Showing posts with label અતિતરાગ. Show all posts
Showing posts with label અતિતરાગ. Show all posts

Sunday, 10 August 2025

મારો શાળા પ્રવેશોત્સવ

 

આજકાલ પોતાના બાળકને માટે શાળામાં એડ્મીશન  મેળવવું  કેટલું કઠીન છે, એ સર્વવિદિત છે. આ પરિપ્રેક્ષ્યમાં ૫૭ વરસ પહેલાંના મારા 'શાળા પ્રવેશ'ની યાદ આવી, જે પ્રસ્તુત છે.

૧૯૫૮ના નવેમ્બરમાં મને પાંચ વર્ષ પૂરાં થયાં. મારા દાદાએ ત્યાં સુધીમાં મને એકત્રીશાં થી ચાલીશાં, પાયાં, અડધાં, પોણાં, સવાયાં, દોઢાં અને અઢિયાં સુધી પલાખાં મોઢે કરાવી દીધાં હતાં (ઉંઠાં_સાડા ત્રણનો ઘડીયો_ નહીં  શીખવવા પાછળ એમની દિર્ઘ દ્રષ્ટી કામ કરી ગઈ હશે કે, મોટો થતાં હું મારી સમગ્ર કારકિર્દી દરમિયાન ઉંઠાં જ ભણાવવાનો છું!). વળી સાથે સાથે છાપાંના માધ્યમથી  થોડું વાંચતાં પણ શીખવેલું. ઉક્ત વર્ષે મારા જનમ દિવસે એમણે ઘરમાં ઘોષણા કરી કે, આને હવે નિશાળે બેસાડી દેવો છે. જો કે આમ તો આ સીધે સીધો વટહુકમ જ હતો, પણ સંસદે તેને હર્ષભેર પસાર કર્યો. સંસદ માત્ર એક જ સભ્ય__દાદી__ની બનેલી હતી! યોગ્ય સમયે દાદા તપાસ કરી આવ્યા અને એક શુભ દિને અને શુભ ચોઘડીયે મને લગામ પહેરાવી દેવાનું મુહૂર્ત આવી ગયું. ઔપચારિકતા નિભાવવા મારાં મા-બાપને આની જાણ દાદાએ આગલી રાતે કરી દીધી.
બીજે દિવસે સવારમાં મને વેળાસર તૈયાર કરી દેવામાં આવ્યો. દાદીએ મારા કપાળમાં મોટો ચાંદલો કરી, ઘી ગોળ ભાત ચોળીને ખવરાવ્યું, જે તે દિવસ થી લઈને આજ સુધી નથી ભાવ્યું! દાદા મને આંગળીએ લઈને દાદરો ઉતર્યા, ત્યારે દાદીએ મોટા અવાજે 'નિશાળ ગરણું ' (શાળા પ્રવેશોત્સવનું ગીત) છેડ્યું. ‘પ્રવેશોત્સવ’ આ રીતે કૌટુંબિક કક્ષાએ જ ઉજવાતો, સરકારોને એ સમયમાં બીજાં ઉપયોગી કાર્યો કરવાનાં રહેતાં! આ સમયે નીચે કુંડીએ કપડાં ધોતી માને જાણ થઇ કે છોકરો હાથથી જવાની શરૂઆત થઇ ગઈ! બાપુજી તો એકાદ કલ્લાક પહેલાં માથે હાથ ફેરવી, 'સરસ ભણજે' કહી, નોકરીએ નીકળી ગયેલા. શાળાએ જતાં રસ્તામાં ભીખા લખમણની દુકાનેથી દાદાએ શાળામાં વહેંચવા સારુ શેર પતાસાં લીધાં. મોકો જોઈને મેં દયનીય મુખે થોડોક ‘ભાગ’ અપાવવાની માંગણી કરી, જે દાદાએ એમણે પોતે પણ નહીં ધાર્યું હોય, એટલી ઝડપથી સ્વિકારી લીધી. આમ દોમ દોમ સાહ્યબીથી છલકાતે ખીસ્સે હું દાદાની સાથે આગળ ચાલ્યો. ડોનના ચોકમાં આવેલ નૂતન વિદ્યામંદિર ના હેડ માસ્તર શ્રી સાકરલાલ ભટ્ટ દાદાના સારા મિત્ર હતા. ત્યાં પહોંચી, દાદાએ તેઓને કહ્યું કે, "આજથી આ છોકરો તને સોંપ્યો." સાકરકાકાએ મને શું શું આવડે છે એ વિષે પૃચ્છા કરતાં દાદાએ મારી પાસે વિવિધ પલાખાં બોલાવ્યાં, જે  'પઢો રે પોપટ રાજા રામના' થી વિશેષ ન હતું! વાંચનની પણ થોડીક કસોટી લીધા પછી સાકરકાકાએ મને ધોરણ ત્રીજામાં 'બેસાડવા' નું નક્કી કર્યું. અને તે વર્ગમાં મને મૂકી ગયા.
શાળા છૂટી, ત્યાં સુધી સાકરકાકા સાથે ત્યાં જ, એમની ઑફિસમાં બેસીને દાદાએ સમય પસાર કર્યો. ઘરે જઈને તેમણે ગર્વોન્નત મસ્તકે બધી વાત કરી. એમનો ઈંગિત એ તરફ હતો કે “હિંચકે ઝુલતાં આખ્ખો દિ’ પાનપટ્ટી અને વારે ઘડીયે ચા ને છાપાં” સિવાય પોતે છોકરાને શીખવવા જેવુ કશુંક ઉપયોગી કામ પણ કરતા હતા.  પણ દાદીએ વિરોધ પક્ષના નેતાની અદાથી ઘટનાને વખોડી કાઢી. "આવડા એવા છોકરાને ત્રીજામાં તે મુકાતો હશે? મરી જશે મરી, મારો છોકરો! કાલે જઈને ઉતારી આવો, એક ધોરણ." બીજે દિવસે દાદાએ સાકરકાકાને ઘરમાં ઉઠેલ વિરોધ વિષે જણાવતાં મારું તત્કાળ Demotion થયું અને હું બીજા ધોરણમાં 'બેઠો'! આ સમગ્ર ઘટનાક્રમમાં એક બાબત હવે ધ્યાન ઉપર આવે છે કે સાકરકાકાએ તે સમયના હિતેચ્છુ હેડ માસ્તરોની જેમ મારી જન્મતારીખ ૧૯૫૩ની જગ્યાએ ૧૯૫૪ લખી હતી. હવે જો દાદીએ મને ત્રીજા ધોરણમાં રહેવા દીધો હોત તો એ હીસાબે ચાર વરસની ઉમરે ત્રીજા ધોરણમાં હોવા બદલ મને કેટલી પ્રસિધ્ધિ મળી હોત! ‘એક સાથે ત્રીશ્ કેળાં ખાઈ જતો આઠ વરસનો બાળક’ કે પછી 'ચૌદ આંગળી ધરાવતી કન્યા’નાં  એ જમાનામાં ભરાતા મેળામાં પ્રદર્શનો યોજાતાં એવી રીતે કાંઈક મારી સાથે પણ બન્યું હોત. ખેર!
હું ત્રીજા ધોરણમાં હતો અને બાપુજીની બદલી ગઢડા મુકામે થતાં જાન્યુઆરી ૧૯૬૧માં ત્યાં ફરવાનું થયું. હવે મારા એડ્મીશન માટે શું કરવું એ બાબતે જેટલો નચિંત હું હતો એટલાં જ નચિંત મારાં મા બાપ પણ હતાં. ત્યાંની ‘મોહનલાલ મોતીચંદ શાળા’માં મને લઈ ને મારા બાપુજી પહોંચ્યા ત્યારે ત્યાંના હેડ માસ્તર સાહેબે ત્યારના સંજોગોમાં મને બે મહિના માટે ત્યાંની ‘ધૂડી નિશાળ’માં બેસાડવા સુચવ્યું અને ધોરણ ચારથી તેઓ મને ‘મોહન મોતી’માં લઈ લેશે એમ જણાવ્યું. આ તબક્કે ધૂડી નિશાળ શું એ જણાવી દઉં. આવી શાળાઓમાં વિદ્યાર્થીને લાકડાનું એક પાટીયું આપવામાં આવે. નદીની માટી લાવી, એને પાણીમાં ભેળવી, એનું લીંપણ એ પાટીયા ઉપર કરી, એનું સમતલ પડ બનાવી દેવાનું. એને થોડી વાર માટે સુકાવા દેવાનું એટૅલે એ ત્યાં જામી જાય. પછી એ પડ ઉપર સળીની મદદથી અક્ષરો/આકૃત્તિઓ પાડવાનાં રહેતાં. ગ્રામ્ય બોલીમાં ધૂળ ને ધૂડ કહે, માટે આ ધૂડી નિશાળ!  સ્લેટ-પેન વાપરવાથી ટેવાયેલા મને આ બહુ રોમાંચક લાગ્યું ઘરના જમવા બેસવાના પાટલા ઉપર પણ મેં ‘ધૂડા’ પ્રયોગો ચાલુ  કરી દીધા. મા બાપને તો આમાં મારી સર્જનાત્મક શક્તિને વિકસવાની તક જણાવા લાગી અને આ બાબતે મને ભારે પ્રોત્સાહન મળવા લાગ્યું! જો કે આ શાળામાં હજી થોડાક જ  દિવસ વિત્યા હશે તેવામાં નગરશેઠના ઘરેથી ચા પાણી માટેનું આમંત્રણ આવ્યું. ઔપચારિકતાઓનાંં આદાન-પ્રદાન દરમિયાન બાપુજીએ મારા ‘ધૂડા’ પ્રયોગો વિષે વાત કરતાં શેઠ મહેન્દ્રભાઈએ મને ‘મોહન મોતી’માં કેમ નથી મૂક્યો એમ પુછ્યું. બાપુજીએ સ્પષ્ટતા કરી, એટલે શેઠે કંઈ જ બોલ્યા વગર બે તાળી પાડી. જે બે જણા નાસ્તો અને શરબતના પ્યાલા લઈને પ્રગટ થયા એમાંના એક  ‘મોહન મોતી’ના હેડ માસ્તર સાહેબ હતા! શેઠે તેઓને મેનેજર સાહેબના દિકરાને બીજા જ દિવસે દાખલ કરી દેવાની સુચના આપી અને જો એમ નહીં થાય તો શું થઈ શકે એની સાહેબને ખબર હતી એની ય ખાત્રી કરી લીધી. આમ, સાહેબના હાથે નાસ્તા અને શરબત બાદ બીજે દિવસે ‘મોહન મોતી’માં ઉમળકાભેર આવકાર પણ મળ્યો. અને  આમ મારું ભણતર ‘ધૂડમાં મળતું’ અટક્યું.
આટલા વિસ્તારથી વાત કરવાનું પ્રયોજન એ કે, આજથી ૫૫-૬૦ વરસ પહેલાંનો સમાજ અત્યારથી કેટલો અલગ હતો, એ અહીં ઉજાગર કરવું છે. મહદ અંશે બાળકો દાદા દાદી પાસે ઉછરતાં. એમની કારકિર્દી (એ વળી કઈ બલા?) વિષયક નિર્ણયો પણ એ  કક્ષાએ જ લેવાતા. એમાં મા-બાપને પોતાના અધિકાર ક્ષેત્ર પર તરાપ ન દેખાતી, બલ્કે સધિયારો રહેતો. શાળામાં પ્રવેશ, બગીચામાં પ્રવેશ જેટલો જ સાહજિક હતો. અને આ રીતે, કોઈ ચોક્કસ 'System' વગરના સમાજ માં જનમતાં, ઉછરતાં અને ભણતાં બાળકોનું ભાવિ પણ બહુ ખરાબ ન રહેતું. નોકરિયાત લોકોને કોઈ પણ કારણસર એક ગામથી બીજે ગામ ફરવાનો સંજોગ ઉભો થાય તો એ સમયે બાળકોના ભણતર વિષે કે એડ્મીશન વિષે કોઈ ચિંતા ન અનુભવાતી. ભાવનગરથી ગઢડા ફરવાનો મહિનો જાન્યુઆરી હતો, તો પણ એપ્રીલ મહિના સુધી ભાવનગરમાં ભણાવી, જે તે શૈક્ષણિક વરસ પૂરું થાય પછી ગઢડા દાખલ કરાવવાનો વિચાર કોઈ કુટુંબીજનને આવ્યો ન્હોતો. આવા ગાળામાં જન્મી, ઉછરી, ભણી, તૈયાર થયાનો કોઈ જ રંજ નથી, બલ્કે આનંદ છે. એ જમાનાની સહુથી મોટી રાહત એ હતી કે, કારકિર્દીને લઈને 'માનસિક તાણ' શબ્દપ્રયોગ ત્યારે પ્રયોજાયો ન હતો. ન તો મા- બાપ માટે, ન તો ખુદ બાળક માટે.


સાપ રે સાપ

                      
 “સાપ તો પિતૃઓનું સ્વરૂપ છે, મૃત્યુલોક્માં રહેલાં પોતાનાં વંશજોને આશિર્વાદ દેવા પિતૃઓ સાપ રૂપે પધારતા હોય છે, સાપ દેખાય ત્યાં ઘીનો દિવો કરી, આસ્થાથી શેષનાગજી બાપાનું સ્મરણ કરવાથી એ દૂર જતો રહે છે, એને મારવાથી લાગતું પાપ તો ચાર ધામની જાતરાથી ય ધોવાતું નથી” જેવી કિંવદંતીઓથી લઈને  “સાપ એક નિર્દોષ પ્રાણી છે, એને છંછેડો નહીં તો કોઈ જ જોખમ નથી, મોટા ભાગના સાપ બિનઝેરી હોય છે, આ પૃથ્વી ઉપર મનુષ્ય જેટલો જ અધિકાર અન્ય જીવસૃષ્ટીનો પણ છે”  જેવી હકિકતો વાંચી, સાંભળીને દ્રવીત હ્રદયે ‘બરાબર છે બરાબર છે’ ના ભાવ સહિત ડોકું ધુણાવવાનું જેટલું આસાન છે, એટલું જ કઠીન છે એક સાપને ને નિકટવર્તી પરીસરમાં ભાળ્યા પછી સ્વસ્થ મગજ રાખી, યોગ્ય પગલાં ભરવાનું. હમણાં ચોમાસાને લીધે ઘણા વિસ્તારોમાં સાપ નીકળવાના ખબર આવતા હોય છે, ત્યારે અમારી સાથે બનેલી બે ઘટનાઓ યાદ આવે છે.

1)  1970ના ઓગસ્ટ મહિનામાં ભાવનગરના ઘરમાં એક મોડી સાંજે સાપે દેખા દીધી. કોઠારમાં મુકેલ ફળોના ટોપલા બાજુથી વિચીત્ર અવાજ આવવા લાગ્યો. ચોક્કસ પ્રસંગે વહેંચવા માટે હોઈ, ત્રણ મોટા ટોપલા ભરીને ફળો ઘરમાં હતાં, એમાંથી ક્યા ટોપલામાંથી અવાજ આવી રહ્યો હશે, એ જાણવું મુશ્કેલ હતું. પણ એવામાં તો મદારીના કરંડીયામાંથી પ્રગટ થાય એમ જ જમરુખના કરંડીયામાંથી ફેણ ચડાવી, સાપે પોતાનું લોકેશન જણાવ્યું. એને ભાળ્યા પછીના અમારા લોકોના પ્રતિભાવો બહુ અનુકૂળ ન લાગવાથી એણે અમારાથી અંતર રાખવાનું નક્કી કર્યું હોય એમ એ ટોપલામાંથી બહાર નીકળી આવ્યો. ત્યાર પછીના અમારા પ્રતિભાવો તો એની પ્રકૃત્તિને સહેજે ય અનુકૂળ ન પડ્યા હોય, એમ એણે તાત્કાલિક અસરથી ‘આવ નહીં આદર નહીં’ વાળા બેકદર માનવીઓથી દૂર જવા માટેની તૈયારી આદરી. હવે અમારા સઘળા પ્રયાસો એને ત્યાં ને ત્યાં રોકી રાખવાના હતા, જેથી કોઈ સાપ પકડવાના ‘ઉસ્તાદ’ને બોલાવી લેવાય અને  એને પકડી અને આઘે છોડી અવાય. આવા પ્રયાસોને અંતે એ ફરીથી એક ટોપલામાં દાખલ થઈ ગયો.

બસ, પછી તો શ્રમવિભાજનના નિયમો લાગુ પડ્યા અને કાર્યવહેંચણી થઈ ગઈ. બાપુજી અને કાકાએ મળીને કોઈ પકડનાર આવે ત્યાં સુધી સાપ ઉપર ધ્યાન રાખવાની અને સમગ્ર મીશન પૂરું થાય ત્યાં સુધી સમગ્ર કાર્યવાહીનું નિયમન કરવાની જવાબદારી લીધી. મા અને કાકીએ એ દરમિયાન જરાય મુંઝાયા વિના રસોડાનાં કામો ચાલુ રાખવાનાં હતાં. વળી દાદી તરફથી આવતાં સૂચનો અને સાપ વિષેની વાર્તાઓ તેમજ એના નાનપણમાં જ્યારે આવી પરિસ્થિતિ ઉભી થઈ, ત્યારે અમારા વીર પૂર્વજોએ શું શું કરેલું, એ ભવ્ય ભૂતકાળની વાતો પણ એ લોકોએ જ સાંભળ્યા કરવાની હતી, જેથી જવાબદારોથી મૂળ કામ ઉપર ધ્યાન આપી શકાય. જો કે દાદીનું ‘ઈ દેવતા’ને મારી નહીં નાખવાનું સૂચન સર્વસ્વીકૃત હતું. એ બાબતે એમને સધિયારો બંધાવી દેવામાં આવ્યો. નાની બહેન અને બે ભાઈઓએ મુખ્ય રૂમના હિંચકે બેસી રહેવાનું હતું અને થોડી થોડી વારે “હવે શું કરશું? એક વાર જોઈ લઉં? જમવાનું તો ઠેઠ ઈ પકડાઈ જાય પછી જ તે?” જેવા પ્રશ્નો ન પુછવા બાબતે ત્રણેયને કાકાએ એમની લાક્ષણિક મુદ્રામાં સૂચિત કર્યાં, જે એ બહોળાં અનુભવીઓ માટે ચેતવણીથી કમ ન્હોતું! હું સત્તર વર્ષથી પણ ઓછો હતો, પણ તાત્કાલિક અસરથી મને ‘પુરૂષ વર્ગ’માં  બઢતી આપવામાં આવી. કારણ જો કે મને પછીથી સમજાયેલું, દોડાદોડી માટે હું હાથવગો હતો!

આખરે સાપ પકડ/નિકાલ  સમિતીના અમે ત્રણ સભ્યો એને પકડવા કોને બોલાવવા એની ઉપર વિચાર કરવા ઉભા રહ્યા(સમિતીની સઘળી કારવાઈ સ્થળ ઉપર ઉભે ઉભે જ થાય એમ હતું!). મેં સૂચવ્યું કે અમારી બાજુના ઘરમાં રહેનારા વર્માજી તરીકે ઓળખાતા સજ્જનને બોલાવીએ. એ અમને અવારનવાર એમના ઉત્તર પ્રદેશના વતનમાં પોતે અને વડવાઓએ ‘ખૌફનાક જંગલી જાણવરોંકે સાથ’ કરેલાં પરાક્રમોની ગાથાઓ કહ્યા કરતા. આ સૂચન તરત જ સ્વીકારાયાથી હું એમને બોલાવી આવ્યો. અતિશય ઉત્સાહથી એક મોટો ડંગોરો લઈને એમણે કોઈ યુધ્ધ વિજેતા સેનાપતિની અદાથી અમારા ઘરમાં પ્રવેશ કર્યો અને “કહાં હૈ વો?”ની ત્રાડ નાખી. એમને કોઠાર સુધી પહોંચાડી જમરુખનો ટોપલો બતાડ્યો, જેમાં ‘વો’ બિરાજમાન હતા. “અરે, એક બાર સામણે આ જાવે, અભી પકડ લેવેં” કહીને એમણે એ ટોપલા ઉપર લાકડી ફટકારતાં જ સાપે “ મોહેં કહાં ઢૂંઢે રે બંદે”ની અદામાં ફેણ ઉંચી કરી, ફુંફાડો માર્યો. આના પ્રત્યાઘાત રુપે વર્માજી જે સ્ફુર્તિથી પીછેહઠ કરી ગયા, એનું વર્ણન કરવા કનૈયાલાલ મુનશીની ભાષા અને ઝવેરચંદ મેઘાણીની શૈલીની જરૂર પડે! પણ અત્રે એટલું કહેવું કાફી છે કે એ વખતે ઓલિમ્પિક આયોજન સમિતીના કોઈ સભ્ય હાજર હોત, તો અત્યારે આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ‘પીછેકુદ’નો પણ સમાવેશ થયેલો હોત! આ અભિયાનમાંથી હટી જવા માટે વર્માજીએ ખુબ જ લાગણીવશ સ્વરે જણાવ્યું કે “યેહ તો નાગીન હૈ ઔર ક્યા હૈ કી હમ ઈસ્ત્રી પર વાર નહીં કરતે.” જો કે એમના ગયા પછી દાદીએ કાંઈક બીજી જ વાત કરી...”ખોટ્ટાડો, મારો રોયો! રોજ ઓલી મુક્તાડી અમથી અમથી હિબકે છે?” જે હોય તે, એ વખતે અમારો અગ્રતાક્રમ વર્માજીના સંસારની ખાટી મીઠી જાણવાનો ન્હોતો, એ બાપુજીએ  યાદ કરાવતાં હવે કોને બોલાવશું એની ફરીથી વિચારણા શરુ થઈ.

હવે તો આ ચર્ચામાં નવ વરસની બહેન અને દસ તેમ જ છ વરસની ઉમરના બેઈ ભાઈઓ પણ દાખલ થઈ ગયાં. ચર્ચા અભિયાન(નંબર બે)માંથી એક સૂચન સૌને વ્યાજબી લાગ્યું, તે હતું જુસબ બાદછાને બોલાવવાનું. યુસુફ ઉર્ફે ઈસુબ ઉર્ફે ઇસપ ઉર્ફે જુસબ, સીદી હતો. સમગ્ર સૌરાષ્ટ્રમાં આ કોમ ‘બાદશાહ’ અથવા તો ‘બાદછા’ તરીકે ઓળખાય છે. અંદાજે ત્રેવીશ-ચોવીશ વરસનો યુસુફ અખાડીયન હતો. અમે લોકો ઘરની બાજુમાં આવેલ ‘કૃષ્ણકુમારસિંહ અખાડામાં રોજ સાંજે રમવા જતા, ત્યાંનો એ નિયમીત સભ્ય હતો. અમારા જ વિસ્તારમાં રહેતો અને મીસ્ટર ગુજરાતની સ્પર્ધાની ફાઈનલ સુધી પહોંચેલો. ભાવનગરમાં એને લોકો ‘બોડી બીલ્ડર બાદછા’ તરીકે જાણતા.

યુસુફને બોલાવી લાવવા માટે મારી પસંદગી થઈ. જે સાઈકલ દસ મિનીટ ફેરવવા માટે કાકાને પંદર મિનીટ વિનવણી કરવી પડતી, એની ચાવી એમણે મને સામેથી પકડાવી દીધી અને યુસુફને હું બોલાવી આવ્યો. એ સાપ પકડવાનો ચીપીયો લઈને આવ્યો અને માત્ર પાંચથી સાત મિનીટમાં એણે લગભગ આઠથી નવ ફીટના કોબ્રાને આસાનીથી પકડી લીધો અને એક થેલીમાં ભરીને સાથે લઈ જવાની તૈયારી બતાડી. કહ્યું કે આને પોતે અમારા ઘરથી દૂર આવેલ એક વગડાઉ જગ્યાએ છોડી આવશે. એણે આ કામને નિ:શુલ્ક ધોરણે થયેલ સેવા ગણવા એણે પહેલેથી જ ચોખવટ કરેલી હતી. સામાન્ય રીતે અમારા અખાડાના કોઈ પણ સભ્ય માટે બાપુજી અને કાકાના અભિપ્રાય બહુ ઉંચા( અને અમને સ્વિકાર્ય!) ન રહેતા, પણ એ દિવસે એ બેઈ જણાએ ‘યુસુફભાઈ’ને બેઠકરૂમમાં માનભેર બેસાડ્યો અને એને પરાણે શરબત પીવડાવી, અમને લોકોને એની પાસેથી સેવાભાવની પ્રેરણા લેવા ખાસ સમજ આપી!

યુસુફ (અને ખાસ તો એની સાથે સાપ)ના જવા સાથે જ ઘરના વાતાવરણમાં તરત જ પલટો આવ્યો. કાકાએ મારી પાસે રહી ગયેલી સાઈકલની ચાવી માંગી લીધી. અમારા કુટુંબની પરંપરા પ્રમાણે કોઈ  પણ કટોકટીનો અંત આવે એટલે ચા પીવાની ધાર્મીક વિધી કરવી પડતી! એ મુજબ સૌએ ચા પીધી અને લગભગ સાડા દસ વાગ્યે જમવા માટેના ઠરાવો મૂકાયા! પિસ્તાળીશ વરસ અગાઉની આ ઘટનાનાં સાક્ષી એવાં દાદી, કાકી, કાકા, બાપુજી અને નાની બહેન ગોપી હવે અમારી સાથે નથી. બાકી રહેલાં અમે લોકો હજી પણ ક્યારેક આ ઘટનાને નવાં ઉમેરાયેલાં કુટુંબીજનો સાથે વ્હેંચી, હસી લઈએ છીએ.



2) 2015ની 25 જુનની રાતે  લગભગ સાડા અગિયારના સુમારે ઘરના ઉપરના માળે આવેલા બાથરૂમના ઘોડાના એક ખાનામાં રહેલી વિવિધ બોટલ્સની પાછળ પૂંછડી સળવળતી નજરે પડી. ઉંદરડી અથવા ગરોળી હશે એમ માનીને બોટલ્સ ખસેડતાં નજરે પડ્યો, લગભગ સવા થી દોઢ ફૂટ લંબાઈનો સાપ! ઇન્દિરાજીએ કટોકટી ઘોષિત કરતી વખતે પસાર થવું પડ્યું હશે, કંઈક એવી જ મનઃ સ્થિતિમાં મૂકાઈ ગયો. એ વખતે જેમ તત્કાલિન રાષ્ટ્રપતિને અડધી રાતે જગાડવામાં આવેલા, એવી જ રીતે તાત્કાલિક અસરથી સ્નેહાને જગાડી. દેશના પ્રબુધ્ધ નાગરિકોએ તે સમયે કરેલો, એનાથી પણ સબળ વિરોધ કરવાનો એનો ઈરાદો હશે, પણ તે આ 'કટોકટી'ની વિગતની જાણ થતાં જ શમી ગયો. એણે દરેક બાબતમાં સહકાર આપવાની તૈયારી બતાડી. હવે આ સાપ ઝેરી હશે કે બિનઝેરી, એનું કોઈ પ્રમાણ અમારી પાસે નહતું. મેં સ્નેહાને મેરી ક્યુરી જેવાં અને સ્નેહાએ મને એડવર્ડ જેનર જેવા મહાન વૈજ્ઞાનિકોની યાદ આપી, કેમકે એ લોકોએ ચોક્ક્સ પરિક્ષણો માટે પોતાની જાત ઉપર જાનના જોખમે પ્રયોગો કરેલા.પણ આ સાપનું ઝેરીલાપણું તપાસવા માટે જાન દઈ દેવા જેટલો વૈજ્ઞાનિક અભિગમ અમે એકેય નથી ધરાવતાં, એ ખાત્રી થયા બાદ એને પકડી, સલામત છોડી દેવા વિષે અમે બંને અમારી અપેક્ષા કરતાં પણ વધારે ઝડપથી સંમત થઈ ગયાં. નક્કી થયું કે હું સ્થળ ઉપર રહી, સાપનું ધ્યાન રાખું અને સ્નેહા સોસાયટીના પગી નામે વિષ્ણુને ઉઠાડી, મદદ માટે બોલાવી આવે. મેં સ્નેહાને ખાસ સૂચવ્યું કે નીચે બેઠેલી મા આ બાબત જાણીને 1970ના ઓગસ્ટના અનુભવો ત્યારે જ કહેવાની શરૂઆત કરી દે, તો “એ વાત પછીથી” કહી, એણે વિષ્ણુને બોલાવવા ધસી જવું. સ્નેહાએ એમ જ કર્યું અને પાંચેક મિનીટમાં વિષ્ણુ આવી ગયો. આર્થિક લેવડદેવડ ઉપરાંત  એની એક શરત એ પણ હતી કે જીવડાને મારી નહીં નાખું, પકડીને છોડી દઈશ. આમ આ અભિયાનનાં ત્રણેય સાથીદારો સમગ્ર કાર્યક્રમ વિષે એકમત હોવાથી કાર્ય સરળતાથી સંપન્ન થશે, એમ લાગ્યું. વળી વિષ્ણુએ સાપને માટે ‘જીવડું’ શબ્દપ્રયોગ કર્યો એટલે અમે એની સંભવિત બહાદુરી વિષે ઉંચો અભિપ્રાય બાંધી લીધો. અને ઘટનાક્રમ આગળ વધ્યો.

          પણ, અમે માનતાં હતાં એવી સહેલાઈથી આ કાર્ય સંપન્ન નહીં થાય, એમ અમને ઝડપથી સમજાવા લાગ્યું. કારણ કે  કાર્યક્રમનો 'નાયક' સહેજેય સહકાર આપવાની માનસિકતામાં ન હતો. પારાવાર પ્રયત્નો, મૂંઝવણ, સૂચનો અને 'બાપ રે બાપ'ના નારાઓ વચ્ચે એણે છટકી જઈ, સંતાઈ જઈ, અલગ અલગ રીતે વિષ્ણુની અને મારી ધીરજ તેમજ કાબેલિયત(?)ની કસોટી કરી. અંતે સૌ સારાં વાનાં થયાં અને લગભગ એક કલ્લાકની મથામણ પછી અમે આ જીવવિશેષ ને પકડી, એને એની જાત માટે તેમજ લોકો માટે સલામત સ્થાન ઉપર છોડી આવ્યા. વિષ્ણુને એના સહકાર બદલ એની અપેક્ષાથી વધુ પુરસ્કાર આપ્યો, જે એણે વ્યાજબી પ્રમાણના વિવેક સહ સ્વિકાર્યો. અત્યાર સુધી બેસી રહેલી માએ 1970ના ઓગસ્ટના અનુભવો વહેંચવાની એની નેમ ત્યારે જ પાર પાડી. 

નાની ઉમરે એક ફિલ્મ જોયેલી, ‘કોબ્રા ગર્લ’. એમાં લગભગ આવા જ ઘટનાક્રમ (જો કે ફિલ્મમાં સાપને મારી નાખવામાં આવેલો!) પછી, સાપથી ડરેલી નાયિકા વીર પુરુષની અદામાં પેશ આવતા નાયક સાથે નૃત્ય કરતી કરતી ગીત ગાવા લાગેલી. એ નૃત્યમગ્ન યુગલની પાછળ અમારા બાથરૂમમાં ફૂટી નીકળેલા સાપની જેમ જ અચાનક પ્રગટ થયેલાં ઉત્સાહી યુવક યુવતીઓએ પણ નાચ-ગાનમાં ઉલટભેર ભાગ લીધેલો. ગીતને અંતે નાયક અને નાયિકા ઉડતી શેતરંજી ઉપર સવાર થઇ, આકાશગામી થયાં હતાં, બધું જ રાતે અભિયાન સફળતાપૂર્વક પાર પડ્યા બાદ યાદ આવ્યું. 

હવે, મારી સાથે આવું તો કશું જ ન બનવા પામ્યું. હજી ક્યાંકથી ઉડતી શેતરંજી મળી જાય એવી આશા રહે છે. નિવૃત્ત થઈ ચુક્યો છું અને પેટ્રોલના ભાવો વધતા જાય છે!

Thursday, 4 July 2019

ગુજરે હૈ હમ કહાં કહાં સે (૨)



                                                          જેરામનો ઝપાટો….
સને ૧૯૬૧માં મારા બાપુજીનું પોસ્ટીંગ ગઢડા(સ્વામીનારાયણ) મુકામે થયું. મને ત્યાંની મોહનલાલ મોતીચંદ પ્રાથમિક શાળામાં પ્રવેશ મળી ગયો. તાત્કાલિક ધોરણે જે ભાઈબંધ થયો એ હતો જેરામ (જેરામીયો). આ જેરામીયો મારા જ વર્ગમાં હતો. એના બાપુજી અમારી નિશાળની બહાર લારી ઉભી રાખી, શીંગ, દાળીયા, રેવડી, બોર, કાતરા, આંબલીયા વગેરે ‘ભાગ’ વેચતા. જો કે એમને મોટો વકરો એ ‘ઈનામ’ ખેંચાવતા એમાંથી થતો. પૂંઠાના બોર્ડ ઉપર રંગબેરંગી એવી નાની નાની પડીકીઓ ચોટાડેલી હોય. ત્રણ પૈસા અને પાંચ પૈસા જેવી રકમ ચૂકવવાથી આપણી પસંદગીની કોઈ પણ એક પડીકી ખેંચવાની તક મળે. એ પડીકી ખોલવાની અને એમાં જે લખ્યું હોય તે ઈનામરૂપે મળે. જો કે મોટા ભાગે તો એ પડીકી ખાલી જ નીકળતી. એમ થવાથી હતાશ થઈને પાછા વળતા છોકરાને એ હાથમાં બે દાણા શીંગ મૂકી, બીજે દિવસે ફરીથી નસીબ અજમાવવા માટે આમંત્રણ આપતા. આજના યુગમાં અજમાવાતા માર્કેટીંગના કિમીયાઓની ગંગોત્રી આવા લોકોની કોઠાસૂઝમાંથી જ પ્રગટી હશે.

જો ભૂલેચૂકે કોઈને ઈનામ લાગી જાય તો એના ફળસ્વરૂપે જે બનતું એ ખુબ જ રસપ્રદ છે. જેવો એ છોકરો ઈનામ લઈને હરખભેર નિશાળના પરિસરમાં જાય કે થોડી જ વારમાં જેરામીયો એની પાસે પહોંચી જતો. એનો એક માત્ર મકસદ એ ચીજ પાછી પડાવી લેવાનો રહેતો. શાસ્ત્રોમાં સૂચવાયેલા ચાર પૈકી ‘દંડ’ તરીકે ઓળખાવાયેલો કિમીયો એને સુપેરે હસ્તગત હતો. આ બાબતે એણે એવી તો ઉંચી પ્રતિષ્ઠા અર્જિત કરી રાખી હતી કે મોટા ભાગના કિસ્સામાં ઈનામવિજેતા છોકરો એને મળેલી ચીજ વડે ત્યાં સુધી જ રમી લેતો, જ્યાં સુધી પોતે જેરામની નજરે ન ચડે. જેવા પરસ્પર દ્રષ્ટોદ્રષ્ટ થાય કે એ સામેથી જ એ જેરામને ઈનામ પરત કરી દેતો. આમ કરવાથી જેરામનો સમય અને સામેવાળાનું શરીર એ બન્નેનો બચાવ થતો. આમ જોઈએ તો એટલી નાની ઉમરથી જ જેરામીયાએ પિતાજીના ધંધામાં ખાસ્સી નિષ્ઠાથી મદદ કરવાનું ચાલુ કરી દીધું હતું.

અમે ત્રીજા ધોરણમાં આવ્યા ત્યારે અમારાં વર્ગશિક્ષિકા હતાં તારાબહેન. ખુબ જ ઉત્સાહી અને પ્રેમાળ એવાં તારાબહેન નવાં નવાં ભાવનગરથી બદલાઈ ને ગઢડાની નિશાળમાં જોડાયાં હતાં. તે અભ્યાસક્રમ ઉપરાંત અમને શિષ્ટાચાર અને બોલચાલના પાઠો પણ ભણાવતાં. એક વખત એમની ઝપટે જેરામીયો ચડી ગયો. બલ્કે એમ કહેવું જોઈએ કે જેરામીયાની ઝપટે તારાબહેન ચડી ગયાં! ‘સ’થી શરુ થતો એક શબ્દ બોલવાનો હતો અને જેરામ ત્યાં ‘ચ’ ઉચ્ચાર કરે! તારાબહેન ચિડાઈને કહે, “તે તને ‘સ’ બોલતાં નથી આવડતું?” જેરામે જવાબ આપ્યો, “આવડે સે ને!” એટલે તારાબહેન વધુ ખીજાણાં. કહે, ” ‘સે’ બોલાય? ‘છે’ની જગ્યાએ ‘સે’ બોલતી વેળા તો ‘સ’ બોલતાં આવડે તો સીધેસીધો ‘સ’ કેમ નો આવડે? બોલ, ‘સસલું’.” તો જેરામ બોલ્યો, “ચચલું”! આવી થોડી માથાકૂટ પછી તારાબહેને જેરામને કહ્યું કે બીજે દિવસે એના બાપાને લઈ ને નિશાળે આવે. ‘કલ કરે સો આજ’ના ન્યાયમાં માનતો જેરામીયો એ જ ક્ષણે ક્લાસની બહાર રોકેટની જેમ ભાગ્યો અને બહેન કાંઈ સમજે એ પહેલાં તો એના બાપાને લઈ આવ્યો! એ સમયે નિશાળના પ્રવેશદ્વાર પાસે ભાગની લારી લઈ ને ઉભા રહેલા બાપા જેરામને એકદમ હાથવગા હતા. તારાબહેને એમને ચિરંજીવીના ઉચ્ચારદોષની ફરિયાદ કરી કે ગમ્મે એટલું શીખવાડું છું, આ છોકરો ‘સ’ નથી બોલતો. “તે લે, એમાં ચિયો વાઘ મારવાનો સ?” જેરામસ્ય પિતાજી ઉવાચ. “લે હેઈ જેરામીયા, બોલ તો, ચમચી”. જેરામે ક્ષણના ય વિલંબ વગર ઉચ્ચાર્યું, ‘સમસી’ ! જેરામના ચહેરા ઉપર ગર્વ, એના બાપાના ચહેરા ઉપર આવો રતન સરીખો સુપુત્ર સાંપડ્યાનો હરખ અને તારાબહેનના ચહેરા ઉપરની લાચારી ભળાતાં અમારો વર્ગ હર્ષનાદો કરી ઉઠેલો!

એ પછીના વર્ષે એટલે કે અમારા ચોથા ધોરણના વર્ગમાં અમારા વર્ગશિક્ષક તરીકે મૂકાયા એ સાહેબ તાજા જ જોડાયા હતા. અમારો જેરામ એમની જ્ઞાતિ બાબતની જાણકારી તાત્કાલિક અસરથી મેળવી લાવ્યો અને કોઈ જ છોછ વગર એણે સમગ્ર વિદ્યાર્થીગણમાં એ માહિતી છૂટથી વહેંચી. આમ થતાં એ સાહેબનો ઉલ્લેખ સૌ વિદ્યાર્થીઓ (એમની અનઉપસ્થિતીમાં, અલબત્ત!) એમની જ્ઞાતિ વિશેના સહેજેય વિવેક/સુરૂચીપૂર્ણ નહીં બલ્કે અપમાનજનક એવા શબ્દપ્રયોગ વડે જ કરવા લાગ્યા. સાહેબ યુવાન તેમજ ઉત્સાહી હતા અને આજથી ચોપન પંચાવન વરસ અગાઉનાં ધારાધોરણો મુજબ વર્ગમાં શિસ્ત બરકરાર રાખવા માટે જરૂરી માનવામાં આવતા એવા શાબ્દિક ધાકધમકી તેમજ શારીરીક ઉત્પીડનના સઘળા પ્રયોગો સારી પેઠે કરી જાણતા. એનું પ્રાયોગીક નિદર્શન એ વખતોવખત આપતા પણ રહેતા. એ જ્યારે વર્ગમાં પ્રવેશે ત્યારે અમે તોફાનો કરતા જ હશું એવી પૂર્વધારણા સહીત જ આવતા. બારણામાં પ્રવેશતાં જ “એય્ય્ય્ય્ય, બધા સખણીના રહેજો” એવો ચેતવણીનો નાદ પોકારતા. એની ભારે અસર થતી અને મોટા ભાગના અમે વાર્ષિક ઈન્સ્પેક્શન આવે ત્યારે હોઈએ એટલા ડાહ્યા બની જતા. તેમ છતાંયે સાહેબ એકાદ બેને ગણીતના આકસ્મિકતાના સિધ્ધાંત મુજબ પસંદ કરી, થોડી થોડે ‘પરશાદી’ ચખાડી દેતા, જેથી બાકીનાઓ શુન્યમનસ્ક બની જતા અને આમ વર્ગમાં શાંતિ સ્થપાયેલી રહેતી. એ કળિયુગી જમાનામાં આ બધું અતિ સામાન્ય ગણાતું. આજના જેવી નવજાગૃતિનો એ સમયગાળો હોત તો તો મા-બાપ, વાલીમંડળ અને વિદ્યાર્થીનેતાઓ ભેગાં મળીને આવી બાબતે હોબાળો મચાવી દેતાં હોત અને સંચારમાધ્યમોના પ્રતિનિધીઓ એ ઘટનાને ‘બાળમાનસ ઉપર ક્રૂર શિક્ષક દ્વારા થયેલા અત્યાચાર’ તરીકે ખપાવી, નકલોનો ફેલાવો અને કાર્યક્રમના ટીઆરપી મૂલ્યમાં ધરખમ વધારો કરી શક્યા હોત. ખેર, જેવાં એ પેઢીના વિદ્યાર્થીઓનાં નસીબ!

અમારામાંના કોઈ કોઈ તો એમના વડે અજમાવાતી આવી પ્રવૃત્તિઓનો ભોગ ન બનવા માટે વર્ગમાં ‘સખણીના’ રહેવા ઉપરાંત અન્ય ઉપાયો પણ પ્રયોજતા રહેતા. ભટૂર નામનો એક છોકરો રોજ રીસેસમાં ઘરે જઈ, એમને માટે નાની બોઘરણી ભરીને તાજી છાશ લઈ આવતો અને એના બદલામાં કોકકોકવાર ‘લેશન’ કરી લાવવાનું ભૂલી જાય, ત્યારે એ બાબતે સાહેબ એને જવા દેતા. વળી એ તાડનલાભથી પણ કાયમી ધોરણે વંચિત રહેવા પામતો. અન્ય કેટલાકો એક યા બીજી યુક્તિ/પ્રયુક્તિ વડે આવું સુરક્ષિત કવચ મેળવવા સફળ થયા હતા. જેમકે મને મારા બાપુજી બેંક મેનેજર હોવાનો ફાયદો આપોઆપ મળ્યો હતો. આ વસ્તુસ્થિતી જેરામીયાને બહુ ખટકતી પણ એ લાચાર હતો – સાહેબને થોડા બાપાની લારીએ ઈનામ ખેંચવા લઈ જવાય? આથી એ સાહેબના વાંકમાં ન અવાય એનું પૂરતું ધ્યાન રાખતો હતો પણ એના મનમાં છૂપો અસંતોષ ભડભડતો રહેતો હતો.

એકવાર કોઈ કારણસર એ સાહેબની ઝપટે ચડી ગયો. એમણે એને પોતાની પાસે બોલાવી, બે અડબોથ લગાવી દીધી. આ ભેગો જેરામ વિફર્યો. એ ભટૂરને ઉદ્દેશીને બોલ્યો, “એલા ભટૂરીયા, કાલ્યથી આ(અત્યંત અપમાનજનક જ્ઞાતિવિષયક પ્રયોગ)ની હાટુ(માટે) સાશ્ય (છાશ) લાવ્યો સો ને, તો તને સમશાનની જોગણી પુગે.” હવે વિફરવાનો વારો અમારા સાહેબનો હતો. એમણે એક હાથે જેરામના વાળ પકડ્યા અને બીજા હાથે તાડન શરૂ કર્યું. સામા પક્ષે જેરામે એમને માટે અપમાનજનક શબ્દપ્રયોગોનો મારો ચલાવ્યો. સાહેબના હાથ અને જેરામની જીભ વચ્ચેની જુગલબંધી વિલંબીત ખયાલ તરફથી આગળ વધતી દ્રુત ગતીએ પહોંચી ગઈ. અમારા પાડોશમાં રહેતા એક દંપતિ વચ્ચે થતી રહેતી ચોક્કસ લેવડદેવડ બાબતે મારી દાદી બોલતી, “ઈ તો કોકની જીભ હાલે ને કોકના હાલે હાથ” ! આ વાક્યપ્રયોગ તે ધન્ય સમયે મને ઉદાહરણ સહિત સમજાયો. અમે વર્ગમાં બેઠેલાઓ વિસ્ફારીત નેત્રે આ ઘટનાક્રમને સ્તબ્ધ બનીને નિહાળી રહ્યા હતા. આખરે સાહેબે એનું માથું જોરથી વર્ગના બારણા સાથે ભટકાડ્યું. આમ થતાં જ જેરામના માથામાં ફૂટ થઈ અને લોહી વહેવા લાગ્યું. આપણે હીન્દી ફિલ્મોમાં અનેક વાર જોયું છે કે નાયક લાંબા અરસા સુધી સામેવાળાના હાથનો માર ખાધા કરે અને પછી એના ચહેરા ઉપર લોહી દેખાય. નાયક ચોક્કસ અદાથી એ લોહી સાફ કરે અને પછી જે વિફરે, જે વિફરે કે સામેવાળાનું આવી બને. બસ, આવું જ કંઈક બન્યું. માથામાં ફૂટ થતાં જ જેરામની સહનશક્તિ જવાબ દઈ ગઈ. એના એકવડીયા શરીરમાં હતી એટલી તાકાત ભેગી કરી, જેરામીયો સાહેબની ચૂડમાંથી છટક્યો. વર્ગમાં સૌથી આગળ બેઠેલા છોકરાઓ પાસે પહોંચ્યો અને સૌથી પહેલાં હાથમાં આવી એ પાટી/સ્લેટ લઈ, એણે એ સાહેબના માથા ઉપર જોરથી લગાવી! એ સાથે સાહેબના કપાળ ઉપરથી લોહી દડવા લાગ્યું અને જેરામીયો નિશાળમાંથી ભાગી ગયો તે કોઈ દિવસ પાછો ન આવવા માટે ભાગી ગયો.

ઉક્ત ઘટનાના થોડા જ દિવસોમાં મારા બાપુજીની બદલી ભાવનગર થઈ જતાં મારો પણ એ નિશાળ સાથેનો નાતો પૂરો થયો. એ પછી દસેક વરસ બાદ એકવાર ગઢડા જવાનું થયું ત્યારે જાણવા મળ્યું કે જેરામ હીરા ઘસવા સુરત જતો રહ્યો હતો. પોતાની ઉપર પહેલ પાડવાના બાકી હતા એવી ઉમરે હીરા ઉપર પહેલ પાડવાનું એને વધુ આકર્ષક લાગ્યું હશે. હજી પણ ક્યારેક અભિવાદન કરતી વેળાએ કે છૂટા પડતી વેળાએ કોઈ ‘જય રામજી કી’ ઉચ્ચારે છે ત્યારે મને ‘જેરામજીકી’ જ સંભળાય છે અને મારી નજર સામે અમારો જેરામીયો આવીને ઉભો રહી જાય છે.

ગુજરે હૈ હમ કહાં કહાં સે (૩)




                                                               નદ્દી કિન્ન્નાર્રે ટમ્મેટ્ટું
આજે ગઢડા( સ્વામીનારાયણ) ખાતે સને ૧૯૬૧થી ૧૯૬૩ દરમિયાન મળેલા એક મિત્રની વાત માંડું. તેની સાથે માણેલા યાદગાર અનુભવો એવા મજેદાર છે કે સાડાપાંચ દાયકા પછી પણ એની યાદ તાજી છે.

એ દિવસોમાં દિવસના પોણાઅગિયાર અગિયાર વાગ્યાની આસપાસ મારા નિશાળ જવાના સમયે એક સજ્જન પોતાની દિનચર્યાના ભાગરૂપે નદીએ નહાવા માટે જતા હોય, ત્યારે કોઈ કોઈ વાર મારી નજરે ચડી જતા. એ સમયે એમને જતા જોવા એ એક લ્હાવો હતો. ટૂંકું પંચિયું પહેરી, ઉઘાડા દેહે હાથમાં કળશો ઝાલીને અને ખભે ટુવાલ નાખીને એ ઉંઘંટ્યે ચહેરે નદી તરફ ચાલ્યા જતા હોય, ત્યારે નિયમિત રીતે કેટલાક છોકરાઓનું ટોળું ચોક્કસ લયમાં ‘નદ્દી કિન્ન્નાર્રે ટમ્મેટ્ટું, ટમ્મેટ્ટું. નદ્દીએ ન્હાવા જત્તું ‘તું, જત્તું ‘તું’ એવું સમુહગાન ગાતું ગાતું એમની પાછળ ચાલતું રહેતું. એ મહાનુભાવ સામાન્ય સંજોગોમાં એ બાબતે બિલકુલ નિર્લેપ રહેતા. પણ કોઈ કોઈ વાર અચાનક ઉભા રહી જઈ, “કોનીનો સો!” જેવા શબ્દપ્રયોગ સાથે એકાદા છોકરાની સામે ખૂંખાર નજરે જોઈ લેતા. આમ થવાથી જે તે સમયે ટોળામાં સમાવિષ્ટ તોફાનીઓ ભાગી છૂટતી વેળા એમના ખીજાવાથી પોતાનો જન્મારો સુધરી ગયો હોય એવી ખુશી અનુભવતા. જેમ મંદીરમાં અખંડ ધૂન ચાલતી હોય ત્યારે એમાં ગાનારાઓ બદલાયા કરે એમ જ એ ટોળામાં પણ સ્વયંસેવકો બદલાતા રહેતા પણ વિજયઘોષ તો ઠેઠ એ સજ્જન નદીમાં ઉતરે ત્યાં સુધી ચાલતો રહેતો. એકવાર હું આ શોભાયાત્રામાં જોડાવાની તૈયારીમાં જ હતો ત્યારે મારી બાજુમાં ઉભેલા એક છોકરાએ મારો હાથ પકડીને મને ક્ષોભ સાથે જણાવ્યું, “ઈ નદ્દી કિન્ન્નાર્રે ટમ્મેટ્ટું તો મારા બાપા સે, તું એમની વાંહે નો જતો.” મારી એ ઉમર એનાં ક્ષોભ કે મનોવ્યથા સમજવાની તો નહતી પણ મને એને માટે ખુબ જ લાગી આવ્યું હતું. આ ઘટના પછી એ છોકરા સાથે મારી ભાઈબંધી બંધાણી અને સમય જતે ‘પાક્કી’ બની હતી.

એનું મૂળ નામ છોટુ પણ ત્યારના રિવાજ પ્રમાણે અમે મિત્રો એને ‘છોટીયો’ નામથી ઓળખતા. એ સમયે અમે ગઢડાના ‘સાંકડી શેરી’ તરીકે જાણીતા વિસ્તારમાં ભાડે રહેતાં હતાં. છોટીયો ત્યાંથી બહુ દૂર નહીં એવી એક વસાહતમાંથી અમારી શેરીમાં રમવા આવતો. મારીથી ત્રણેક વરસ મોટો હોવા છતાં પણ એ નિશાળમાં મારા જ વર્ગમાં હતો. કોઈ કોઈ વાર છોટુને ઘરે જઈએ તો એની બા અને એના દાદા મળે, એના બાપુજી ક્યારેય ઘરે જોવા ન મળતા. પછી ખબર પડી કે એના દાદા કર્મકાંડ અને જ્યોતિષના વ્યવસાયને લીધે પુષ્કળ રળતા હતા, જ્યારે સામે પક્ષે એના બાપા પૈસાને સર્વ અનિષ્ટનું મૂળ સમજી, ક્યારેય કમાવા જેવી દુન્યવી પ્રવૃત્તિમાં પડ્યા જ ન હતા. ઉલટાના, એ તો બને એટલી રીતો અજમાવી, અન્યોએ એકત્રીત કરેલા હાથના મેલને શક્ય એટલો આઘો કરી દેવાના પ્રયાસોમાં જ વ્યસ્ત રહેતા. એમની આવી ઉમદા પ્રવૃત્તિઓને નિષ્ઠુર સમાજ, કુટુંબીજનો અને ખાસ તો એમના પિતાશ્રી ન ચલાવી લેતા હોવાથી એ બિચારાને ભેદી સ્થળોનો આશરો લેવો પડતો.

અમારી શેરીના ઘરેઘરની એકેએક વ્યક્તિથી છોટુ જરૂર કરતાં પણ વધારે પરિચીત હતો. કેટલાયે કુટુંબોની ‘ભેદી વાત્યું’ એની જાણમાં રહેતી અને એ અમારી મંડળીમાં કોઈ પણ જાતના બાધ વગર એ આવી બધી વાતો છૂટથી વહેંચતો. વળી કેટલાક કુતૂહલપ્રિયા: જના: સાથે ચોક્કસ અને ખાસમખાસ બાતમીનો વ્યવહાર એ સોડા અને પાનના સાટામાં કરતો. અમુક કુટુંબોમાં તો એને ઘરોબો હતો અને ત્યાં જઈને વડીલો સાથે બેસી, ચા-પાણી-નાસ્તો પણ કરી લેતો. બદલામાં એણે ત્યાં ચોક્કસ પ્રકારની મનોરંજક વાતો કરવાની રહેતી, જેને કેટલાક વાંકદેખાઓ કૂથલીના નામે વગોવતા. અમારો છોટુ આ બધું એકદમ તટસ્થભાવે કરતો. આજે જે ઘરે જઈને કોઈની વાતો કરી આવ્યો હોય, એ જ કુટુંબની માટલી બે ત્રણ દિવસ પછી અન્યત્ર ફોડી દે એવું પણ અમારી જાણમાં આવતું રહેતું. આવું બધું કરવા માટે જરૂરી સમયની ફાળવણી એ નિશાળમાં ન આવીને કરી લેતો. જ્યારે આવે ત્યારે એની અનિયમિતતા બાબતે વર્ગશિક્ષક સાહેબ/બહેન ખુબ વઢે અને કોઈ કોઈ વાર મારે પણ ખરાં. હેડમાસ્તર સાહેબના હાથે ચડી જાય તો એ પણ એને લગાવતા. જો કે આવી નાની નાની ઘટનાઓથી એ જરાય વિચલીત ન થતો. આ બાબતે એ એનું મંતવ્ય બહુ સ્પષ્ટ હતું….” જો ભાય, ઈ તો નિશાળે રોજ આવું તોય વાંકમાં આવીને વઢામણ/માર તો ખાવાનાં જ વોય. એના કરતાં બીજું કાંકેય કરવી ને!” અમે મિત્રો ય સ્વીકરતા કે એ ‘બીજું કાંક’ એને ખાસ્સું ફળદાયી નીવડતું.

અમારી નિશાળ લગભગ નદીકાંઠે હતી. નદીને સામે કાંઠે ખેતરો અને વાડીઓ હતાં. ગઢડામાં એ સમયે મગફળીનો મબલખ પાક ઉતરતો. લણણી સમયે છોટુ નિશાળમાં ભાગ્યે જ દેખાતો. સાંજ પડ્યે તાજી વાઢેલી શીંગ ભરીને ગાડાં ગામમાં પ્રવેશે, ત્યારે એમાંના એકાદની પાછળ લટકેલો નજરે ચડી જતો. એ સમયે ગઢડાના ખેડૂતોમાં એક માન્યતા એવી હતી કે ‘ખેતરમાં ઈ રામનું, ખળા( લણ્યા પછી ખેતપેદાશને રાખવાની વ્યવસ્થા)માં ઈ ગામનું ને (ઘરની) કોઠીમાં ઈ કામનું’. આમ, ખેતપેદાશ પોતાના ઘરની કોઠીમાં પહોંચી જાય ત્યાં સુધી એનો ઉપયોગ પશુ/પક્ષી/માનવીમાંથી કોઈ પણ કરે, એમાં ખેડૂતને વાંધો ન હોય. આવી માન્યતાને બરાબર ધ્યાને રાખી, છોટીયો વેળાસર કોઈના ને કોઈના ખેતરે પહોંચી જઈ, તાજી મગફળી(જેને અમે પોપટા કહેતા)ની જ્યાફત ઉઠાવતો અને પાછા ફરતી વેળા ઘેર પણ લઈ જતો. હા, ત્યાં લણણીના કામમાં થોડો ઘણો મદદરૂપ પણ થતો. ઘરે જતી વેળા અમારી જેવા કોઈ રસ્તે મળી જાય, એને પણ ઉદારતાથી પોપટાની લ્હાણી કરતો. એ બિલકુલ તાજી શીંગનો અદ્ભૂત સ્વાદ મેં છોટુના સૌજન્યથી એક કરતાં વધુ વાર માણ્યો છે. આ છોટીયા સાથે એ નાદાન ઉમરે કેટલાક યાદગાર અનુભવો માણ્યા છે એ પૈકીનો એક અહીં મૂકું છું.

એક તબક્કે અચાનક એવું બન્યું કે જ્યારે જોઈએ ત્યારે છોટુ “ હે જી.ઈ.ઈ.ઈ…… વડલા તારી વરાળ્ય, ને પાંદડે પાંદડે પરવરે” એટલી દુહાની પંક્તિ ગાતો ગાતો ફરતો રહેવા માંડ્યો. આગળ પાછળ કશું જ નહીં, માત્ર આ દુહો ગાતો રહેતો. મેં આ બાબતની પૃચ્છા કરતાં એણે મને જણાવ્યું કે ગઢડામાં એક નાટકકંપની તે સમયના ગ્રામ્ય સૌરાષ્ટ્રમાં ખુબ જ લોકપ્રિય એવા નાટક ‘વીર માંગડાવાળો’નો ખેલ લઈને આવી હતી. એ નાટકનું જે શિરમોર ગીત હતું, એનો આ મુખડો હતો. એણે ખુબ જ આગ્રહ્પૂર્વક મને આ નાટક જોવાની ભલામણ કરી. મેં તાત્કાલિક ધોરણે મારા બાપુજીને આ નાટક જોવાનો સોનેરી મોકો ચૂકી જવાથી મારો વિકાસ રૂંધાઈ જશે એવા અંદાજથી સમજાવવાની કોશિશ કરી જોઈ પણ એમણે જરાયે લાગણીવશ થયા વગર મારી દરખાસ્ત ઉડાવી દીધી. અમારા કુટુંબમાં એ સમયે સ્ત્રીઓ પુરુષસમોવડી થવાનો જરાય પ્રયત્ન ન કરતી એટલે મા પાસે જ્યારે હું હતાશાની મૂર્તી જેવો બનીને આ બાબતે કોઈ પુનર્વિચારણાનો પ્રસ્તાવ લઈને ગયો ત્યારે એણે તો “ઈ તો જેમ તારા ભાઈ કહે એમ જ હો!” કહીને સમગ્ર બાબત ઉપર ટાઢું પાણી ઢોળી દીધુ. હવે જ્યારે છોટીયાને આ ખબર પડી ત્યારે એ મારાથી યે વધુ હતાશ થઈ ગયો! એણે વિચારેલું કે મારા બાપુજીને વિનંતી કરીને મારી સાથે એ પોતે પણ નાટક જોવા પામશે. જો કે એ આશા ફળીભૂત ન થવાથી એણે વૈકલ્પિક વ્યવસ્થા કરી. ક્યાંકથી આ નાટકની જાહેરાતનું મોટું ચોપાનીયું લઈ આવ્યો. એમાં નાટકની વાર્તા અને ગીતો છાપેલાં હતાં. એમાંથી વાંચીને એણે મને જણાવ્યું કે ‘વીર માંગડાવાળો’ એક ભૂતકથા હતી અને નાટકમાં તો ‘ટોપના પેટનો હાચ્ચો ભૂત’ દેખાતો ’તો. આ જાણકારીથી તો હું એ નાટક જોવા માટે વધારે ઉત્સુક થઈ ગયો. મને ભૂત કેવું દેખાય એ જાણવાનું ભારે કુતૂહલ હતું. કોઈએ ‘અરીસામાં જોવાથી ખ્યાલ આવી જશે’ એવી સૂઝ પણ પાડી ન હતી. એ સમયે મારા એકમાત્ર તારણહાર સમા છોટીયાએ મને કહ્યું, “હું તને નાટકનો નહીં, હાચ્ચેહાચ્ચો ભૂત બતાડીશ, તું સાબદો રે’જે.”

ખરેખર, બે-ત્રણ દિવસમાં જ છોટુ એક ભવ્ય પ્રસ્તાવ લઈને આવ્યો. એણે મને જણાવ્યું કે ગામની સીમમાં આવેલા સ્મશાનમાં ભૂત, ખવીસ, ડાકણ, ચૂડેલ વગેરે રાતના નવ વાગ્યા પછી નિયમીત હાજરી પૂરાવતાં રહે છે. એટલે ત્યાં યોગ્ય સમયે પહોંચી જવાથી એ સૃષ્ટી સાથે મુલાકાત થઈ શકે. મારા માટે તો સાંજના સમય પછી ઘરેથી બહાર શી રીતે જવું એ પ્રશ્ન હતો. પણ છોટીયો જેનું નામ! એણે તોડ વિચારી જ રાખેલો હતો. યોગાનુયોગે તાજીયા(મુહર્રમ)નો તહેવાર નજીક હતો. રહીમ નામનો અમારો એક મિત્ર આ નિમીત્તે અમને શાળામિત્રોને એને ઘરે સાંજથી બોલાવવાનો હતો. એના મા-બાપ દર વર્ષે આ તહેવારમાં ‘ભામણ રસોઈ’ કરાવી, રહીમના મિત્રોને ખુબ ભાવથી જમાડતાં. આ મોકાનો લાભ લેવા માટેની છોટુની યોજના બહુ સ્પષ્ટ હતી. “જો, તારા બાપા તને રહીમીયાના ઘરે તો આવવા જ દેશે ને! ન્યાંથી આપડે કોઈને ખબર નો પડે એમ છાનામુના સમશાને વીયા જાશું તું એકાદ ભૂત/ભૂતડી જોઈ લે એટલે પાછા રહીમીયાને ન્યાં ને પછી હું તને તારે ઘેર મૂકી જાશ્ય.” એ વખતે એને તો બધા પ્રકારનાં ભૂતો સાથે ઘરોબો હોય એવી અદાથી છોટીયો વાત કરતો હતો.

આખરે મુહર્રમનો દિવસ આવી પહોંચ્યો. સવારમાં રહીમના બાપુજી મારા ઘરે આવીને મને એમને ત્યાં જમવા મોકલવા માટે મારા બાપુજીને ભાવપૂર્વક કહી ગયા. સાંજે છોટીયો મારે ઘરે આવી ગયો અને અમે બન્ને નીકળી પડ્યા. જો કે જેમ જેમ આ દિવસ નજીક આવતો જતો હતો એમ મારામાં બીક અને ફફડાટની લાગણી પ્રબળ થતી જતી હતી. સામે પક્ષે છોટુ તો સહેજેય બીતો નહતો! એનું કારણ એણે બતાવ્યું કે પોતે હનમાનજતિનો ભગત હતો. દર શનિવારે એકટાણું કરતો અને હડમાનદાદાને તેલ ચડાવતો. મને યાદ આવ્યું કે એ દરેક શનિવારની સવારે એક ટોયલી લઈને ઘેર ઘેર ફરતો અને મોટેથી ‘હડડડડડમાનનનનનનજતિનું  ત્ત્ત્ત્તત્ત્તેલ્લ્લ્લ્લ’ એવું ગાંગરતો. મોટા ભાગનાં શ્રધ્ધાળુ લોકો એને તેલ આપતાં અને કલાકેક પછી એ તેલસભર ટોયલી લઈને છોટીયો ઘેર જતો. આ તેલનો અમુક ભાગ એ રસ્તામાં આવતી હનુમાનજીની દેરીએ એના પૂજારીને દેતો. હનુમાનદાદાની આટલી સેવા કર્યાના પૂણ્યના ફળરૂપે એને ભૂતો સામે રક્ષણકવચ મળ્યું હતું એવું એણે મને સમજાવ્યું. મને આવું કશુંયે ન શીખવવા બદલ મેં મનોમન મારાં વડીલોનો દોષ કાઢ્યો. ખેર, જાગ્યા ત્યારથી સવારના ધોરણે મેં રહીમના ઘરે બેઠા બેઠા હનુમાનજીનું સ્મરણ કરવા માંડ્યું. જમી લીધા પછી બધા રહીમના ફળીયામાં રમતા હતા એવામાં એકાએક છોટીયાએ મને ઈશારો કર્યો અને અમે કોઈને જાણ ન થાય એવી રીતે ત્યાંથી અગોચરના પંથે જવા સરકી ગયા. રસ્તામાં છોટુએ મને એક કરતાં વધારે વાર ‘બીશ્ય તો નહીં ને?’ એમ પૂછ્યું અને એ સમયે ખોટું બોલતાં અતિશય પરિશ્રમ પડ્યો છતાં મેં ‘જરાય નહી ને!’ નો જવાબ વાળ્યા કર્યો. અત્યારે યાદ કરું છું તો એક સાત-આઠ વરસનો અને બીજો દસ-અગિયાર વરસનો એવા બે છોકરા રાતના અંધારામાં સ્મશાન તરફ હાલ્યા જતા હતા એ ખુદ મારા માન્યામાં નથી આવતું!

ખેર, અમે ચાલતા હતા એવામાં એક મોટું ઝાડ આવ્યું. છોટુએ મને જણાવ્યું કે એ ઝાડ ઉપર એક ‘મામો’ રહેતો હતો. આગળ વધતાં વધતાં એણે મને આ વિશિષ્ટ મામાનો પરિચય આપ્યો. એણે કહ્યું કે મામો હંમેશાં સફેદ ખમીસ અને લેંઘો ધારણ કરીને જ એ જ્યાં રહેતો હોય એ ઝાડની આસપાસ ફરતો રહે. ત્યાંથી નીકળતા લોકો પાસે બીડી/સિગારેટ માંગે અને ન આપનારને જોરદાર લાફો વળગાડી દે. જેને એ લાફો મારે એને “તણ દિ’ તાવ આવે, પછી કોગળીયું થાય ને પછી તો બસ્સ્સ, ખલ્લાસ્સ્સ!” આવું આવું સાંભળતાં મને લખલખાં આવી જતાં હતાં. જો કે અમને મામાએ રોક્યા નહીં પણ હવે જેમ જેમ ગામનું પાદર વટાવીને આગળ વધવાનું થયું એમ એમ મારી હાલત બગડવા માંડી. આ સમયગાળામાં મેં હનુમાનજીને સ્મર્યા એટલા તો તુલસીદાસજીએ પણ કદાચ એમના સમગ્ર જીવનમાં નહીં સ્મર્યા હોય! જો કે છોટુ તો હિંમતના મૂર્તીમંત સ્વરૂપની જેમ આગળ વધતો જતો હતો.
પણ, જેમ ભગવાનનો સાક્ષાત્કાર, એમ જ ભૂતદર્શન પણ કોક કોક વીરલ નસીબદારને જ સાંપડે અને એ પણ યોગ્ય સમય પાકે ત્યારે જ એ અવસર પ્રાપ્ત થાય. અમે સ્મશાનથી થોડા દૂર હતા એવામાં આસપાસમાં કશોક સંચાર કાને પડ્યો. મારા પગ તો ત્યાં જ જમીન ઉપર ખોડાઈ ગયા. છોટુ પણ ગાભરો બની ગયો. ત્યાં તો એક ઓળો નજરે પડ્યો. ઘોર અંધારામાં સફેદ ખમીસ અને સફેદ લેંઘો પહેર્યો હોય એવી એ હસ્તી જોતાં જ મને તો થયું કે આ તો ઓલો મામો ભટકાણો! હવે બીડી માંગશે અને નહીં આપું એટલે લાફો વળગાડી દેશે. ક્ષણવારમાં તો પૂરી ભવાટવી દેખાઈ ગઈ. બસ, થોડી વારમાં આપણો ‘ખેલ ખલ્લાસ્સ’ એની ખાતરી થઈ ગઈ. એવામાં અમારી તરફ ધ્યાન પડતાં એ ઓળાએ જોરથી ત્રાડ નાખી, “કોનીના સો!” અને અમને બન્નેને ખ્યાલ આવ્યો કે એ તો છોટીયાના બાપા હતા! છોટીયાએ સમયસૂચકતા વાપરી, જરા અવાજ બદલી, મને પાછા ભાગવાનો હૂકમ કર્યો અને અમે એકબીજાનો હાથ પકડી, ભાગવા લાગ્યા. સહેજ સલામત અંતરે પહોંચ્યા પછી મેં પાછા વળી, જોયું તો એ અમારો પીછો કરતા નહતા. કદાચ એમ કરવા જેટલી એમની શારિરીક કે માનસીક સ્વસ્થતા હશે જ નહીં.

આ ક્ષણે હું સંપૂર્ણપણે ભયમુક્ત થઈ ગયો. હવે મને ટીખળ સૂઝી. છોટીયાથી સહેજ દૂર હટી, મેં જોરથી બૂમ પાડી, ‘નદ્દી કિન્ન્નાર્રે ટમ્મેટ્ટું, ટમ્મેટ્ટું.’ અને પછી એમના તરફથી ‘કોનીનો સે’ની ત્રાડ આવે એ પહેલાં અમે રાજ્યકક્ષાની સ્પર્ધામાં ભાગ લીધો હોય એવી ઝડપથી ઘર તરફ દોડવા લાગ્યા. અમારી સાંકડી શેરીના નાકે મારા બાપુજી હાથમાં ટોર્ચ સાથે સામા મળ્યા. એમની અપેક્ષાથી મોડું થયું હોવાથી એ રહીમના ઘર તરફ મને લેવા માટે નીકળ્યા હતા. એ ક્ષણે એમની મહામૂલી અમાનત પરત કરતો હોય એવા અંદાજમાં છોટીયાએ એમને કહ્યું, “રહીમીયાને ન્યાં રમવામાં મોડું થઈ ગ્યું ઈ ધ્યાન જ નો રીયું. પછી રાત વરતનો આ પીયૂસીયો તો બવ બીવા માંડ્યો. પણ મેં તો જ્યાં લગી એને તમારા હાથમાં નો મૂકું ત્યાં લગી પાણી નો પીવાની બાધા લીધી ‘તી.“ એની આ ચેષ્ટાથી ભારે પ્રભાવિત થયેલા મારા બાપુજીને વર્ષો સુધી આ બાબતે મેં કોઈ જ ચોખવટ કરી નહતી.

વર્ષો પછી એટલે કે સને ૨૦૦૩માં જ્યારે ગઢડા જવાનું થયું ત્યારે છોટીયાની તપાસે એના ઘરે ગયો હતો. ઓટલે બેઠેલાં એની બાએ જણાવ્યું કે છોટુ તો આફ્રીકા જતો રહ્યો હતો અને ત્યાં કથા-વાર્તા કરી, સારું રળતો હતો. એના બાપા બાજુમાં પડેલી એક આરામખુરશીમાં બેઠા બેઠા બીડી ફૂંકી રહ્યા હતા. મારામાંના ટીખળીને ઈચ્છા થઈ આવી કે એક વાર જોરથી ‘નદ્દી કિન્ન્નાર્રે ટમ્મેટ્ટું, ટમ્મેટ્ટું.’ બોલી, નાસી છૂટું. પણ ત્યારની મારી ઉમર અને ખાસ તો મારો દીકરો સાથે હતો એ બે પરિબળોએ મને એમ કરતાં રોક્યો.

નોંધઃ ગુજરાતી વેબ પોર્ટલ 'વેબગુર્જરી' ઉપર તા.26/04/2019ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.

Monday, 1 July 2019

ગુજરે હૈ હમ કહાં કહાં સે (૫)


                                                                     મજ્જા!
સને ૧૯૬૧-૬૨ના સમયગાળા દરમિયાન ગઢડામાં અમારી બરાબર સામેના ઘરમાં ઉપરના માળે એક યુવાન, ખુબ જ દેખાવડા અને મળતાવડા સજ્જન નામે અંબાલાલ, ભાડે રહેતા હતા. એ મધ્ય ગુજરાતના વતની હોવાથી અમને એમના ઉચ્ચારો બહુ રમૂજ પૂરી પાડતા. આવી રમૂજભાવના સાપેક્ષ અને પરસ્પર હોય એ સમજવાની અમારામાંના મોટા ભાગના છોકરાઓની એ ઉમર નહોતી. વળી જેની પાસે એવી સમજ હતી, એમને એ બાબતની કોઈ પરવા નહોતી.

અંબાલાલ રહેતા એ મકાનમાં દાખલ થઈએ અને પછી ત્રણ પગથીયાં ચડીએ કે તરત જ એક દાદરો હતો, જે સીધો રોડ ઉપર પડતો હતો. એ દાદરો ઉપરના માળે અંબાલાલના ઓરડા સુધી લઈ જતો હતો. આમ હોવાથી અમે શેરીમાં રમતા હોઈએ અને અંબાલાલ ઘરમાંથી બહાર જવા દાદરો ઉતરે કે પછી બહારથી ઘરે આવે ત્યારે દાદરો ચડીને ઠેઠ એમના ઓરડામાં પહોંચી જાય એ અમારી નજરમાં રહેતું. જેટલી વાર અંબાલાલ જતા કે આવતા દેખાય, એ દરેક વખતે અમારામાંથી કોઈ ને કોઈ ચોક્કસ લહેકામાં “કાં અંબાલાલ, કેમ છો?” કહીને એમનું અભિવાદન કરે. જવાબમાં એ ભલો માણસ, હસીને માત્ર ”મજ્જા” એટલું બોલીને આગળ વધી જાય એવો ધારો થઈ ગયેલો. ધીરે ધીરે અમારી ટોળકી સાથે અંબાલાલ વધુ ને વધુ ભળવા લાગ્યા. રજાના દિવસે એ ક્યારેક થોડો સમય અમારી સાથે વાતો કરતા થયા અને પછી તો કોઈ કોઈ વાર અમે ‘બોલ-બેટ’ રમતા હોઈએ તો એમાં પણ જોડાઈ જવા લાગ્યા. ક્યારેક એ અમદાવાદ અને વડોદરા જેવી દેવોને વસવા યોગ્ય નગરીઓની રોમાંચક વાતો પણ માંડતા, જ્યાં અમારો આશય અચંબો પામવાનો રહેતો અને એમનો આશય અમને અચંબો પમાડવાનો રહેતો. અત્યારે સુપેરે સમજાય છે કે એમની કથાઓમાં તથ્ય કરતાં કલ્પનનું પ્રમાણ ભારેથી અતિભારે રહેતું હશે. એમની સાથે કરેલી ગોઠડીઓ હું અમારા નિશાળના ગોઠીયાઓ સાથે વહેંચતો. કોઈ કોઈ વાર તો હું જાતે જ અમદાવાદ/વડોદરા જઈને કશોક દિવ્ય અનુભવ પામી આવ્યો હોઉં એવું પણ જરાય ક્ષોભ વગર કહી દેતો અને પરિણામે એ મિત્રોના ચહેરા ઉપર વિસ્મયના હાવભાવ જોઈને રોમાંચ પામતો. જેમ જેમ મૈત્રી વધતી ગઈ એમ એમ અંબાલાલ અમારી વધુ ને વધુ નજીક આવતા ગયા. પછી તો એ અમારાં તોફાન-મસ્તીમાં પણ ભળવા લાગ્યા.

એ અરસામાં અમારી શેરીમાં એક સાવ ખખડધજ વૃધ્ધા એકાકી જીવન ગુજારી રહ્યાં હતાં. એ પોતે અને એમનું ખોરડું એમાંથી વધારે જીર્ણ અવસ્થા કોની હતી એ કહેવું મુશ્કેલ હતું. વર્ષોની એકલતા અને અભાવોથી ભરેલ જીવન — આ બે પરિબળોએ એમને અત્યંત ચીડીયાં બનાવી દીધાં હતાં. સ્વાભાવિક છે કે અમે શેરીમાં રમતા રમતા દોડાદોડી અને બૂમાબૂમી કરતા જ રહેતા હોઈએ. જેવો અમારો અવાજ એમના કાને પડે, એ ભેગાં એ એમની બારીમાંથી ‘હેઈક્ક, હેઈક્ક, ભાગો! મારા રોયાઉં, મરી ગઈ સ તમારી માવર્યું, કે આયાં ધડીકા લ્યો સો! ભાગો, ભાગો આંઈથી!’ જેવાં સુવાક્યો વડે શરૂઆત કરતાં અને જો એવો પ્રેમાળ ઉપદેશ કારગત ન નીવડે તો છેવટે હાથમાં લાકડી લઈને એમની ઝાંપલી સુધી આવી, અમે અને અમારાં સગાં વ્હાલાંઓ કાળી રાતે ફાટી પડીએ એવાં આશિર્વચનો પણ ઉચ્ચારી લેતાં. એમને પૂરતાં ખીજવી લીધાં છે એવો સંતોષ થાય એટલે અમે છોકરાઓ ત્યાંથી સ્થળબદલો કરી જતા. એ જમાનામાં આ પ્રકારની વૃધ્ધાઓ કદાચ ગામેગામમાં મળી આવતી હશે એટલે એમનું વધુ વિગતે વર્ણન નથી કરતો. આ બધું વિગતવાર ધ્યાને પડતાં અંબાલાલે એક વાર પોતાના બાળપણ દરમિયાનના ગ્રામ્યનિવાસને યાદ કરતાં અમને પૂછ્યું કે અમે એ માજીની અંતિમયાત્રા કેમ ન્હોતા કાઢતા? આવો અઘરો શબ્દપ્રયોગ અમારામાંના મોટા ભાગનાઓને પલ્લે ન પડ્યો, પણ છોટુ બોલ્યો, “તે અંબાલાલ, અમીં ઈ ડોશીની ઠાઠડી કાઢવી ઈમ ક્યો સ ને?” જવાબમાં હકારો મળતાં અમારી ટોળીએ ઉક્ત કાર્યક્રમ અંબાલાલના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક ધોરણે અમલમાં મૂકી દેવાનું આયોજન કરી નાખ્યું. એ મુજબ ક્યાંક્થી દેશી નળીયું ગોતી લાવી, એમાં એક મધ્યમ કદનો પથરો મૂકી દેવામાં આવ્યો. આ નળીયું ઠાઠડીનું અને એમાં મૂકેલ પથરો ઓલાં માજીના પ્રતિકરૂપે હતાં એ સ્પષ્ટતા અંબાલાલે કરવી ન પડી. તૈયારી થઈ ગઈ એટલે એમણે કહ્યું, “ હવે તમારે આ નનામી લઈ, અહીં (અ)ગાડીથી ડોહીના ઘર લગી ઠૂઠવો મેલતાં મેલતાં જવાનું. એવીયે ગુસ્સે થઈને બહાર આવે તંહીં લગી તંહીં ‘ગાડી જ ઉભા રહી, રોતા રહેવાનું. પછી એવીયે ગુસ્સે ભરાય અને તમને ગારો(ળો) ભાંડવા લાગે એટલે અહીં ‘ગાડી પાછા ભાગી આબ્બાનું.” અમે અતિશય આજ્ઞાંકિતપણે અંબાલાલની તાલિમને અમલમાં મૂકી, એમાં એ માજીને જે માનસિક પરિતાપ પડ્યો હશે એ યાદ આવે છે ત્યારે આજે સાડાપાંચ દાયકા પછી પણ જીવ વલોવાઈ જાય છે. એમની મુખમુદ્રા નજર સામે તરે ત્યારે એક નિ:સહાય, એકાકી કૃશકાય વૃધ્ધાને પરજાળ્યા કરતી ટોળકીનો સભ્ય હોવા માટે હું હજી મારી જાતને માફ નથી કરી શકતો. ખેર, આમ દિવસો વિત્યે જતા હતા એવામાં અંબાલાલે અમને જણાવ્યું કે ટૂંક સમયમાં એમનાં પત્નિ ગઢડા આવી જવાનાં હતાં. એ અમારાં વણજોયેલાં સન્નારીનો ઉલ્લેખ એમણે ‘તમારી ભાભી’ તરીકે કર્યો એમાં તો અમારી ટોળકી એકદમ રોમાંચિત થઈ ગઈ, કારણ કે એવું પાત્ર અમારા બધા માટે સ્વપ્નવત હતું. હવે તો અંબાલાલે નહીં જોઈ હોય એટલી તીવ્રતાથી અમે સૌ એ ‘ભાભી’ની રાહ જોવા માંડ્યા.

આખરે એક દિવસ અમે જાણ્યું કે ભાભી પછીના અઠવાડીયે આવવાનાં હતાં. એ ટૂંકા સમયગાળામાં અંબાલાલના ઓરડાની સજાવટમાં નોંધપાત્ર ફેરફારો થઈ ગયા અને એવા જ ફેરફારો એમની અદામાં પણ થયા હોય એવું અમારી ટોળકીના વરિષ્ઠ સભ્યોએ નોંધ્યું. એવામાં એક દિવસ અંબાલાલ એમના દાદરાના સૌથી ઉપરના પગથીયે હતા અને અમારા શિરીષે “કાં, અંબાલાલ?” પૂછીને એમનું રોજીંદું અભિવાદન કર્યું. એ પણ રોજની જેમ “મજ્જા” કહેવાના હતા. એમાંનો “મ” બોલતી વેળા એ સૌથી ઉપરના પગથીયે હતા અને “જ્જા” ઉચ્ચાર એમણે સૌથી નીચેના પગથીયે બેઠે બેઠે કર્યો! એકદમ ઝડપથી આકાર લઈ ગયેલા એ ઘટનાક્રમ દરમિયાન ‘ધડ ધડ ધડ ધડ’ અવાજો પણ અમારે કાને પડ્યા, એ ઉપરથી અમે તાત્પર્ય કાઢ્યું કે અંબાલાલ ઉપલા પગથીયેથી લપસીને ઠેઠ નીચે પડ્યા! એ ઉમર એવી હતી કે આવી ઘટનાનો ભોગ બનેલા એ યુવાન માટે અમને સહાનુભૂતીને બદલે રમૂજની લાગણી નિષ્પન્ન થઈ અને એ લાગણીને કશા જ છોછ વગર અમે સૌએ ખુલ્લે દિલે માર્ગ આપ્યો એટલે કે ‘દાંત કાઢી કાઢીને અમે બધા બઠ્ઠા પડી ગ્યા.’ કેટલીક ક્ષણો પછી એ મૂઢ માર જીરવી ગયેલા એ ભલા માણસ અંબાલાલે પણ અમને હાસ્યની છોળો ઉડાડવામાં સાથ આપ્યો. એ દિવસથી અમારે આ રમત થઈ ગઈ. અંબાલાલ ઘરે ન હોય એવા સમયે એક છોકરો એમના દાદરાના સૌથી ઉપરના પગથીયે જઈને ઉભો રહે. નીચેથી એને પૂછવામાં આવે, “કાં, અંબાલાલ?” એ ત્યાં જ ઉભો ઉભો “મ” બોલે અને પછી ખુબ જાળવીને ઠેઠ નીચે ઉતરી આવી, “જ્જા” બોલે અને પછી બધા ‘દાંત કાઢી કાઢીને બઠ્ઠા પડી જઈએ’!

એમ ને એમ અંબાલાલની અને અમારી આતુરતાનો અંત લાવનારો દિવસ ઉગ્યો. આધારભૂત સ્રોતમાંથી અમારો છોટુ જાણી લાવ્યો કે અમારાં ભાભી તો એમના પીયરની મોટરમાં આવવાનાં હતાં. એણે તાત્કાલિક ધોરણે સ્વાગતગીતનો મુખડો જોડી નાખ્યો, ”અંબા, ’લાલ’ મોટર આવશે, મારાં ભાભીને ઈ લાવશે, અંબાલાલને ગઢડામાં લીલાલ્હેર છે!” અને એ દિવસની સવારથી શેરી અમારા કંઠે રેલાઈ રહેલા એ મુખડાથી ગુંજવા લાગી. અમુક ઘરોમાંથી અને ખાસ તો ઓલાં માજીના ઘરમાંથી ‘હેઈક, હેઈક, થોડાક જંપો, ભાગો, ટળો આંઈથી’ જેવી બીરદાવલીઓ અમારે કાને પડતી હતી પણ કાનને તો એ રોજનું થયું હતું. આ બધી ગતિવિધીઓમાં સમય વિતતો રહ્યો અને બપોર પડવા આવી ત્યાં શેરીમાં એક મોટર દાખલ થઈ અને અંબાલાલના ઓટલા આગળ આવી, ઉભી રહી. એક બાજુ ડ્રાઈવરે નીચે ઉતરી, ડીકી ખોલીને બેગ-બીસ્તરા બહાર કાઢવાનું શરૂ કર્યું અને બીજી બાજુ અંબાલાલનાં મા-બાપ અને સાસુ સસરા ઉતર્યાં. આખરે જે સન્નારી ઉતર્યાં એને જોઈને અમે મિત્રો ડઘાઈ ગયા! અત્યારે આવું લખતાં ભારે ક્ષોભ અનુભવાય છે પણ એમના દેખાવને માટે એકાદ પણ સારો શબ્દ કહી શકાય એવાં એ ન્હોતાં. વાન. બાંધો કે ચહેરો – નારીસૌંદર્યના એ ત્રણેય માપદંડો વડે એમની મૂલવણી કરતાં નિરાશા જ સાંપડે એવું હતું. કાયમી બટકબોલો એવો છોટીયો ત્યારે જ બોલ્યો, “ અંબાલાલ, આ તો બાંઠકી ને જાડી સે! તમે પૈશાને પરણ્યા સો ને!” અને ત્યાંથી ભાગી ગયો. આટલું બનતાં તો સોપો પડી ગયો. અમે બાકીનાઓ પણ વીખેરાઈ ગયા. ખાસ કરીને મને તો ભોંઠામણનો પાર ન્હોતો કારણકે અમારું ઘર બિલકુલ એમની સામે પડતું હતું. નવાગંતુક યુવતી, અંબાલાલ અને એમનાં કુટુંબીજનો ઉપર શું અસર પડી એ જોવાની કે સમજવાની કે પછી ત્યાં જઈ, એ લોકોની માફી માંગવાની પુખ્તતા મારામાં ચોક્કસ ન્હોતી, પણ આવું બને તો મોઢું સંતાડી દેવા જેટલી તો અક્કલ હતી. એટલે હું ઝડપથી મારા ઘરમાં જતો રહ્યો.

એ જ સાંજે અંબાલાલ અને એમનાં પત્નિ અમારે ઘરે આવ્યાં. મારી ફરીયાદ કરવા આવ્યાં હશે એવા ખાત્રીભર્યા ડરનો માર્યો હું તો દોડીને અંદરના રૂમમાં ભરાઈ ગયો. હકિકતે એ બન્ને પેંડા લઈને અમારા કુટુંબને મળવા આવ્યાં હતાં. ખુબ જ શાલિનતાથી મધુબહેન નામેરી એ યુવાન નારીએ મારાં મા-બાપ સાથે પરિચય કેળવ્યો અને મને પણ રૂમની બહાર બોલાવી, પ્રેમથી એમને ઘરે આવતા-જતા રહેવા કહ્યું. એ ટૂંકા સમયગાળામાં જ એમની મીઠાશ મને સ્પર્શી ગઈ. મોડી સાંજે અમે મિત્રો શેરીમાં ભેગા થયા ત્યારે દરેકના મોઢા ઉપર ભોંઠપ જણાતી હતી. અમારી શેરીનાં સૌને ઘેર એ દંપતિ સૌજન્યપૂર્ણ વ્યવહાર કરી ગયું હતું. બીજા જ દિવસથી જ મધુબહેને અમારી ટોળકી સાથે મૈત્રી બાંધવાની શરૂઆત કરી દીધી. આગલા દિવસે છોટુએ કરેલ ટીપ્પણીની જાણે એમને ખબર જ ન હોય એવો એમનો વ્યવહાર હતો. વધુ પરિચય કેળવાતાં ખબર પડી કે એ અનુસ્નાતક કક્ષાની ઉપાધી મેળવી, મહેસાણાની કોઈ માધ્યમિક શાળામાં શિક્ષીકા તરીકે નોકરી કરતાં હતાં એ છોડીને આવ્યાં હતાં. પહેલે દિવસે એમના દેખાવમાં જે ખોટ વર્તાતી હતી એ એમને મૂલવવા માટે કેટલી ક્ષુલ્લક હતી એ અમને નાદાનોને પણ એ જ ઘડીએ સુપેરે સમજાઈ ગયું.

એ પછીના થોડા અરસામાં મારા બાપુજીની બદલી ભાવનગર થતાં અમે ગઢડા છોડ્યું ત્યાં સુધી એ લોકો અમારી સામે જ રહેતાં હતાં. વર્ષો પછી એક વાર એ બંને ભાવનગરમાં રસ્તે જતાં મને અચાનક જ ભટકાઈ ગયાં ત્યારે સાથે એમનાં ત્રણ સંતાનો હતાં. એ પાંચેયના ચહેરા ઉપર જે આનંદ હતો એ એમના સુખે ચાલી રહેલા સંસારનો દ્યોતક હતો. પરસ્પર ખબરોની આપ-લે પછી છૂટા પડતી વેળા મેં અંબાલાલને પૂછ્યું, “અંબાલાલ, બાકી કેમ હાલે ચ્છ?” જવાબમાં એમણે કહ્યું, “બસ, મજ્જા!” સદનસીબે એ સમયે અંબાલાલ દાદરા ઉપર ન્હોતા એટલે ‘મ’ અને ‘જ્જા’ની વચ્ચે ‘ધડ ધડ ધડ ધડ’ અવાજ ન આવ્યો!

નોંધઃ આ લેખ 'વેબગુર્જરી' ઉપર તા. 28/06/2019ના રોજ પ્રકાશિત થયો છે. ત્યાંથી સાભાર અહીં વહેંચ્યો છે.

Thursday, 18 August 2016

હમવતન, હમજુબાં કિરદારો

અમે ભાવનગરનાં વતનીઓ એવું માનતાં હોઈએ છીએ કે, અમારામાં સંગીત, લલિત કલાઓ અને સાહિત્યનો બહુ મહિમા છે અને એ વિષેની  ઉંડી સમજણ અમારા જેટલી અન્ય નગરીઓનાં વતનીઓમાં નહીં હોતી હોય! અમે આ ગામને સંસ્કારનગરી તરીકે ઓળખાવવાનો આગ્રહ પણ રાખતાં હોઈએ છીએ. અલબત્ત, બીજી નગરીઓનાંં નિવાસીઓ અમારી માન્યતાને બહુ પુષ્ટી નથી આપતાંં, સિવાય કે એમને ભાવનગરમાં કોઈ જાહેર કાર્યક્રમ, પ્રદર્શન, કવિ સંમેલન કે સભાઓ જેવાં આયોજનો કરવાં હોય! અન્યથા ઘણાંંઓ તો બહુ નમ્ર નહીં એવા અંદાજમાં પણ પોતાનો વિરોધ  પ્રગટ કરી લેતાંં હોય છે. જો કે એનાથી અમે લોકો અમારી માન્યતામાંથી બહુ વિચલીત થતાંં નથી. બને છે એવું કે, યોજાયેલ સભાઓ કે અન્ય કાર્યક્રમોમાં વક્તાઓ/સંચાલકો/કલાકારો એમનો ધર્મ નિભાવવા જેમ કોઈ પણ ગામમાં કહે, એમ એકાદ બે વાર ભાવનગર અને ભાવનગરીઓ માટે પણ  મીઠાં વેણ અચુક ઉચ્ચારતાંં હોય છે અને એવે વખતે ત્યાં ઉપસ્થિત એવાં અમે ભાવનગરીઓ એક બીજાં સામે ડોકાં ધુણાવી, ‘જોયું, આપણે જે માનીએ છીએ એ સાચું જ છે ને!’ એવી લાગણી પરસ્પર વ્યક્ત કરી લઈએ છીએ. કુછ બાત હઈ કી મીટતી નહીં હઈ યહ સોચ હમારી. ખેર મજાકની વાત મજાકની જગ્યાએ રાખીએ. દરેક ગામ કે શહેરને એની આગવી વિશિષ્ટતા હોય, એમ જ ત્યાંનાં વતનીઓની પણ કેટલીક ખાસિયતો હોવાની. આ બધાનાં ભૌગોલિક અને સામાજિક કારણો હોય, જેની ચર્ચા અહીં અપ્રસ્તુત છે. વળી તટસ્થતાથી જોતાં એવું  તારણ નીકળી શકે કે, વતનનો મહિમા વતનથી દૂર રહ્યાથી વધુ થાય છે.
આટલી પ્રસ્તાવના બાદ અહીં બે અલગ અલગ પ્રસંગો વિષે વાત કરવી છે, જેમાં ત્રણ પાત્રોમાં પ્રગટ થતી અસલ ભાવનગરી ખાસિયતનો પરિચય થાય. અમારા લોકોનાં કેટલાંક સામાન્ય લક્ષણોમાંનું એક એ છે કે, મોટા ભાગનાં લોકો હળવા, ખાસ કરીને ફિલ્મી સંગીતનાંં શોખીન હોય છે. આ શોખને માણવાના દોરમાં સામાજિક, આર્થીક કે અન્ય કોઈ દરજ્જા આડા નથી આવતા હોતા. આ વાતની પુષ્ટી કરે, એવી બે વાત કરવી છે.
નવેમ્બર, 1974ની એક રાત:

પહેલાં આ ઘટનામાં ઉલ્લેખાયેલ બે પાત્રોનો ટૂંક પરિચય.. . . . . . . 
1) જસુભાઈ શેઠ ----- આજ થી પાંચેક દાયકા પહેલાં ભાવનગરનાં અતિશય અમીર કુટુંબોમાં પ્રભુદાસ શેઠના કુટુંબની ગણત્રી થતી. 'સી.પ્રભુદાસની કંપની' નામે વિખ્યાત એ કુટુંબે સને 1973-74ની આસપાસ 'પૉલી સ્ટીલ' નામે ખુબ જ મહત્વાકાંક્ષી પ્રકલ્પ શરુ કરેલો. એના પ્રણેતા હતા જસુભાઈ, જે 'જસુભાઈ શેઠ'ના નામે દેશભરમાં જાણીતા થઇ ગયેલા. કારણ, પૉલી સ્ટીલ’ નો પબ્લિક ઇસ્યુ બહાર પડેલો, અને લોકોને કંપની માટે બહુ ઉજળા ભવિષ્યની અપેક્ષા હતી. એ દિવસો ‘રીલાયન્સ’ના ઉદયના હતા.ચાની ‘હોટેલું’એ અને પાનની દુકાનોએ જમા થતા ભાવનગરના ઉત્સાહીઓ વચ્ચે એવી વાતો પણ થતી કે, “ઈવડા ઈ અંબાણીને તો આપડા જસુભાઈ ક્યાં ય ટોલી(પાછા પાડી) દેવાના છે.” ભલે પછી જસુભાઈને ક્યારે ય એવો વિચાર સ્વપ્ને ય ન સ્ફુર્યો હોય! ખુબ જ અમીર એવા ઉદ્યોગપતિ કુટુંબના નબીરા અને અતિ મહત્વાકાંક્ષી ઉદ્યોગસાહસિક હોવા છતાં જસુભાઈ જાહેર વ્યવહારમાં માન્યામાં ન આવે એટલા સરળ અને શાલિન હતા.
2) બાબુભાઈ ----- ડોનના ચોકમાં સૌથી વધુ જાણીતા લોકોમાં બાબુભાઇનું નામ આવે. જેમ જસુભાઈ 'શેઠ' તરીકે ઓળખાતા, એમ બાબુભાઈ, 'બાબુ લારી' તરીકે ઓળખાતા. લારીમાં માલસામાન ફેરવવાની મજુરી કરતા. કેટલીક વાર ઉમરલાયક વડીલો, જેમને ઘોડાગાડી ન પોસાય, એમને બાબુભાઈ લારીમાં બેસાડી ફેરવતા, એ નજરે જોયું છે! બાબુભાઈની આર્થિક હાલત વિષે વધુ ન કહેતાં એટલું જણાવવું કાફી છે કે, ભર ઉનાળામાં પણ તીવ્ર ગરમીના કલ્લાકોને બાદ કરતાં તે ચંપલ ન પહેરતા. "ઘસારો ઓસો પોસે ને ખાહડાં વધુ હાલે", એવો તર્ક સમજાવે. ડોનમાં એમની લારીના 'ઇસ્ટેન્ડ' પાસે સોડાની દુકાન હતી, એ સોડાનું અને બીડીનું બાબુભાઈને બંધાણ.
આટલી પૂર્વભૂમિકા પછી હવે મૂળ વાત.
સને 1974ના નવેમ્બરમાં ભાવનગરમાં હેમંતકુમારના સ્ટેઇજ કાર્યક્રમનું આયોજન થયેલું. હું બરાબર એ જ દિવસે ભાવનગર પહોંચ્યો. મારા નિરંજનકાકા આગળ આ કાર્યક્રમ માણવાની ઈચ્છા વ્યક્ત કરતાં એમણે તરત જ હા ભણી. કાકા અને હું સ્થળ ઉપર ગયા, ત્યારે  હાઉસફુલ’ નું બોર્ડ જોવા મળ્યું. કાકા કહે, "તને આજે ગમ્મે એમ કરી, કાર્યક્રમમાં લઇ જ જાઉં." કાળાબજારમાં 20 રૂ. ની ટીકીટ રૂ. 30 માં લઇ, અંદર ગયા, તો બીજી જ લાઈનમાં નંબર! હજી કાર્યક્રમ શરુ નહોતો થયો. એવામાં કાકાને ઉદ્દેશીને પાછળથી મોટો અવાજ આવ્યો, "ઓહોહોહો, નિરંજનભાઈ, ટીકીટ સીધ્ધી લીધી, કે બ્લેકમાં?"  જોયું, તો બાબુલાલ! એ અમારી પાછળની જ લાઈનમાં બેઠેલા. એટલે એ જમાનામાં લગભગ બે દિવસની કમાણી 'સીધ્ધી ટીકીટ' લીધી હોય, તો પણ વાપરી નાખી હશે! થોડી વાર થઇ, ત્યાં તો એ જ લહેકામાં બાબુભાઈએ ફરીથી ત્રાડ નાખી, "ઓહોહોહોહો, જસુભાઈ શેઠ, તમે ય આવ્યા સો ને કાંઈ?" સૌથી આગળની હરોળમાં બિરાજમાન  જસુભાઈને સીધ્ધી ટીકીટ કે બ્લેકની એવું  પુછાય, એવી સમજણ અલબત્ત, બાબુભાઈમાં હતી. જસુભાઈએ પાછળ ફરી, સૌજન્ય બતાવ્યું.  "અરે વાહ! બાબુ, તું ય આવ્યો છો?"  બાબુભાઈએ તો પૉલીસ્ટીલ બાબતે પણ બે ત્રણ સવાલો કર્યા હોત, પણ કાર્યક્રમ શરુ થઈ ગયો. જ્યારે ઈન્ટરવલ પડ્યો, તો ‘સોડા-બીડી’ માટે બહાર જઈ, પાછા આવતી વખતે બાબુભાઈ એક પડીકું ભરીને ખારી શીંગ લેતા આવ્યા. કાકાને અને મને  “લ્યો, બબ્બે દાણા” કહી, શીંગ ખાવા આગ્રહ કર્યો. હવેની વાત સહેલાઈથી ગળે ન ઉતારે એવી છે. બાબુભાઈએ થોડા ઉંચા થઈ, હાથ લંબાવી, સૌથી આગળની હરોળમાં બેઠેલા જસુભાઇને શીંગ ધરી અને જસુભાઈએ હસીને ‘બબ્બે દાણા’ શીંગ લીધી પણ ખરી! એક ઉઘાડપગા લારી ખેંચતા મજુર અને શહેરના (તે સમયના) પ્રથમ ક્રમના રઈસ વચ્ચે જો કશું પણ સામાન્ય હોય, તો તે સંગીત માટે નો રસ. હેમંતકુમારના અવિસ્મરણીય કાર્યક્રમની સાથે 'બાબુ લારી' અને 'જસુભાઈ શેઠ' વચ્ચે ઘટેલ ઘટના પણ યાદમાં જડાયેલી છે.
જો કે ઉપર્યુક્ત બનાવ પછી એકાદ વરસમાં જ પૉલી સ્ટીલ પ્રકલ્પ અહીં અપ્રસ્તુત એવાં કારણોથી બંધ થઇ ગયો. પણ આ ઘટના સમયે તો જસુભાઈનો સિતારો બુલંદીએ હતો (આટલી સ્પષ્ટતા ખાસ આ વાંચતા ભાવનગરના વતનીઓ માટે કરી).

મે, ૧૯૮૨ની એક સાંજ:
સ્નેહા અને હું અમદાવાદથી ભાવનગર આવવા ટ્રેઈનમાં નીકળેલાં. મોડી સાંજે સ્ટેશનથી ઉતરીને ઘરે જવા માટે  ઘોડાગાડીની મજા લેવાનો વિચાર થયો.. પેસેન્જરની રાહ જોતા હતા એવા એક લગભગ  65-70ની આસપાસની ઉમરના ગાડીવાનને પુછતાં તેમણે એકદમ વ્યાજબી ભાડું લેવાની વાત કરી. કોઈ જ રકઝક કર્યા વગર અમે બેસી ગયાં. એમનો ચહેરો જાણીતો લાગતો હતો, પણ ચોક્કસ ખ્યાલ આવતો નહોતો. રસ્તામાં અમારી વાતો તેઓ સાંભળતા હતા. થોડી વાર પછી જૂની ફિલ્મોનાં ગીતો વિષે વાત થતી જાણી, તેમણે પણ ઝુકાવ્યું. એમની વાતો ઉપરથી તરત જ ખ્યાલ આવી ગયો કે  સામાન્ય રસિકજન થી તેઓ ઘણું વિશેષ જાણતા હતા. પછી તો કહે, "હવે સાંભળો" અને ફિલ્મ ‘ડૉક્ટર’નું પંકજ મલ્લિકે ગાયેલ  'ચલે પવનકી ચાલ' ખુબ જ સરસ રીતે ગાઈ સંભળાવ્યું. એના પછી વારો આવ્યો અસીત બરનના ગાયેલા ફિલ્મ ‘કાશીનાથ’ના ગીત, ‘હમ ચલે વતનકી ઓર’નો. એકદમ સુર અને તાલમાં ગાય અને પાછા સંગીતના ટુકડાઓ પણ જે તે જગ્યાએ મોઢેથી વગડતા જાય. અચાનક જ આ માહોલમાંથી બહાર આવીને  એમણે મને પૂછ્યું, " તે હેં ભાઈ, તમે પ્રશ્નોરા નાગર?" હકારમાં જવાબ મળતાં જ સીધું એકવચનમાં સંબોધન આવ્યું- "તે તું અન્તુભાઈ સાહેબની દીકરીનો દીકરો છો ને?"  હવે મને પ્રકાશ લાધ્યો.તેઓ મારા સ્વ.દાદા (સૌરાષ્ટ્રમાં માના બાપને પણ દાદા જ કહેવાય છે, નાના નહીં.)ના કાયમી ગાડીવાન અલ્લારખાભાઈ હતા. આનો જવાબ મેં હકારમાં આપતાં જ તેઓની વાત કરવાની ઢબ બદલાઈ ગઈ. નાની ઉમરે મોસાળ ગયો હોઉં, ત્યારે ઘણી વાર એવું બનતું કે ‘વરદી’ ભરવા અલ્લારખાભાઈ આવે, ત્યારે દાદા એમાં બેસે એની પહેલાં ઘોડાગાડીમાં નાનકડો આંટો મારવાની મોજ માણવા મળતી. એ દિવસોની વાતો યાદ કરતાં કરાવતાં ઘર આવ્યું, એટલે અમે નીચે ઉતર્યાં. અમે કાંઈ પૂછીએ, પહેલાં સ્નેહાને પાસે બોલાવી, એના માથે હાથ ફેરવી, "બેટા કાયમ ખુશ રહો" કહી, એના હાથમાં અગિયાર રૂપિયા મુક્યા. મારી સામે જોઈ, કહે, "ને તું આમાં કાંઈ નો બોલતો, બેટા".  હું  એમની લાગણીના  પ્રભાવમાં ખરેખર જ  ‘કાંઈ નો બોલ્યો’. એ દિવસોમાં ઘોડાગાડીઓનો જમાનો ઓસરવાની શરૂઆત થઈ ચુકેલી અને પરિણામે એમની આર્થિક હાલત પણ ‘વળતે પાણીએ’ જ હોય, એ ન સમજીએ એટલાં નાદાન સ્નેહા કે હું  ન્હોતાં. પણ દાદાની પેઢીના એક પ્રતિનિધી પાસે શુકન લેવાની ના પાડવા જેટલો અવિવેક કરવાની અમારી બેમાંથી એકે ય ની હિંમત ન ચાલી. વતનના ગામમાં જવાનો આ આનંદ છે. હમખયાલ, હમજુબાં હમવતનીઓની ઉજળી બાજુઓની નોંધ લઈ, એ યાદ રાખવાની  અને વતનમાં જે કાંઈ પણ અનુકૂળ ન પડે એવું બને એને વિસારે પાડી, આવી યાદો તાજી કરી, વતનઝૂરાપો સહન કરી લેવાનો, એવો ઉપક્રમ રાખ્યો છે.