Showing posts with label Nostalgia. Show all posts
Showing posts with label Nostalgia. Show all posts

Sunday, 10 August 2025

મારો શાળા પ્રવેશોત્સવ

 

આજકાલ પોતાના બાળકને માટે શાળામાં એડ્મીશન  મેળવવું  કેટલું કઠીન છે, એ સર્વવિદિત છે. આ પરિપ્રેક્ષ્યમાં ૫૭ વરસ પહેલાંના મારા 'શાળા પ્રવેશ'ની યાદ આવી, જે પ્રસ્તુત છે.

૧૯૫૮ના નવેમ્બરમાં મને પાંચ વર્ષ પૂરાં થયાં. મારા દાદાએ ત્યાં સુધીમાં મને એકત્રીશાં થી ચાલીશાં, પાયાં, અડધાં, પોણાં, સવાયાં, દોઢાં અને અઢિયાં સુધી પલાખાં મોઢે કરાવી દીધાં હતાં (ઉંઠાં_સાડા ત્રણનો ઘડીયો_ નહીં  શીખવવા પાછળ એમની દિર્ઘ દ્રષ્ટી કામ કરી ગઈ હશે કે, મોટો થતાં હું મારી સમગ્ર કારકિર્દી દરમિયાન ઉંઠાં જ ભણાવવાનો છું!). વળી સાથે સાથે છાપાંના માધ્યમથી  થોડું વાંચતાં પણ શીખવેલું. ઉક્ત વર્ષે મારા જનમ દિવસે એમણે ઘરમાં ઘોષણા કરી કે, આને હવે નિશાળે બેસાડી દેવો છે. જો કે આમ તો આ સીધે સીધો વટહુકમ જ હતો, પણ સંસદે તેને હર્ષભેર પસાર કર્યો. સંસદ માત્ર એક જ સભ્ય__દાદી__ની બનેલી હતી! યોગ્ય સમયે દાદા તપાસ કરી આવ્યા અને એક શુભ દિને અને શુભ ચોઘડીયે મને લગામ પહેરાવી દેવાનું મુહૂર્ત આવી ગયું. ઔપચારિકતા નિભાવવા મારાં મા-બાપને આની જાણ દાદાએ આગલી રાતે કરી દીધી.
બીજે દિવસે સવારમાં મને વેળાસર તૈયાર કરી દેવામાં આવ્યો. દાદીએ મારા કપાળમાં મોટો ચાંદલો કરી, ઘી ગોળ ભાત ચોળીને ખવરાવ્યું, જે તે દિવસ થી લઈને આજ સુધી નથી ભાવ્યું! દાદા મને આંગળીએ લઈને દાદરો ઉતર્યા, ત્યારે દાદીએ મોટા અવાજે 'નિશાળ ગરણું ' (શાળા પ્રવેશોત્સવનું ગીત) છેડ્યું. ‘પ્રવેશોત્સવ’ આ રીતે કૌટુંબિક કક્ષાએ જ ઉજવાતો, સરકારોને એ સમયમાં બીજાં ઉપયોગી કાર્યો કરવાનાં રહેતાં! આ સમયે નીચે કુંડીએ કપડાં ધોતી માને જાણ થઇ કે છોકરો હાથથી જવાની શરૂઆત થઇ ગઈ! બાપુજી તો એકાદ કલ્લાક પહેલાં માથે હાથ ફેરવી, 'સરસ ભણજે' કહી, નોકરીએ નીકળી ગયેલા. શાળાએ જતાં રસ્તામાં ભીખા લખમણની દુકાનેથી દાદાએ શાળામાં વહેંચવા સારુ શેર પતાસાં લીધાં. મોકો જોઈને મેં દયનીય મુખે થોડોક ‘ભાગ’ અપાવવાની માંગણી કરી, જે દાદાએ એમણે પોતે પણ નહીં ધાર્યું હોય, એટલી ઝડપથી સ્વિકારી લીધી. આમ દોમ દોમ સાહ્યબીથી છલકાતે ખીસ્સે હું દાદાની સાથે આગળ ચાલ્યો. ડોનના ચોકમાં આવેલ નૂતન વિદ્યામંદિર ના હેડ માસ્તર શ્રી સાકરલાલ ભટ્ટ દાદાના સારા મિત્ર હતા. ત્યાં પહોંચી, દાદાએ તેઓને કહ્યું કે, "આજથી આ છોકરો તને સોંપ્યો." સાકરકાકાએ મને શું શું આવડે છે એ વિષે પૃચ્છા કરતાં દાદાએ મારી પાસે વિવિધ પલાખાં બોલાવ્યાં, જે  'પઢો રે પોપટ રાજા રામના' થી વિશેષ ન હતું! વાંચનની પણ થોડીક કસોટી લીધા પછી સાકરકાકાએ મને ધોરણ ત્રીજામાં 'બેસાડવા' નું નક્કી કર્યું. અને તે વર્ગમાં મને મૂકી ગયા.
શાળા છૂટી, ત્યાં સુધી સાકરકાકા સાથે ત્યાં જ, એમની ઑફિસમાં બેસીને દાદાએ સમય પસાર કર્યો. ઘરે જઈને તેમણે ગર્વોન્નત મસ્તકે બધી વાત કરી. એમનો ઈંગિત એ તરફ હતો કે “હિંચકે ઝુલતાં આખ્ખો દિ’ પાનપટ્ટી અને વારે ઘડીયે ચા ને છાપાં” સિવાય પોતે છોકરાને શીખવવા જેવુ કશુંક ઉપયોગી કામ પણ કરતા હતા.  પણ દાદીએ વિરોધ પક્ષના નેતાની અદાથી ઘટનાને વખોડી કાઢી. "આવડા એવા છોકરાને ત્રીજામાં તે મુકાતો હશે? મરી જશે મરી, મારો છોકરો! કાલે જઈને ઉતારી આવો, એક ધોરણ." બીજે દિવસે દાદાએ સાકરકાકાને ઘરમાં ઉઠેલ વિરોધ વિષે જણાવતાં મારું તત્કાળ Demotion થયું અને હું બીજા ધોરણમાં 'બેઠો'! આ સમગ્ર ઘટનાક્રમમાં એક બાબત હવે ધ્યાન ઉપર આવે છે કે સાકરકાકાએ તે સમયના હિતેચ્છુ હેડ માસ્તરોની જેમ મારી જન્મતારીખ ૧૯૫૩ની જગ્યાએ ૧૯૫૪ લખી હતી. હવે જો દાદીએ મને ત્રીજા ધોરણમાં રહેવા દીધો હોત તો એ હીસાબે ચાર વરસની ઉમરે ત્રીજા ધોરણમાં હોવા બદલ મને કેટલી પ્રસિધ્ધિ મળી હોત! ‘એક સાથે ત્રીશ્ કેળાં ખાઈ જતો આઠ વરસનો બાળક’ કે પછી 'ચૌદ આંગળી ધરાવતી કન્યા’નાં  એ જમાનામાં ભરાતા મેળામાં પ્રદર્શનો યોજાતાં એવી રીતે કાંઈક મારી સાથે પણ બન્યું હોત. ખેર!
હું ત્રીજા ધોરણમાં હતો અને બાપુજીની બદલી ગઢડા મુકામે થતાં જાન્યુઆરી ૧૯૬૧માં ત્યાં ફરવાનું થયું. હવે મારા એડ્મીશન માટે શું કરવું એ બાબતે જેટલો નચિંત હું હતો એટલાં જ નચિંત મારાં મા બાપ પણ હતાં. ત્યાંની ‘મોહનલાલ મોતીચંદ શાળા’માં મને લઈ ને મારા બાપુજી પહોંચ્યા ત્યારે ત્યાંના હેડ માસ્તર સાહેબે ત્યારના સંજોગોમાં મને બે મહિના માટે ત્યાંની ‘ધૂડી નિશાળ’માં બેસાડવા સુચવ્યું અને ધોરણ ચારથી તેઓ મને ‘મોહન મોતી’માં લઈ લેશે એમ જણાવ્યું. આ તબક્કે ધૂડી નિશાળ શું એ જણાવી દઉં. આવી શાળાઓમાં વિદ્યાર્થીને લાકડાનું એક પાટીયું આપવામાં આવે. નદીની માટી લાવી, એને પાણીમાં ભેળવી, એનું લીંપણ એ પાટીયા ઉપર કરી, એનું સમતલ પડ બનાવી દેવાનું. એને થોડી વાર માટે સુકાવા દેવાનું એટૅલે એ ત્યાં જામી જાય. પછી એ પડ ઉપર સળીની મદદથી અક્ષરો/આકૃત્તિઓ પાડવાનાં રહેતાં. ગ્રામ્ય બોલીમાં ધૂળ ને ધૂડ કહે, માટે આ ધૂડી નિશાળ!  સ્લેટ-પેન વાપરવાથી ટેવાયેલા મને આ બહુ રોમાંચક લાગ્યું ઘરના જમવા બેસવાના પાટલા ઉપર પણ મેં ‘ધૂડા’ પ્રયોગો ચાલુ  કરી દીધા. મા બાપને તો આમાં મારી સર્જનાત્મક શક્તિને વિકસવાની તક જણાવા લાગી અને આ બાબતે મને ભારે પ્રોત્સાહન મળવા લાગ્યું! જો કે આ શાળામાં હજી થોડાક જ  દિવસ વિત્યા હશે તેવામાં નગરશેઠના ઘરેથી ચા પાણી માટેનું આમંત્રણ આવ્યું. ઔપચારિકતાઓનાંં આદાન-પ્રદાન દરમિયાન બાપુજીએ મારા ‘ધૂડા’ પ્રયોગો વિષે વાત કરતાં શેઠ મહેન્દ્રભાઈએ મને ‘મોહન મોતી’માં કેમ નથી મૂક્યો એમ પુછ્યું. બાપુજીએ સ્પષ્ટતા કરી, એટલે શેઠે કંઈ જ બોલ્યા વગર બે તાળી પાડી. જે બે જણા નાસ્તો અને શરબતના પ્યાલા લઈને પ્રગટ થયા એમાંના એક  ‘મોહન મોતી’ના હેડ માસ્તર સાહેબ હતા! શેઠે તેઓને મેનેજર સાહેબના દિકરાને બીજા જ દિવસે દાખલ કરી દેવાની સુચના આપી અને જો એમ નહીં થાય તો શું થઈ શકે એની સાહેબને ખબર હતી એની ય ખાત્રી કરી લીધી. આમ, સાહેબના હાથે નાસ્તા અને શરબત બાદ બીજે દિવસે ‘મોહન મોતી’માં ઉમળકાભેર આવકાર પણ મળ્યો. અને  આમ મારું ભણતર ‘ધૂડમાં મળતું’ અટક્યું.
આટલા વિસ્તારથી વાત કરવાનું પ્રયોજન એ કે, આજથી ૫૫-૬૦ વરસ પહેલાંનો સમાજ અત્યારથી કેટલો અલગ હતો, એ અહીં ઉજાગર કરવું છે. મહદ અંશે બાળકો દાદા દાદી પાસે ઉછરતાં. એમની કારકિર્દી (એ વળી કઈ બલા?) વિષયક નિર્ણયો પણ એ  કક્ષાએ જ લેવાતા. એમાં મા-બાપને પોતાના અધિકાર ક્ષેત્ર પર તરાપ ન દેખાતી, બલ્કે સધિયારો રહેતો. શાળામાં પ્રવેશ, બગીચામાં પ્રવેશ જેટલો જ સાહજિક હતો. અને આ રીતે, કોઈ ચોક્કસ 'System' વગરના સમાજ માં જનમતાં, ઉછરતાં અને ભણતાં બાળકોનું ભાવિ પણ બહુ ખરાબ ન રહેતું. નોકરિયાત લોકોને કોઈ પણ કારણસર એક ગામથી બીજે ગામ ફરવાનો સંજોગ ઉભો થાય તો એ સમયે બાળકોના ભણતર વિષે કે એડ્મીશન વિષે કોઈ ચિંતા ન અનુભવાતી. ભાવનગરથી ગઢડા ફરવાનો મહિનો જાન્યુઆરી હતો, તો પણ એપ્રીલ મહિના સુધી ભાવનગરમાં ભણાવી, જે તે શૈક્ષણિક વરસ પૂરું થાય પછી ગઢડા દાખલ કરાવવાનો વિચાર કોઈ કુટુંબીજનને આવ્યો ન્હોતો. આવા ગાળામાં જન્મી, ઉછરી, ભણી, તૈયાર થયાનો કોઈ જ રંજ નથી, બલ્કે આનંદ છે. એ જમાનાની સહુથી મોટી રાહત એ હતી કે, કારકિર્દીને લઈને 'માનસિક તાણ' શબ્દપ્રયોગ ત્યારે પ્રયોજાયો ન હતો. ન તો મા- બાપ માટે, ન તો ખુદ બાળક માટે.


સાપ રે સાપ

                      
 “સાપ તો પિતૃઓનું સ્વરૂપ છે, મૃત્યુલોક્માં રહેલાં પોતાનાં વંશજોને આશિર્વાદ દેવા પિતૃઓ સાપ રૂપે પધારતા હોય છે, સાપ દેખાય ત્યાં ઘીનો દિવો કરી, આસ્થાથી શેષનાગજી બાપાનું સ્મરણ કરવાથી એ દૂર જતો રહે છે, એને મારવાથી લાગતું પાપ તો ચાર ધામની જાતરાથી ય ધોવાતું નથી” જેવી કિંવદંતીઓથી લઈને  “સાપ એક નિર્દોષ પ્રાણી છે, એને છંછેડો નહીં તો કોઈ જ જોખમ નથી, મોટા ભાગના સાપ બિનઝેરી હોય છે, આ પૃથ્વી ઉપર મનુષ્ય જેટલો જ અધિકાર અન્ય જીવસૃષ્ટીનો પણ છે”  જેવી હકિકતો વાંચી, સાંભળીને દ્રવીત હ્રદયે ‘બરાબર છે બરાબર છે’ ના ભાવ સહિત ડોકું ધુણાવવાનું જેટલું આસાન છે, એટલું જ કઠીન છે એક સાપને ને નિકટવર્તી પરીસરમાં ભાળ્યા પછી સ્વસ્થ મગજ રાખી, યોગ્ય પગલાં ભરવાનું. હમણાં ચોમાસાને લીધે ઘણા વિસ્તારોમાં સાપ નીકળવાના ખબર આવતા હોય છે, ત્યારે અમારી સાથે બનેલી બે ઘટનાઓ યાદ આવે છે.

1)  1970ના ઓગસ્ટ મહિનામાં ભાવનગરના ઘરમાં એક મોડી સાંજે સાપે દેખા દીધી. કોઠારમાં મુકેલ ફળોના ટોપલા બાજુથી વિચીત્ર અવાજ આવવા લાગ્યો. ચોક્કસ પ્રસંગે વહેંચવા માટે હોઈ, ત્રણ મોટા ટોપલા ભરીને ફળો ઘરમાં હતાં, એમાંથી ક્યા ટોપલામાંથી અવાજ આવી રહ્યો હશે, એ જાણવું મુશ્કેલ હતું. પણ એવામાં તો મદારીના કરંડીયામાંથી પ્રગટ થાય એમ જ જમરુખના કરંડીયામાંથી ફેણ ચડાવી, સાપે પોતાનું લોકેશન જણાવ્યું. એને ભાળ્યા પછીના અમારા લોકોના પ્રતિભાવો બહુ અનુકૂળ ન લાગવાથી એણે અમારાથી અંતર રાખવાનું નક્કી કર્યું હોય એમ એ ટોપલામાંથી બહાર નીકળી આવ્યો. ત્યાર પછીના અમારા પ્રતિભાવો તો એની પ્રકૃત્તિને સહેજે ય અનુકૂળ ન પડ્યા હોય, એમ એણે તાત્કાલિક અસરથી ‘આવ નહીં આદર નહીં’ વાળા બેકદર માનવીઓથી દૂર જવા માટેની તૈયારી આદરી. હવે અમારા સઘળા પ્રયાસો એને ત્યાં ને ત્યાં રોકી રાખવાના હતા, જેથી કોઈ સાપ પકડવાના ‘ઉસ્તાદ’ને બોલાવી લેવાય અને  એને પકડી અને આઘે છોડી અવાય. આવા પ્રયાસોને અંતે એ ફરીથી એક ટોપલામાં દાખલ થઈ ગયો.

બસ, પછી તો શ્રમવિભાજનના નિયમો લાગુ પડ્યા અને કાર્યવહેંચણી થઈ ગઈ. બાપુજી અને કાકાએ મળીને કોઈ પકડનાર આવે ત્યાં સુધી સાપ ઉપર ધ્યાન રાખવાની અને સમગ્ર મીશન પૂરું થાય ત્યાં સુધી સમગ્ર કાર્યવાહીનું નિયમન કરવાની જવાબદારી લીધી. મા અને કાકીએ એ દરમિયાન જરાય મુંઝાયા વિના રસોડાનાં કામો ચાલુ રાખવાનાં હતાં. વળી દાદી તરફથી આવતાં સૂચનો અને સાપ વિષેની વાર્તાઓ તેમજ એના નાનપણમાં જ્યારે આવી પરિસ્થિતિ ઉભી થઈ, ત્યારે અમારા વીર પૂર્વજોએ શું શું કરેલું, એ ભવ્ય ભૂતકાળની વાતો પણ એ લોકોએ જ સાંભળ્યા કરવાની હતી, જેથી જવાબદારોથી મૂળ કામ ઉપર ધ્યાન આપી શકાય. જો કે દાદીનું ‘ઈ દેવતા’ને મારી નહીં નાખવાનું સૂચન સર્વસ્વીકૃત હતું. એ બાબતે એમને સધિયારો બંધાવી દેવામાં આવ્યો. નાની બહેન અને બે ભાઈઓએ મુખ્ય રૂમના હિંચકે બેસી રહેવાનું હતું અને થોડી થોડી વારે “હવે શું કરશું? એક વાર જોઈ લઉં? જમવાનું તો ઠેઠ ઈ પકડાઈ જાય પછી જ તે?” જેવા પ્રશ્નો ન પુછવા બાબતે ત્રણેયને કાકાએ એમની લાક્ષણિક મુદ્રામાં સૂચિત કર્યાં, જે એ બહોળાં અનુભવીઓ માટે ચેતવણીથી કમ ન્હોતું! હું સત્તર વર્ષથી પણ ઓછો હતો, પણ તાત્કાલિક અસરથી મને ‘પુરૂષ વર્ગ’માં  બઢતી આપવામાં આવી. કારણ જો કે મને પછીથી સમજાયેલું, દોડાદોડી માટે હું હાથવગો હતો!

આખરે સાપ પકડ/નિકાલ  સમિતીના અમે ત્રણ સભ્યો એને પકડવા કોને બોલાવવા એની ઉપર વિચાર કરવા ઉભા રહ્યા(સમિતીની સઘળી કારવાઈ સ્થળ ઉપર ઉભે ઉભે જ થાય એમ હતું!). મેં સૂચવ્યું કે અમારી બાજુના ઘરમાં રહેનારા વર્માજી તરીકે ઓળખાતા સજ્જનને બોલાવીએ. એ અમને અવારનવાર એમના ઉત્તર પ્રદેશના વતનમાં પોતે અને વડવાઓએ ‘ખૌફનાક જંગલી જાણવરોંકે સાથ’ કરેલાં પરાક્રમોની ગાથાઓ કહ્યા કરતા. આ સૂચન તરત જ સ્વીકારાયાથી હું એમને બોલાવી આવ્યો. અતિશય ઉત્સાહથી એક મોટો ડંગોરો લઈને એમણે કોઈ યુધ્ધ વિજેતા સેનાપતિની અદાથી અમારા ઘરમાં પ્રવેશ કર્યો અને “કહાં હૈ વો?”ની ત્રાડ નાખી. એમને કોઠાર સુધી પહોંચાડી જમરુખનો ટોપલો બતાડ્યો, જેમાં ‘વો’ બિરાજમાન હતા. “અરે, એક બાર સામણે આ જાવે, અભી પકડ લેવેં” કહીને એમણે એ ટોપલા ઉપર લાકડી ફટકારતાં જ સાપે “ મોહેં કહાં ઢૂંઢે રે બંદે”ની અદામાં ફેણ ઉંચી કરી, ફુંફાડો માર્યો. આના પ્રત્યાઘાત રુપે વર્માજી જે સ્ફુર્તિથી પીછેહઠ કરી ગયા, એનું વર્ણન કરવા કનૈયાલાલ મુનશીની ભાષા અને ઝવેરચંદ મેઘાણીની શૈલીની જરૂર પડે! પણ અત્રે એટલું કહેવું કાફી છે કે એ વખતે ઓલિમ્પિક આયોજન સમિતીના કોઈ સભ્ય હાજર હોત, તો અત્યારે આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ‘પીછેકુદ’નો પણ સમાવેશ થયેલો હોત! આ અભિયાનમાંથી હટી જવા માટે વર્માજીએ ખુબ જ લાગણીવશ સ્વરે જણાવ્યું કે “યેહ તો નાગીન હૈ ઔર ક્યા હૈ કી હમ ઈસ્ત્રી પર વાર નહીં કરતે.” જો કે એમના ગયા પછી દાદીએ કાંઈક બીજી જ વાત કરી...”ખોટ્ટાડો, મારો રોયો! રોજ ઓલી મુક્તાડી અમથી અમથી હિબકે છે?” જે હોય તે, એ વખતે અમારો અગ્રતાક્રમ વર્માજીના સંસારની ખાટી મીઠી જાણવાનો ન્હોતો, એ બાપુજીએ  યાદ કરાવતાં હવે કોને બોલાવશું એની ફરીથી વિચારણા શરુ થઈ.

હવે તો આ ચર્ચામાં નવ વરસની બહેન અને દસ તેમ જ છ વરસની ઉમરના બેઈ ભાઈઓ પણ દાખલ થઈ ગયાં. ચર્ચા અભિયાન(નંબર બે)માંથી એક સૂચન સૌને વ્યાજબી લાગ્યું, તે હતું જુસબ બાદછાને બોલાવવાનું. યુસુફ ઉર્ફે ઈસુબ ઉર્ફે ઇસપ ઉર્ફે જુસબ, સીદી હતો. સમગ્ર સૌરાષ્ટ્રમાં આ કોમ ‘બાદશાહ’ અથવા તો ‘બાદછા’ તરીકે ઓળખાય છે. અંદાજે ત્રેવીશ-ચોવીશ વરસનો યુસુફ અખાડીયન હતો. અમે લોકો ઘરની બાજુમાં આવેલ ‘કૃષ્ણકુમારસિંહ અખાડામાં રોજ સાંજે રમવા જતા, ત્યાંનો એ નિયમીત સભ્ય હતો. અમારા જ વિસ્તારમાં રહેતો અને મીસ્ટર ગુજરાતની સ્પર્ધાની ફાઈનલ સુધી પહોંચેલો. ભાવનગરમાં એને લોકો ‘બોડી બીલ્ડર બાદછા’ તરીકે જાણતા.

યુસુફને બોલાવી લાવવા માટે મારી પસંદગી થઈ. જે સાઈકલ દસ મિનીટ ફેરવવા માટે કાકાને પંદર મિનીટ વિનવણી કરવી પડતી, એની ચાવી એમણે મને સામેથી પકડાવી દીધી અને યુસુફને હું બોલાવી આવ્યો. એ સાપ પકડવાનો ચીપીયો લઈને આવ્યો અને માત્ર પાંચથી સાત મિનીટમાં એણે લગભગ આઠથી નવ ફીટના કોબ્રાને આસાનીથી પકડી લીધો અને એક થેલીમાં ભરીને સાથે લઈ જવાની તૈયારી બતાડી. કહ્યું કે આને પોતે અમારા ઘરથી દૂર આવેલ એક વગડાઉ જગ્યાએ છોડી આવશે. એણે આ કામને નિ:શુલ્ક ધોરણે થયેલ સેવા ગણવા એણે પહેલેથી જ ચોખવટ કરેલી હતી. સામાન્ય રીતે અમારા અખાડાના કોઈ પણ સભ્ય માટે બાપુજી અને કાકાના અભિપ્રાય બહુ ઉંચા( અને અમને સ્વિકાર્ય!) ન રહેતા, પણ એ દિવસે એ બેઈ જણાએ ‘યુસુફભાઈ’ને બેઠકરૂમમાં માનભેર બેસાડ્યો અને એને પરાણે શરબત પીવડાવી, અમને લોકોને એની પાસેથી સેવાભાવની પ્રેરણા લેવા ખાસ સમજ આપી!

યુસુફ (અને ખાસ તો એની સાથે સાપ)ના જવા સાથે જ ઘરના વાતાવરણમાં તરત જ પલટો આવ્યો. કાકાએ મારી પાસે રહી ગયેલી સાઈકલની ચાવી માંગી લીધી. અમારા કુટુંબની પરંપરા પ્રમાણે કોઈ  પણ કટોકટીનો અંત આવે એટલે ચા પીવાની ધાર્મીક વિધી કરવી પડતી! એ મુજબ સૌએ ચા પીધી અને લગભગ સાડા દસ વાગ્યે જમવા માટેના ઠરાવો મૂકાયા! પિસ્તાળીશ વરસ અગાઉની આ ઘટનાનાં સાક્ષી એવાં દાદી, કાકી, કાકા, બાપુજી અને નાની બહેન ગોપી હવે અમારી સાથે નથી. બાકી રહેલાં અમે લોકો હજી પણ ક્યારેક આ ઘટનાને નવાં ઉમેરાયેલાં કુટુંબીજનો સાથે વ્હેંચી, હસી લઈએ છીએ.



2) 2015ની 25 જુનની રાતે  લગભગ સાડા અગિયારના સુમારે ઘરના ઉપરના માળે આવેલા બાથરૂમના ઘોડાના એક ખાનામાં રહેલી વિવિધ બોટલ્સની પાછળ પૂંછડી સળવળતી નજરે પડી. ઉંદરડી અથવા ગરોળી હશે એમ માનીને બોટલ્સ ખસેડતાં નજરે પડ્યો, લગભગ સવા થી દોઢ ફૂટ લંબાઈનો સાપ! ઇન્દિરાજીએ કટોકટી ઘોષિત કરતી વખતે પસાર થવું પડ્યું હશે, કંઈક એવી જ મનઃ સ્થિતિમાં મૂકાઈ ગયો. એ વખતે જેમ તત્કાલિન રાષ્ટ્રપતિને અડધી રાતે જગાડવામાં આવેલા, એવી જ રીતે તાત્કાલિક અસરથી સ્નેહાને જગાડી. દેશના પ્રબુધ્ધ નાગરિકોએ તે સમયે કરેલો, એનાથી પણ સબળ વિરોધ કરવાનો એનો ઈરાદો હશે, પણ તે આ 'કટોકટી'ની વિગતની જાણ થતાં જ શમી ગયો. એણે દરેક બાબતમાં સહકાર આપવાની તૈયારી બતાડી. હવે આ સાપ ઝેરી હશે કે બિનઝેરી, એનું કોઈ પ્રમાણ અમારી પાસે નહતું. મેં સ્નેહાને મેરી ક્યુરી જેવાં અને સ્નેહાએ મને એડવર્ડ જેનર જેવા મહાન વૈજ્ઞાનિકોની યાદ આપી, કેમકે એ લોકોએ ચોક્ક્સ પરિક્ષણો માટે પોતાની જાત ઉપર જાનના જોખમે પ્રયોગો કરેલા.પણ આ સાપનું ઝેરીલાપણું તપાસવા માટે જાન દઈ દેવા જેટલો વૈજ્ઞાનિક અભિગમ અમે એકેય નથી ધરાવતાં, એ ખાત્રી થયા બાદ એને પકડી, સલામત છોડી દેવા વિષે અમે બંને અમારી અપેક્ષા કરતાં પણ વધારે ઝડપથી સંમત થઈ ગયાં. નક્કી થયું કે હું સ્થળ ઉપર રહી, સાપનું ધ્યાન રાખું અને સ્નેહા સોસાયટીના પગી નામે વિષ્ણુને ઉઠાડી, મદદ માટે બોલાવી આવે. મેં સ્નેહાને ખાસ સૂચવ્યું કે નીચે બેઠેલી મા આ બાબત જાણીને 1970ના ઓગસ્ટના અનુભવો ત્યારે જ કહેવાની શરૂઆત કરી દે, તો “એ વાત પછીથી” કહી, એણે વિષ્ણુને બોલાવવા ધસી જવું. સ્નેહાએ એમ જ કર્યું અને પાંચેક મિનીટમાં વિષ્ણુ આવી ગયો. આર્થિક લેવડદેવડ ઉપરાંત  એની એક શરત એ પણ હતી કે જીવડાને મારી નહીં નાખું, પકડીને છોડી દઈશ. આમ આ અભિયાનનાં ત્રણેય સાથીદારો સમગ્ર કાર્યક્રમ વિષે એકમત હોવાથી કાર્ય સરળતાથી સંપન્ન થશે, એમ લાગ્યું. વળી વિષ્ણુએ સાપને માટે ‘જીવડું’ શબ્દપ્રયોગ કર્યો એટલે અમે એની સંભવિત બહાદુરી વિષે ઉંચો અભિપ્રાય બાંધી લીધો. અને ઘટનાક્રમ આગળ વધ્યો.

          પણ, અમે માનતાં હતાં એવી સહેલાઈથી આ કાર્ય સંપન્ન નહીં થાય, એમ અમને ઝડપથી સમજાવા લાગ્યું. કારણ કે  કાર્યક્રમનો 'નાયક' સહેજેય સહકાર આપવાની માનસિકતામાં ન હતો. પારાવાર પ્રયત્નો, મૂંઝવણ, સૂચનો અને 'બાપ રે બાપ'ના નારાઓ વચ્ચે એણે છટકી જઈ, સંતાઈ જઈ, અલગ અલગ રીતે વિષ્ણુની અને મારી ધીરજ તેમજ કાબેલિયત(?)ની કસોટી કરી. અંતે સૌ સારાં વાનાં થયાં અને લગભગ એક કલ્લાકની મથામણ પછી અમે આ જીવવિશેષ ને પકડી, એને એની જાત માટે તેમજ લોકો માટે સલામત સ્થાન ઉપર છોડી આવ્યા. વિષ્ણુને એના સહકાર બદલ એની અપેક્ષાથી વધુ પુરસ્કાર આપ્યો, જે એણે વ્યાજબી પ્રમાણના વિવેક સહ સ્વિકાર્યો. અત્યાર સુધી બેસી રહેલી માએ 1970ના ઓગસ્ટના અનુભવો વહેંચવાની એની નેમ ત્યારે જ પાર પાડી. 

નાની ઉમરે એક ફિલ્મ જોયેલી, ‘કોબ્રા ગર્લ’. એમાં લગભગ આવા જ ઘટનાક્રમ (જો કે ફિલ્મમાં સાપને મારી નાખવામાં આવેલો!) પછી, સાપથી ડરેલી નાયિકા વીર પુરુષની અદામાં પેશ આવતા નાયક સાથે નૃત્ય કરતી કરતી ગીત ગાવા લાગેલી. એ નૃત્યમગ્ન યુગલની પાછળ અમારા બાથરૂમમાં ફૂટી નીકળેલા સાપની જેમ જ અચાનક પ્રગટ થયેલાં ઉત્સાહી યુવક યુવતીઓએ પણ નાચ-ગાનમાં ઉલટભેર ભાગ લીધેલો. ગીતને અંતે નાયક અને નાયિકા ઉડતી શેતરંજી ઉપર સવાર થઇ, આકાશગામી થયાં હતાં, બધું જ રાતે અભિયાન સફળતાપૂર્વક પાર પડ્યા બાદ યાદ આવ્યું. 

હવે, મારી સાથે આવું તો કશું જ ન બનવા પામ્યું. હજી ક્યાંકથી ઉડતી શેતરંજી મળી જાય એવી આશા રહે છે. નિવૃત્ત થઈ ચુક્યો છું અને પેટ્રોલના ભાવો વધતા જાય છે!

Friday, 6 January 2023

ગુજરે હૈ હમ કહાં કહાં સે (૧)

 

                                                              ૧) મારો પ્રવેશોત્સવ

 

આજકાલ પોતાના સંતાનને માટે પ્રાથમિક શાળાથી લઈ, આગળના કોઈ પણ અભ્યાસક્રમમાં એડ્મીશન મેળવવું  કેટલું કઠીન છેએ સર્વવિદીત છે. આ પરિપ્રેક્ષ્યમાં આજથી છ દાયકા પહેલાંના મારા બે અલગઅલગ  'શાળાપ્રવેશ'ની યાદ આવીજે પ્રસ્તુત છે....

સને ૧૯૫૮ના નવેમ્બર મહિનામાં મને પાંચ વર્ષ પૂરાં થયાં. મારા દાદાએ ત્યાં સુધીમાં મને એકત્રીશાંથી ચાલીશાંપાયાંઅડધાંપોણાંસવાયાંદોઢાં અને અઢિયાં સુધીનાં પલાખાં મોઢે કરાવી દીધાં હતાં (ઉંઠાં - સાડા ત્રણનો ઘડીયો - નહીં  શીખવવા પાછળ એમની આર્ષદ્રષ્ટી કામ કરી ગઈ હોવી જોઈએ કે આવડો આ મોટો થતાં પોતાની સમગ્ર કારકિર્દી અન્યોને ઉંઠાં ભણાવવામાં જ વિતાવવાનો છે!). વળી સાથેસાથે એમણે મને છાપાંના માધ્યમથી  થોડું થોડું વાંચતાં પણ શીખવેલું. મારા જનમ દિવસે એમણે ઘરમાં ઘોષણા કરી કેઆને હવે નિશાળે બેસાડી દેવો છે. જો કે આમ તો આ સીધે સીધો વટહુકમ જ હતોપણ સંસદે તેને હર્ષભેર પસાર કર્યો. સંસદ માત્ર એક જ સભ્ય - દાદી - ની બનેલી હતી! યોગ્ય સમયે દાદા ઘરથી બહુ આઘી નહીં એવી એક નિશાળમાં તપાસ કરી આવ્યા અને સને ૧૯૫૯ના જાન્યુઆરી મહિનાના એક શુભ દિને અને શુભ ચોઘડીયે મને લગામ પહેરાવી દેવાનું મૂરત આવી ગયું. ઔપચારિકતા નિભાવવા મારાં મા-બાપને આની જાણ દાદાએ આગલી રાતે કરી દીધી.

 

દાદાએ મને નિશાળે મૂકવાનું નક્કી કર્યું એ દિવસથી જ માએ મને નિશાળ વિશે ખૂબ જ રોચક અને રોમાંચક વાતો કહેવા માંડી હતી. આથી એ દિવસ આવી પહોંચ્યો ત્યારે મને કોઈ જ જાતના અણગમાની કે ડરની લાગણી ન અનુભવાઈ. બલ્કે હું એ બાબતે ખુશ હતો. એ દિવસે સવારમાં મને વેળાસર તૈયાર કરી દેવામાં આવ્યો. દાદીએ મારા કપાળમાં મોટો ચાંદલો કરીઘી ગોળ અને ભાત ચોળીને ખવરાવ્યું, જે તે દિવસ થી લઈને આજ સુધી નથી ભાવ્યું! નીકળતી વખતે ફઈએ મારા હાથમાં નાળીયેર અને સવા રૂપીયો મૂકીને શૂકન કરાવ્યા અને દાદા મને આંગળીએ લઈને દાદરો ઉતર્યા. મેં બરાબર પહેલે પગથીયે પગ મૂક્યો એ સાથે જ દાદીએ મોટા અવાજે  'નિશાળ ગરણું ' (એ જમાનામાં બાળક પહેલી વાર નિશાળે જાય ત્યારે ગવાતું ગીત) છેડ્યું. એ વખતે પ્રવેશોત્સવઆ રીતે કૌટુંબિક કક્ષાએ જ ઉજવાતોસરકારો બીજાં ‘બિનઉપજાઉ’ છતાંયે લોકોપયોગી કાર્યો કરતી રહેતી! મને દાદા સાથે જતો જોઈને નીચે કૂંડીએ કપડાં ધોતી માને જાણ થઈ કે છોકરો હાથથી જવાની શરૂઆત થઈ ગઈ! બાપુજી તો એકાદ કલાક પહેલાં મારા માથા ઉપર હાથ ફેરવી, 'સરસ ભણજેકહીનોકરીએ નીકળી ગયેલા.

 

ઘરથી લગભગ એકાદ કિલોમીટર દૂર ‘ડોન’ વિસ્તારમાં આવેલી ‘નૂતન વિદ્યાલય’ નામની નિશાળ હતી. એ જ નિશાળની અન્ય શાખા ત્યાંથી એકાદ કિલોમીટર દૂર ‘હલુરીયા’ વિસ્તારમાં પણ હતી. પણ, દાદાએ મને ડોનવાળી નૂતનમાં બેસાડવાનું નક્કી કર્યું હતું. એનાં બે કારણો હતાં. એક તો એ કે એ શાખા પ્રમાણમાં નજીક હતી. બીજું અને વધારે મહત્વનું કારણ એ હતું કે  ત્યાંના હેડમાસ્તર સાકરલાલ ભટ્ટ દાદાના સારા મિત્ર હતા. આથી મને મૂકવા-લેવાની સાથે એ બે મિત્રોની ભાઈબંધીનું વધુ ને વધુ દ્રઢીકરણ થતું રહે. નોંધનીય બાબત એ છે કે  દાદા અને એમના મિત્રોની મૈત્રીનું ઘનીકરણ ‘ચા’ તરીકે ઓળખાતા એક દિવ્ય પ્રવાહીની મદદથી થતું રહેતું. ઘરેથી મને લઈને દાદા ‘નૂતન’ તરફ ચાલી રહ્યા હતા એવામાં રસ્તામાં આવતી ભીખા લખમણની દૂકાને અટકી ગયા. ત્યાંથી એમણે નિશાળમાં વહેંચવા સારુ સવાશેર સાકરીયા શીંગ અને અઢીશેર પતાસાં લીધાં. મોકો જોઈને મેં દયનીય મુખે થોડોક ભાગઅપાવવાની માંગણી કરી, જે દાદાએ એમણે પોતે પણ નહીં ધાર્યું હોય, એટલી ઝડપથી સ્વીકારી લીધી અને મને શીંગ-દાળીયા અપાવ્યાં. આમ, અગાઉનો સવા રૂપીયો અને હવે ભાગ એવા બે પ્રકારના વૈભવોની દોમ દોમ સાહ્યબીથી છલકાતે ખીસ્સે હું દાદાની આંગળીએ આગળ ચાલ્યો.

 

નિશાળે પહોંચીદાદા મને  હેડમાસ્તરસાહેબની રૂમમાં લઈ ગયા. ત્યાં સાકરકાકા તરફથી મળેલા અભિવાદન અને ઉમળકાભેર આવકાર પછી દાદાએ એમને કહ્યું ,  "આજથી આ છોકરો તને સોંપ્યો." આવી મોટી જવાબદારી સ્વીકારતાં પહેલાં સાકરકાકાએ મને શું શું આવડે છે એ વિષે પૃચ્છા કરતાં દાદાએ મારી પાસે વિવિધ પલાખાં બોલાવ્યાંજે  'પઢો રે પોપટ રાજા રામનામથી વિશેષ ન હતું! વાંચનની પણ થોડીક કસોટી લીધા પછી સાકરકાકાએ મને ધોરણ ત્રીજામાં 'બેસાડવાનું નક્કી કર્યું. અને તે વર્ગમાં નિરંજનાબહેન નામનાં શિક્ષીકા પાસે મને લઈ ગયા. બહેને વર્ગના બધા છોકરાઓને તાળી વગાડી મારું સ્વાગત કરવા સૂચિત કર્યા. પાછળ હાથમાં લાકડી લઈને ઉભેલા સાકરકાકાને ભાળીને ડઘાઈ જવાથી અને મારા દાદાના હાથમાંની થેલીમાં મિષ્ટ ખાદ્યપદાર્થો ભરેલા હોવાની ખાત્રી વડે જન્મેલા આનંદની લાગણીની મિશ્ર અસરમાં બધા છોકરાઓએ મને વધાવી લીધો. મારા હસ્તે સાકરીયા અને પતાસાંની વહેંચણી થઈ એ દરમિયાન અવારનવાર તાળીઓ પડતી રહી. સાકરકાકાએ દાદાને શાળા છૂટે ત્યાં સુધી પોતાની ઑફિસમાં બેસીને પછી મને લઈને જ ઘેર જવાનું સૂચન કર્યું વાતો-ચીતો અને ગામગપાટા ઉપરાંત બે-ત્રણ વાર ચા પણ એમાં સમાવિષ્ટ હશે જ એ સુપેરે જાણતા દાદાએ ઉક્ત ઉમદા દરખાસ્તનો સહર્ષ સ્વીકાર કર્યો.

 

એ બન્ને જેવા વર્ગની બહાર નીકળ્યા કે મને જેની બાજુમાં બેસાડવામાં આવ્યો હતો એ હર્ષદીયાએ મારા ગાલ ઉપર ચોંટીયો ભરી લીધો અને પાછળની બાજુએથી ભગવાનીયાએ મારી બોચીમાં ઝાપટ લગાવી દીધી. પોતાના કુટુંબમાં તેમ જ મોસાળમાં સમવયસ્કોની બહોળી સંખ્યા વચ્ચે રહેવા/રમવા/ઝઘડવાનું નિયમિત બનતું રહેતું હોવાથી થતા રહેતા ખાસ્સા મહાવરાને લઈને મને બાચકા/બટકાં/ન્હોરીયા/ઝાપટ વગેરેના પ્રયોગો સુપેરે આવડતા હતા. આમ હોવાથી મેં ન્યૂટનના પહેલા નિયમને સવાયા પ્રત્યાઘાતથી પૂરવાર કર્યો. જો કે વર્ગશિક્ષીકા નિરંજનાબહેને તાત્કાલિક ધોરણે પરિસ્થિતીને કાબુમાં લઈ લીધી. પણ, ઓલા બે વરિષ્ઠોએ મારી સામે ડોળા કાઢવાનું અને બે તાસની વચ્ચેના અવકાશમાં મને ડારો દેવાનું ચાલુ જ રાખ્યું. આમ, મને શાળાપ્રવેશના શરૂઆતના હોરામાં જ “બા’રો નીકળ, તને જોઈ લઈશ” એ શબ્દપ્રયોગ શીખવા મળ્યો એનું શ્રેય મારે હર્ષદ શાહ અને ભગવાન વાઘેલાને આપવું રહ્યું. આ રીતે જોઈએ તો મારી શૈક્ષણિક કારકીર્દીની શરૂઆત બહુ શૂકનવંતી નીવડી ન કહેવાય. જો કે નાની રીસેસમાં અમારાં પ્રેમાળ નિરંજનાબહેને અમારી ત્રણેયની ‘બુચ્ચા’ કરાવી દીધી. મોટી રીસેસમાં તો એ બેય સાથે મેં મેદાનમાં આવેલાં હીંચકા-લપસણીની મોજ પણ માણી લીધી. એ જ સમયે એ જ વર્ગના પ્રવીણ પારેખ અને કિશોર ડાભી નામના બે ‘દાદાલોગ’ પણ મારા ‘ભેરૂ’ થવા તૈયાર થઈ ગયા. એમણે કરેલી દોસ્તીની પહેલ માટે થોડા સમય પહેલાં હર્ષદનો અને ભગવાનનો મેં કરેલો પ્રતિકાર જેટલો જવાબદાર હતો એટલાં જ જવાબદાર દાદાની થેલીમાં હજીયે વધેલાં પતાસાં અને સાકરીયા પણ હતાં! આ ચારેય મિત્રોએ છૂટતી વેળાએ એ મિષ્ટ પદાર્થોની પુન:વહેંચણી થાય ત્યારે પોતાને પ્રાથમિકતા મળે એવી વેતરણ મારી પાસે કરી લીધી. ત્યારે નૂતન વિદ્યાલયમાં એવો રિવાજ હતો કે જે દિવસે નવો નિશાળીયો ‘બેસે’, તે દિવસે એના માનમાં બે પીરીયડ વહેલી રજા આપી દેવામાં આવતી. એ નિયમ અનુસાર સાડાત્રણ વાગ્યે નિશાળ છોડી દેવામાં આવી. સવારે મને વર્ગમાં જે હોંશ અને ઉમંગથી તાળીઓ વડે આવકારવામાં આવ્યો હતો એની પાછળ જેટલાં જવાબદાર સાકરીયા-પતાસાં હતાં એનાથી થોડી જ ઓછી જવાબદારી આ બે ‘પીડીયલ’ વહેલા રજા મળે એ બાબતની પણ હશે.

 

રે જઈને દાદાએ ગર્વોન્નત મસ્તકે દાદીને બધી વાત કરીએમનો ઈંગિત એ તરફ હતો કે હિંચકે ઝૂલતાં આખ્ખો દિપાનપટ્ટી અને વારે ઘડીયે ચા ને છાપાં-ચોપડીયું  ઉપરાંત પોતે છોકરાને શીખવવા જેવુ કશુંક ઉપયોગી કામ પણ કરતા હતા. પણ એ કશાની જરાયે નોંધ લીધા વિના દાદીએ વિરોધ પક્ષના નેતાની અદાથી ઉક્ત ઘટનાને વખોડી કાઢી. "આવડા એવા છોકરાને ત્રીજામાં તે મૂકાતો હશેમરી જશે મરીછોકરો મારો! કાલે જઈને ઉતારી આવોએક ધોરણ." બીજે દિવસે દાદાએ સાકરકાકાને ઘરમાં ઉઠેલ વિરોધ વિશે જણાવતાં મારું તત્કાળ પતન થયું અને હું બીજા ધોરણમાં તારાબહેનના વર્ગમાં  'બેઠો'! જો કે એ વર્ગમાં સાકરીયા-પતાસાં ન વહેંચાયાં હોવાથી કોઈએ મારા પ્રવેશની નોંધ લીધી હોય એવું લાગ્યું નહીં. ભગવાનીયાને, હર્ષદીયાને, કિશલાને અને પ્રવીણીયાને તો એક જ દિવસના સહવાસમાં મારી એવી તો માયા થઈ ગઈ કે એ ચારેય એ વખતની વાર્ષીક પરીક્ષામાં નાપાસ પડીને ત્રીજા ધોરણમાં મારી સાથે થઈ ગયા! એ હાડોહાડ કળજુગમાં શિક્ષણપ્રણાલી એટલી તો ક્રૂર હતી કે ભારતના ભાવિ નાગરીકોની પ્રગતીમાં આવી ને આવી ઠેસો વાગ્યા જ કરતી. મારા પ્રવેશ સાથે સંકળાયેલ ઘટનાક્રમની એક વધારાની નોંધનીય બાબત એ હતી કે સાકરકાકાએ તે સમયના હિતેચ્છુ હેડ માસ્તરોની જેમ મારા જન્મનું વર્ષ ૧૯૫૩ની જગ્યાએ ૧૯૫૪ લખ્યું હતું. હવે જો દાદીએ મને ત્રીજા ધોરણમાં રહેવા દીધો હોત તો એ હીસાબે ચાર વરસની ઉમરે ત્રીજા ધોરણમાં હોવા બદલ મને કેટલી પ્રસિધ્ધિ મળી હોત! એ જમાનામાં ભરાતા મેળામાં એક સાથે ત્રીશ કેળાં ખાઈ જતો આઠ વરસનો બાળકકે પછી 'ચૌદ આંગળી ધરાવતી કન્યાનાં પ્રદર્શનો યોજાતાં એવું જ કાંઈક મારી સાથે પણ બન્યું હોત. ખેર!

 

એ સમયે એક વિશિષ્ટ સગવડ હતી _ કેટલાયે છોકરાઓ નીશાળ તરફ ભારોભાર અણગમો ધરાવતા. ઘરેથી મોકલ્યો હોય એ છોકરો એકાદ બગીચે કે અખાડે ધુબાકા બોલાવતો હોય અથવા છેવટે રેલવે સ્ટેશને કે બસસ્ટેન્ડે બેસી રહે અને સમય થયે ઘેર જાય એવા કિસ્સાઓ કાને પડતા રહેતા. સત્ય બહાર આવે ત્યારે ઘરનાં વડીલો અને નિશાળના સાહેબો એવાઓને ‘ધોકાવી નાખે’! પણ એની બહુ દૂરોગામી અસર ન વર્તાતી. આ પ્રકારના હીરલાઓ માટે એક ચોક્કસ વ્યવસ્થા તે સમયે મોટા ભાગની નિશાળોમાં હતી. નિશાળના ઉમરમાં મોટા અને હાડેતા એવા ચાર-પાંચ છોકરાઓને ‘ખાસ ફરજ પરના અધિકારી’ તરીકે આ કામ સોંપાતું. ધાક-ધમકી–ઢીંકા-પાટુ એ સર્વે ઉપાયો વડે એ છોકરાને આવી ‘ઉઠાવગીર મંડળી’ નિશાળ ભેગો કરી દેતી. અમારી નિશાળમાં એ સમયે આ ફરજ નિભાવવા માટે જે ચાર છોકરાઓ હતા એમાંના જયલો અને ચોથીયો મને હજીયે યાદ છે. ઘણી વાર તો જે તે છોકરાની ટીંગાટોળી કરીને લવાતો હોય એવાં દ્રષ્યો જોયાં હોવાનું યાદ છે. એક અન્ય સગવડ હતી થોડા સમય માટે નિશાળ બદલવાની! બે નિશાળો વચ્ચે કોઈ જ જોડાણ ન હોય તેમ છતાંયે એક થી બીજીમાં કામચલાઉ ધોરણે જઈ શકાતું. એ માટે કોઈ જ ઔપચારિકતાની જરૂર ન પડતી. વિદ્યાર્થીના વાલી જે તે નિશાળના હેડમાસ્તર સાહેબને વાત કરી લે એટલે એને અન્ય નિશાળમાં જઈને ચોક્કસ સમયગાળા માટે બેસવા/ભણવાની મંજૂરી મળી જતી. હા, મૂળ નિશાળમાં પરત ફરતી સમયે ‘પૂરતી હાજરી આપી છે અને ડાહી/ ડાહ્યો રહી/ રહ્યો છે’ તેવું પ્રમાણપત્ર મેળવી લેવું પડતું. ખાસ કરીને માતાઓએ પ્રસંગોપાત અન્ય વિસ્તારોમાં કે ગામોમાં રહેવા જવાનું થયું હોય ત્યારે તેમનાં બાળકોને ત્યાંની નજીકની નિશાળમાં મૂકી દેવાતાં. આ સંદર્ભે એક મજેદાર ઘટના યાદ આવે છે.

મારાં ફઈ એકાદ મહિના જેવું અમારે ઘરે રહેવા આવવાનાં હતાં. એમની મારી જેવડી જ દીકરી હેમુ જ્યાં ભણતી હતી એ નિશાળ અમારા ઘરથી પ્રમાણમાં દૂર હતી. આથી ફઈએ દાદાને કહીને એ સમયગાળા માટે એને મારી સાથે નૂતનમાં બેસાડવાની તજવીજ કરી. અમારા હેડમાસ્તર સાકરકાકાએ હેમુને મારા જ વર્ગમાં બેસવાની છૂટ આપી દીધી. એ સમયે બીજા ધોરણમાં હોવા છતાં હેમુને નિશાળે જતી વખતે રોજેય કાંટા જ વાગતા રહેતા. કેટલીયે વાર ફઈ એને મારી/ધીબેડીને જ પહોંચાડતાં એ બાબત અમારા કુટુંબમાં જાણીતી હતી. હા, એકવાર વર્ગમાં પહોંચી જાય પછી સોળેય કળાની થઈને સરસ ભણતી. પણ જતી વેળા કકળાટ, કકળાટ કરી મૂકે!

અમારે ત્યાં રહેવા આવ્યાં એના બીજે જ દિવસે હેમુએ નવી નિશાળમાં જવાની ચોખ્ખી ના પાડી દીધી. એ જમાનાની માતાઓ સંતાનને સમજાવવા માટે ચાણક્યે સૂચવેલા ચાર ઉપાયો પૈકી એકમાત્ર દંડનો પ્રયોગ જ કરતી રહેતી. સામ, દામ કે ભેદ બાબતે એ લોકો નિર્લેપ હોવી જોઈએ. આથી ફઈએ એનો ચોટલો પકડીને એ કાપી નાખવાની ધમકીથી શરૂઆત કરી. ભેગો હું હોવાથી મા-દીકરી બેયને પોતાનું ધાર્યું કરવું એ પ્રતિષ્ઠાનો પ્રશ્ન થઈ પડ્યો હતો.  આગળ હું અને પાછળ રોતી કકળતી હેમુ તેમ જ એને મારતાં અને ખેંચતાં ફઈ એમ અમે લોકો નિશાળ પાસે પહોંચવા આવ્યાં એવામાં એક છોકરાને ટીંગાટોળી કરીને નિશાળે ‘ઢહડી લાવતા’ જયલો ચોથીયો અને સાથીઓ નજરે પડ્યા. હેમુએ તો અગાઉ આવું મનોહારી દ્રશ્ય જોયું જ નહોતું. એ શું બની રહ્યું હતું એ વિશે મેં ફોડ પાડતાં એ તો મુગ્ધ થઈ ગઈ! રોવાનું બંધ કરીને કહે, “બાડી, બાડી, મારેય આવી રીતે જાવું ચ્છ.”! મેં આગળ દોડીને ટીંગાટોળી મંડળીને હેમુની વરદી આપી દીધી. એ લોકોએ ભારે ઉમળકાથી સહકાર આપ્યો અને નિશાળ લગભગ પચાસેક ડગલાં દૂર હતી, એટલો રસ્તો હેમુએ ઊંચકાઈને પાર પાડ્યો.

 

  --------------------------------*------------------------------------------*--------------------------------------

 

હું ત્રીજા ધોરણમાં ભણતો હતો એવામાં દીવાળીના વેકેશન પછીના અરસામાં બાપુજીની બદલી ગઢડા મુકામે થતાં જાન્યુઆરી ૧૯૬૧માં અમારે ત્યાં ફરવાનું થયું. હવે મારા એડ્મીશન માટે શું કરવું એ બાબતે જેટલો નિસ્પૃહ હું હતો એટલાં જ નચિંત મારાં મા-બાપ પણ હતાં. ત્યાં હાજર થયાના ચાર પાંચ દિવસ પછી ત્યાંની મોહનલાલ મોતીચંદ પ્રાથમીક શાળામાં મને લઈ ને મારા બાપુજી પહોંચ્યા ત્યારે એના હેડમાસ્તર સાહેબે ત્યારના સંજોગો મુજબ બે મહિના માટે મને ત્યાંની ધૂડી નિશાળમાં બેસાડવા સૂચવ્યું અને ત્યાંથી ત્રીજું પાસ કરી લઉં એટલે ધોરણ ચારથી તેઓ મને મોહન મોતીમાં લઈ લેશે એમ કહ્યું. આ તબક્કે ધૂડી નિશાળ શું એ જણાવી દઉં. આવી શાળાઓમાં વિદ્યાર્થીને લાકડાનું એક પાટીયું આપવામાં આવે. નદીની માટી લાવી, એને પાણીમાં ભેળવી, એનું લીંપણ એ પાટીયા ઉપર કરી, એક સમતલ પડ બનાવી દેવાનું. એને થોડી વાર માટે સુકાવા દેવાનું એટલે એ ત્યાં જામી જાય. પછી એ પડ ઉપર સળીની મદદથી અક્ષરો/આકૃત્તિઓ પાડવાનાં રહેતાં. ગ્રામ્ય બોલીમાં ધૂળ ને ધૂડ કહે, માટે આ ધૂડી નિશાળ!  સ્લેટ-પેન વાપરવાથી ટેવાયેલા મને આ બહુ રોમાંચક લાગ્યું. પછી તો ઘરના જમવા બેસવાના પાટલા ઉપર પણ મેં ધૂડાપ્રયોગો ચાલુ  કરી દીધા. મારાં મા-બાપને આમાં મારી સર્જનાત્મક શક્તિને વિકસવાની તક જણાવા લાગી અને આ બાબતે મને ભારે પ્રોત્સાહન મળવા લાગ્યું! મેં એ નિશાળમાં માંડ અઠવાડીયું ગાળ્યું હશે એ દિવસોમાં અમારા ઘરે જમવા માટે સરાસરી કરતાં વધુ મહેમાનો આવે એવી વ્યવસ્થા બાપુજીએ ગોઠવી દીધી. આમ તો અમે લોકો નવાં નવાં ગયાં હોવાથી સ્થાનિકો અમને જમવા નોતરે એ ઈચ્છનિય હતું, પણ મારાં ઉત્સાહી મા-બાપે એ ક્રમ ઉલટાવી દેવાનો પાકો નિર્ધાર કર્યો હતો. લગભગ આંતરે દિવસે અમારે ઘરે મહેમાનગતિનાં ઉચ્ચ ધોરણો સ્થપાતાં રહેતાં. જેવો મહેમાનોને જમવા બેસવાનો સમય થાય એટલે બાપુજી મને “જાઓ, ઓશરીમાં થાળી-વાટકા ગોઠવો અને પાટલા ઢાળો”નું સૂચન કરતા અને એ વખતે “અને હા, આજે તેં ઓલી નવી ડીઝાઈન દોરી ચ્છ ઈ પાટલોય આમને બતાડવા હાટુ બહાર લાવજે” ઉમેરવાનું ભૂલતા નહીં. માના હાથની રસોઈ અને બાપુજીના પ્રેમાળ આગ્રહ વડે પ્રભાવિત મહેમાનો એ કલાકૃતિ(!)ને પુષ્કળ વખાણતા અને બદલામાં “હજી લ્યો ને! અરે એમ નો હાલે, જુવાન માણસને તો આટલું ક્યાંય ખપી જાય!” જેવાં સુવાક્યો એમના કાન ઉપર અને વિવિધ વ્યંજનો એમના ભાણામાં પડતાં રહેતાં.

 આ શાળામાં માંડ હજી બારપંદર દિવસો વિત્યા હશે એવામાં અમારે માટે નગરશેઠના ઘરેથી ચા-પાણી માટેનું આમંત્રણ આવ્યું. ઔપચારિકતાઓનાં આદાન-પ્રદાન દરમિયાન બાપુજીએ મારા ધૂડાપ્રયોગો વિષે વાત કરતાં શેઠ મહેન્દ્રભાઈએ મને મોહન મોતીમાં કેમ નથી મૂક્યો એમ પૂછ્યું. બાપુજીએ સ્પષ્ટતા કરી, એટલે શેઠે કંઈ જ બોલ્યા વગર બે વાર તાળી પાડી. જે બે જણા નાસ્તો અને શરબતના પ્યાલા લઈને પ્રગટ થયા એમાંના એક  ‘મોહન મોતીના એક કર્મચારી હતા! શેઠે તેમને મેનેજર સાહેબના દીકરાને કેમ દાખલ નથી કર્યો એમ પૂછતાં એ સજ્જને  ‘હેડમાસ્તર શાયેબ તો વાતેવાતે નિયમું જ બતાડે શ, ને! બાકી તો શાયેબના બાબાભાઈને લઈ નો લેવા જોવી!’ જેવા ઉદ્ગારો સહીત નિશાળની કેટલીક આંતરીક બાબતો પ્રગટ કરવાની શરૂઆત કરી. પણ એમને એમ કરતા અટકાવી, શેઠે બીજા જ દિવસે મને એમની નિશાળમાં દાખલ કરી દેવાની તજવીજ કરવા માટે સૂચના આપી. વળી જો એમ નહીં થાય તો શું શું થઈ શકે એની એ કર્મચારીને ખબર હતી એની ય ખાત્રી કરી લીધી. આમ, તે સાંજે એ સજ્જનના હાથે નાસ્તો અને શરબત બાદ બીજે દિવસે મોહન મોતીમાં ઉમળકાભેર આવકાર પણ મળ્યો. આ રીતે મારું ભણતર ધૂડમાં મળતુંઅટક્યું. પછી તો ‘મોહન-મોતી નિહાળ્ય’ તરીકે ઓળખાતી એ નિશાળમાં જેરામ, છોટુ, રહીમ, જનક, રસિક, દીપક, સૈફુદ્દીન, ભટૂર, પ્રવીણ અને અન્ય કેટલાયે મિત્રો મળ્યા જે હજીયે યાદ રહી ગયા છે. ગઢડામા એ સમયગાળામાં બે વર્ષ વિતાવ્યાં એને યાદગાર બનાવવામાં આ મિત્રોનો માતબર ફાળો રહ્યો છે.


આ મુદ્દે અહીં આટલા વિસ્તારથી વાત કરવાનું પ્રયોજન એ છે કેઆજથી છ દાયકા પહેલાંનો સમાજ અત્યારથી કેટલો અલગ હતોએ ચિત્ર ઉપસી શકે. બાળકો મહદઅંશે દાદા દાદી પાસે ઉછરતાં. એમની કારકિર્દી (એ વળી કઈ બલા?)  વિષયક નિર્ણયો પણ એ  કક્ષાએ જ  લેવાતા. એમાં મા-બાપને પોતાના અધિકાર ક્ષેત્ર પર કોઈ તરાપ ન દેખાતીબલ્કે સધિયારો રહેતો. શાળામાં પ્રવેશકોઈ જાહેર બગીચામાં પ્રવેશ જેટલો જ સાહજીક હતો. અને આવા  કોઈ ચોક્કસ  'System'  વગરના સમાજ માં જનમતાં,  ઉછરતાં અને ભણતાં બાળકોનું ભાવિ પણ બહુ ખરાબ ન રહેતું. પહેલીવાર નૂતન વિદ્યાલયમાં મારું એડ્મીશન થયું એ બીજા શાળાકિય સત્રનો જાન્યુઆરી મહિનો હતો. એ જ રીતે અમારે ભાવનગરથી ગઢડા ફરવાનું થયું એ પણ જાન્યુઆરી મહિનો હતો. તો પણ એપ્રિલ મહિના સુધી મને ભાવનગરમાં ભણાવી, જે તે શૈક્ષણિક વરસ પૂરું થાય પછી ગઢડા દાખલ કરાવવાનો વિચાર સુધ્ધાં કોઈ કુટુંબીજનને આવ્યો ન્હોતો. આમ જોતાં નોકરિયાત લોકોને બદલીના કે પછી કોઈ પણ અન્ય કારણસર એક ગામથી બીજે ગામ ફરવાનો સંજોગ ઉભો થાય તો એ સમયે બાળકોના ભણતર વિષે કે એડ્મીશન વિષે કોઈ ચિંતા ન અનુભવાતી. આવા સમયગાળામાં જન્મીઉછરીભણીતૈયાર થયાનો કોઈ જ રંજ નથી, બલ્કે આનંદ છે. એ જમાનાની સહુથી મોટી રાહત એ હતી કે, કારકિર્દીને લઈને  'માનસિક તાણ' જેવો શબ્દપ્રયોગ એ સમયે પ્રયોજાયો ન હતો. ન તો મા-બાપ માટેકે પછી ન તો ખુદ બાળક માટે.