ ભજવે છે  આટલી સ્પષ્ટતા પછી હવે મૂળ ગીત સાંભળીએ. શંકર જયકિશન જેવા સમર્થ સંગીતકારો અને એમના સહાયકો દ્વારા તૈયાર કરાયેલા આ ગીતને ઉપર જણાવ્યાં એ બધાં જ અંગો સહિત માણશો એવો અનુરોધ છે. 





હવે આ જ ગીતની એક સ્ટેજ કાર્યક્રમમાં થયેલી રજૂઆત સાંભળીએ. ગાયક છે બંકીમ પાઠક અને ઓરકેસ્ટ્રા સંચાલન શરદભાઈનું છે. ગાયકી તો કર્ણપ્રિય છે જ, પણ આપણે અહીં આ ગીત એટલે પસંદ કર્યું છે કે અહીં સમગ્ર ગીત સાથે કાઉન્ટર્સ એકદમ સ્પષ્ટપણે સંભળાય છે. એકે એક વાદ્ય ઉપર વગાડવામાં આવતો એકે એક સાંગીતીક ટૂકડો યથાસ્થાને કાને પડે છે ત્યારે શરદભાઈની સંચાલનક્ષમતાનો ખરો ખ્યાલ આવે છે. આ બધું એમના મૂળ ગીત/ધૂન ને સંપૂર્ણપણે વફાદાર એવા સ્વરલિપીલેખનનો નિષ્કર્ષ છે. 


આ રીતે એક એક ગીત માટે ખુબ જ જહેમત ઉઠાવનારા શરદભાઈ સ્વાભાવિક રીતે જ એમની સાથે વગાડનારાઓ/ગાનારાઓ પાસેથી ૧૦૦% થી ઓછું કશું જ ચલાવી નથી લેતા. “આપણો અંતરાત્મા ડંખે એવું કશું જ નહીં થવા દેવાનું”, એ કહેતા હોય છે. ગાયકોએ સૂરને વફાદાર રહેવું એ તો અતિ સામાન્ય છે, શરદભાઈ ઉચ્ચાર બાબતે પણ સંપૂર્ણતાનો આગ્રહ રાખે છે. એમની સાથે વગાડનારા એક વાદકે કહ્યું, ” પ્રેક્ટીસ દરમિયાન એકાદ જગ્યાએ કોઈથી એકાદ સૂર પણ આઘોપાછો વાગી ગયો તો પૂરું ગીત ફરીથી પ્રેક્ટીસમાં લેવું પડે. જ્યારે શરદભાઈ ‘જક્કાસ’ બોલે, તો સમજો એવૉર્ડ મળી ગયો!” શરદભાઈના આવા ચૂસ્ત વલણને લઈને એમના કાર્યક્રમમાં વગાડવું કે ગાવું એ કલાકારો માટે પ્રતિષ્ઠાની બાબત ગણાય છે.

આવી ભારોભાર ક્ષમતા હોવા છતાં શરદભાઈને પ્રસિધ્ધીની જરાય ખેવના નથી. આગળ વધીને એમ કહેવાય કે એ પ્રસિધ્ધીથી દૂર રહે છે. એમણે ફિલ્મી મહારથીઓની હાજરીમાં અનેક કાર્યક્રમો કર્યા છે. વહીદા રહેમાન, સાધના, સુનીલ દત્ત, શશી કપૂર અને સંજીવકુમાર જેવાં અભિનેત્રી/તાઓ તેમ જ નૌશાદ, જયદેવ અને સલીલ ચૌધરી જેવા દિગ્ગજ સંગીત નિર્દેશકો શરદભાઈના કાર્યક્રમો શોભાવી ચૂક્યાં છે. સુરેશ વાડેકર અને સુષમા શ્રેષ્ઠ જેવાં ગાયકો સાથે શરદભાઈ વિદેશપ્રવાસો પણ કરી ચૂક્યા છે. આવા એક પ્રવાસના અંતે સુષમાએ એમને કહ્યું હતું કે આટલી પ્રતિબધ્ધતાથી વગાડવા અને વાદ્યવૃંદનું સંયોજન કરવાવાળા અન્ય કોઈ પોતે જોયા નથી. આ ઉપરાંત કેટલાયે સંગીતકારો પણ એમનાથી ખાસ્સા પ્રભાવિત થયા હોય એમ બનતું રહ્યું છે. પણ, શરદભાઈ પાસે એમાંથી કોઈ સાથે પડાવેલો એક પણ ફોટો નથી! ‘એવું કેમ’ એવા પ્રશ્નના જવાબમાં એમણે કહ્યું, “મને એવી ઈચ્છા જ ન થાય, ખબર નહીં એ કદાચ મારો ક્ષોભ હશે. હું માનું છું કે આપણું નામ નહીં, આપણું કામ બોલવું જોઈએ.” 

હાલમાં પણ ખુબ જ વ્યસ્ત એવા શરદભાઈ માટે કહી શકાય કે Music runs in the family. અગાઉ આપણે જાણી ગયા કે શરદભાઈએ એમના મોટાભાઈ સુધીર ખાંડેકર સાથે મળીને ‘ખાંડેકર બ્રધર્સ ઓરકેસ્ટ્રા’ની સ્થાપના કરી હતી. સાડાચાર દાયકાઓ પછી આજે પણ એ જ નેજા હેઠળ ચાલતી એમની આ પ્રવૃત્તિમાં બીજી પેઢી સુપેરે દાખલ થઈ ગઈ છે. આ ઓરકેસ્ટ્રામાં એમના બે દીકરાઓ અક્ષત અને સંકેતને અનુક્રમે કી બોર્ડ અને ગીટાર ઉપર અને સુધીરભાઈના દીકરા અનુપ્રીતને કી બોર્ડ ઉપર સંગત કરતા માણવા એ એક લ્હાવો છે.
ખાંડેકર મહારથીઓ ડાબેથી જમણે: સંકેત, શરદભાઈ, અક્ષત અને અનુપ્રીત 
વળી આ ત્રણે થોડે ઘણે અંશે વાદ્યવૃંદનું સંચાલન પણ કરતા રહે છે. સુધીરભાઈની અન્ય ક્ષેત્રોમાં વ્યસ્તતા એમને આ ક્ષેત્રથી દૂર લઈ ગઈ છે. પણ એમના મોટા દીકરા અનિકેતની શાસ્ત્રીય રાગરાગીણીઓ બાબતે સમજણ અને ગાયકી દેશ વિદેશમાં મશહૂર છે. 

જેમ તીરથી સચોટ નિશાન તાકનારને તીરંદાજ કહેવાય છે એમ સૂર માટે આટલી કાળજી લઈ, સચોટ રજૂઆત કરનારા શરદભાઈ માટે સૂરંદાજ શબ્દ પ્રયોજાય તો એ એકદમ વ્યાજબી લાગે. ‘જક્કાસ’ શબ્દપ્રયોગ શરદભાઈનો તકિયાકલામ હોવાનું જાણવા મળ્યું છે. સંપૂર્ણતાના આગ્રહી એવા એ જ્યારે પૂર્ણપણે સંતુષ્ટ થાય ત્યારે જ આ શબ્દપ્રયોગ કરતા હોય છે. શરદભાઈ,વર્ષોથી ચાલ્યા આવતા તમારા ઉત્કૃષ્ટ સંગીત માટે ચાહકો તમારે માટે એક જ શબ્દ કહેવા માંગે છે, ‘જક્કાસ’!

વિડીઓઝ યુ ટ્યુબ ઉપરથી સાભાર લીધા છે.





Monday, 30 October 2017

એ વાજું, એ રેકોર્ડ્સ!

સને ૧૯૬૫ના શિયાળાનો કોઈ એક રવિવાર હતો. મારા બાપુજી સવારે સાડાનવ વાગ્યાની આસપાસ બહાર જવા નીકળ્યા. આ એમના રજાના દિવસની ચર્યાનો એક ભાગ હતો. હવે એ સાડાબાર સુધીમાં આવી જશે અને પછી દિવસ આગળ વધશે એવી માનસિકતા સહ મા, નાની બહેન ગોપી અને હું પોતપોતાની પ્રવૃત્તિમાં પરોવાયેલાં હતાં. એમને ગયે માંડ પોણી કલાક થઈ હશે એવામાં બહારથી એમનો મોટો અવાજ સંભળાયો, “પીયૂષની મા..આ..આ...આ...આ...આ..................આ”! અમે લોકો હાંફળાં ફાંફળાં બારણે જઈ ઉભાં. જોયું ત્યાં તો રાજ્યનો કોઈ મોટો ખિતાબ મેળવીને આવ્યા હોય એવી મુખમુદ્રા ધારણ કરેલા બાપુજી ઉભા હતા. એમની પાછળ એક લારીવાળા ભાઈ અમારા આંગણામાં એમની લારીમાં એક નાનું કબાટ લાવ્યા હતા એને એ કબાટ ઘરમાં લઈ આવવા માટે બાપુજી સૂચિત કરી રહ્યા હતા. “ જુઓ, હું વાજું લઈ લાવ્યો છઉં” બોલતી વખતે બાપુજીનો અવાજ સોહરાબ મોદીના અવાજની બુલંદીએ પહોંચ્યો હોય એવું ત્યારે મને લાગેલું. એ કબાટ હકિકતે વાજું એટલે કે ગ્રામોફોન/થાળીવાજું હતું!

આ ઘટના અમારા માટે બિલકુલ નવાઈની હતી. અમારા ઘરમાં સામાન્ય રીતે કોઈ પણ ખરીદી લગભગ સરકારી ધોરણે થતી, એની જગ્યાએ આ તો શીઘ્ર ખરીદીની ઘટના હતી. સામાન્ય સંજોગોમાં જે તે ચીજની જરૂરીયાત વિશે દરખાસ્ત મૂકાય, એના વ્યાજબીપણા બાબતે ચર્ચા વિચારણા થાય, નિર્ણય ઉપર શુભેચ્છકો/મિત્રો/વડીલોની મંજૂરીની મહોર લાગે અને પછી મા અને બાપુજી બજેટીંગ વિચારે. આખરે એ બન્ને જણાં માર્કેટીંગ/પર્ચેઝીંગ નિષ્ણાતની માફક બજારનો તાગ મેળવે અને પછી ‘સમગ્ર સ્થિતીનું અવલોકન અને પૃથક્કરણ’ કર્યા બાદ ખરીદી થતાં સુધીમાં ખાસ્સો સમય પસાર થઈ જતો. સારું હતું કે અમારા વધવાના એ સમયગાળામાં અમારે માટે તૈયાર કપડાં ખરીદવાનો ચાલ ન હતો. નહીંતર જરૂર ઉભી થયા પછી એ કપડાં ખરીદાય ત્યાં સુધીમાં બહેન ગોપી અને હું એનાથી ખાસ્સી મોટી સાઈઝ માટેની લાયકાત કેળવી ચૂક્યાં હોઈએ એવું બનતું રહેતું હોત!

મૂળે ભાવનગરના મહારાજા સાહેબ કૃષ્ણકુમારસિંહજીની માલિકીમાં દાયકાઓ સુધી રહેલું એ ગ્રામોફોન તે સમયના સુખ્યાત ચિત્રકાર સુધાકર દવે - 'અંજન' - પાસે હતું. તેઓ મારા બાપુજીના સહકર્મી અને સારા મિત્ર હતા. એમના જણાવ્યા પ્રમાણે આ ગ્રામોફોન મહારાજા સાહેબે તેઓના એક કર્મચારીને ભેટ આપેલું. કાળક્રમે સુધાકરભાઈના પિતાજીએ તે ખરીદી લીધું હતું. સુધાકરભાઈએ મિત્રકર્મ નિભાવતાં મારા બાપુજીને ઉક્ત 'વાજું' ફક્ત રૂ. એકસો અને તે પણ ત્રણ 'સરળ હપ્તે'ની બોલીએ આપ્યું.

એમ તો એક જમાનામાં અમારા મોટા ઘરમાં મારા દાદાએ ખરીદેલું ગ્રામોફોન હતું પણ મારા જનમ પહેલાં એ બગડી ગયું હતું. દાદાએ વસાવેલી કેટલીયે રેકોર્ડ્સ મોટે ઘરે અભરાઈએ ચડી ગઈ હોવાની વાતો ક્યારેક તેઓ પોતે જ કરતા. એ વખતે વાજાનો અભાવ દાદાને એટલો સાલી આવેલો જણાતો કે જેટલો બહાદૂરશાહ ‘ઝફર’ને સલ્તનત જતી રહેવાથી અનુભવાયો હશે! એ સમયે ઘરમાં હતી એ રેકોર્ડ્સમાં પંકજ મલ્લિક, જગમોહન, કે.સી. ડે,  હેમંતકુમાર, તલત મુહંમદ, હબીબ વલી મુહંમદ અને જ્યુથિકા રોય જેવાં તે જમાનાનાં દિગ્ગજ કલાકારોનાં ગીતો, હાર્મોનિયમ માસ્ટર અમૃતલાલની વગાડેલી તરજો, 'કાળા બજાર' અને 'ડાકોરની જાત્રા' જેવાં કોમિક્સ, વગેરેનો સમાવેશ થતો હતો. બાપુજી એ જ બપોરે મોટે ઘરે જઈ, એ સઘળી રેકોર્ડ્સ ઉપાડી લાવ્યા અને તે સાંજે બટેટાંવડાં અને કોઠીના આઈસ્ક્રીમની પાર્ટી સાથે પૂરા કુટુંબમેળા વચ્ચે વાજાનું મૂરત થશે એમ નક્કી કરતા આવ્યા. એ સાંજ મારા જીવનની યાદગાર સાંજોમાંની એક બની રહી છે.

આગળ વધતાં પહેલાં અમારા નવા(?) વાજાનો પરિચય કેળવી લઈએ. અહીં તસ્વીરમાં બતાય છે એવું મધ્યમ કદના કબાટ જેવડું એ ગ્રામોફોન હતું.

ઉપરથી ખોલીએ એટલે રેકોર્ડ હોલ્ડર અને સ્ટાયલસ નજરે ચડે. જમણા હાથે ખૂણા ઉપર સ્ટાયલસમાં ભરાવવાની પીન રાખવાની ડબ્બી જણાય છે. વળી જમણા હાથે સહેજ નીચે એક હેન્ડલ દેખાય છે, જેના વડે નિયત સમયાંતરે વાજાને ચાવી દેવી પડતી. આ ગ્રામોફોન વીજળીથી ચાલતું ન હોવાથી એની યાંત્રિક વ્યવસ્થા બરાબર ચાલે એ માટે એ જરૂરી હતું. વળી એક રસપ્રદ વાત એ હતી કે એમાં વોલ્યુમ કંટ્રોલ બહુ વિશિષ્ટ રીતે કરવો પડતો. એની આગળની બાજુએ બે દરવાજા હતા અને એની અંદરની બાજુએ સાઉન્ડ બોક્સ હતું. આથી જરૂરિયાત પ્રમાણે એ દરવાજા ખોલ બંધ કરી, અવાજને નિયંત્રિત કરવાની સુવિધા હતી! એ નીચેની તસ્વીરમાં જોઈ શકાય છે.
વોલ્યુમ કંટ્રોલ 


આ એ દિવસો હતા, જયારે અમારા ઘરમાં રેડીઓ ન્હોતો. રાતે જમી પરવારીને બેસીએ અને આ વાજામાંથી નીકળતા દિવ્ય બોલ અને સૂર મને કોઈ જાદુઈ દુનિયાની સફરે ઉપાડી જતા. આ દાગીનો આવ્યા પછી અમારા ઘરના મુલાકાતીઓની સંખ્યામાં ધરખમ વધારો થઈ ગયેલો! દરેક મુલાકાતીએ અલબત્ત, વાજું સાંભળતાં પહેલાં બાપુજીના કંઠે એનો ઈતિહાસ અને મહારાજા સાહેબના પેલેસથી અમારા ઘર સુધીની એની મુસાફરીની રોમાંચક વાતો સાંભળવી ફરજીયાત બની રહેતી. નાની બહેન ગોપીને અને મને એ સમગ્ર ઘટનાક્રમ મોઢે થઈ ગયેલો અને એ વાંગ્મયનીય રેકોર્ડ બનાવી લીધી હોય તો સારું, જેથી બાપુજીને બહુ શ્રમ ન પહોંચે એવો વિચાર અમને આવતો રહેતો હતો.
               
મારા જનમ પહેલાં ઘરનું ગ્રામોફોન બગડી ગયું હોવાથી મેં અત્યાર સુધી તો મારા મોસાળના ગ્રામોફોન ઉપર કોઈ કોઈ વાર વડીલો કશુંક સાંભળતાં હોય એ જ સાક્ષીભાવે માણ્યું હતું. અમારા ઘરની ચૂનંદી રેકોર્ડ્સ લઈને અમે લોકો ક્યારેક મારા મોસાળ જતાં. ત્યાં મહેફિલું જામતી, જેમાં એકથી ચડીયાતાં એક ગીતો કાને પડ્યે રાખતાં અને મામાનાં સંતાનો તેમ જ અમે બે ભાઈ બહેન ક્યારે નીંદમાં ઢળી પડતાં એની ખબર પણ ન રહેતી. સંગીત કશુંક દિવ્ય તત્વ ધરાવે છે એવી સજ્જડ માન્યતા બંધાવામાં આવી રાતોએ બહુ મોટો ફાળો આપ્યો છે.

આ લખી રહ્યો છું ત્યારે નજર સામે મોસાળના ઘરનું એ વાજું તરી રહ્યું છે. મામા એની ઉપરનુ કાપડનું આવરણ એટલી કાળજીથી હટાવતા કે જાણે નવજાત શિશુને ઓઢાડેલું મલમલનું કાપડ હટાવતા હોય! ઉપરથી બંધ થતી પેટી જેવા એ વાજાનું ઉપરનું ઢાંકણું ખુલે એ સાથે પૉલીશની આછી સુગંધ નાકમાં પ્રવેશ કરતી.

  


પછી શરૂ થાય એક આનંદદાયી સફર. વચ્ચે વચ્ચે એના સ્ટાયલસની પીન બદલતી રહેવી પડે. વળી એ યાંત્રીક વ્યવસ્થાથી ચાલતું હોવાથી નિયત સમયાંતરે એને ચાવી ભરવી પડે. એક પછી એક ગીત વાગતું જાય, એની ઉપર એકદમ ધીમા સ્વરે ટીપ્પણીઓ થતી રહે, વચ્ચે કોઈ મજાક પણ છેડાઈ જાય. એક ચોક્કસ પડાવ આવે, જ્યાં મામી અને મા રસોડામાં જઈ, ચા બનાવી આવે (આ કાર્યક્રમમાં અમે બાળવર્ગ વંચિત અવસ્થામાં રહેતાં). કોઈ વાર મધરાતે સોનેરી સૂરજ ખીલી ઉઠતો, જ્યારે ચાની સાથે ભજીયાંના થાળ પણ પ્રગટ થતા(આ કાર્યક્રમમાં અમે બાળવર્ગ મુખ્ય લાભાર્થી બની રહેતાં)! હવે અમારા ઘરમાં વાજું આવી જતાં આ વ્યવસ્થા દ્વીમાર્ગી બનતી ચાલી. એ સમયે મામા અને કુટુંબીજનો પોતાને ત્યાંથી ચુનંદી રેકોર્ડ્સ લઈને આવતાં. એ પૈકીનાં કેટલાંક ગીતો તો શાશ્વત અસર છોડી ગયાં છે. એ પૈકી ૧) ફિલ્મ ‘નર્તકી’નું પંકજ મલ્લીકે ગાયેલું ‘મદભરી ઋત જવાની હૈ’ અને ૨) બીનતા બસુનું ગાયેલું ફિલ્મ ‘હમરાહી’નું ‘દિન હૈ બહારકે આયે’, એ બન્ને ગીતો અહીં સાંભળીએ.



 એ સમયે અમે છોકરાંઓ પરસ્પર પોતપોતાનાં ગ્રામોફોનની સરખામણી કરતાં રહેતાં અને જે તે ગ્રામોફોનની ખાસિયતો વિશે જાણીતાં થવાનો પ્રયત્ન કરતાં રહેતાં. મામાનો દીકરો મોટો ભાઈ જગત અને હું વધારે પડતા જિજ્ઞાસુ હોવાથી અન્ય ઘરો/દુકાનોમાં જોવા મળતાં ગ્રામોફોન્સ પણ જોતા રહેતા.
                               *   *   *   *   *   *   *   *   *
હવે થોડું અમારી પાસે હતી એ રેકોર્ડ્સ વિશે. અમારી પાસે હતી એ દાદાએ જે તે સમયે પોતાની પસંદગી મુજબ ખરીદેલી રેકોર્ડ્સ હતી, જ્યારે મોસાળના ઘરનું ગ્રામોફોન એ સમયે પણ કાર્યરત હોવાથી ત્યાં નવી નવી રેકોર્ડ્સ ઉમેરાઈ હતી. અમારા બન્ને ઘરો વચ્ચે એ બાબતે લેવડદેવડ વ્યવહાર ચાલ્યા કરતો હતો. એ સમયે મુખ્યત્વે એચ એમ વી અને કોલંબીયા કંપની વડે નિર્મીત રેકોર્ડ્સ જોવા મળતી. પણ પછી ખબર પડી કે એ સિવાય અન્ય કંપનીઓ પણ એ નિર્માણકાર્યમાં ઝંપલાવી ચૂકી હતી. જો કે આગળ જતે એક રાઝ ખુલ્યો કે કેટલીક વાર એક જ કંપની કર બચાવવા માટે થઈને અન્ય નામોના ઉપયોગથી અલગઅલગ કલાકારોની રેકોર્ડ્સ બહાર પાડતી રહેતી હતી. ખેર, એ બધી વિગતોમાં ન ઉતરતાં રેકોર્ડ્સના તેમ જ તેમનાં કવર્સના કેટલાક રસપ્રદ નમૂનાઓ જોઈએ.

રેકોર્ડ્સ:
૧) આ રેકોર્ડ કોલંબીયા કંપનીની બનાવેલી છે, જેમાં શરણાઈ ઉપર રામબાબુ નામે જાણીતા કલાકારે વગાડેલો રાગ પહાડી અંકિત થયો છે. આ રેકોર્ડના મધ્યભાગે મારા દાદા લાભશંકર જટાશંકર પંડ્યાએ કરેલી તેમની ટૂંકી સહી, લા.જ.પં. સ્પષ્ટ જોઈ શકાય છે.


૨) માસ્ટર બસરકર નામના ગાયકે છેડેલો રાગ ભીમપલાસી ધરાવતી આ રેકોર્ડના મધ્ય ભાગે પણ મારા દાદાની ટૂંકી સહી જણાય છે.


૩) એક જમાનાના અતિશય લોકપ્રિય બની રહેલા નાટક ‘ડાકોરનો મેળો’ને લઈને Twin કંપનીએ ઉતારેલ આ રેકોર્ડ ગરમ ભજીયાંની જેમ વેચાયેલી એવું વડીલો પાસેથી સાંભળ્યું છે.


૪) HMV - His Master’s Voice – કંપનીએ પણ એ જમાનાની માંગને નજરે રાખી ને ‘વિધવાનાં આંસુ’ નામના નાટકની રેકોર્ડ બહાર પાડી હતી. આ રેકોર્ડ પણ ધૂમ વેચાઈ હોવાની જાણ છે.


૫) એ જમાનામાં અમૃતલાલ દવે નામેરી એક ખુબ જ કુશળ હાર્મોનિયમ વાદક હતા. અમારા ઘરમાં એમના વાદનની ત્રણ અલગ અલગ રેકોર્ડ્સ હતી, એ પૈકીની આ ‘મોરલીવાદન’ની છે. ધ્યાનથી જોતાં વંચાય છે કે અહીં ‘મોર્લી’ એવી જોડણી કરવામાં આવી છે!

રેકોર્ડ્સનાં કવર્સ:
૧) આ ફોટોમાં દેખાતા કવર ઉપર જોતાં લાગે છે કે વીસમી સદીના ચોથા-પાંચમા દાયકામાં ગુજરાતી લિપી ઉપર મરાઠીની અસર હશે. હીઝ માસ્ટર’સ ‘વોઈસ’ની જગ્યાએ ‘વ્હોઈસ’ છપાયેલું જોઈ શકાય છે. વળી નીચેની બાજુએ ડાબા ખુણે એ જ કંપની દ્વારા નિર્મીત ગ્રામોફોનની જાહેરાત નજરે પડે છે.


૨) અહીં પણ હીઝ માસ્ટર’સ વ્હોઈસ જ છપાયું છે. જે અલગ છે તે આ કવર ઉપર ગ્રામોફોનના સ્ટાયલસના છેડે ભરવવાની પીનની જાહેરાત કરવામાં આવેલી છે. વળી અહીં હીંદીની અસર હેઠળ પીન માટે ‘સૂઈ’ શબ્દ પ્રયોજાયો છે!


૩) કૃષ્ણ સુદામાની પૌરાણિક કથાને લઈને લખાયેલા નાટકને રજૂ કરતી આ રેકોર્ડ હીઝ માસ્ટર’સ વોઈસ કંપનીએ ઉતારેલી અને એ જબરદસ્ત સફળતાને વરેલી.


૪) આ કવર ઉપર નજર નાખતાં એ જમાનાના લોકપ્રિય કલાકારો કોણ હશે અને ત્યારના લોકોની રૂચી કેવી હશે એનો ખ્યાલ બાંધી શકાય છે. કોઈ મિસ્ટર લલ્લુભાઈના કોમીકગાનની રેકોર્ડનું આ કવર છે. મારા દાદાના મિત્રોની મંડળી જામે ત્યારે આ કલાકારની રજૂઆત ઉપર સૌ ઝૂમી ઉઠતા એવું મારી દાદી પાસેથી જાણ્યું છે.

૫) આ કવર ઉપર TWIN રેકોર્ડ (કંપની)નો ઉચ્ચાર ‘ટુઈન’ લખવામાં આવેલો છે.


એક જમાનામાં જેની આણ વરતતી હતી એવાં ગ્રામોફોન અને રેકોર્ડ્સની જગ્યા કાળક્રમે સ્પૂલ પ્લેયર અને સ્પૂલ પ્રકારની ટેઈપે  લીધી. પછી આવ્યાં કેસેટ પ્લેયર અને ટેઈપ. ધીમે ધીમે સીડી, એમપી-૩ અને પેન ડ્રાઈવ તેમ જ તે બધાને અનુરૂપ પ્લેયર્સ બજરમાં આવતાં રહ્યાં. હાલ એ છે કે હવે તો યુ ટ્યુબ, ગાના.કોમ કે સાવન જેવી વેબસાઈટ્સ ઉપર આંખના પલકારે ઈચ્છીએ એ ગીત આંગળીને ટેરવે વગાડી/બદલાવી શકાય છે. આવા સંજોગોમાં પણ હજી ચાહકોનો એક ખાસ વર્ગ એવો ટકી રહ્યો છે કે જે કોઈ ચોક્કસ ગીત કાને પડે ત્યારે એની રેકોર્ડ વાગતી ત્યારે એ સમયે એની સાથે સ્ટાયલસની પીન ઘસાતી એનો અવાજ યાદ કરી ને ધુંધળી થયેલી આંખ લુછી નાખે છે.
સૌજન્ય સ્વીકાર: 
૧)પહેલી બે તસવીરો નેટ પરથી લીધેલી છે. ત્રીજી તસવીર શ્રીમતી હેમલ ભટ્ટ અને શ્રી રાજેન ભટ્ટના સહકારથી મળી છે.
૨) બન્ને ગીત યુ ટ્યુબ ઉપરથી લીધાં છે.